Monthly Archives: February 2014

Valedictory Address of National Seminar on “Gandhi’s Philosophy of Styagarah and the present Day of Political Crisis”at Panjab University, Chandigarh on 23 February 2014

Prof. Mehboob Desai delivered a Valedictory lecture. On the stage Prof. Asha Kaushik and Dr. Manish Shrama.

Leave a comment

February 26, 2014 · 6:32 AM

ભગતસિંગને આતંકવાદી કહેનાર પ્રોફેસર ડેવિડ હાર્ડીમેનને જવાબ : ડૉ મહેબૂબ દેસાઈ

અંગ્રેજ ઇતિહાસકાર અને યુ.કે.ની યુનિવર્સિટી ઓફ વર્વિકના પ્રોફેસર ડેવિડ હાર્ડીમેન ગુજરાતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ વિભાગમા ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ પોતાના વ્યાખ્યાનમાં શાસકીય ઇતિહાસના વિચારોને અભિવ્યક્ત કરતા, ભગતસિંગ અને ચંદ્રશેખર આઝાદને આતંકવાદી કહ્યા. પણ જયારે શ્રોતાઓમાંથી તેનો વિરોધ થયો, ત્યારે પોતાના કહેવાનો અર્થ આવો નથી એમ કહી વાતને વાળવાનો તેમણે પ્રયાસ કર્યો. પ્રોફેસર ડેવિડ હાર્ડીમેનના આ કૃત્યથી અંગ્રેજોનો ભારતના ઇતિહાસ અને તેના શહીદો પ્રત્યેનો ઊંડે ઊંડે પણ દ્રઢ થઇ ગયેલ અભિગમ છતો થાય છે. ભગતસિંગ જેવા પ્રખર ક્રાંતિકારીને આતંકવાદી કહેનાર અંગ્રેજ ઇતિહાસકાર પ્રોફેસર ડેવિડ હાર્ડીમેન પોતાના અંગ્રેજ ભાઈઓની ઇતિહાસમાં નોંધાયેલા અમાનવીય અને ગેરકાનૂની નીતિને કેમ વિસરી જાય છે ? ભગતસિંગની ફાંસી અને એ પછીની ક્રૂર ઘટનાઓનો પોતાના વ્યાખ્યાનમા ઉલ્લેખ કરવાનું કેમ ટાળે છે ? ફાંસીના તમામ નિયમોને નેવે મૂકી અંગ્રેજોએ ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ સાંજના સમયે ત્રણે ક્રાંતિકારીઓ ભગતસિંગ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપી દીધી અને તેમના શબોને સતલજના કિનારે કેરોસીન છાંટી સળગાવી મુકાયા. અંગ્રેજોની એ ક્રૂરતાને અભિવ્યક્ત કરતા ભગતસિંગના સાથી ક્રાંતિકારી જીતેન્દ્ર નાથ સન્યાલ લખે છે,

“સામાન્ય રીતે ફાંસી વહેલી સવારે આપવામાં આવે છે. પણ સરદારને રાત્રે જ ખત્મ કરી નાખવાનો નિર્ણય લેવાયો હતો. સાંજના ચાર થી છ વાગ્યા દરમિયાન જે વોર્ડન અને અધિકારીઓ જેલ બહાર હતા, તે બધા ને બહાર જ રાખવામાં આવ્યા. અને જે જેલમાં હતા તેમને જેલમાં જ રાખવામાં આવ્યા. એક રૂમમાં જેલ સુપ્રિટેન્ડેન્ટ, જિલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ સુપ્રિટેન્ડેન્ટને બેસાડી રાખવામાં આવ્યા હતા. જેલની અંદર અને બહાર કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ સાંજે ૭.૩૫ કલાકે ત્રણે દેશભક્તોને તેમની કોટડીમાંથી બહાર લાવવામાં આવ્યા. તેમની આંખો પર પટ્ટીઓ બાંધવામાં આવી.અને તેમને ફાંસીના તખ્તા પર ઉભા કરી દેવામાં આવ્યા. બરાબર આજ સમયે “ડાઉન ડાઉન વિથ યુનિયન જેક” “બ્રિટીશ ઝંડાનું પતન  થાઓ”ના નારાઓ જેલમાંથી સંભળાતા હતા. અડધી માટે મિનીટ સુધી નારાઓ સંભળાતા રહ્યા. પછી અવાજો બંધ થઇ ગયા. એ પછી ત્રણે લાશો સ્ટ્રેચર પર મૂકી જેલની દીવાલના એક બાકોરામાંથી જેલ બહાર લાવવામાં આવી.”

૨૪ માર્ચ ૧૯૩૧ના રોજ સવારે લાહોરના મહોલ્લાઓમાં જિલ્લા મેજીસ્ટ્રેટના હસ્તાક્ષરવાળા પોસ્ટરો લાગેલા હતા. તેમાં લખ્યું હતું,

“આમ જનતાને સૂચિત કરવામા આવે છે કે ગઈ કાલે સાંજે ભગતસિંગ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી દેવામાં આવી છે. અને તેમની લાશોને સતલજના કિનારે ભસ્મ કરી, તેની રાખ નદીમાં વહેવડાવી દેવામાં આવેલા છે.”

ભગતસિંગના બહેન અને પાર્વતી દેવીને લાહોરના સ્મશાન પાસેના એક તૂટલા પુલ નીચેથી લાશના અધકચરા બળેલા ટુકડાઓ મળ્યા હતા. જેલના કાનુન મુજબ ફાંસી પછી લાશ તેના કુટુંબીજનોને આપવામાં આવે છે. પણ જ્યાં જંગલ કાનુન અને સામંતશાહી શાશન હોય ત્યાં એવી આશા અસ્થાને છે. અસ્થીના મળી આવેલા એ ટુકડાઓને લારીમાં નાખી લાહોર શહેરમાં લાવવામાં આવ્યા. લગભગ એક લાખ જેટલા સ્ત્રી-પુરુષોએ ખુલ્લા માથા અને ખુલ્લા પગે શહેરના મુખ્ય માર્ગો પર શહીદોના અસ્થી સાથે શાંત સરઘસ કાઢ્યું. સરઘસ બરાબર લાલ લાજપત રાયની અંત્યેષ્ઠિના સ્થાને આવીને સભામાં ફેરવાઈ ગયું. પુરષોત્તમ લાલ શર્માએ સરદાર ભગતસિંગની શહીદી પર મહાત્મા ગાંધીજીના વક્તવ્યને વાંચી સંભાળવું. 

આ ઘટનાના સમાચાર નેતાઓને ૨૩ માર્ચના રોજ રાત્રે સાડા નવ વાગ્યે મળ્યા. એ સમયે નેતાઓ ગુરુવારથી કરાંચીમા શરુ થઈ રહેલા કોંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવા દિલ્હી રેલ્વે સ્ટેશને આવ્યા હતા. ટેલીફોન પર સમાચાર જાણી બધા નેતાઓના ચહેરા પર ઉદાસી પ્રસરી ગઇ. પંડિત નહેરુ, માલવીયાજી અને ગાંધીજી બધાની આંખો ઉભરાઈ આવી. પંડિત નહેરુ તો એટલા ભાંગી પડ્યા કે રેલ્વેના ડબ્બામા ચડતા ચડતા લપસી પડ્યા અને પડતા પડતા રહી ગયા.ભગતસિંગ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપ્યા પછી ડેલી વર્કર, ન્યુયોર્કના ૨૩ માર્ચના ૧૯૩૧ના અંકમાં બ્રિટીશરોની આ ખૂનરેજીને વ્યક્ત કરતા લખ્યું હતું,

“ભારતની આઝાદીના યોદ્ધા લાહોર જેલના ત્રણ કેદી ભગતસિંગ, રાજગુરુ અને સુખદેવને બ્રિટીશ લેબર સરકારે સામ્રાજ્યવાદના હિતમાં ફાંસી પર લટકાવી દીધા. મેકડોનાલ્ડના નેતૃત્વ વાળી બ્રિટીશ લેબર સરકારની અત્યાર સુધીની આ સૌથી મોટી લોહિયાળ ઘટના છે. લેબર સરકારના આદેશ મુજબ જાણી જોઈને ફસાવવામાં આવેલ ત્રણ ભારતીય ક્રાંતિકારીઓની ફાંસી એ બાબત સ્પષ્ટ કરે છે કે બ્રિટીશ સામ્રાજયવાદને બચાવવા માટે મેકડોનાલ્ડ શાશન કઇ હદ સુધી નીચે જઈ શકે છે.”

ઈતિહાસની આ સચ્ચાઈને પામવામાં પ્રોફેસર ડેવિડ હાર્ડીમેન ક્યાં તો નિષ્ફળ ગયા છે, ક્યાં તો અંગ્રેજ શાશકોના લખાયેલા ઇતિહાસના પ્રભાવમાંથી હજુ મુક્ત થયા નથી. પરિણામે ભારતમા વ્યાખ્યાન આપવા આવ્યા હોવા છતાં પોતાના હદય અને મનમાં દ્રઢ થઇ ગયેલ ભગતસિંગ અને ચંદ્રશેખર આઝાદની આતંકવાદી છબી અનાયસે પણ તેમના હોઠો પર ઉપસી આવી છે.

 

Leave a comment

Filed under Uncategorized

મઝહબ અને મા-બાપ ખુદાની દેન છે. : ડૉ. મહેબૂબ દેસાઈ

એ દિવસે લગભગ છ વાગ્યે ઓફિસમાંથી ઘરે જવા હું પગથીયા ઉતરી રહ્યો હતો, અને એક ૩૦-૪૦ વર્ષની વ્યક્તિએ મારી સામે આવી મને પૂછ્યું,
“આપ મહેબૂબ દેસાઈ છો ?”
“હા” મે ટૂંકો જવાબ આપ્યો.
“હું આપની સાથે થોડી વાત કરવા માંગું છું. કરી શકું ?”
“ચોક્કસ”
એટલું કહી, ઓફીસ બંધ થઇ હોય હું તેમને મારી કાર સુધી દોરી ગયો. ચાલતા ચાલતા તેમણે મને પોતાનો પરિચય આપતા કહ્યું,
“મારું નામ માહિર છે. હું બી.કોમ. છું. શેર બજારમાં શેર લે વેચનું કામ કરું છું. કેટલાક સમયથી મને ધર્મ પરિવર્તન કરવાના અજીબ વિચારો આવે છે. અને હું બેબાકળો બની જાઉં છું. આપના સર્વધર્મ સમભાવના સંતુલિત વિચારો મે વાંચ્યા છે. તેનાથી હું પ્રભાવિત થયો છું. એટલે આ અંગે આપનું માર્ગદર્શન લેવા આવ્યો છું.”
હું એક નજરે એ યુવાનને જોઈ રહ્યો. પેન્ટ, ઇન શર્ટ,બુટ, કમર પર બેલ્ટ, આંખો પર ગોલ્ડન ફેમના ચશ્માં. અને ચહેરા પર પ્રસરેલી મુંઝવણ જોઈ મે તેમને મારી કારમાં બેસાડ્યા અને પછી પૂછ્યું,
“આવા વિચારો ક્યારથી આવે છે ? અને કયારે આવે છે ?”
“એ તો મને ખબર નથી. પણ આવા વિચારો મારું સુખ ચેન હણી લે છે અને મને બેચેન કરી મુકે છે. મારે શું કરવું જોઈએ તેની મને કશી સમજ પડતી નથી.”
“માહીરભાઈ, મઝહબ અને મા-બાપ માનવીને ખુદાની દેન છે. તેને બદલવા એ ઈશ્વરની આજ્ઞાનું ઉલંઘન કરવા સમાન છે”
માહિરભાઈ એક ધ્યાને મારી વાત સાંભળી રહ્યા હતા. એટલે મે મારી વાતને જરા વિસ્તારથી સમજાવતા કહ્યું,
“ઈશ્વર કે ખુદાએ બે બાબતો પોતાની પાસે રાખી છે. પ્રથમ, માનવી દુનિયામાં આવે છે ત્યારે ખુદા-ઈશ્વર તેને એક નિશ્ચિત ધર્મ કે મઝહબમા જ જન્મ આપે છે. તેની પસંદગી માત્રને માત્ર ખુદા કરે છે. તે માનવીના બસની વાત નથી. બીજું, મઝહબ જેમ જ મા-બાપ પણ ઈશ્વર-ખુદા જ માનવીને આપે છે. તેમાં માનવીની પસંદ, નાપસંદ કે ઈચ્છાને કોઈ સ્થાન નથી. ખુદા કે ઈશ્વરના આ બે આદેશોનું આજીવન પાલન કરવાની માનવીની પવિત્ર ફરજ છે. તેની અવગણના ઈશ્વરની આજ્ઞાનું ઉલંઘન કરવા સમાન છે.”
“પણ મને કયારેક મારા ધર્મ સિવાય અન્યનો ધર્મ શ્રેષ્ઠ લાગે છે. અને ત્યારે હું દુઃખી થઇ જાઉં છું.”
“માહિરભાઈ, આ દુનિયાના તમામ ધર્મો ઉત્તમ છે, શ્રેષ્ટ છે. દરેક ધર્મો માનવતા અને નૈતિકતાના પ્રખર હિમાયતી છે. પણ આપણી સમસ્યા એ છે કે આપણે આપણા ધર્મની શ્રેષ્ટતા કે સારપને સમજવા કે પામવા જુજ પ્રયાસ કરીએ છીએ. અને એટલે જ જરૂરી છે આપણા જન્મદત્ત ધર્મના શાંત અને એકચિત્તે અભ્યાસ અને અમલની. કારણ કે આપ જે ધર્મમાં જન્મ્યા છો તે ધર્મ પણ દુનિયાનો શ્રેષ્ઠ અને ઉત્તમ ધર્મ જ છે.”
“પણ કયારેક મારા મન પર શૈતાન સવાર થઇ જાય છે. મને મારા કરતા અન્યની વસ્તુ કે ધર્મ શ્રેષ્ટ લાગવા માંડે છે. અને ત્યારે ધર્મ પરિવર્તન જેવા વિચારો મારા મનનો કબજો લઇ લે છે.”
માહિરભાઈ ધીમે ધીમે તેમના હદયના દ્વાર મારી સમક્ષ ખોલી રહ્યા હતા. તેમની સમસ્યા મારી સાથે નિખાલસ ભાવે ચર્ચી રહ્યા હતા. એટલે તેમના પ્રશ્નોનોનો મારી સમજ મુજબ જવાબ આપવાની મારી ફરજ હતી. મે કહ્યું,
“માહિરભાઈ, કુમાર્ગે દોરનાર શૈતાન તો દરેક ધર્મ અને સમાજમાં હોય છે. અને દરેક ધર્મ તેનાથી બચવા માનવીને ઈબાદત કે ભક્તિની હિદાયત (ઉપદેશ) આપે છે. અલબત્ત ઈબાદત કે ભક્તિના માર્ગો દરેક ધર્મમાં જુદા જુદા છે. પણ તેનો મકસદ શૈતાનથી દૂર રહેવાનો અને ખુદા કે ઈશ્વરની નજીક પહોંચવાનો છે. જયારે પણ શૈતાન આપના મન-હદયનો કબજો લઇ લે કે લેવાનો પ્રયાસ કરે ત્યારે તમે જે ઇષ્ટ દેવને માનતા હો તેનું સ્મરણ કરવા માંડો. હઝરત મહંમદ પયગમ્બર સાહબે ફરમાવ્યું છે,
“સમગ્ર વિશ્વનો માનવ સમાજ એક ઉન્ન્મત (કોમ) છે. અને ઈશ્વર-ખુદા તેના સર્જનહાર”. કુરાને શરીફમાં કહ્યું છે,
“મે (ખુદાએ) દરેક સમાજ માટે એક રાહબર મોકલ્યો છે.”
સૂફી સંતો હઝરત શેખ નિઝામુદ્દીન, બાબા ફરીરુદ્દીન ગંજશકર, ખ્વાજા અજમેરી વગેરેએ પણ કહ્યું છે.
“હર કૌમ રાસ્ત દિન, રસ્મે વ કિબલાગાહે”
અર્થાત દરેક કોમને પોતાનો એક ધર્મ હોય છે, રિવાજો અને પૂજા કરવાનું સ્થાન હોય છે.
એ નાતે તમારા ઇષ્ટ દેવની તસ્બીહ અર્થાત માળા કરવા માંડો. મને ખાતરી છે કે તમારા ઇષ્ટ દેવનું સ્મરણ તમને શૈતાનથી અવશ્ય દૂર રાખશે.”
માહિરભાઈ સાથેની લગભગ વીસેક મીનીટની ચર્ચાને અંતે મને લાગ્યું કે માહિરભાઈના મનના ઉદ્વેગને મહદઅંશે ઠારવામાં હું સફળ થયો છું. જયારે તેમણે મારી વિદાય લીધી ત્યારે તેમના ચહેરા પર શાતા હતી અને મુખમાં શબ્દો હતા,
“મહેબૂબભાઈ, તમારું પેલું વાકય મને ગમી ગયું “મઝહબ અને મા-બાપ માનવીને ઈશ્વર-ખુદાની દેન છે” એ સત્ય સમજાવવા બદલ આપનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. જયારે હું એક ઇન્સાનના મઝહબી ઉદ્વેગને ઠારવાની ખુશીમાં તરબતર બની માહિરભાઈને જતાં જોઈ રહ્યો.
(ઘટના સત્ય છે. પણ વ્યક્તિનું નામ અને પરિચય બદલ્યા છે.)

Leave a comment

Filed under Uncategorized

ઇસ્લામ અને કુટુંબ નિયોજન : ડૉ. મહેબૂબ દેસાઈ

 ઇસ્લામ અંગેની અનેક ગેરસમજોમાની એક ગેરસમજ એ છે કે ઇસ્લામ કુટુંબ નિયોજનમા નથી માનતો. પરિણામે મુસ્લિમ વસ્તીનો ભય ઝાંઝવાના જળ જેમ લોકોમા પ્રસરાવવામાં આવે છે. એ સત્ય નથી. ઇસ્લામની હદીસોમાં આ અંગે અનેક દ્રષ્ટાંતો આપવામાં આવ્યા છે. એ જાણવા સમજવા માટે “કવલ-એ-રસુલ” નામક હદીસમા કુટુંબનિયોજન તરફ નિર્દેશ કરતા અનેક પ્રસંગો આપવામાં આવ્યા છે.

એકવાર એક અનુયાયી મહંમદ સાહેબ પાસે આવ્યો. અને બોલ્યો,

“મારી પાસે એક લોંડી (સ્ત્રી ગુલામ) છે. હું તેની સાથે શારીરિક સબંધ રાખવા ઈચ્છું છું. પણ એ ગર્ભવતી થાય તેમ હું નથી ઇચ્છતો, કેમ કે તે મારા સમગ્ર ઘરનું કામ કરે છે. જો તે ગર્ભવતી થાય  તો મારું ઘર કોણ સંભાળે ?”

મહંમદ સાહેબે એક નજર એ સહાબી પર નાંખી પછી ફરમાવ્યું.

“અગર તારી ઈચ્છા એવી છે તો તું તે ગર્ભવતી ન થાય તે માટે “અજલ” કરી શકે છે. પણ થશે તે જ જે અલ્લાહને મંજુર હશે”

ઇસ્લામિક ગ્રંથોમાં “અજલ”ની કાફી ચર્ચા છે. “અજલ” એટલે સમાગમની એવી ક્રિયા જેમાં સંતાનોત્પતિથી બચવા સ્ત્રીના ગર્ભમાં વીર્ય ન જાય તેની તકેદારી રાખવી. અરબસ્તાનની એ સમયની સામાજિક-આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ “અજલ”નો સિદ્ધાંત લોકોને આપ્યો હતો. એ સમયે અરબસ્તાનની સામાજિક સમસ્યાઓ આમ સમાજ માટે કસોટી સમાન હતી. એ સમસ્યાઓ નીચે મુજબ હતી.

૧. લોંડી (ગુલામ સ્ત્રીઓ)થી જન્મતા સંતાનો

૨. સ્ત્રી ગુલામોના સંતાનોને આપવો પડતો સામાજિક-આર્થિક દરજ્જો

૩. સ્ત્રી ગુલામો અમીરોના નવજાત બાળકોને પૈસા લઈને દૂધ પીવડાવવાનું કાર્ય કરતી. તેઓ વારંવાર ગર્ભવતી થાય તો બાળકોને દૂધ પીવડાવવાની સમસ્યા ઉત્પન થાય.  

આ ત્રણે સમસ્યાના ઉકેલ માટે સ્ત્રી ગુલામો સાથે શારીરિક સંબધો છતાં તેમને સંતાનોપ્તી ન થાય તે જરૂરી હતું. એ માટે હઝરત મહંમદ સાહેબે સ્ત્રી ગુલામોથી થતા સંતાનોને અટકાવવા “અજલ”નો માર્ગ લોકોને ચિંધ્યો હતો. એ માટેના કેટલાક કિસ્સાઓ ઇસ્લામિક ગ્રંથોમાં જોવા મળે છે.

હઝરત અબુ સઈદ જણાવે છે, મહંમદ સાહેબે ફરમાવ્યું છે,

“વીર્યના દરેક ટીપામાંથી બાળકનો જન્મ થયા તે જરૂરી નથી.પણ અલ્લાહ જયારે કોઈને પૈદા કરવા ઇચ્છે છે, ત્યારે તેને કોઈ રોકી શકતું નથી”

હઝરત અબુ સઈદ આગળ લખે છે,

“હું અને મારી પત્ની મુસ્તલિકની લડાઈમાં મહંમદ સાહેબ સાથે હતા.એ પ્રસંગે અમે મહંમદ સાહેબને પૂછ્યું હતું,

“મહંમદ સાહેબ શું અમે એવો પ્રયત્ન કરી શકીએ જેથી ગર્ભ (હમલ)ન રહી શકે ? જેમ કે સ્ખલન સમયે પત્નીથી અલગ થઇ જવું અથવા ગર્ભ રોકવા ઔષધી લઇ શકીએ” 

મહંમદ સાહેબે ફરમાવ્યું,

“સ્ખલન વખતે પત્નીથી અલગ થઇ જવું એટલે “અજલ” એમ કરવામાં કોઈ નુકસાન કે ગુનાહ   નથી. અથવા એ માટે કોઈ ઔષધી લેવામાં પણ કોઈ પાબંદી નથી. પણ ખુદાએ એ પૈદા કરવાનો ફેંસલો કર્યો છે તે તો તે પૈદા થઈને રહશે”

કુરાને શરીફમાં પણ કુટુંબ નિયોજનને પરોક્ષ રીતે સ્વીકારતી આયાત જોવા મળે છે. જેમા કહેવામા આવ્યું છે,

“તમારી પત્નીઓ તમારા ખેતર સમાન છે. તમે જયારે ઈચ્છો ત્યારે તેમાં જઈ શકો છો”

જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ આ આયાત ગુઢ છે. જીવનશાસ્ત્ર મુજબ સ્ત્રી અને પુરુષનો દરજ્જો ખેડૂત અને ખેતર સમાન છે.  ખેડૂત પોતાના ખેતરમાં બીજારોપણ કરે છે અને ઉપજ મેળવે છે. પ્રજોત્પતિ માટે એ જ ભૂમિકા પુરુષ ભજવે છે.તે સ્ત્રીના ગર્ભમાં બીજારોપણ કરે છે. પણ એ ક્રિયામાં પણ પુરુષ અને સ્ત્રીની ઈચ્છા-અનિચ્છાને કુરાને શરીફે પ્રાધાન્ય આપ્યું છે.

“તમે ઈચ્છો ત્યારે …. ખુદાએ જે ઈચ્છયું છે તે મેળવી શકો છો”

આ બાબત જ સંતાનોત્પતિ માટે સ્ત્રી પુરુષની ઈચ્છાને પ્રાધાન્ય આપે છે. પતિ-પત્ની ઈચ્છે ત્યારે સંતાન માટે બીજારોપણ કરી શકે છે. તેમની ઈચ્છા હોય તો તે બીજારોપણ ન કરવા સ્વતંત્ર છે.

આજે તો વિશ્વના દરેક મુસ્લિમ રાષ્ટ્રોએ કુટુંબ નિયોજનના વિચારને સ્વીકારેલ છે. ઇન્ડોનેશિયા, પાકિસ્તાન જેવા મુસ્લિમ રાષ્ટ્રોમા કુટુંબ નિયોજન કાર્યક્રમ “ખાનદાની મન્સુબાબંદી”ના નામે સરકાર દ્વારા  ચાલી રહ્યોં છે. કેટલાકના માટે કુટુંબ નિયોજન એટલે સંખ્યાબળમા ઘટાડો. એ વિચાર પણ સ્થૂળ અને અવાસ્તવિક છે.કુટુંબ નિયોજન એટલે સંતાનને પૂરતું પોષણ, સમૃદ્ધ ઉછેર, ઊચ્ચ શિક્ષણ અને ઉજ્જવલ ભાવી. એ વિચાર પેલા સ્થૂળ વિચાર કરતા વાસ્તવિક અને ઉન્નતીપ્રેરક છે. રાષ્ટ્ર, રાજ્ય અને કોમના વિકાસ અને સમૃદ્ધિ માટે તે અનિવાર્ય છે અને રહેશે.

Leave a comment

Filed under Uncategorized