Monthly Archives: September 2020

સૂફીસંત સલમાન ફારસીના અમૃત વચનો : ડો. મહેબૂબ દેસાઈ

સલમાન ફારસીના પ્રારંભિક જીવનની વાત અગાઉ આપણે કરી છે. આજે તેમના થોડાં ઉપદેશાત્મક પ્રસંગો અને કથનોની વાત કરવી છે. એક શખ્શને ઉપદેશ આપતા સલમાન ફારસીએ કહ્યું,

વાતચીત ન કરો

પેલાએ સામે પૂછ્યું,

એ કેવી રીતે બની શકે કે જીવતો રહું અને બોલું નહિ ?”

સલમાન ફારસી મલકાયા. એ વ્યક્તિ પર નજર કરતા ફરમાવ્યું,

અગર ખામોશ નથી રહી શકતા તો સારી વાતો કરો. ખરાબ વાતો કરી અજ્ઞાનતા પ્રગટ કરવા કરતા મૌન રહેવું સારું

એક અનુયાયીને  સલમાન ફારસીએ ઉપદેશ આપતા કહ્યું,

ગુસ્સો ન કરો અનુયાયીએ પૂછ્યું,

ગુસ્સો આવે છે ત્યારે હું મજબુર થઇ જઉ છું. મારી જાત પરથી સંયમ ગુમાવી દઉં છું. એવા સમયે શું કરવું?

સલમાન ફારસીએ ફરમાવ્યું,

ગુસ્સો આવે ત્યારે ઓછામાં ઓછું તારી જબાન અને હાથને કાબુમાં રાખ. તારો ગુસ્સો આપો આપ ઓછો થઇ જશે 

એક અનુયાયીએ સલમાન ફારસીને પૂછ્યું,

એવી કઈ બદી (દુષણ)છે જેની સામે નેકી કઈ જ કામ નથી આવતી ?

સલમાન ફારસીએ ફરમાવ્યું,

બડાઈ (શેખી) અને અહંકાર

સલમાન ફારસી હંમેશા છ બાબતો પર નવાઈ વ્યક્ત કરતા. એ છ બાબતોમાં ત્રણ બાબતો એમને રડાવતી અને ત્રણ બાબતો તેમને હસાવતી. જે ત્રણ બાબતો તેમને રડાવતી એ હતી,

૧. હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) અને તેમના સહાબીઓ (અનુયાયીઓ)નો વિયોગ

૨. મૃત્યુનો ભય અને મૃત્યું પછીની ઘટના.

૩. કયામતને દિવસે અલ્લાહના ફરિશ્તા જબ્બાર અને કહહાર પાસે કર્મોનો હિસાબ આપવા ઉભા થવું.

અને જે ત્રણ બાબતો આપને હસાવતી હતી તે હતી,

૧. માણસ દુનિયાની તલબ (ઈચ્છા) કરે છે. પણ મૃત્યું તેની તાકમા હોઈ છે.

૨. માનવી પરલોકની દુનિયાથી ગાફેલ હોય છે. પણ તેની પ્રત્યેક હિલચાલ પર ખુદાની નજર હોઈ છે.

૩. માનવી દુનિયામાં ઘણું હસે છે, પણ તેને ખબર નથી કે ખુદા તેનાથી રાજી છે કે નારાજ.

સલમાન ફારસીના કેટલાક સદવિચારો માણવા જેવા છે.

ઇન્સાન ખુશી અને ગમ બંનેમાં ખુદાને યાદ કરે. એ જ સાચી બંદગી છે

જે ઇન્સાન ખુશી વખતે પણ અલ્લાહને યાદ કરે છે, તેનો અવાજ ફરિશ્તાઓ ઓળખી જાય છે.અને દુઃખમાં અલ્લાહની મદદ તેને તુરત સાંપડે છે

ઉંમર ઘણી ઓછી છે. અને ઇલ્મ (જ્ઞાન) ઘણું વધારે છે. જેટલા ઈલ્મની દિન અને દુનિયા માટે જરૂર છે. તેને અવશ્ય હાસિલ (પ્રાપ્ત) કરો. બાકીનાને છોડી દો

જો બુરાઈ જાહેરમાં કરતા હોય તો નેકી પણ જાહેરમાં કરો. અને જો બુરાઈ છુપાવીને કરો તો નેકી પણ છુપી રીતે કરો. બંનેના પલ્લા સરખ રાખો.

હઝરત સલમાન ફારસીનો અંતિમ સમય આવ્યો. લોકો તેમના ખબર અંતર પૂછવા આવતા અને રડતા. એ જોઈ સલમાન પણ ચોધાર આંસુએ રડતા. તેમને રડતા જોઈ તેમના મિત્ર અસદ બીન અલી બક્કરને નવાઈ લાગી. તેમણે સલમાન ફારસીને પૂછ્યું,

આપ શું કામ રડો છો ? જેનાથી હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.) ખુશ હોઈ તેને આખીરતની

શી ચિંતા ?

સલમાન ફારસી રુદનને અટકાવતા બોલ્યા,

હું નથી મોતથી ડરતો, ન મને દુનિયામાં રહેવાની ઈચ્છા છે. હું તો એટલા માટે રડું છું કે મારી પાસે દુન્વયી(દુનિયાનો) સામાન બેહદ છે. હું ઉપર જઈ ખુદાને શું જવાબ આપીશ ?

જે દુન્વયી સામાન માટે સલમાન ફારસી ચોધાર આંસુઓથી રડતા હતા, તેની કિંમત ૧૫-૨૫ દીહરમ અર્થાત ચાર-પાંચ રૂપિયાથી વધારે ન હતી.

સલમાન ફારસીનું અવસાન ખલીફા હઝરત ઉસ્માનના શાસનકાળમા ૧૦ રજ્જ્બુલ મુરજ્જ્બ હિજરી સન ૩૩મા થયું હતું. તેમની મઝાર મુબારક ઈરાનના મહત્વના શહેર માદાઈનમા આવેલી છે.

Leave a comment

Filed under Uncategorized

નિયમિત વઝુ કરીએ : ડૉ. મહેબૂબ દેસાઈ

સમગ્ર ભારત કોરોનાની મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે. એવા સમયે વારંવાર હાથ ધોવા અને સ્વચ્છ રહેવા પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માધ્યમો દ્વારા પણ તેનો પ્રચાર થઇ રહ્યો છે. એ સૂચનાઓ સાંભળી મને ઇસ્લામનો વઝુ કરવાનો નિયમ યાદ આવી ગયો. ઇસ્લામમાં પાંચ સમયની નમાઝ પૂર્વે વઝુ કરવાનો સિધ્ધાંત છે. જેનો મૂળભૂત ઉદેશ નમાઝ પૂર્વે સ્વચ્છતા અને પવિત્રતા કેળવવાનો છે. આરંભ કાળથી જ ઇસ્લામમાં સ્વચ્છતાનું વિશેષ મહત્વ રહ્યું છે.

હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે,

“ગંદા લોકો ખુદાના ખરાબ બંદા છે” 

“હઝરત ઈમામ સાદીકે કહ્યું છે,

“હંમેશા સ્વચ્છ વસ્ત્રો પહેરો”

“દર શુક્રવારે નખ કાપવાથી રક્તપિત, દીવાનાપણું અને અંધાપણાથી બચી શકાય છે”

એક હદીસમાં લખ્યું છે,

“લાંબા નખ નીચે શૈતાન ઊંઘે છે”

આજથી સાડા ચૌદ સો વર્ષ પહેલા પણ સ્વચ્છતાનું મહત્વ ઇસ્લામના પયગંબર હઝરત મહંમદ સાહેબે સ્વીકાર્યું હતું. જેનું ઉત્તમ ઉદાહરણ પાંચ સમયની નમાઝ પહેલા શરીર સ્વચ્છતા માટે વઝુની ક્રિયા  છે.

ઇસ્લામમાં દિવસમાં પાંચવાર નમાઝ પઢવાનું દરેક મુસ્લિમ માટે ફરજીયાત છે. અને નમાઝ પૂર્વે વઝુ કરવું પણ ફરજીયાત છે. વઝું શબ્દ વઝઝઅ પરથી ઉતારી આવ્યો છે. જેનો શાબ્દિક અર્થ થાય છે ધોવું કે પાક થવું. ઇસ્લામી પરંપરા મુજબ નમાઝ પૂર્વે વઝુ કરવું ફરજીયાત છે. એ ક્રિયામાં હાથ, મોં, પગ, કાન, નાક અને માથાના વાળ પાણીથી સ્વચ્છ કરવામાં આવે છે.

ટુકમાં, વઝુમાં શરીરના બહાર દેખતા અવયવો જેવા કે હાથ, પગ, અને આંગળાઓને પાણીથી સ્વચ્છ કરવામાં આવે છે. એ પછી નાકમાં પાણીની છાલક મારી નાક સ્વચ્છ કરવામાં આવે છે. એ પછી કાનને પણ ભીના હાથ દ્વારા સાફ કરવામાં આવે છે. અને માથના વાળ પર પણ ભીના પાણી વાળો હાથ ફેરવવામાં આવે છે. આ ક્રિયા માત્ર દિવસમાં એકવાર નથી કરવાની. દિવસમાં પાંચ સમયની નમાઝ સમયે દરેક મુસ્લિમેં ફરજીયાત કરવાની છે, એ મુજબ ફજર (સૂર્યોદય પૂર્વે), ઝોહર (બપોર) અસર (સાંજ), મગરીબ (સુર્યાસ્ત) અને ઈશા (રાત્રી)ની નમાઝ સમયે વઝુ કરવું ફરજીયાત છે.

મહંમદ સાહેબ (સ.અ.વ.)એ વઝું અંગે કહ્યું છે,

“વઝું વગર નમાઝ કબૂલ નથી થતી. નમાઝની ઈમારતને ટકાવી રાખનાર ચાર સ્તંભો છે. જેમાં વઝુનું સ્થાન મહત્વનું અને અગ્ર છે.”

ઇસ્લામક નિયમ મુજબ વઝુ સમયે શરીરના નીચે મુજબના અવયવોને સ્વચ્છ કરવા ફરજીયાત છે.

૧. સૌ પ્રથમ બન્ને હાથના આંગળા અને કાંડા પાણીથી ત્રણ વાર ધોવામાં આવે છે.

૨. એ પછી મોંમાં પાણી નાખી કોગળા કરવામાં આવે છે. જેથી મોમાં રહેલ કોઈ પણ ખાદ્ય પ્રદાર્થ બહાર નીકળી જાય અને મો સ્વચ્છ થઇ જાય.

૩. નાકમાં પાણી નાખી બન્ને નસકોરા સાફ કરવા જરૂરી છે.

૪. પછી ચહેરા પર પાણીની છાલક મારી મો ધોવામાં આવે છે.

૫. એ પછી પહેલા જમણો અને પછી ડાબો હાથ કોણી સુધી પાણીથી ધોવામાં આવે છે.

૬. એ પછી ભીંજાયેલા હાથ વડે જ માથું, કાન અને ગરદન ની સફાઈ કરવામાં આવે છે.

૭. એ પછી પ્રથમ જમણા પગના આંગળા ઘૂંટી સુધી પાણીથી ધોવામાં આવે છે. અને પછી એજ રીતે ડાબા પગના આંગળા અને ઘૂંટી સુધી પગ ધોવામાં આવે છે. 

આ સમગ્ર ક્રિયાને વઝું કહેવામાં આવે છે.

હઝરત મહંમદ સાહેબ તો ત્યાં સુધી ફરમાવે છે કે

ઇસ્લામ નિર્મળ મઝહબ છે. હંમેશા સ્વચ્છ રહેવાનો પ્રયાસ કરો. કારણ કે સ્વચ્છ લોકો જન્નત (સ્વર્ગ)માં જશે

સ્વચ્છતાનો આ મહિમા દરેક ધર્મ અને સમાજમાં સર્વસામાન્ય છે. હિંદુ ધર્મ પણ સ્વચ્છતાનો અતિ આગ્રહી છે. જો કે એ યુગમાં કોઈ સેનેટાઇઝર કે સાબુ ન હતા. જેથી તેનો કોઈ ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં ન હોય તે સ્વભાવિક છે. પણ આજના સંદર્ભમાં આપણી પાસે સેનેટાઇઝર કે સાબુ છે. જેથી સ્વચ્છતાના પ્રતિક સમાન વઝુંના સમયે તેનો ઉપયોગ કરવામાં આવે તો સમાજમાંથી કોરોનાના કહેરને આપણે અવશ્ય નાબૂદ કરી શકીશું.

Leave a comment

Filed under Uncategorized

ઇસ્લામિક તહેજીબ : ડૉ. મહેબૂબ દેસાઈ

આજે મારે વાત કરવી છે ઇસ્લામના એવા બે નિયમોની કે જે સામાન્ય નિયમો કરતા અપવાદરૂપ છે. હિન્દુ ધર્મમાં બાળકને દત્તક લેવાની પ્રથા આવકાર્ય છે. પણ ઇસ્લામમાં બાળકને દત્તક લેવાની મનાઇ કરવામાં આવી છે. જેમ કે એક બાળકી જેનું નામ શામ છે. તેના પિતાનું તેની  બાલ્ય અવસ્થામાં જ અવસાન થાય છે. તેની માતા બીજા લગ્ન કરે છે. પણ  એ બાળાના નામ પાછળ તેના અસલ પિતાનું નામ જ રાખવામાં આવે છે. તેના અભ્યાસથી માંડીને તમામ દસ્તાવેજોમાં તેના અવસાન પામેલ પિતાનું નામ જ રાખવાનો ઇસ્લામમાં આદેશ છે. ઈસ્લામિક નિયમ મુજબ ન તો આપ કોઈ બાળકને દત્તક લઇ શકો છો. ન આપ કોઈ બાળકને પિતાનું નામ આપી શકો છો.  જે પિતાએ તેને જન્મ  આપ્યો હોય, તેજ તેનો સાચો પિતા જીવનભર રહે છે. ઇસ્લામના  કાનૂન મુજબ બાળકના મૂળ પિતાના નામમાં કોઈ જ પરિવર્તન કરી શકાતુ નથી. અર્થાત ઇસ્લામમાં પુત્ર કે પુત્રીને દત્તક લેવાની મનાઈ છે.

એ જ રીતે કોઈ પણ ઇસ્લામી અનુયાયી પોતાની પત્નીને મજાક કે ગુસ્સામાં “મા” કહી શકતો નથી. આ અંગે કુરાન-એ-શરીફના ૨૧માં પ્રકરણની સૂર એ અહ્ઝાબમાં વિગતે બન્ને બાબતોનું વિવરણ આપવામાં આવ્યું છે. તેમાં કહ્યું છે,

“અલ્લાહ એ કોઈ માનવીની છાતીમાં બે દિલ બનાવ્યા નથી. તમારી જે ઓરતો ને તમે માં કહી બેસો છો તેણીઓ ને તમારી સગી માઓ બનાવી દીધી નથી. અને ન તમારા પાલક પુત્રોને તમારા સગા દીકરા બનાવ્યા છે. એ તો તમારા મોની વાત છે. અને અલ્લાહ સત્ય વાત કહે છે. અને તે જ સીધો માર્ગ બતાવે છે. પાલકોને તેમના સગા બાપના સબંધ મુજબ જ બોલાવો એ જ અલ્લાહને ત્યાં પૂરો ન્યાય છે. પછી જો તમે તેમના બાપના નામને જાણતા ન હો, તો તેઓ ધર્મમાં તમારા ભાઈ અને તમારા મિત્રો છે.”

આ આયાતમાં કહ્યા મુજબ ૧. તમારી પત્નીને તમે ભૂલમાં કે મજાકમાં પણ “મા” ન કહો. અલ્લાહના આદેશ મુજબ તે અયોગ્ય છે. ૨. કોઈ પણ ઇસ્લામના અનુયાયી કોઈ પુત્ર કે પુત્રીને દત્તક લઇ શકે નહિ. અલબત્ત તેનું પાલન પોષણ કરવાની જવાબદારી સ્વીકારી શકે. પણ તેના નામ સાથે તેના અસલ પિતા અને માતાનું નામ જ રાખવું ઇસ્લામિક આદેશ મુજબ અનિવાર્ય છે. કોઈ ખાસ સંજોગો કે કારણો સર જો તેના માતા કે પિતાનું નામ જાણી શકાય તેમ ન હોય તો પણ તેને પોતાનું નામ આપવા કરતા પોતાના ધર્મ ભાઈ કે ધર્મ સંતાન તરીકે જ ઓળખ આપવી યોગ્ય છે.

આ આયાતમાં ખુદાએ દરેક માનવીને એક જ દિલ હોય છે, તેમ કહ્યું છે. તેવી જ રીતે કોઈ સગી બે માઓ કે સગા બાપ થઇ સકતા નથી. તેથી કુરાન એ શરીફ આવા ઉપજાવી કાઢેલા સબંધને સાચા તથા કુદરતી સબંધથી જુદા પાડવા ખાતર એ રીવાજોને વખોડી તેના હુકમો રદ કરે છે. 

દરેક માનવી સાથે તેના અસલ પિતાનું નામ જ જોડાવું ન્યાયની રુએ વ્યાજબી છે. પાલક પુત્ર બનાવનાર કઈ અસલ પિતા બની જતો નથી. કોઈ પ્રેમવશ દીકરો, બેટા, બાપ કે માં કહે તે વાત જુદી છે. પરંતુ વંશાવલીના સબંધો કે તેના હુકમોમાં જરા પણ પરિવર્તન થવું ન જોઈએ. ઇસ્લામના આરંભમાં હઝરત મહંમદ સાહેબે (સ.અ.વ.)એ તેમના ગુલામ ઝૈદ બિન હારીસને આઝાદ કરી પોતાના પાલક પુત્ર બનાવ્યા હતા. જેથી લોકો પ્રચલિત રીવાજ મુજબ તેને ઝૈદ બિન મુહંમદ કહેતા હતા. પણ આ આયાત ઉતર્યા પછી તેને ઝૈદ બિન હારીસ કહેવા લાગ્યા હતા.

ટૂંકમાં પિતાના અવસાન પછી પુત્રીના માતા બીજા લગ્ન કરે તો પણ તેના નામ પાછળ તેના ગુજરનાર પિતાનું જ નામ રાખવાનો આદેશ કૃરાને શરીફની આ આયાતમાં જોવા મળે છે. વળી, દત્તક પુત્ર કે પુત્રી લેવાની બાબતનો પણ અસ્વીકાર અત્રે કરવામાં આવેલ છે. તેમને વારસામાં કોઈ અધિકાર આપવામાં આવતો નથી. પણ પાલક પિતા ઈચ્છે તો તેને પોતાના વારસામાંથી ભેટ આપી શકે છે. પણ વારસદાર બનાવી શકે નહિ.

Leave a comment

Filed under Uncategorized

મુખડા ક્યા દેખો દર્પણ મેં

ડૉ. મહેબૂબ દેસાઈ

“ફૂલછાબ” અખબાર ૨ ઓકટોબર ૨૦૨૦ના રોજ ૧૦૦ વર્ષ પૂર્ણ કરી રહેલ છે. એક અખબાર માટે એ પ્રતિષ્ઠા અને ગર્વને અભિવ્યક્ત કરવાની બાબત છે. ૧૦૦ વર્ષના જીવનમાં અખબારની સત્યનિષ્ઠા અને તટસ્થ અનેક વાર દાવ પર લાગી હોય છે. આમ છતાં અખબાર પોતાના સિદ્ધાંતોને અડીખમ રીતે વળગી સમાજમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સમર્થ રહે,  ત્યારે જ ૧૦૦ વર્ષની મંઝીલ સુધી પહોંચવાને તે કાબીલ બને છે. તેનું એક ઉત્તમ દ્રષ્ટાંત આજથી ૭૯ વર્ષ પહેલા ફૂલછાબ સાથે ઘટેલી એક ઘટના છે. એ સમયે ફૂલછાબ સાપ્તાહિક હતું. તેના તંત્રી પ્રસિદ્ધ સાહિત્યકાર અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી હતા. અને તેનું કાર્યાલય રાણપુરમાં હતું.

ઈ.સ.૧૯૪૧નો સમય હતો. અંગ્રેજ શાસકોની ‘ભાગલા પાડો અને શાસન કરો’ ની નીતિનો ભોગ અમદવાદ શહેર બની રહ્યું હતું. લાખો શ્રમજીવીઓના આશ્રયસ્થાન લાખો રોટીહીનોના માતૃખોળા સમા અમદાવાદમાં કોમવાદનો રાક્ષસ પોતાનું મોઢું ખોલી નિર્દોષ હિંદુ-મુસ્લિમ પ્રજાને આરોગી રહ્યો હતો. અમદાવાદ શહેરની સ્થાપના થઇ ત્યારથી અમદાવાદનો ખોળો હિન્દુ-મુસ્લિમ બન્ને પ્રજાએ સરખા પ્રેમથી ખુંદયો છે. બંને કોમના એક સરખા લોહી, હાડમાસ અને આપસનો રોટી વ્યવહાર એકતા અને એખલાસનું વર્ષોથી પ્રતિબિબ પાડતા હતા. પણ અંગ્રેજોના ભારતમાં આગમન પછી આ એકતા અને એખલાસમાં વારંવાર તિરાડ ઊભી કરવાના અંગ્રેજોના સભાન પ્રયાસો સફળ થયા, તો ક્યારેક નિષ્ફળ ગયા. પણ તેમની અલ્પ સફળતાએ અનેક નિર્દોષ માનવીઓનો ભોગ લીધો હતો. ૧૯૪૧માં પણ અંગ્રેજોની બંને કોમ વચ્ચે ભાગલા પાડવાની કૂટનીતિ ને અલ્પ સફળતા સાંપડી અને શહેરમાં અસામાજીક તત્વોએ માઝા મૂકી. ખંજરો ચાલ્યા, લુંટફાટ થઇ. નિર્દોષ માનવીઓની કતલેઆમ મચી ગઇ. કાવતરા બાજો ની આવી નિર્દયી કરામતની વિગતો અંગ્રેજ શાસકો પાસે પહોંચાડવામાં આવી. પ્રજાના રક્ષક સમા પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું. પણ નિંભર શાસકોની નિંભર પોલીસનો એક જ જવાબ હતો.

અમારા ધ્યાન પર છે, અમે પગલાં લઈશું”

 સેંકડો મૃત અને ઘાયલોની શોણીતધારાઓથી અમદાવાદની ધરતી લાલ બની ગઇ. છતાં નફટ તંત્રની ઊંઘ ન ઉડી તે ન જ ઉડી. અંગ્રેજ શાસકોની આ નફફટ નીતિને ઢંઢોળીને જગાડવાના હેતુથી જ “ફુલછાબ”  સાપ્તાહિકના તંત્રી અને જાણીતા લોકસાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેઘાણીએ “ફૂલછાબ” ના તારીખ ૨૫ એપ્રિલ  ૧૯૪૧ ના અંકમાં પોલીસ તંત્રની નિષ્ક્રિયતાને વાચા આપતું એક કાર્ટૂન મુખપૃષ્ઠ છાપ્યું. તેનું મથાળું હતું મુખડા કયા દેખો દર્પણ મે”

આ કાર્ટૂનમાં એક પોલીસ દર્પણ અર્થાત આયનામાં પોતાનું મોં જોઈ રહ્યો છે. દર્પણમાં એ પુરુષને પોતાના મુખડાના સ્થાને કાળી ટોપી, વધેલી દાઢી અને વિકરાળ ચહેરાવાળો માણસ દેખાય છે. તેના હાથમાં એક છુરો છે. એ દૈત્ય જેવા માણસના અર્ધ દ્રશ્ય પાસે જ મસ્જિદ જેવી કોઈ ઈમારત છે. તેની પાછળ બે યુવાનોની લાશ પડી છે. એકે ધોતીયું પહેર્યું છે અને બીજા એ ચડ્ડી જેવું કંઇક પહેર્યું છે. પોતાના બદલે દર્પણમાં આવું દૃશ્ય જોઇ પોલીસ આશ્ચર્યચકિત નજરે તે જોઈ રહ્યો છે. આ કાર્ટૂન સાથે મેઘાણીએ લખેલો તંત્રીલેખ શોણીતભીના શહેરનો સંદેશ” પણ છપાયો હતો. જેમાં મેઘાણીએ લખ્યું હતું, 

અમદાવાદની આગમાં ઓરાએલી ઈસ્કામતો અત્યારે ધુમાડાની શાહીથી લખી રહી હશે કે અમને પેટ્રોલ છંટાયા તે વારે સત્તાના બિલ્લેદારો સામે  ઉભા હતા. અમને દીવાસળીઓ ચાંપી તે ઘડીએ રક્ષાના કરવૈયાઓની ઉઘાડી આંખે ફૂલા નહોતા પડ્યા. અમદાવાદના મુવેલા તેમજ ઘાયલોથી શોણીતધાર  પૃથ્વી પર લખતી હશે કે અમારી  વલે બનું બનું થઈ રહી હતી ને કાવતરુ મેળવાયું રહ્યું હતું, તેના ખબર તો અમારા જવાબદારોએ હાકેમોને અગાઉથી આપ્યા હતા. કાગળો લખ્યા હતા, ફોન કર્યા હતા. પણ જવાબ એક જડેલો લક્ષમાં છે, બંદોબસ્ત કરેલ છે.”  બંદોબસ્તના ઢંગ અમે ચાખી ચૂક્યા.” (ફૂલછાબ ૨૫ એપ્રિલ ૧૯૪૧)

 કાર્ટૂન અને અગ્ર લેખ પછી લગભગ ૩૮  દિવસે એટલે કે  જૂન ૧૯૪૧ના બુધવારના રોજ ફૂલછાબ” ના તંત્રી તરીકે શ્રી ઝવેરચંદ મેઘાણીની ધરપકડ કરવામાં આવી. અમદાવાદના એલઆઈબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મંગલ પ્રસાદે મેઘાણી ની ધરપકડ કરતા   કહ્યું,

 ફૂલછાબના ૨૫ એપ્રિલના અંકમાં પ્રગટ  થયેલા મુખડા ક્યા દેખો દર્પણ મેં’ કાર્ટૂને હિન્દુ મુસ્લિમ બંને કોમ વચ્ચે તંગદિલી ઉભી કરી છે. બે કોમ વચ્ચે નફરત અને ધિક્કારની લાગણી ઉત્પન્ન કરતા  કાર્ટૂનને સમાજમાં અશાંતિ ઉત્પન્ન કરી છે. માટે હિન્દના ફોજદારી ધારાની કલમ ૧૫૩ (અ) હેઠળ હું તમારી ધરપકડ કરું છું”

 ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર અને ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં, તે ઝવેરચંદ મેઘાણી બચાવ નો એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર પોલીસ સાથે ચાલી નીકળ્યા. ત્યારે ફૂલછાબ” કાર્યાલય અને સમગ્ર રાણપુર ગામમાં સન્નાટો પ્રસરી ગયો. સમાચાર આગની જ્વાળાઓ જેમ સમગ્ર દેશમાં પ્રસરી ગયા. મેઘાણીની ધરપકડ કરી તેમને અમદાવાદની ગાયકવાડ હવેલીમાં આવેલ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા. અને પછી જેલની કાળી કોટડીમાં કાચા કામના કેદી સાથે બેસાડી દીધાએ સ્થિતિનું વર્ણન કરતા મેઘાણી લખે છે,

“બરાકમાં ૭  બિછાના વચ્ચે મારું પથરાયુ. ૬ સાથીઓ પૈકી બે ફકીર ને એક સાધુ ચરસના આરોપ બાબતે આવેલા. બે દારૂ બાબતે અને બીજા બે મારા મારી કે ચોરી બાબત. આ બધા એમ જ માનતા હતા કે પોતે નિર્દોષ છે….તરસ બહુ લાગેલી પણ બરાકના માટલા ખાલી પડેલા. નળોમાંથી ધધકતી ધરા થતી હતી. તરસ્યા કેદી એ વાટે મો પલાળતા હતા. મેં જૈન ચોવીયારની સ્થિતિ સ્વીકારી લીધી. સાંજનું ખાવાનું આપો આપ ટળી ગયું. બિસ્તરાની પણ મને ગરજ ન હતી. ઉનાળાની રાત તો ડાહીડમરી પત્ની સમી, ગાદલા, ગોદડા કે બાલોશીયાના વૈભવ ક્યાં માંગે છે.” (ફૂલછાબ ૧૩ જુન ૧૯૪૧)

 જેલના આવા નિષ્ઠુર વાતાવરણમા પણ  પોતાને સંપૂર્ણ સ્વસ્થ રાખનાર મેઘાણીએ પોતાની જામીન અરજીમાં રાષ્ટ્રીય શાયરની પ્રતિમાને છાજે તેમ લખ્યું હતું,

મેં ગૂનો કર્યો નથી. હું નિર્દોષ છું. અહિંસા અને હિન્દુ મુસ્લિમ એકતા મારા સ્વધર્મો છે.  આદર્શોને આચારમાં ઉતારી રહેલ છું. છેલ્લા વીસ વર્ષના ગાળામાં મેં કરેલા અનેકવિધ લખાણો  વાતની સચોટ સાક્ષી પૂરે છે. ઠઠ્ઠા ચિત્ર કાર્ટૂન કોમી અસંતોષને બિલકુલ ઉતેજતું નથી. અને કઈ લાગણી ઉત્તેજે છે તે હું મુકદમો ચાલવા દરમિયાન બતાવી આપીશ. કોમી એખલાસની સિદ્ધિને સારું મેં મારી શક્તિ નીચોવી છે. અને મુસ્લિમ પ્રેમ શોર્ય તેમજ ઈમાનદારીની મેં લખેલી વાર્તાઓ સાહિત્યમાં તેની પ્રતીતિ પુરતી ઉભી છે. જાણ્યે અજાણ્યે હું કદાપી કોમી ઈર્ષાનો અથવા  તે તરફ વલણ દાખવતા કોઈ અસત્યનો પક્ષકાર બનું નહીં.”  (ફૂલછાબ ૧૩ જુન ૧૯૪૧)

આમ પોતાની જામીન અરજીમાં મેઘાણીએ બે બાબતો રજૂ કરી હતી. એક એ કાર્ટુન કઈ લાગણી વ્યક્ત કરે છે તે તેઓ કેઈસ ચાલશે ત્યારે અદાલતમાં સિદ્ધ કરશે. અને બીજું, પોતાને કોમવાદી ગણાવનાર પરિબળોને તેમણે પ્રતીતિ કરાવી કે જાણીએ અજાણ્યે પણ કોમવાદી અપકૃત્યના તેઓ કયારેય ભાગીદાર બને નહીં.

વિધિની વિચિત્રતા તો જુઓ કે કોમવાદી પરિબળોને વેગ આપતો ઝવેરચંદ મેઘાણી સામેનો આવો જગબત્રીસીએ ચડેલો કેઈસ અમદાવાદના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શ્રી સુલેમાન કાળુભાઈ દેસાઈની કોર્ટમાં જ આવ્યો. ધંધુકાના સુન્ની મુસ્લિમ વહોરા કુટુંબના તેઓ સભ્ય હતા. તેમના મોટા ભાઈ શ્રી ઈસ્માઈલ દેસાઈ  સ્વાતંત્ર્ય યુગ માં જ પોલીસ બેડામાં મોટા પોલીસ અધિકારી હતા. જેમની કર્તવ્ય નિષ્ઠાને બિરદાવી અગ્રેજ સરકારે તેમને ખાન બહાદુરનો ખિતાબ આપ્યો હતો.

“મુખડા ક્યા દેખો દર્પણ મેં” કેઈસ ૩૦ જુન ૧૯૪૧ થી ૯ સપ્ટેમ્બર ૧૯૪૧  એટલે  લગભગ ૭૦ દિવસ અને છ મુદતોમાં પૂર્ણ થયો. પણ કેઈસની સુનાવણી દરમિયાન મેજીસ્ટ્રેટ સુલેમાન દેસાઈએ કયારેય પોતાનો અભિગમ કળાવા દીધો ન હતો. ન્યાયના આસન પર બેઠા બેઠા તેમણે મેઘાણીની  જુબાનીના એક એક શબ્દને મન ભરીને માણ્યો હતો. મેઘાણીની જુબાની પહેલા રજુ થયેલા મુસ્લિમ લીગના ત્રણ સાથીઓની વાતો પણ તેઓ મોંન બની સાંભળતા રહ્યા હતા. જો કે આ કેઈસની મોટામાં મોટી નબળાઈ આ ત્રણ સાથીઓ જ હતા. તેમાંના એક ખાનબહાદુર ફૈઝ મહંમદ મ્યુનિસિપલ કાઉન્સીલાર હતા. છતાં મેજીસ્ટ્રેટ સુલેમાન દેસાઈ પર તેનો કોઈ પ્રભાવ પડ્યાનું કોઈએ અનુભવ્યું ન હતું.

 જે દિવસે ( ૨૮.૮.૧૯૪૧) કોર્ટમાં મેધાણીની જુબાની હતી, તે દિવસે કોર્ટ હોલ માનવ મેદનીથી ચિક્કાર ભરેલો હતો. ક્યાય બેસવાની જગ્યા ન મળે. ભરચક કોર્ટમાં મેઘાણીએ પોતાની જુબાની આપી ત્યારે કોર્ટમાં બેઠેલ દરેક વ્યક્તિને મેઘાણીનું પારદર્શક રાષ્ટ્રીય  વ્યક્તિત્વ સ્પર્શી ગયું. અત્યંત સ્વસ્થ ચિત્તે જુબાની આપતા મેઘાણી બોલ્યા હતા,

“હું રાષ્ટ્રવાદી છું અને કોમવાદનો કટ્ટર વિરોધી છું. કોમવાદ મિટાવવા મેં મારાથી બનતું કર્યું છે અને કરું છું. ઇસ્લામના યશોગાન મેં મારી કૃતિઓમાં કરેલા છે. મુસ્લિમ પાત્રોને મેં ઉંચી કક્ષા પર મૂકી દોરેલા છે.  ફૂલછાબના અંકોમાં કોમવાદ વિરુદ્ધ પ્રચાર કરેલો છે. ફરિયાદવાળા ઠઠ્ઠા ચિત્રનો ખરો અર્થ તેના શીર્ષકમાં બતાવ્યા મુજબ છે. અમદાવાદ શહેરમાં બેફામ ગુંડાગીરી પ્રવર્તી રહી હતી ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવનાર અધિકારીઓ કર્તવ્ય ભૂલ્યા છે તે અર્થ છે. આ ગુંડાગીરીને સલ્તનતના સાધનો આંખના પલકારામાં દબાવી શકાય હોત. અને નાબૂત કરી શક્ય હોત. ખુદ તેઓ ગુંડાગીરીના પ્રેક્ષકો હતા. અને તેમની સ્થિતિ “મુખડા ક્યા દેખો દર્પણ મેં” વાળા પ્રખ્યાત ભજનમાં જણાવ્યા જેવી થઇ ગયેલી. અને પરિણામે શાંતિ પ્રિય પ્રજાને અસહ્ય શોષાવું પડ્યું છે….ગુંડો ન તો સાચો મુસ્લિમ હોઈ શકે ન તો હિંદુ. કોઈ પણ મઝહબમાં ગુંડાગીરીને સ્થાન નથી. ગુંડો તો ગુંડાગીરીને જ પોતાનો મઝહબ માને છે. ધર્મની ઓથે ખૂનામરકી, લુંટ એવા દુષ્કૃત્યો કરનારાઓ ધર્મ અને ધર્મસ્થાનને અપયશ અપાવનાર છે. એવી મારી માન્યતાને આધારે ઠઠ્ઠા ચિત્રમાં મેં નિર્દોષ શહેરીઓ ઉપર ગુંડાગીરીનું આક્રમણ બતાવ્યું છે. આરસીમાં જોઈ રહેલો પોલીસવાળો ઠઠ્ઠાચિત્રનું મુખ્ય એક જ લક્ષ્ય્ બિંદુ છે. અધિકારીઓની એ નિષ્ક્રિયતા સૂચવે છે. હું કોમવાદનો કટ્ટર વિરોધી છું. ઇસ્લામ માટે મને માન છે. મારો એ જીવન સિધ્ધાંત છે. એને અનુરૂપ મારું વર્તન છે. છેલ્લા ઘણા વર્ષોથી એ સૂત્ર મારી સાહિત્ય કૃતિઓમાં મેં ઉતાર્યું છે.” (ફૂલછાબ ૨૯.૮.૧૯૪૧)

મેઘાણી જુબાની પછી ૮ સપ્ટેમ્બર ૧૯૪૧ના રોજ બપોરે ત્રણ વાગ્યે આ કેસના બન્ને પક્ષના વકીલોની દલીલો ભરચક કોર્ટ થઇ. સરકાર તરફથી પબ્લિક પ્રોસિક્યુટર લાખિયાએ દલીલો કરી જયારે શ્રી મેઘાણી તરફથી શ્રી હિમતલાલ શુકલ અને શ્રી પ્રભુદાસ પટવારી  ઉપસ્થિત રહ્યા હતા.  બચાવ પક્ષના વકીલ તરીકે હિંમતલાલ  શુકલએ પોતાની વેધક શૈલીમાં કહ્યું હતું

 “ગુંડો એ ગુંડો જ છે. ધર્મના ઓઠા નીચે એ પોતાનો સ્વાર્થ સાધે છે. લુંટે છે, ખૂન કરે છે. ધર્મને તેની  સાથે કઈ  લેવાદેવા નથી. એવા માણસો નથી સાચા મુસ્લિમ કે નથી સાચા હિંદુ. એ તો પ્રસંગનો ઉપયોગ કરે છે. અને એ કાર્ટૂનવાળું આખું ‘ફૂલછાબ’ જોતા લાગે છે. એના અગ્રલેખના કેટલા ફકરા  બતાવે છે કે તંત્રીએ આવેશમાં નહિ, ક્રોધમાં નહીં પણ રડતા દિલે આ કલંક ભૂંસવા આવું ન બને તેવી પરિસ્થિતિ ઉભી કરવા અને ભાઈ ભાઈ બનીને રહેવા બન્ને કોમોને અપીલ કરી છે”  (ફૂલછાબ ૧૨  સપ્ટેમ્બર ૧૯૪૧)

બન્ને પક્ષના વકીલોની દલીલો સમગ્ર કોર્ટનો માનવ સમુદાય એક ચિત્ત સાંભળી રહ્યો હતો. દલીલોની સમાપ્તિ પછી મેજિસ્ટ્રેટ સુલેમાન દેસાઈએ કેસનો નિર્ણય બીજા દિવસે એટલે કે ૯  સપ્ટેમ્બર ૧૯૪૧ના રોજ આપવાની જાહેરાત કરી. અને કોર્ટ વિખેરાઈ ગઈ. સૌના મનમાં કેઈસના નિર્ણય અંગે અનેક શંકા કુશંકાઓ હતી. સરકાર પક્ષે ઘણાં જમા પાસા હતા. જેમ કે કોમવાદી કેઈસ, મુસ્લિમ ન્યાયધીશ અને અગ્રેજ સરકારનું અમાપ પીઠબળ, જયારે આરોપી પક્ષે અંગ્રેજ સરકારના પોલીસતંત્રની નિષ્ક્રિયતાનો છડેચોકે  કાર્ટૂન દ્વારા ભાંડો ભોડનાર એક માત્ર રાષ્ટ્રીય શાયર મેઘાણી જ હતા. એટલે જ કદાચ પોતાના પર તોળાઈ રહેલ ભયને વ્યક્ત કરતા મેઘાણીએ તેમના મિત્ર  શ્રી કપિલ પ. ઠક્કરને  એક પત્રમાં લખ્યું હતું,

“અમદાવાદ પોલીસે  ગમે તે કારણે ભૂલ ખાધી છે.  કારણકે ૧૫૩ (અ) નો આરોપ ટકી શકે નહિ. એવો બધા ધારાશાસ્ત્રીઓનો અભિપ્રાય છે. ને તેઓ આ કેઈસ પોતાનો ગણીને લડી રહ્યા છે. એમ છતાં જો કઈ આવી પડે તો તે ભોગવી લેવાને હું મારા દિલને તૈયાર કરી રહ્યો છું. આ લખતી વખતે મારા મનમાં કોઈ bravado (બહ્દુરીનો ડોળ)નો મિજાજ લેશ માત્ર નથી. હું તો એકવાર જઈ  પણ આવ્યો છું. એટલે પોકળ બહાદુરીનો તોર તો રાખું જ કેમ ?”  (હું આવું છું પૃ. ૩૧૭)

બીજે  દિવસે (૯.૯.૧૯૪૧) કોર્ટ રૂમ ચિક્કાર હતો. સૌ ચુકાદો જાણવા ઉત્સુક હતા. ભરચક કોર્ટમાં પોતાનો ચુકાદો આપતા મેજીસ્ટ્રેટ સુલેમાન દેસાઈએ કહ્યું,

 મારો ફેસલો છે કે આરોપીએ ગુનો નથી કર્યો. ફરિયાદ પક્ષ તરફથી ત્રણ સાક્ષી રજૂ કરવામાં આવ્યા હતા. આ સાક્ષીઓ મુસ્લિમ લીગના સભ્યો છે. કોર્ટ તેમની જુબાનીને તટસ્થ તરીકે સ્વીકારતા અચકાય છે. ફરિયાદ પક્ષનો પુરાવો સંપૂર્ણ તટસ્થ અને વિશ્વાસપાત્ર નથી… શ્રી મેઘાણી ફૂલછાબના તંત્રી છે અને આ પત્રમા પ્રગટ થતા લેખો તેમની નીતિના સૂચક છે. તહોમતદાર

(નં ૧)એ લેખિત જવાબ સાથે ચાર પરિશિષ્ટ જોડ્યા છે,  જેમાં તેમણે લખેલી ઐતિહાસિક નવલો, નાટકો અને સામાજિક કૃતિઓમાંથી ઉતારા આપ્યા છે. જેમાં તેમણે મુસ્લિમ શૌર્ય, વીરતા અને વફાદારી ના ગુણગાન કર્યા છે. આ ઉપરથી જરાય શંકા ને સ્થાન રહેતું નથી કે તહોમતદાર અને તેના પત્રની નીતિ સરકાર અને હિન્દુ મુસ્લિમ એકતા ને આગળ કરવાની છે. કેટલીક જગ્યાએ તો તેમણે મુસ્લિમોને મદદ કરવા માટે કોંગ્રેસ અને હિન્દુ મહાસભાની પર ટીકા કરી છે. કાર્ટૂનમાંથી  માત્ર એટલો અર્થ નીકળે છે કે હુમલાખોરે બે માણસો પર હુમલો કરી ખંજર ભોંકી દીધું. તહોમતદારે બે કોમ વચ્ચે  શત્રુતા કે દ્વેષ ફેલાવાના બદઈરાદાથી આ કાર્ટૂન પ્રગટ કર્યું હોય એમ હું માનતો નથી. હાથ, લોહીવાળું ખંજર, રાતી આંખો, લાંબા નખ, ખુલ્લું મો અને ચહેરા પર કરચલીઓ વાળો શખ્સ માનવ સ્વરૂપમાં દૈત્ય જ છે.  જે નાત જાતના ભેદભાવ વિના ખૂન કરે છે. કાર્ટૂનનો એકમાત્ર આશય શહેરમાં ફેલાયેલા કોમી રમખાણ પ્રસંગે પોલીસની નિષ્ક્રિયતા બતાવવાનો છે.  હું ઠરાવું છું કે તહોમતદાર  સામે પ્રથમ દર્શીય કેઈસ સાબિત કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો છે. ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૨૫૩ મુજબ છોડી મુકું છું.” 

ચુકાદો સાંભળી હોલમાં બેઠેલા માનવમેદની હર્ષથી ઝૂમી ઉઠી. ગાંધીજીના લાડલા રાષ્ટ્રીય શાયર અને પ્રજાના માનીતા લોક સાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેઘાણીની રાષ્ટ્રવાદી પ્રતિભાવ પર એક મુસ્લિમ ન્યાયધીશે મારેલી મહોરને કારણે “ફૂલછાબ” અને મેઘાણીના રાષ્ટ્રવાદી વ્યક્તિત્વને કોમવાદી તત્વો સાથે  જોડવાની અંગ્રેજોની મેલી મુરાદ ધૂળમાં મળી ગઈ. અગ્નિમાં તપીને બહાર આવતા કુંદનની જેમ “ફૂલછાબ” અને મેઘાણીનું રાષ્ટ્રીય વ્યક્તિત્વ આ ઘટના પછી વધુ ઉજળું અને સ્પષ્ટ બન્યું એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય.

Leave a comment

Filed under Uncategorized

સૂફીકથા ૪

ડૉ. મહેબૂબ દેસાઈ

વિવેકાનંદ હિન્દોસ્તાનથી અમેરિકા જતા હતા. રામ કૃષ્ણ પરમહંસના પત્ની શારદા માના આશીર્વાદ લેવા ગયા. એ સમયે રામ કૃષ્ણ પરમહંસ અવસાન પામ્યા હતા. શારદા મા રસોડામાં કામ કરી રહ્યા હતા. વિવેકાનંદ જી એ આવીને કહ્યું,

” મા, મને આશીર્વાદ આપો હું અમેરિકા જઉં છું”

શારદા મા એ પૂછ્યું,

“અમેરિકા જઈને શું કરશો ?”

“હું હિંદુ ધર્મનો સંદેશ પ્રસરાવીશ”

શારદા માએ કોઈ પ્રતિભાવ ન આપ્યો. ચુપ રહ્યા. થોડી પળ પછી પોતાનું કામ કરતા કરતા બોલ્યા,

“પેલી શાક સુધારવી છરી મને આપશો ?”

વિવેકાનંદ જી એ છરી ઉપાડીને શારદા માને આપી. શારદા માએ છરી આપતા વિવેકાનંદ જીના હાથ પર એક નજર કરી. પછી વિવેકાનંદ જીના હાથમાંથી છરી લેતા બોલ્યા,

“જાઓ મારા આશીર્વાદ છે તમને”

હવે વિવેકાનંદ જીથી ન રહેવાયું.

“મા છરી ઉપાડવાને અને આશીર્વાદ આપવાને શો સંબધ છે ?”

શારદા મા એ કહ્યું,

“હું જોતી હતી કે તમે છરી કેવી રીતે ઉપાડીને મને આપો છો. સામાન્ય રીતે કોઈ છરી ઉપાડીને આપે ત્યારે હાથો તેના હાથમાં રાખે છે. પણ તમે છરી ઉપાડીને આપી ત્યારે હાથો મારી તરફ અને ધાર તમારા તરફ રાખીને છરી મને આપી. મને ખાતરી છે કે તમે ધર્મનો સંદેશ સફળતા પૂર્વક લોકો સુધી પહોંચાડશો. કારણ કે ધર્મ કે પરમાત્મા નજીક કેવળ તેઓ જ રહી શકે છે જે દુઃખ પોતાના માટે રાખે છે અને સુખ અને સુરક્ષા અન્યને આપે છે. જેમ તમે ધાર તમારી તરફ રાખી અને હાથો મને આપ્યો.”

*******************************

Leave a comment

Filed under Uncategorized

સૂફીકથા ૩

ડૉ. મહેબૂબ દેસાઈ

એક સૂફી સંત તેમના અનુયાયી સાથે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. નમાઝનો સમય થયો. સૂફી સંત પોતાના ખભે નાખેલ એક કાપડનો ટુકડો જમીન પર પાથરી નમાઝ પઢવા માંડ્યા. નમાઝ ચાલુ હતી એ દરમિયાન જ જંગલની ઝાડીમાંથી એક સિંહ આવી ચડ્યો. નમાઝ પઢી રહેલા સંતની ચારેબાજુ તેણે પરિક્રમા કરી. પણ સૂફી સંત જરા પણ ચલિત કે ભયભીત થયા વગર નમાઝ પઢતા રહ્યા. સિંહ માનવીની આવી નિર્ભયતા જોઈ થોડીવાર ચારેબાજુ ફરી, પાછો જંગલમા ચાલ્યો ગયો. સૂફી સંતનો અનુયાયી તો સિંહને જોઇને જ ઝાડીઓમાં લપાઈ ગયો હતો. સિંહની વિદાય પછી તે બહાર આવ્યો. સૂફી સંતે નમાઝ પૂર્ણ કરી, પછી બનેએ પાછી સફર આરંભી. બંને જંગલમા ચાલ્યા જતા હતા. થોડું અંતર કાપ્યું હશે, અને બીજો એક સિહ તેમની સામે આવી ચડ્યો. સિંહને જોઈ બંને ભયભીત થઈ ગયા. બંને ઝાડીઓની પાછળ કાંપતા શરીરે લપાઈ ગયા. સૂફી સંતને આમ કાંપતા જોઈ તેમના અનુયાયીને ખુબ નવાઈ લાગી. પણ અત્યારે કઈ પૂછવાનો સમય ન હતો. અત્યારે તો સિંહથી પોતાનો જાન બચાવવાનો હતો. સિંહ થોડીવાર ઇધરઉધર નજર કરી જંગલમાં જતો રહ્યો.

અને બંનેએ પાછું ચાલવા માંડ્યું. થોડો માર્ગ કાપ્યો હશે ને પેલા અનુયાયીએ સૂફી સંતને જરા ડરતા ડરતા પૂછ્યું,

“ હુજુર, પ્રથમવાર આપ નમાઝ પઢતા હતા ત્યારે સિંહ આવ્યો. ત્યારે આપ જરા પણ ભયભીત થયા વગર નમાઝ પઢતા રહ્યા. એ જોઈ મને તમારા અનુયાયી હોવાનો ગર્વ થયો. પણ બીજીવાર સિંહ આવ્યો ત્યારે આપ પણ મારી જેમ જ ભયભીત બની કાંપતા હતા. અને મારી સાથે જ ઝાડીઓમાં લપાઈ ગયા. એ જોઈ મને બહુ નવાઈ લાગી. આ ભિન્ન પરીસ્થિત મને સમજાતી નથી.”

સૂફીસંત પોતાના અનુયાયીનો પ્રશ્ન સાંભળી થોડા મલકાયા. પછી બોલ્યા,

“નમાઝ પઢતો હતો ત્યારે મારી સાથે ખુદા હતા. પણ બીજીવાર સિંહના આગમન સમયે તું મારી સાથે હતો. ખુદાનો સંગ માનવીને નિર્ભય બનાવે છે, જયારે માનવીનો સંગ માનવીને ભયભીત કરી મૂકે છે.”

અનુયાયી મૌન બની પોતાના ગુરુના જવાબમા રહેલ ગર્ભિત સત્યને પામવા મથી રહ્યો હતો.

Leave a comment

Filed under Uncategorized

સૂફી કથા ૨

ડૉ. મહેબૂબ દેસાઈ

સ્વામી વિવેકાનંદના પિતાજીનું અવસાન થયું. પિતાજી કર્ઝ મુકીને ગયા હતા. તે ચૂકવવાનો કોઈ માર્ગ વિવેકાનંદજીને સૂઝતો ન હતો. કારણ કે તેઓ તો આધ્યાત્મિક દુનિયામા લીન હતા. રામકૃષ્ણ પરમહંસ તેમની મનોભૂમિ પર છવાયેલા હતા. તેમની સાથે સત્સંગમા તેઓ ચોવીસે કલાક રચ્યાપચ્યા રહેતા. પણ વિધવા માને કર્ઝની ચિંતા હતી. વળી, ઘરની આર્થિક સ્થિત પણ ચિંતાજનક હતી. ક્યારેક ઘરમાં ભોજન ન બનતું, તો કયારેક એકાદ માણસ પુરતું જ ઉપલબ્ધ થતું. એવા સમયે વિવેકાનંદજી માને કહેતા,

“મા, તું જમી લે આજે મારે મારા મિત્રને ત્યાં જમવાનું નિમંત્રણ છે.”

અને તેઓ ઘરની બહાર નીકળી જતા. સડકો પર, ગલીઓમા ભુખ્યા પેટે ફરતા રહેતા. પાણી પીને પેટ ભરી લેતા. અને ઘરે પાછા આવી માને પકવાનો આરોગ્યાની વાતો કરતા. એક દિવસ રામકૃષ્ણ પરમહંસને વિવેકાનંદજીની આ સ્થિતિની જાણ થઈ. તેમણે શિષ્યને સલાહ આપતા કહ્યું,

“તું તો માનો ભક્ત છે. માના મંદિરમાં જઈને મા પાસે જે કઈ માંગવું હોય તે માંગી લે ને. મા અવશ્ય તારી તમામ સમસ્યાઓ દૂર કરશે.”

વિવેકાનંદજી ગુરુની આજ્ઞા સાંભળી રહ્યા. તેમની ઈચ્છા મા પાસે કશું માંગવાની ન હતી. છતાં ગુરુની આજ્ઞા માનીને તેઓ માની મૂર્તિ સામે જતા. બે ત્રણ કલાક ભક્તિમાં લીન રહેતા અને મા પાસે કશું માંગ્યા વગર પાછા આવી જતા. તેની જાણ રામકૃષ્ણ પરમહંસને થઈ. તેમણે શિષ્યને પુનઃ કહ્યું,

“તું મા પાસે કેમ તારી સમસ્યાની વાત કરતો નથી. મા તારી બધી તકલીફો દૂર કરી દેશે”

વિવેકાનંદજી ગુરુની વાત એક ધ્યાને સાંભળી રહ્યા. પછી માની મૂર્તિ સામે એક નજર કરી બોલ્યા,

“માની મૂર્તિ સામે જયારે જયારે હૂં જઉં છું ત્યારે ત્યારે તેમની ભક્તિમાં લીન થઈ બધું ભૂલી જઉં છું. વળી, મા શું નથી જાણતા ? તેઓ તો સર્વજ્ઞાની છે. તેમની પાસે કશું માંગવાની મને જરૂર નથી લાગતી.”

ગુરુ રામકૃષ્ણ પરમહંસ આ સાંભળી ખુશ થયા. અને શિષ્ય સામે સ્મિત કરતા બોલ્યા,

“તે મા પાસે કશું માંગ્યું હોત તો હું સમજી જત કે તું ત્યાગી નહિ સંસારી છે. પણ તે મા પાસે કશું ન માંગી સિદ્ધ કરી દીધું કે તું તો સાચો ત્યાગી છે. આ માર્ગ પર તો એ જ ચાલી શકે જે સાચો ત્યાગી હોય.”

*****

Leave a comment

Filed under Uncategorized

સૂફીકથા

ડૉ. મહેબૂબ દેસાઈ

એક સૂફી થઈ ગયા. તેઓ નસ્સાજના નામે ઓળખતા હતા.ગામના પાદરે એક ઝાડ નીચે ફાટલા વસ્ત્રોમા તેઓ બેસી રહેતા. શરીરે તંદુરસ્ત. કદકાઠી મજબૂત. એક મુસાફર ત્યાંથી પસાર થયો. નસ્સાજને જોઈ તેના મનમાં વિચાર આવ્યો,

“આ તો કોઈ ભાગેલો ગુલામ લાગે છે. શરીરે તંદુરસ્સ્ત છે. જો હું તેને મારો ગુલામ બનાવી દઉં તો મારું ઘણું કામ મફતમાં તે કરશે.”

મુસાફરે નસ્સાજ પાસે જઈ પૂછ્યું,

“તું ભાગેલો ગુલામ લાગે છે ?”

નસ્સાજ મુસાફરની વાત સાંભળી મનોમન હસ્યા અને બોલ્યા,

“હા, હૂં સાચ્ચે જ ખુદાથી ભાગેલો ગુલામ છું.”

“મારી ગુલામી કરીશ ?” મુસાફરે પૂછ્યું.

નસ્સાજે એક નજર આકાશ તરફ કરી જાણે ખુદાની રજામંદી ન લેતા હોય. પછી કહ્યું,

“હા, હું તમારી ગુલામી કરીશ.” પછી મનોમન બોલ્યા,

“વર્ષોથી ખુદાને શોધી રહ્યો છું. કદાચ તમારા સ્વરૂપમાં તે મને મળી જાય” અને નસ્સાજ એ મુસાફર સાથે તેમના ગામ ચાલી નીકળ્યા. મુસાફરે ઘરે પહોંચી કહ્યું,

“જો હવે હું તારો માલિક છું. અને તું મારો ગુલામ છે. જે કામ હું તને ચીંધુ તે તારે કરવાનું છે.”

નસ્સાજે કહ્યું,

“હું પણ એવું જ ઈચ્છું છું કે કોઈ મારો રાહબર બને. આ દુનિયામા મનમાની કરી કરીને તો હું ફસાઈ ગયો છું.”

માલિકને નસ્સાજની વાતોથી નવાઈ લાગી. તે વિચારવા લાગ્યો, ક્યાં તો આ માણસ પાગલ છે, ક્યાં તો જ્ઞાની છે. પણ પછી તે મનમા બોલ્યો, “મારે શું ? મને તો એક સારો ગુલામ મફતમા મળે છે ને”

નસ્સાજે એ માણસને ત્યા દસ વર્ષ ગુલામ તરીકે કાર્ય કર્યું. તેના માલિકની ખુબ સેવા કરી. તેને બહુ માન આપ્યું. એક દિવસ તેના માલિકના મનમાં ખુદા વસ્યો. તેના મનમાં દસ વર્ષ સુધી નસ્સાજનું શોષણ કર્યાનો ડંખ જન્મ્યો. તેને પસ્તાવો થયો. અને તેણે નસ્સાજને બોલાવીને કહ્યું,

“મને સતત લાગ્યા કરે છે કે મેં દસ વર્ષ સુધી તમારું ખુબ શોષણ કર્યું છે. હું વધુ સમય તમને ગુલામ બનાવી, ખુદાનો ગુનેગાર બનવા નથી માંગતો. આજથી હું તમને મારી ગુલામીમાંથી મુક્ત કરું છું. આજથી તમે તમારા માલિક છો.”

નસ્સાજ આ સાંભળી મલકાયા. અને પછી બોલ્યા,

“તમારી મોટી મહેરબાની. એક ઈન્સાનની ખિદમતે મારો અંહકાર ઓગળી નાખ્યો છે. પરિણામે હૂં ખુદાની વધુ નજીક આવ્યો છું. હું તો આજે મુક્ત થઈ ગયો. પણ તમે કયારે આ દુનિયાની ગુલામીમાંથી મુક્ત થશો ?”

એટલું કહી નસ્સાજ ખુદાના માર્ગ પર ચાલી નીકળ્યા. જયારે તેનો માલિક તેના શબ્દોનો મર્મ સમજવા મથતો રહ્યો.   

Leave a comment

September 3, 2020 · 2:46 PM