Monthly Archives: August 2012

“Gandhiji : Aek Rashtriya Sevak” Edited by Prof. Mehboob Desai

“Gandhiji : Aek Rashtriy Sevak
Collection of Research Articales Presented at National Seminar, Palitana (Dist.Bhavnagar) Organized by Department of History and Gandhian Studies Center, M.K.Bhavnagar University on 9.10 March 2011.

Leave a comment

August 9, 2012 · 3:15 AM

ઈદ મુબારક : ડો. મહેબૂબ દેસાઈ

આજથી ૧૩૮૮ વર્ષ પહેલા ઇસ્લામના અનુયાયીઓએ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. હિજરી સન બીજી ઇ.સ. ૬૨૩ના રમઝાન માસથી ખુદાએ રોઝાને ફર્જ (ફરજિયાત) કર્યા. આ જ રમઝાન માસ પૂરો થવાના બે દિવસની વાર હતી ત્યારે હજરત મહંમદ પયગંબર (સ.અ.વ.)ને ખુદાએ ઇદ-ઉલ-ફિત્રની નમાજ અને સદકા-એ-ફિત્ર માટે એક આયાત દ્વારા આદેશ આપ્યો. એ આયાત (શ્લોક)માં ખુદાએ મહંમદ સાહેબ (સ.અ.વ.)ને ફરમાવ્યું હતું.

બેશક એ વ્યકિત સફળ થયો, જેણે બુરાઈઓથી પોતાની જાતને પાકસાફ કરી, ખુદાનું નામ લઈ નમાઝ અદા કરી.’

હજરત અબુલ આલિયહ અને હજરત ઉમર બિન અબ્દુલ અઝીઝ આ આયાતનું અર્થઘટન કરતા કહ્યું, ‘સફળ થયો એ વ્યકિત કે જેણે સદકા-એ-ફિત્ર અદા કરી અને ઇદ-ઉલ-ફિત્ર ની નમાઝ પઢી.’

આમ, ઇસ્લામમાં ઈદ-ઉલ-ફિત્રનો પ્રારંભ થયો. ‘ઈદ’ શબ્દ મૂળ ‘અબદ’ પરથી આવ્યો છે. ‘અબદ’ એટલે પુનરાવર્તન. દરસાલ પાછી ફરતી ખુશી એટલે ઈદ. અને ફિત્ર એટલે દાન. ઇદના દિવસે સદકા-એ-ફિત્ર દરેક મુસ્લિમ માટે વાજિબ છે. ઇદની નમાઝ પહેલા દરેક મુસ્લિમે સદકા-એ-ફિત્ર અદા કરવો જોઈએ. સદકા-એ-ફિત્રમા વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં અથવા તેની રોકડમાં કિંમત ગરીબોને આપવાનો હુકમ સરીયતમાં છે. આજના સમયમા મોટે ભાગે મુસ્લિમો રોકડમાં સદકા-એ-ફિત્ર આપવાનું પસંદ કરે છે. જેથી ગરીબ માનવી તે પૈસામાંથી પોતાની જીવન જરૂરિયાતની વસ્તી ખરીદી શકે.

ઇદનો ચાંદ દેખાય તેની સાથે જ ઈદ-ઉલ-ફિત્રની રાત્રીનો આરંભ થઈ જાય છે. આ મુબારક રાત્રીને “લૈલતુલ જાઈઝા” કહે છે. અર્થાત ઇનામ અને ઇકરામ મેળવવાની રાત્રી. એક હદીસમાં લખ્યું છે,

“જે કોઈ આ રાત્રીએ ઈબાદત માટે જાગરણ કરશે, તેના માટે જન્નત વાજિબ થશે” 

ઇદની રાત્રી જેમ જ ઇદના દિવસનું પણ ખુબનું મહત્વ છે. સૌ મુસ્લિમો સમગ્ર રમઝાન માસ દરમિયાન રોઝા (ઉપવાસ) અને ઇબાદત (ભકિત) દ્વારા ઇસ્લામના માનવીય સિદ્ધાંતોને અનુસરવા સંનિષ્ઠ પ્રયાસ કરે છે. એ તપસ્યાનું પુણ્ય મેળવવાની ખુશી પણ ઇદની ખુશી સાથે જોડાયેલી છે. એ દિવસે અલ્લાહ ગર્વથી તેમના ફરીશ્તાઓને કહે છે,

“મારા બંદાઓએ મારા માટે સમગ્ર રમઝાન માસ દરમિયાન અન્ન, જળ અને વાસનાઓનો ત્યાગ કર્યો છે.”

અને એટલે જ ઇદના દિવસે ખુદા તેના પાબંદ બંદોઓ પર બે રીતે રહેમત ઉતારે છે.

૧. સમગ્ર રમઝાન માસમા કરેલ સખ્ત ઈબાદતનું ફળ ખુદા ઇદને દિવસે તેના બંદાઓને આપે છે.

૨. ઇદના દિવસે ખુદા તેના પાબંદ બંદાઓની દરેક દુવા કબુલ ફરમાવે છે.

આમ ઈદ એ પવિત્ર આધ્યાત્મિક ખુશીનો તહેવાર છે. અને એટલે જ તેની ઉજવણી સમયે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

૧.ઇદના દિવસે વહેલા ઉઠી જાવ. ૨. મિસ્વાક એટલે દાતણ કરો, ગુસલ અર્થાત સ્નાન કરો ૩.પોતાની પાસે ઉપલબ્ધ હોય તેમાંથી સ્વચ્છ અને સારા કપડા પહેરો ૪. અત્તર લગાડો. બજારમાં મળતા આલ્કોહોલ વાળા પરફ્યુમ કે સેન્ટનો ઉપયોગ ન કરો. ૫. ઈદની નમાઝ પઢવા ઈદગાહ કે મસ્જિતે સમયસર પહોંચી જાવ ૭. શક્ય હોય ત્યાં સુધી ઈદગાહ કે મસ્જીતે પગપાળા જાવ. ૮.નમાઝ પઢવા  જતા પૂર્વે ઉપર જણાવ્યા મુજબ સદકા-એ-ફિત્ર અદા કરો ૯. ઈદની નમાઝ પૂર્વે કોઈ મીઠી વસ્તુ ખાવ. ૧૦. મસ્જિત કે ઈદગાહ પર નમાઝ અદા કરવા જાવ તે જ રસ્તે પાછા ન ફરો. બીજા રસ્તે ઘરે પાછા જાવ.

ઈદના દિવસે દરેક મુસ્લિમને ત્યાં ખીર બને છે. ખીર એ પવિત્ર ભોજન છે. દૂધ, ખાંડ, સેવ અને સૂકો મેવો નાંખી બનાવવામાં આવતી આ વાનગી જીવનમાં પુન: મીઠાશ પ્રસરાવવાનો સંદેશ આપે છે. ઇદની નમાઝ સમાનતાના સંદેશ છે. નાના-મોટા, ગરીબ-અમીર સૌ એકજ સફ અર્થાત કતારમાં ઉભા રહી ઈદની નમાઝ પઢે છે. નમાઝ પછી મુસાફો (હસ્તધૂનન) કે એકબીજાને ભેટીને, ગળે મળીને વીતેલા વર્ષમાં સંબંધોમાં વ્યાપેલ કડવાશ ભૂલી જઈ, મનને સ્વરછ કરી, પુન: પ્રેમ, મહોબ્બત અને લાગણીના સંબંધોનો આરંભ કરવામાં આવે છે. કોઈ પણ મુસ્લિમ કે ગેરમુસ્લિમ મન, હૃદય સ્વચ્છ કરી મુસ્લિમ બિરાદરને ત્યાં ‘ઈદ મુબારક’ કરવા આવે છે ત્યારે તેને ઉમળકાતી આવકારવમા આવે છે. પછી બંને એકબીજાના ગળે મળે છે. અને ખીરની મીઠાશથી સંબંધોની કડવાશને દૂર કરે છે. આમ બંનેના હૃદય પુન: શુદ્ધ-નિર્મળ બને  છે.

આમ ‘ઈદ’  એકબીજાની ભૂલોને માફ કરવાનો,પ્રાયશ્ચિત કરવાનો દિવસ પણ છે. હઝરત કાબા બિન માલિકે પોતાની ભૂલોની ખુદા પાસે આવીને ક્ષમા માંગી હતી અને ખુદાએ તેમની તમામ ભૂલો માફ કરી દીધી હતી. ત્યારે સૌ તેમને મુબારકબાદ આપવા ગયા. સૌથી છેલ્લે મહંમદસાહેબ (સ.અ.વ.)તેમને મુબારકબાદ આપવા ગયા ત્યારે આપે ફરમાવ્યું હતું,

કાબા, તમારી જિંદગીનો ઇદ સમો આ દિવસ છે. આ ખુશીમાં મને પણ સામેલ કરો અને મારી પણ મુબારકબાદ સ્વીકારો.’

આવી પ્રાયિશ્ચતની ક્રિયાઓ જ ઇદને સામાજિક ઉત્સવ બનાવે છે અને એટલે જ ઈદ એ આપણા સંબંધો પર ચડી ગયેલી ધૂળને ખંખેરવાનું પર્વ પણ છે. એક વાર હજરત મહંમદ પયગંબર (સ.અ.વ.)ને કોઈકે પૂછ્યું, ‘ઇદના દિવસે શું જરૂરી છે?’ મહંમદસાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું. ‘ઈદના દિવસે ખુલ્લા દિલથી ખુશીનો એજહાર (અભિવ્યકિત) કરો. મનની કડવાશથી મુકત થાવ. ખાઓ-પીઓ અને ખુશીની આપ-લે કરો. ખુશીને માણો અને ખુદાને યાદ કરતા રહો.’

 ચાલો, આપણે સૌ ઈદની ઉજવણી તેના સાચા ઉદેશને છાજે તેમ કરીએ. એ દુવા સાથે સૌ હુંદુ-મુસ્લિમ વાચકોને મારા આકાશ ભરીને ઇદ મુબારક. 

1 Comment

Filed under Uncategorized

My new book on Tourism in Gujarati

My new book on Tourism in Gujarati

Prvasan : Sidhdhant ane Vyvhar
Publisher, Gurajar Grnth Ratan Kariyalay, Amdavad

Leave a comment

August 6, 2012 · 8:14 AM

હઝરત અલી (ર.અ.) : ડૉ. મહેબૂબ દેસાઈ

રમઝાન માસ માત્ર આસમાની કિતાબોના અવતરણ, ઈબાદત અને રોઝા,મહંમદ સાહેબ (સ.અ.વ.)પર  વહી(ખુદાનો સંદેશ)ઉતરવાનો આરંભ ઉપરાંત હઝરત અલી (અ.સ.)ના અવસાન માટે પણ જાણીતો છે. અબુ તાલિબ અને ફાતિમા બિન્તે અસદના પુત્ર અલી ઇબ્ને અબુ તાલિબનો જન્મ ૧૩ રજ્જબ હિજરી સન ૨૪, ઓક્ટોબર ૨૩ ઈ.સ.૫૯૮મા કાબામા થયો હતો. ઇસ્લામી ઇતિહાસમાં અલી ઇબ્ને અબુ તાલિબ તેમની બહાદુરી, જ્ઞાન, ઈમાનદારી, ત્યાગ. ઈમાન, અને મહંમદ સાહેબ પ્રત્યેની શ્રધ્ધા અને વફાદારી માટે જાણીતા છે. મહંમદ સાહેબે તેમની વહાલી પુત્રી હઝરત ફાતિમાના નિકાહ તેમની સાથે કર્યા હતા. માત્ર ૧૦ વર્ષની ઉંમરે ઇસ્લામનો અંગીકાર કરનાર તેઓ વિશ્વના સૌ પ્રથમ પુરુષ હતા. આ ઉપરાંત તેઓ ઇસ્લામના અંતિમ અર્થાત ચોથા ખલીફા (ઈ.સ.૬૫૬ થી ૬૬૧) પણ હતા. હઝરત મહંમદ પયગમ્બર સાહેબ તેમના માટે હંમેશા કહેતા,

“અલી મારો બંધુ અને ધર્માધિકારી છે”

હઝરત અલીની હત્યાની માનવીય કથા ઇસ્લામિક ગ્રંથોમાં હદય સ્પર્શી રીતે આલેખવામા આવેલી છે.ખ્વારીજ અબ્દ-અલ-રહેમાન ઇબ્ન મુલજિમ નામનો એક યુવક એક યુવતી સાથે પ્રેમમાં હતો. એ યુવતી બની તમીમ કબીલાની હતી. તેના પિતા,ભાઈ અને નજીકના સ્વજનો હઝરત અલીના સમયમાં થયેલ નહરવાનના યુદ્ધ (ઈ.સ.૬૫૯ ઈરાક)મા મરાયા હતા. તેથી તે હઝરત અલીને નફરત કરતી હતી. પોતાના સ્વજનોના મૌતનો બદલો લેવા માંગતી હતી. એટલે તેણે પોતાના પ્રેમી ઇબ્ન મુલજિમને કહ્યું,

“જો તું મારી સાથે નિકાહ કરવા ઇચ્છતો હોઈ તો, હઝરત અલીનું માથું લાવીને મને આપ”

આમ હઝરત અલીના કત્લની સાઝીશ રચાય. જેમાં બીજી બે વ્યક્તિઓ પણ જોડાઈ. ત્રણેએ પોતાની તલવારોને ઝેરથી તરબતર કરી અને કુફાની એ મસ્જિતમા આવી સંતાયા, જ્યાં હઝરત અલી નિયમિત નમાઝ પઢવા જતા હતા. એ દિવસે હઝરત અલી ફજર (પ્રભાત)ની નમાઝ પઢાવા મસ્જીતના આંગળામાં પ્રવેશ્યા કે તુરત ત્રણે હુમલાખોરોએ હઝરત અલી પર ઘાતકી હુમલો કર્યો. હઝરત અલી ગંભીર રીતે ઘવાયા. આ ઘટનાને કારણે આસપાસના માણસો ભેગા થઈ ગયા. લોકોએ એક હત્યારાને ત્યાં જ મારી નાખ્યો. ઇબ્ન મુલજિમ પકડાયો. તેને ઘાયલ હઝરત અલી સામે લાવવામાં આવ્યો. તેને હુમલો કરવાનું કારણ પૂછવામાં આવ્યું. પણ તેને તેના અપકૃત્યનો જરા પણ અફસોસ ન હતો. તેણે હઝરત અલી સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. હઝરત અલી શાંતચિત્તે તેની વાણીમાં વ્યક્ત થતા ઝેરને સાંભળી રહ્યા. પછી જરા પણ ક્રોધિત થયા વગર પોતાના પુત્ર હઝરત હસનને કહ્યું,

“ઇબ્ન મુલજિમને સુરક્ષિત જગ્યાએ રાખજો. તેના ઉપર કોઈ જુલમ કે સખ્તી ન કરશો. જો મારું અવસાન થાય તો, ઇસ્લામિક કાનુન મુજબ તેની હત્યા કરજો. પણ તેના મૃતક શરીરનું અપમાન ન કરશો. હઝરત મહંમદ પયગમ્બર સાહેબે તેમ કરવાની મનાઈ કરી છે”

અને આમ ૧૭ રમઝાન હિજરી ૪૦, જાન્યુઆરી ૨૫ ઈ.સ.૬૬૧ના રોજ હઝરત અલીનું અવસાન થયું. કરબલાથી લગભગ ત્રીસેક માઈલ દૂર ઈરાકના નજફે અશરફમા તેમની અંતિમ આરામગાહ છે. હઝરત અલી આજે પણ તેમના આદર્શ જીવન અને હિદયાતો-ઉપદેશો દ્વારા આપણી સાથે છે. ચાલો, તેનામાં જીવનમાં ઉતારવા લાયક થોડા સુવચનોને મમળાવીએ.

“જ્યારે દુનિયાનો માલ-દોલત તારી પાસે આવે ત્યારે તું તે તમામ દોલત જરૂરતમંદ લોકોમાં ઉદારતાથી ખર્ચ, કારણ કે દોલત તો ચંચળ છે, અસ્થિર છે. જે આજે તારી પાસે છે કાલે બીજા પાસે હશે”

“ઇન્સાનની સંપતિની વિપુલતા તેના દોષોને ઢાંકી દે છે. તે જુઠો હોવા છતાં તે જે કઈ કહે તે સૌ સાચું માને છે”

“વસ્ત્રોના શણગારથી તારી ખુબસુરતી કે સૌંદર્ય વધવાના નથી. પરંતુ સાચું સૌંદર્ય તો ઇલ્મ (જ્ઞાન) અને ઉચ્ચ અખ્લાસ (સદાચાર) વડે દીપે છે”

“અજ્ઞાનતાને કારણે ઉચ્ચ કુળ અને ખાનદાન માટે અભિમાન કરનાર એ ઇન્સાન, લોકો બધા એક જ માબાપથી જન્મ્યા છે”

“તું ચાહે તેનો પુત્ર બન. પણ ઉચ્ચ અખલાક હાંસલ કર, કારણ કે તે એ વસ્તુ છે જે અપનાવ્યા પછી તને ખાનદાનના નામની જરૂર નહિ રહે”

“જો તું એમ ઈચ્છતો હોઈ કે તારો મિત્ર તારાથી કંટાળી જાય, તો એને રોજ મળતો રહેજે. પરંતુ જો દોસ્તી વધારે મજબુત કરવાની ખ્વાહિશ હોય તો એકાદ દિવસને આંતરે તેને મળતો રહેજે”

 

હઝરત અલી(ર.અ.)ના ઉપદેશાત્મક વિધાનોમાં કડવી સત્યતા અને જીવન માર્ગને સંવારવાની ચાવી ડોકયા કરે છે.

“દુનિયાથી વફાદારીની ઉમ્મીદ રાખનારો એવો છે, જે ઝાંઝવાના જળથી મૃગજળની આશા રાખે છે”

“ફક્ત ઇલ્મ (જ્ઞાન) ધરાવનાર લોકો જ શ્રેષ્ટ છે. કારણ કે હિદાયત લેનારાઓને તેઓ સાચો માર્ગ ચીંધે છે”

“જાહિલ લોકોનો સંગ તું કદાપી ન કરીશ. બલકે હંમેશા તેનાથી દૂર રહેજે, ડરતો રહેજે”

“દરેક જખ્મ (ઘાવ) માટે કોઈને કોઈ ઈલાજ મળી રહે છે. પણ દુરાચાર જેવા જખ્મ માટે કોઈ ઈલાજ નથી”

અત્યંત જ્ઞાની હઝરત અલીને તેમના રાહબર મહંમદ સાહેબ(સ.અ.વ.)એ જીવનની અંતિમ પળોમા ઉપદેશ આપતા ફરમાવ્યું હતું,

“ખુદાના વાસ્તે બાંદીઓ અને ગુલામોના હક્કોનો પુરતો ખ્યાલ રાખજો. એમણે પેટ ભરીને ખાવાનું આપજો.સારા વસ્ત્રો પહેરા આપજો. અને તેમની સાથે હંમેશ નરમી અને સ્નેહપૂર્વક વ્યવહાર કરજો” 

આવા મહંમદ સાહેબ(સ.અ.વ.)ના નિકટના સાથી ઇસ્લામી શાશનના ચોથા ખલીફા યુગપુરુષ હઝરત અલી(ર.અ.)ને તેમની પુણ્ય તીથી નિમિત્તે આપણા સૌના કોટી કોટી વંદન. 

લખ્યા તા.૧૫ જુલાઈ ૨૦૧૨                                           પ્રસિદ્ધિ તા ૨ ઓગસ્ત ૨૦૧

Leave a comment

Filed under Uncategorized

લૈલતુલ કદ્ર : ડૉ. મહેબૂબ દેસાઈ

 

 

 

ઇસ્લામ અને આમ હિંદુ સમાજમાં રમઝાન માસના ૨૭મા રોઝાનું ઘણું મહત્વ છે. એટલે સુધી કે ઇસ્લામને ન માનનાર હિન્દુઓ પણ ૨૭મુ મોટું રોઝુ રાખવમાં ગર્વ અને આસ્થાન અનુભવે છે. પણ તેની પાછળના  ઉદેશથી મોટે ભાગે તેઓ અજાણ હોય છે. રમઝાન માસના ૨૭મા રોઝાની રાતે ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફના અવતરણનો આરંભ થયો હતો. જો કે કુરાને શરીફનું અવતરણ રમઝાન માસની કઈ રાત્રે થયું હતું, તે નિશ્ચિત પણે કહેવું મુશ્કેલ છે. કુરાને શરીફમાં પણ તે અંગે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળતો નથી. અલબત્ત એટલું નિશ્ચિત છે કે એ રાત્રી રમઝાન માસના અંતિમ દિવસોમાં આવે છે. અંતિમ ખંડમા આવે છે. ઇસ્લામના આલિમો, મોલવીઓ અને જ્ઞાનીઓ રમઝાન માસની ૨૭મી રાતને મોટે ભાગે કુરાને શરીફના અવતરણ માટેની રાત ગણે છે.

ઇસ્લામમાં રમઝાન માસના ૨૭મા રોઝાની રાતને લૈલતુલ કદ્ર કહે છે. લૈલતુલકદ્ર મૂળ અરબી ભાષાનો શબ્દ છે. લૈલ એટલે રાત્રી અને કદ્ર એટલે મહત્વની કે સન્માનીય રાત્રી. આ રાત્રી શબે કદ્ર તરીકે પણ ઓળખાય છે. એ એરેબીક ભાષાનો શબ્દ છે. શબ્ એટલે રાત્રી અને કદ્ર અર્થાત સન્માનીય. એ અર્થમા શબે કદ્ર એટેલે પણ સન્માનીય રાત્રી. આ રાત્રે ઇસ્લામના અંતિમ પયગમ્બર મહંમદ સાહેબ (સ.અ.વ.) પર કુરાને શરીફ ઉતરવાનો આરંભ થયો હતો. એ રાત્રે પણ હંમેશના નિયમ મુજબ મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ) મક્કામા આવેલ જબલે-નૂરની ટોચની નીચે ગારે હીરામાં ખુદાની યાદમાં લીન બેઠા હતા.ત્યારે અલ્લાહના ફરિશ્તા હઝરત જિબ્રીલ ત્યાં આવી આપ (સ.અ.વ.)ને કહ્યું, “ઇકરાઅ” અને એ સાથે સૌ પ્રથમ આયાત મહંમદ સાહેબ પર નાઝીલ થઈ. એ સુર: અલકની આયાતમા કહ્યું હતું,

“પઢો-વાંચો પોતાના ખુદાના નામે જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદમાંથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું છે અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો, તે બધી તેને શીખવી છે”

કુરાને શરીફમાં આ આયાત પછી તુરત “સુરતુલકદ્ર”ની આયાત આવે છે જેમાં કુરાને શરીફના અવતરણની રાત્રીની મહત્તા બયાન કરવામા આવી છે. તેમાં ફરમાવ્યું છે,

“અમે આ કુરાનને કદ્રની રાત્રીમાં ઉતાર્યું છે. અને તમે શું જાણો કે કદ્રની રાત શું છે ? કદ્રની રાત હજાર માસ કરતા વધુ બહેતર છે. ફરિશ્તાઓ અને રૂહો તેમાં પોતાના રબની મંજુરીથી દરેક માટે આદેશ લઈને ઉતરે છે. પરોઢના ઉદય સુધી તે રાત્રે દરેક માટે શાંતિ અને સલામતી છે”

એ જ રીતે કુરાને શરીફની  “ઇન્ના અન્ઝલના”સુરતમાં ફરમાવ્યું છે,

 “એ રમઝાન માસનો મહિનો છે, જેમાં કુરાન ઉતારવાનું શરુ થયું. જે માર્ગદર્શક લોકો માટે. જે હિદયાતની રોશન સચ્ચાઈઓ ઘરાવે છે. જે સત્યને અસત્યથી અલગ કરનાર છે. અમે આ કુરાન કદ્રની રાત્રે ઉતાર્યું છે. આપને શું ખબર હે નબી કે શું છે એ કદ્રની રાત”

આ સૂરતોનો ભાવાર્થ જાણવા જેવો છે. સૌ પ્રથમ તો કુરાને શરીફનું અવતરણ રમઝાન માસમાં થયાનું પ્રથમ આયાતમાં સ્પષ્ટ પણે કહેવામા આવ્યું  છે. વળી, કુરાને શરીફ સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક અને  હિદાયત છે.  જે સત્યને અને અસત્યથી અલગ કરી લોકો સમક્ષ મુકે છે. અને એટલેજ આવા મહાન ગ્રંથના અવતરણની રાત્રી અન્ય સામાન્ય રાત્રી જેવી ન હોય શકે. એ વિશિષ્ટ અને આદરણીય છે. મહાન દરજ્જા અને સન્માનની રાત્રી છે. ઈજ્જતવાળી રાત્રી છે. કારણ કે આ રાતે માનવીના ભવિષ્ય અર્થાત તકદીરનો નિર્ણય કરવામા આવે છે. માનવીના કિસ્મતને બનાવવાની આ રાત છે. આ રાતે થયેલું કુરાને શરીફનું ઉતરાણ દુનિયાની તકદીર બદલી નાખનારું છે. અને એટલે જ તે હજારો મહિનાઓથી વધુ સારી રાત્રી છે. માનવીની ભલાઈ માટે હજારો મહિનાઓમાં જે કાર્ય નહોતું થયું, તે આ રાત્રીમા કુરાને શરીફના અવતારના આરંભથી થયું છે. અને એટલે તેનું મહત્વ અનેક ગણું છે. આ રાત્રીમાં ફરિશ્તાઓ અને હઝરત જિબ્રીલ ખુદાની આજ્ઞાથી દરેક માટે હુકમ લઈને આવે છે. તેઓ સાંજથી બીજા દિવસની સવાર સુધી લોકો ઉપર શાંતિ અને સુરક્ષા વરસાવતા રહે છે. તેમાં બુરાઈને કોઈ સ્થાન નથી. કારણ કે અલ્લાહના સર્વ નિર્ણયો માનવજાતની ભલાઈ માટે જ હોય છે.  

શબે કદ્ર અંગે એક હદીસમાં મહંમદ સાહેબે ફર્માયું છે,

“આ રાત્રે ધરતી પર આવતા ફરિશ્તાઓની સંખ્યા રેતીના કણોની સંખ્યા કરતા પણ વધારે હોય છે”

ધરતી પર ઉતારી આવતા આ કરોડો ફરિશ્તાઓ દરેક માનવીને તેની ઈબાદત અને સદ્કાર્યોનો અનેક ગણો બદલો આપે છે. એ રાત શાંતિ અને સલામતીની રાત છે. ખુદના ફરિશ્તા સવાર સુધી લોકો પર શાંતિ , સલામતી અને પુણ્યનો વરસાદ વરસાવતા રહે છે. એમ માનવામાં આવે છે કે આ રાત્રે ખુદા દરેક માનવીનો આવતા વર્ષનો હિસાબ તૈયાર કરે છે. ટૂંકમાં તેના ભાગ્યનો નિર્ણય કરે છે. અને એટલા માટે જ આ આખી રાત મુસ્લિમો નમાઝ, કુરાને શરીફના પઠન અને અન્ય ઇબાદતમાં રત રહે છે. આ રાત્રે મસ્જિતમા ભારે ભીડ હોય છે. પરિણામે કેટલાક મુસ્લિમ બિરાદરો ફર્ઝ અને નીફલ નમાઝો મસ્જિતમા અદા કરી પોતાના ઘરોમાં એકાંતમાં ખુદાની ઇબાદતમાં લાગી જાય છે. એક હદીસમાં ફરમાવ્યું છે,

“જેણે આ રાતે જાગીને ખુદાની ઈબાદત કરી તેના એક વર્ષના ગુનાહ અલ્લાહ માફ કરે છે”

સાચા અર્થમાં જોઈએ તો આ રાત આધ્યાત્મિક જાગૃતિની રાત છે. પોતાના હદયમાં ખુદાને વસાવવાની રાત છે. નાનકડી ઈબાદત કે ભક્તિનો મોટો બદલો લેવાની રાત છે. આ રાત્રી અંગે ઇસ્લામિક ગ્રંથ

“તરગીબ વ તરહીબ” મા લખ્યું છે,

“લૈલતુલ કદ્રની રાતે હઝરત જિબ્રીલ જેની સાથે હાથ મિલાવે છે તે મોમીનનું હદય ગુલાબની પાંખડીઓ જેવું કોમળ બની જાય છે. તેની આંખોમાંથી વહેવાવાળા આંસુઓની સંખ્યા બમણી થઈ જાય છે”

અર્થાત  હઝરત જિબ્રીલ જેના પર પોતાની રહેમત વરસાવે છે તે માનવી ભાવવિભોર બની જાય છે. અને તેનું ભવિષ્ય ઉજ્વળ બની જાય છે.

ટૂંકમાં આ રાતે હદય પૂર્વક ઈબાદત કરનાર માનવી વધુ કોમળ, પ્રેમાળ અને પવિત્ર બની જાય છે. કારણ કે ખુદાના ફરિશ્તાની સતત રહેમત તેના પર વરસતી રહે છે. 

 

 

 

Leave a comment

Filed under Uncategorized