Monthly Archives: May 2010

બકા બિલ્લાહ ફના ફિલ્લાહ : ડૉ.મહેબૂબ દેસાઈ

“રાહે રોશન”ના નિયમિત વાચક રણુજના મહંતશ્રી રાજેન્દ્રગીરીજીનો એક દિવસ ફોન આવ્યો. તેમણે મને સૂફી સાહિત્યમાં વારંવાર વપરાતા બકા બિલ્લાહ ફના ફિલ્લાહ શબ્દોનો અર્થ પૂછ્યો. મેં તેમને કહ્યું તક મળ્યે તે અંગે જરૂર લખીશ. આજે એ બન્ને શબ્દો મારા મનમાં રમી રહ્યા છે. સૂફી સાહિત્યમાં એ બન્ને શબ્દો અત્યંત પ્રચલિત છે. ખુદાને પામવાના માર્ગ તરીકે આ શબ્દોનો વારંવાર ઉપયોગ સૂફીઓ કરે છે. તેમાનો એક શબ્દ બકા બિલ્લાહ છે. બકા બિલ્લાહ શબ્દ આમતો ફારસી ભાષાનો છે અને તે બે શબ્દોના સમન્વયથી બન્યો છે. બકા + અલ્લાહ = બકા બિલ્લાહ. બકા એટલે કાયમ સાથે રહેવું. બિલ્લાહ એટલે અલ્લાહ. અર્થાત અલ્લાહ સાથે કાયમ રહેવું. સૂફી સાધકો સાધનાના અંતિમ તબક્કામાં પહોંચે છે ત્યારે તે ખુદાના આશિક કે પ્રેમી ન રહેતા, ખુદ ઈશ્ક કે પ્રેમ બની જાય છે. શેખ ઝકરિયા (ર.અ.) આ સ્થિતિને સ્પષ્ટ કરતા લખે છે,
“ધગધગતી આગમાં લોખંડ જેમ પોતાનું અસ્તિત્વ ગુમાવી અગ્નિ બની જાય છે, તેમ જ ખુદાના ઈશ્કમાં સૂફીસંત ખુદ ઈશ્ક બની જાય છે. તે સાધન મટી સાધ્ય બની જાય છે”
ટૂંકમાં બકા લિલ્લાહ એટલે જેમાં સૂફી પોતાનુ સમગ્ર અસ્તિત્વ ખુદાના પ્રેમમાં ઓગળી નાખે છે. ખુદાના પ્રેમમાં પોતાને સંપૂર્ણ ઢાળી નાખે છે. એ માટે અહંકાર,માયા મોહનો તે ત્યાગ કરે છે. અને ઈશ્કની એવી પરાકાષ્ટાએ પહોંચે છે જ્યાં તે ખુદ ઈશ્ક બની જાય છે. આ સ્થિતિમાંથી સફળ રીતે પસાર થનાર સૂફી સાથે ખુદાનું મિલન(વિસાલ) થાય છે. હિંદુ શાસ્ત્રોમાં આ સ્થિતિને મોક્ષ કહે છે. જો કે આ અવસ્થા દરેક સૂફીને પ્રાપ્ત થતી નથી.
બીજો શબ્દ છે ફના ફિલ્લાહ. આ પણ ફારસી ભાષાનો શબ્દ છે અને તે પણ બે શબ્દોનો બનેલો છે. ફના + ફિલ્લાહ = ફના ફિલ્લાહ. ફના એટલે નાશ પામવું , અશાશ્વતપણું , સંપૂર્ણ વિનાશ. પણ અહિયા ફના શબ્દ નકારાત્મક અભિગમથી નથી વપરાયો.પોતાના અસ્તિત્વને માત્રને માત્ર અલ્લાહના નામે ફના કરી દેવું એટલે ફના ફિલ્લાહ. આ દશા પર પહોંચવું કોઈ પણ સૂફી માટે કપરું છે. કારણકે આ સ્થિતિમાં પહોંચતા પૂર્વે ચાર તબક્કોમાંથી સૂફીએ પસાર થવું પડે છે. પ્રથમ તબક્કાને “ફના ફીશશય” કહે છે. એટલે કે સૂફીએ સૌ પ્રથમ કોઈ વ્યક્તિના ઈશ્કમાં લીન થવાનો આરંભ કરવો જોઈએ. જેને ઈશ્કે મિજાજી કહે છે.

આ અંગે ફારસી શાયર અને સૂફીસંત મુલ્લા નુરુદ્દીન જામી તેમની મસ્નવી “યુંસુફો ઝુલેખા”મા લખે છે,
“ઈન્સાની પ્રેમથી તું તારું મુખ ન મોડ. જો કે એ સાચો પ્રેમ નથી. પણ એ સાચા પ્રેમની તૈયારી છે.પાટી ઉપર અલેફ બે તે નહિ ઘૂંટો તો કુરાન કેવી રીતે વાંચી શકશો”
સૂફીઓ સ્પષ્ટ રીતે માને છે કે ઈશ્કે મિજાજી(ઈન્સાની પ્રેમ) પણ જરૂરી છે તેના વગર ઈશ્કે હકીકી(ખુદા પ્રત્યેના પ્રેમ)નું ગીત ગાવું પાખંડ છે.
એ પછી બીજા તબક્કાને “ફના ફીશશૈખ” કહે છે. જેમાં સૂફી પોતાના ગુરુ, મુરશીદ કે પીરને પોતાની જાતને સોંપી દે છે. અને ગુરુના પ્રેમ કે ઈશ્કમાં તે લીન થઈ જાય છે. આ સ્થિતિમાંથી સૂફી સફળ રીતે પાર ઉતરે પછી તે ત્રીજા તબક્કામાં પ્રવેશે છે. ત્રીજા તબક્કાને “ફના ફિરરસુલ” કહે છે. હઝરત મોહંમદ પયગમ્બર (સ.અ.વ.)ના પ્રેમમાં પોતાના સમગ્ર અસ્તિત્વને ઢાળી દેવાની અવસ્થાને “ફના ફિરરસુલ” કહે છે. સૂફીના જીવનમાં મોહંમદ સાહેબના જીવનનું પ્રત્યાયન થવું આમા અત્યંત જરૂરી છે. અર્થાત સૂફીના દરેક જીવન કાર્યમાં મોહંમદ સાહેબના આચાર વિચાર અને વર્તન શરીર પરની ચામડી જેમ વણાય જવા જોઈએ. અને તો જ ખુદાને ઈશ્ક બની ચાહી શકાય, આ તબક્કામાં સૂફી મોહંમદ સાહેબને પોતાના અસ્તિત્વ કરતા પણ વિશેષ ચાહવા લાગે છે. આ અવસ્થામાંથી સફળ રીતે પાર ઉતરનાર જ છેલ્લા તબક્કા “ફના ફિલ્લાહ”મા પ્રવેશે છે. અલ્લાહના રસુલના ઈશ્કમાં જે ઇન્સાન ફના થઈ શકે તે જ પોતાને ખુદાના ઈશ્કમાં ફના કરી શકે છે. ફના થવાની આ અવસ્થા જીવન મુક્તિ છે. સૂફી સાધના પદ્ધતિના આ માર્ગે ચાલનાર અનેક સૂફી સંતો થઈ ગયા. પણ ફના ફીલ્લાહના અંતિમ ચરણ સુધી પહોંચવાનું સદભાગ્ય તો કોઈકને જ સાંપડ્યું છે. કારણ કે કવિ ગેમલદાસે કહ્યું છે તેમ,
“હરિનો માર્ગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને
પરથમ પહેલા મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને
સુત વિત દારા શિસ સમરપે , તે પામે રસ પીવા જોને ,
સિંધુ મધ્યે મોતી લેવા, માહી પડ્યા મરજીવા જોને”

સ્વામીનારાયણ સંપ્રદાયના બ્રહ્મમાનંદ સ્વામી પણ એવું જ કહ્યું છે,
“રે શિર સાટે નટવરને વરીઈ
પાછા તે પગલા નવ ભરીયે”

ટૂંકમાં બકા બિલ્લાહ ફના ફિલ્લાહની અવસ્થા એ કોઈ સામાન્ય માનવીના બસની વાત નથી. એ માટે સંપૂર્ણ ફના થઈ ખુદાને પ્રેમ કરવો પડે છે.

Leave a comment

Filed under Uncategorized

શ્રધ્ધા એ જ મહાશક્તિ : સ્વામી વિવેકાનંદ : ડૉ. મહેબૂબ દેસાઈ

શ્રધ્ધા એટલે ઈમાન. આપણા સંતો , આલિમો, કવિઓ, ગઝલકારો અને કથાકારોએ પોતાના વ્યાખ્યાનો અને સાહિત્યોમાં શ્રધ્ધા શબ્દનો અઢળક પ્રયોગ કર્યો છે.તેનો હાર્દ બે વાક્યોમાં કહેવો હોઈ તો કહી શકાય, “માનવજીવનમાં શ્રધ્ધા શ્વાસ સમાન છે. શ્રધ્ધા વગરનું જીવન ધબકારા વગરના શરીર જેવું છે.” આટલા મહત્વના આપણા જીવન અંગ સમા ઈમાન કે શ્રધ્ધાને કોઈ ભૌતિક સ્વરૂપ નથી. તેના અસ્તિત્વનો કોઈ આધાર નથી. તે માટે કોઈ બુદ્ધિગમ્ય દલીલ નથી.

“શ્ર્ધ્ધનો જો હો વિષય, તો પુરાવાની શી જરૂર છે,
કુરાનમાં તો ક્યાય પયમ્બરની સહી નથી”

જલન માતરીના આ શેરમાં શ્રધ્ધાની પરાકાષ્ટા અભિવ્યક થાય છે. કુરાને શરીફનું અવતરણ ખુદાએ હઝરત મોહંમદ પયગમ્બર(સ.અ.વ.) પર વહી (ખુદના સંદેશ) દ્વારા કર્યું હતું. અને છતાં તેમાં ક્યાય મોહંમદ સાહેબનું પ્રકથન કે નામ-સહી નથી. આમ છતા સમગ્ર વિશ્વના મુસ્લિમો આજે પણ કુરાને શરીફને ખુદાનો આદેશ માનીને તેમાં અતુટ શ્રધ્ધા અને આદર ધરાવે છે. કારણે કુરાને શરીફમાં તેમનું ઈમાન કોઈ આધાર કે સાક્ષીને મોહતાજ નથી.રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રન્થો માટે પણ એવી જ અતુટ શ્રધ્ધા હિંદુ સમાજ ધરાવે છે. કારણ કે ખુદા કે ઈશ્વેરનું અસ્તિત્વે એ ઈમાન-શ્રધ્ધાનો વિષય છે. તેમા કોઈ દલીલ ને અવકાશ નથી.

હિંદુધર્મ ગ્રંથોમાં ઈશ્વરને નિરંજન નિરાકાર તરીકે આલેખવામાં આવ્યા છે. ઇસ્લામમાં પણ ખુદાને કોઈ આકાર કે સ્વરૂપમાં સ્વીકારવાની મનાય છે. વળી, બને ધર્મમાં ઈશ્વર કે ખુદાના અસ્તિતવનો આધાર માત્રને માત્ર ઈમાન કે શ્રધ્ધા જ છે. અને એટલે જ સમગ્ર બ્રમાંડમા “યા અલ્લાહ” “ હે ઈશ્વર”ના પોકારો સદા ગુંજતા રહે છે. તેના મૂળમાં આપણી અતુટ શ્રધ્ધા અને ઈમાન છે. એક વાર આચાર્ય રજનીશ પાસે એક ભક્ત આવ્યો. તેણે આચાર્યને કહ્યું,

“મારે ઈશ્વેરને જોવા છે. મને તેમને બતાવો તો જ માંનું કે આપ મોટા સંત છો”
આચાર્ય રજનીશે એ સંતને એટલુ જ કહ્યું,
“ મહર્ષિ અરવિંદે કહ્યું છે, ભગવાનને જોઈ ન શકાય, માત્ર મહેસુસ કરી શકાય. કારણકે ભગવાન એ શ્રધ્ધા છે, શક્તિ છે.”
એ જ લયમાં સ્વામી વિવેકાનંદ કહે છે,
“ પોતાનામાં અને પરમાત્મામાં શ્રધ્ધા એ જ મહાશક્તિનું રહસ્ય છે”

આવી શ્રધ્ધાની શક્તિને આપણે વારંવાર યાદ કરીએ છીએ. જલન માતરી લખે છે,

“જરા સરખો પરદો હટાવી તો જો
ખુદા છે કે નહિ હાંક મારી તો જો”

ખુદા- ઈશ્વરને હાંક મારવાની ક્રિયા એ જ મંદિરો, મસ્જીતો, ચર્ચો અને ગુરુદ્વારોનું સર્જન કર્યું છે. જેમાં માનવી પોતાની ઈચ્છાઓ,કામનાઓ અને જરૂરીયાતો માટે ખુદાને દુઆ કરે છે, હાંક મારે છે. પણ આમ ઇન્સાનની દુઓં કરવાના સંજોગો સ્વાર્થ પર નિર્ભર છે.

સુખમે સુમિરન સબ કરે, દુ:ખમે કરે ન કોઈ
જો સુખમે સુમિરન કરે,ફીર કાહે દુ:ખ હોઈ”

ઇન્સાનની દુ:ખમાં ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા ધારદાર બની જાય છે. જયારે સુખમાંએ જ શ્રધ્ધા પર ધૂળના પડ જામી જાય છે. આવી અધકચરી શ્રધ્ધાની જ ભગવાન –ખુદા કસોટી કરે છે.
એક સૂફીસંત પાસે લોકો દોડી આવ્યા. અને વિનંતી કરતા કહ્યું,
“ચોમાસું બેસી ગયું, છતાં હજુ વરસાદ નથી આવ્યો. આપ ખુદાને દુઆ કરો કે વરસાદ આવે”
“સારું તમે બધા સાંજે ગામના પાદરે આવો. આપણે સૌ એક સાથે પ્રાથના કરીશું”
સાંજે આખું ગામ પાદરે ભેગું થયું. એક માત્ર સૂફીસંત હાથમાં છત્રી લઈ આવ્યા હતાં.સૌના હાથ ખાલી જોઈ તે બોલી ઉઠ્યા,
“તમે વરસાદ માટે દુઆ (પ્રાર્થના) કરવા આવ્યા છો અને સાથે છત્રી નથી લાવ્યા ! તમને તમારી દુઆમાં જ શ્રધ્ધા નથી, પછી ખુદા તે કયાથી સાંભળશે ?

આવી અધકચરી શ્રધ્ધા કસોટીને પાત્ર છે. જો કે ખુદાની આવી કસોટીનું સ્વરૂપ વ્યક્તિ દીઠ ભિન્ન હોઈ છે. જ્યાં નાણાની રેલમછેલ છે, ત્યાં ઈશ્વર માનસિક શારીરિક વ્યથાઓના પોટલા ખડકી દે છે. અને જ્યાં માનસિક શારીરિક તંદુરસ્તી આપે છે ત્યાં નાણાની ભીડ આપી દે છે. જો કે શ્રધ્ધાની આ કસોટીમાંથી પાર ઉતરવાનો માર્ગ પણ ઈશ્વરે જ ચીધ્યો છે. અને તે છે સંતોષ. ઇસ્લામમાં તેને શુક્ર કહે છે. હરિવંશરાય બચ્ચને બે જ લીટીમાં સંતોષની વ્યાખ્યા કરી છે,

“મનકા હો તો અચ્છા
ના હોતો જ્યાદા અચ્છા”

ઈશ્વેર પાસે અત્યંત શ્રધ્ધાથી હાથ ઊંચા કરી માંગનાર ઇન્સાન ઈશ્વર પાસે જયારે દુરાગાહી બને છે, ત્યારે ઈશ્વર તેની કસોટીની માત્ર વધારે છે. કારણકે માગણીની તીવ્રતા ખુદાની નિકટતાનું પ્રતિક છે. ખુદા-ઈશ્વર તેના પ્યારા બંદાઓની વધુ કસોટી લે છે. પણ ઈશ્વરને તેના સંતોષી બંદા વધારે પસંદ છે. કારણકે તેઓ માને છે કે મારી ઈચ્છા મુજબનું થાય તો સારું અને ન થાય તો પણ વધુ સારુ. કારણ કે મારી ઈચ્છા મુજબનું નહિ થવા પાછળનું મૂળ કારણ ખુદા-ઈશ્વરની ઈચ્છા મુજબ થવું છે.

શ્રધ્ધાની આવી પરિભાષા આમ ઇન્સાન માટે પામવી મુશ્કેલ છે. પણ જો એકવાર પામી લઈશું તો જરૂર આપણે સૌ સુખના સમુદ્રમાં મહાલતા થઈ જઈશું.

——————————————————————————–

Leave a comment

Filed under Uncategorized

કેટલાક ફતવાઓની ભીતરમાં : ડૉ.મહેબૂબ દેસાઈ

હાલ ઇસ્લામિક ફતવાઓની ચારેકોર ચર્ચા થઈ રહી છે. ઇસ્લામમાં મુસ્લિમ સ્ત્રીઓ નોકરી ન કરી શકે. સ્ત્રીઓની આવક સ્વીકારવી હરામ છે. વીમો લેવો ઇસ્લામિક કાનુન પ્રમાણે અયોગ્ય છે. ઇસ્લામના અનુયાયીઓ પોતાનો જન્મ દિવસ ઉજવી ન શકે. આવા ફતવાઓ આજે મુસ્લિમ અને ગેરમુસ્લિમ બુદ્ધીજીવીઓમા ચર્ચાનો વિષય બન્યા છે. ફતવો ઉર્દૂ ભાષાનો શબ્દ છે. જેનો અર્થ થાય છે ધાર્મિક આદેશ કે હુકમ. ફતવાનો મૂળભૂત ઉદેશ ઇસ્લામના અનુયાયીઓને ઇસ્લામિક નીતિ નિયમો અન્વયે ઉત્પન થતી ગેરસમજોનું નિરાકરણ કરવાનો છે. કોઈપણ ફતવો સમાજ કે વ્યક્તિના વિકાસ કે સ્વાતંત્રને રૂંધવા માટે નથી આપવામા આવતો. ઇસ્લામના નિયમો પણ તેના અનુયાયીઓની સમસ્યાનું નિરાકરણ કરવામાં અને ઇસ્લામને સરલ માનવધર્મ બનાવવા પર વિશેષ ભાર મુકે છે. ઇસ્લામમાં પાંચ સમયની નમાઝ ફરજીયાત પઢવાનો આદેશ છે. આમ છતાં તેમાં પણ માનવીય અભિગમનો ઇસ્લામે સ્વીકાર કર્યો છે.માંદગી અને પ્રવાસમાં નમાઝમાંથી મુક્તિ આપવાનો ઇસ્લામે સ્વીકાર કર્યો છે. આવા માનવીય અભિગમના માલિક ઇસ્લામમાં ઉપર મુજબના ફતવો સાચ્ચે જ નવાઈ પમાડે છે. વળી, ઉપરના કેટલાક ફતવા તો ઇસ્લામિક હદીસોની અવગણના કરતા લાગે છે. હઝરત મોહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ જેમની સાથે પ્રથમ નિકાહ કર્યા, તે હઝરત ખદીજા મક્કાના મોટા વેપારી હતા. તેમના પિતા ખુવેલિદ હાસદ મક્કાના શાહ સોદાગર હતાં. તેમને પુત્ર ન હતો. માત્ર એક પુત્રી ખદીજા જ હતા. એ સમયે પિતા ખુવેલિદ હાસદનો વેપાર સીરીયા,ઈરાક અને અરબસ્તાનમાં પ્રસરેલો હતો. હઝરત ખદીજાએ પિતાનો વેપાર બખૂબી સંભાળી લીધો અને તેમાં ખુબ સફળ રહ્યા. સાડા બારસો વર્ષો પૂર્વે ઇબ્ને હિશામનીએ લખેલ મોહંમદ સાહેબના વિશદ જીવનચરિત્રમાં હઝરત ખદીજાના એ પાસાને વર્ણવતા લખવામાં આવ્યું છે,
“ખદીજા બિન્તે ખુવેલીદ મક્કાના એક વખણાયેલા શરીફઝાદી હતાં. ઊંચા કુળના એક સંસ્કારી અને સુશીલ ખાતુન હતા. મક્કાના મોટા માલદાર અને વેપારી ખાતુન તરીકે દૂર દૂર સુધી એમની કીર્તિ પ્રસરેલી હતી.તેઓ લોકોને પોતાનો માલ આપી તેમને વેપારમાં લગાડી દેતા. અને લોકો સાથે વેપારમાં ભાગીદારી પણ કરી લેતા.”
આ ઘટના એ બાબત તરફ નિર્દેશ કરે છે કે ઇસ્લામના પ્રથમ દરજ્જાના સ્ત્રી અને સમગ્ર મુસ્લિમ ઉન્મતની માં ગણાતા હઝરત ખદીજા મોટા વેપારી હતાં.તેમનો વેપાર દેશવિદેશમાં પ્રસરેલો હતો. આમ છતાં અત્યંત માન અને મર્યાદામા રહીને તેમણે પોતાનો વેપાર વિકસાવ્યો હતો. નોકરી તો માત્ર એક કાર્યાલય કે મર્યાદિત માનવ સમૂહ સુધી સીમિત હોય છે. જયારે વેપાર અનેક પ્રકારના માનવીઓ સાથેના વેપારીક સંબંધો પર આધરિત હોઈ છે. આમ છતાં હઝરત ખાદીજાએ એક મોટા વેપારી તરીકેની પોતાની ભૂમિકા બખૂબી નિભાવી હતી. મુસ્લિમ સ્ત્રીઓ માટે સ્ત્રી સ્વાતંત્ર અને સ્ત્રી વિકાસની આથી કઈ મોટી મિશાલ હોઈ શકે ?
એ જ રીતે કોઈ પણ મુસ્લિમ પોતાનો જન્મ દિવસ ઉજવી ન શકે. એવો ફતવો જયારે અખબારમાં વાચ્યો ત્યારે વર્ષોથી સમગ્ર વિશ્વના મુસ્લીમો દ્વારા ઉજવાતી ઈદ-એ-મિલાદની યાદ મારી સ્મૃતિમા તાજી થઈ ગઈ. ઈદ-એ-મિલાદ એટલે જન્મદિવસની ખુશી. હઝરત મોહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબના જન્મ દિવસની ઉજવણીને ઈદ-એ-મિલાદ કહે છે. ઈદ-એ-મીલાદને મોલુદ શરીફ કે બારાવફાત પણ કહે છે. અલબત મોહંમદ સાહેબના અવસાનના પાંચસો વર્ષ પછી આ પ્રથા આરંભાઈ હતી. ઈ.સ. ૧૨૦૭મા સૌથી પ્રથમવાર મોહંમદ સાહેબનો જન્મ દિવસ મોટા પાયા પર ઈરાકના અરબલ્લ નગરમાં ઉજવાયો હતો. પણ એ પૂર્વે હઝરત મોહંમદ સાહેબે પોતાના નવાસા હઝરત હુસેનના જન્મ દિનની ઉજવણી નિમિતે એક ઉંટની કુરબાની કર્યાનો પ્રસંગ હ્દીસોમાં નોંધ્યો છે. ત્યારે એક સહાબીએ કહ્યું હતું,
“ હુઝુરેપાક ,એક ઉંટની કુરબાનીથી બધાના ભોજનની વ્યવસ્થા કેવી રીતે થશે ?”
આપે ફરમાવ્યું ,
“ખુદા કરશે તો કોઈ ભૂખ્યું નહિ રહે”
અને માત્ર એક ઉંટના ભોજનમા અનેક સહાબીઓએ પેટ ભરીને ભોજન કર્યું અને છતાં ભોજન ખૂટ્યું ન હતું.
હદીસની આવી ઘટનાઓ ઉપરોક્ત ફ્તવાઓ સંદર્ભે આમ મુસ્લિમ સમાજમાં અનેક પ્રશ્નો સર્જે છે. કાશ આપણા આલિમો ફતવા સાથે કુરાન-એ-શરીફના સંદર્ભો, મોહંમદ સાહેબના જીવન દ્રષ્ટાંતો અને હદીસના આધારો આપવાનો આગ્રહ રાખશે તો આમ મુસ્લિમ પ્રજા ફતવાનો સાચો ઉદેશ પામી શકશે.

Leave a comment

Filed under Uncategorized

સૂફી વિચારના મૂળ : ડો.મહેબૂબ દેસાઈ

સૂફી વિચાર પ્રેમનો માર્ગ છે. જ્યાં પ્રેમ એ જ મજહબ છે, ઈબાદત છે. “ફરહંગે આનદરાજ”નામક ફારસી શબ્દકોશમાં સૂફીની વ્યાખ્યા આપતા લખ્યું છે,
“પોતાના દિલને શૈતાનીક માર્ગોથી દૂર રાખી પયગમ્બરે ચિંધેલા માર્ગે અલ્લાહની ઈબાદત (ઉપાસના) અને રીયાઝ(તપશ્ચર્યા) કરે અને અલ્લાહના દરેક બંદાને પ્રેમ કરે તે સૂફી છે”

એ નાતે હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)દુનિયાના સુફીઓના આદર્શ હતાં. તેમના જીવનકવનમાંથી સમગ્ર દુનિયાના સૂફીઓએ સુફી વિચારનો અર્ક મેળવ્યો છે. સાદગી, ત્યાગ, ઈબાદત, મૃદુતા,નમ્રતા, નિરાભિમાન અને ખુદાનો ખોફ તેમના જીવન આદર્શ હતાં. જો કે ઇસ્લામના મોટાભાગના પયગમ્બરોના જીવનમાં જાણ્યે અજાણ્યે સૂફી વિચાર કેન્દ્રમાં હતો. કુરાન-એ-શરીફમાં કુલ ૨૮ પયગમ્બરનો ઉલ્લેખ છે. જેમાના મુખ્ય છ પયગમ્બરો હઝરત આદમ, હઝરત નૂહ, હઝરત ઈબ્રાહીમ, હઝરત મુસા, હઝરત ઈશા અને હઝરત મોહંમદ (સ.અ.વ.) સૂફી આચારમાં સંપૂર્ણ રીતે રંગાયેલા હતાં. અને એટલે જ કહેવાય છે,
“હઝરત આદમના સમયમાં તસવ્વુફનું બીજારોપણ થયું. હઝરત નુંહના સમયમાંએ બીજ અંકુર બન્યું. હઝરત ઈબ્રાહિમના સમયમાં તે ક્લી બની. અને હઝરત મોહંમદ(સ.અ.વ.)ના સમયમાં તેની સુગંધ પ્રસરી”

મદીનામાં મસ્જિત-એ-નબવીના સર્જન પછી સૌ પ્રથમ સૂફાખંડનું સર્જન કરવાની સલાહ ખુદ મહંમદ સાહેબે જ આપી હતી. ત્યારે એક સહાબીએ પૂછ્યું હતું,
“સૂફાખંડ શા માટે બનાવવો છે?’
મહંમદ સાહેબે તેનો જવાબ વાળતા ફરમાવ્યું હતું,
“ મસ્જિત-એ-નબવીમાં ખુદાના બંદાઓ ખુદાની ઈબાદત કરશે અને સૂફાખંડમાં તેઓ ખુદાની પ્રાપ્તિના માર્ગોની ચર્ચા કરશે.”

કેટલાક વિદ્વાનો માને છે કે સૂફી વિચારના મૂળ તો છેક કુરાન-એ-શરીફ અને હદીસમાં પડ્યા છે.
તેઓ સ્પષ્ટ કહે છે કે “કુરાને શરીફ અલ્લાહ સુધી પહોચવાનું પ્રથમ સાધન છે.” કુરાને શરીફ ની અનેક આયાતો સૂફી વિચારોને ઉત્તેજન આપે છે. જેમકે, “ ઇન્સાનમાં અમે અમારો આત્મા (રૂહ) મુક્યો છે.”
“ તું કોઈ પણ બાજુ નજર કરીશ ત્યાં અલ્લાહ છે.” “અલ્લાહ તેના બંદાની નજીક છે.”
“અલ્લાહ તેના બંદાની ગળાની નસ કરતા પણ વધુ નજીક” “પવિત્ર પુરુષો અલ્લાહ ચાહે છે,અને અલ્લાહ તેમને ચાહે છે” “અધર્મીઓને મારી નાખનાર તું ન હતો.પરંતુ અલ્લાહે તેમને મારી નાખ્યા”

કુરાન-એ-શરીફમાં અનેકવાર કહેવામાં આવ્યું છે, “અલ્લાહને વારંવાર યાદ કરો” એ આદેશને સૂફીઓ ઝિક્રના અર્થમાં સ્વીકારે છે. “અલ્લાહ સિવાય ધરતી ઉપરની દરેક વસ્તુ નાશવંત છે” કુરાન-એ-શરીફના આ ઉપદેશને સૂફીઓ ‘ફના’ ના સિધ્ધાંત તરીકે સ્વીકારે છે.
“અલ્લાહ ઇન્સાનને સાધન બનાવીને તેની મારફત પોતાનું કાર્ય કરાવે છે”
“દુનિયામાં જે કઈ છે તે અલ્લાહનું જ સર્જન છે”

કુરાન-એ-શરીફની આવી આયાતોમાં સૂફીઓ રહસ્યવાદના બીજ જોવે છે. આ ઉપરાંત
કુરાન-એ-શરીફમાં દોઝક(નર્ક)નું વર્ણન પણ સૂફી વિચારનું મૂળ કારણ માનવામાં આવે છે.
કુરાન-એ-શરીફમાં દોઝાકનું વર્ણન આપતા કહ્યું છે,
“જે લોકો અમારી આયાતો પર ઈમાન (વિશ્વાસ) લાવ્યા નથી, તેમને દોઝાકનો સ્વાદ ચાખવો પડશે.દોઝાકની આગ તેમની ચામડીને બાળી નાખશે. ત્યારે અમે (ખુદા)નવી ચામડી આપી તેમને પુનઃ બાળશું. એ વેદના અસહ્ય હશે”

આ ઉપરાંત કુરાન-એ-શરીફમાં “તોબા”નો મહિમા અદભૂત રીતે વ્યક્ત થયો છે.તોબા એટલે પ્રાયશ્ચિત.
તોબા (પ્રાયશ્ચિત) ખુદાને અનહદ પસંદ છે. તોબા કરનાર બંદાને ખુદા ચાહે છે.તોબની આવી મહત્તાને કારણે જ ખુદાના નજીકના બંદાઓનું દિલ દુનિયાથી વિરક્ત થઈ ગયું અને તેમણે “તસવ્વુફ”નો માર્ગ પસંદ કર્યો. આમ હઝરત મુહંમદ સાહેબ (સ.અ.વ.)એ ઇસ્લામની જાહેરાત કરી એ પછી ત્રીસ વર્ષમાં અરબસ્તાન અને સિરિયામા આવા વિચારોને માનનાર ઝાહીદો (પવિત્ર સંત પુરુષો)ની સંખ્યા મોટા પ્રમાણમાં વિકસી હતી. તેમણે ‘તસ્વ્વુંફ’ના સિદ્ધાંતને આચારમાં મુક્યો હતો. પણ એ સમયે “સૂફી” શબ્દ ચલણમા ન હતો. મોલાના જામી કહે છે,

“હિજરી બીજી સદીના અંતમાં એટલેકે ઈ.સ.૮૧૫-૧૬ની આસપાસ ‘સૂફી’ શબ્દ પ્રચલિત થઈ ગયો હતો”

હઝરત મુહંમદ પયગમ્બર સાહેબ, ઇસ્લામના ચાર ખલીફા અને સહાબીઓના જીવન કવનમાંથી પણ સૂફી વિચારધારાનો પિંડ બંધાતો ગયો. ખલીફા ઉમર ઊનનો ચોગો પહેરતા. હઝરત અલી ઇસ્લામના ચોથા ખલીફા હતા. વળી, તેઓ મહંમદ સાહેબના જમાઈ હતાં.સૂફી વિચારના તેઓ હિમાયતી હતા.અને એટલે જ તસવ્વુફનો કોઈ પણ આશક હઝરત અલી અને હઝરત હુસેનનું નામ આજે પણ ઈજ્જતથી લે છે. એ જ રીતે કેટલાક સહાબીઓ મસ્જીતે નબવીના સૂફાખંડમાં જ ખુદાની ઇબાદતમાં રત રહેતા.તેમની ઈબાદત આમ મુસ્લિમોથી ભિન્ન હતી. તેઓ સદવર્તન,નિખાલસતા,પ્રેમ,ત્યાગ અને ખુદાના ડર સાથે કુરાને શરીફનું પઠન કરતા.ધણીવાર તેઓ મઝહબની ચર્ચામા કલાકો સુધી લીન રહેતા. આવ ઝાહીદો (પવિત્ર સંત પુરુષો) મહંમદ સાહેબને પ્રિય હતાં હઝરત ઉવેશ કરની તેમાના એક હતા. ઓહદના યુધ્ધમાં મહંમદ સાહેબ (સ.અ.વ.)ના બે દાંત તૂટી ગયાના સમાચાર સંભાળી હઝરત ઉવેશે પણ પોતાના બે દાંત તોડી નાખ્યા. મહંમદ સાહેબ પણ તેમને ખુબ ચાહતા.અને એટલે જ મહંમદ સાહેબે હઝરત ઉમર અને હઝરત અલીને કહ્યું હતું, “મારી વફાત (અવસાન) પાછી મારો મુરક્કો (વૈરાગ્ય વસ્ત્ર) હઝરત ઉવેશને આપજો”

આમ સૂફી વિચારના મૂળમાં ઇસ્લામનો ધર્મ ગ્રન્થ કુરાને-એ-શરીફ, પયગમ્બર મહંમદ સાહેબ અને ઇસ્લામના ખલીફાઓના આદર્શ જીવન પડેલા જોવા મળે છે.

Leave a comment

Filed under Uncategorized