ધર્મ એટલે હિંદુ કે મુસ્લિમ નહિ. પણ ધર્મ એટલે નૈતિક માર્ગ. ધર્મ એવા અજ્ઞાતની શોધ છે, જે અભ્યંતર છે. ધર્મ આનંદનું દ્વાર છે. કારણ કે ધર્મ પોતાના પ્રત્યેની જાગૃતિ છે. જે પોતાના પ્રત્યે જાગે છે તેને તેમા અભાવ લાગતો નથી. પણ તે સાક્ષાત આનંદથી ભરાઈ જાય છે. કારણે કે તેને પછી કઈ જ મેળવવાનું બાકી રહેતું નથી. ધર્મમાં માનનાર દરેક માનવી પરમાત્માની શોધમાં રહે છે. પરમાત્મા કયા છે ? મંદિર મસ્જિત , ગુરુદ્વારા કે ચર્ચમાં ? હા, જરૂર પરમાત્માનું પણ ઘર છે. પણ તે ઈંટ કે પથ્થરોનું બનેલું નથી. ઈંટ કે પથ્થરોથી જે બને છે. તે હિંદુ, મુસ્લિમ શીખ કે ઈસાઈઓનું ઘર હોઈ શકે. પણ પરમાત્માનું તો ન જ હોઈ. આવું મંદિર કે મસ્જિત, આકાશ કે ધરતી પર નથી. પણ આપણા હદયમાં છે. તેને બનાવવાની જરુર નથી. તે તો છે જ. માત્ર તેને ખોલવાનું છે. તેની સફાઈ કરવાની છે. ઈશ્વર -ખુદાને રહેવા લાયક બનાવવાનું છે. આવી વિશાલ સમાજને સાકાર કરવામાં આપણા શાયરોનો ફાળો વિશેષ છે. શાયર હિંદુ કે મુસ્લિમ નથી હોતો. શયર તો માત્ર શાયર જ હોય છે. તેની રચાનોમાં ધર્મનો કોઈ ભેદ જોવા મળતો નથી. અને જેની રચનાઓમાં હિંદુ મુસ્લિમ ભેદ વ્યક્ત થયા છે તે શાયર નથી. પણ તુકબંધી કરનાર સામાન્ય વ્યક્તિ છે. આજે એવા સાચા શાયરોની થોડી વાત કરાવી છે. જેમણે પોતાની રચનાઓમાં હિંદુ અને ઇસ્લામ બને ધર્મને ઈજ્જત બક્ષી છે. તેની ગરિમા વધારી છે. એ શાયરોમાં સૌ પ્રથમ નામ ડૉ ઇકબાલનું આવે છે. જેમણે આપણને તારાના એ હિંદ આપ્યું. જેમાં તેમણે કહ્યું,
“મઝહબ નહિ શીખતા આપસ મેં બેર કરના
હિંદી હૈ હમ, વતન હૈ હિન્દોસ્તા હમારા”
અર્થાત કોઈ ધર્મ વેરેઝેર પ્રસરાવવાનું કે આપસમાં લડવાનું નથી શીખવતો. શાયર માટે તેની શાયરી તેનો ધર્મ છે. તેમાં હિંદુ કે ઇસ્લામ જેવા કોઈ ભેદ નથી હોતા. શાયરની શાયરીનો વિષય તેની પારદર્શક મનોદશામાથી જન્મતો હોય છે. અલબત્ત તેની રજુઆતમાં શબ્દોની પસંદગી શાયરની પોતાની હોય છે. પણ તેના વિચારોમાં ક્યાંય ધર્મચુસ્તતા કે કટ્ટરતા જોવ નથી મળતી. અને એટલે જ શાયર અન્ય ધર્મના પ્રતિકોને પણ પોતાની શાયરીમાં અભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ બનાવે છે. જેમ કે પાકિસ્તાની મર્હુમ શાયરા પરવીન સાકીર(૧૯૫૨-૧૯૯૪)એ કૃષ્ણ ભગવાનને કેન્દમાં રાખી લખ્યું છે,
“કૈદ મેં ગુઝરેગી જો ઉમ્ર બડે કામ કી થી
પર મેં ક્યાં કરતી કી જંજીર તેરે નામ કી થી
યે હવા કૈસે ઉડા લે ગઈ આંચલ મેરા
યું સતાને કી આદત તો મેરે શ્યામ કી થી”
અને એજ શાયરા ખુદા અને તેના બંદાને નજર સમક્ષ રાખી લખે છે,
“ગવાહી કૈસે તૂટતી મુઆમલા ખુદા કા થા
મેરા ઔર ઉસકા રાબ્તા તો હાથ ઔર દુવા કા થા”
ભારતના એક અન્ય મશહુર શાયર બેતલ ઉતાહી પણ કૃષ્ણ ભગવાનને કેન્દ્રમાં રાખી લખે છે,
“જિસ કી હર શાખ પર રાધાએ મચલતી હોગી
દેખના કૃષ્ણ ઉસી પેડ કે નીચે હોંગે”
અન્ય એક શાયર હસન કમાલ રામાયણના ધનુષ્ય તોડવાના પ્રસંગને આલેખતા લખે છે,
“અબ કોઈ રામ નહિ ગમ કા ધનુષ તોડે
ઝીંદગી હોતી હૈ સીતા કે સ્વયંવર કી તરહ”
એક બહુ જાણીતા શાયર કુંવર મહેન્દ્ર સિંગ બેદી હતા. તેમની શાયરીમાં સરળતા અને તથ્યનો સુભગ સમન્વય જોવા મળતો. તેઓ તેમના એક બેબાક શેર કહે છે,
“ઈશ્ક હો જાયે કિસી સે કોઈ ચારા તો નહિ
સિર્ફ મુસ્લિમ કા મહંમદ પર ઈજારા તો નહિ”
આપણા જાણીતા કવિ અને સંગીતકાર રવીન્દ્ર જૈનનો એક શેર છે,
“ તુમ અપને દિલ મેં મદીને કી આરઝુ રખના
ફિર ઉસકા કામ હૈ જજબે કી આબરૂ રખના”
તું તારા દિલમાં મદીનાની આરઝુ રાખ. અર્થાત ઈચ્છા કે આસ્થા રાખ. પછી તારી આસ્થાની ઈજ્જત રાખવાનું કામ તો તેનું છે, અર્થાત ખુદા ઈશ્વરનું છે.
ક્રિષ્ણ બિહારી નૂર કહે છે,
“મર ભી જાઓ તો નહિ મીલતે હૈ મરને વાલે
મૌત લેજા કે ખુદા જાને કહાં છોડતી હૈ
જપ્તે ગમ ક્યાં હૈ તુઝે કૈસે સમજાઉં
દેખના મેરી ચિતા કિતના ધૂંવા છોડતી હૈ”
આવા શાયરો કે જેમણે મઝહબને મહોબ્બત અને એખલાસનો સેતુ બનાવ્યો. જેમણે સમાજમાં મઝહબની નવી પરીભાષા આપી. તેવા તમામ શાયરીને સલામ.