Monthly Archives: August 2023

આત્મહત્યા : ઐતિહાસિકસંદર્ભ : ડૉ. મહેબૂબદેસાઇ*

(Gujarat College, Ahemdabad Organized one day National Seminar on “Suicide : Socio-Scintific Perspective” on 5 August 2023. My lecture on “Suicide : Historical Perspective)

આત્મહત્યાનો ઇતિહાસ માનવ સમાજના અસ્તિત્વ જેટલો જૂનો અને જાણીતો છે. સાર્થ ગુજરાતી શબ્દ કોષમાં આત્મહત્યા માટે આત્મઘાત શબ્દ વપરાયો છે. આત્મઘાત અર્થાત સ્વેચ્છિક મૃત્યુ. અંગ્રેજીમાં આત્મહત્યા માટે Suicide અથવા Self-Murder. શબ્દ વપરાયો છે. જ્યારે ઉર્દુમાં આત્મહત્યા માટે  “ખુદકુશી” શબ્દ વપરાયો  છે. શાયરોએ ખુદકુશી પર ઘણું લખ્યું છે. શાયર કૈફી આઝમી લખે છે,

“રહને કો સદા દહર (દુનિયા) મે આતા નહીં કોઈ

 પર તુમ જૈસે ગયે ઐસે જાતા નહીં કોઈ”

આત્મહત્યાની સરળ શબ્દોમાં ટૂંકી વ્યાખ્યા આપવી હોય તો કહી શકાય કે,

આત્મહત્યા અથવા આપઘાત એટલે કોઈ વ્યક્તિ દ્વારા ઇરાદાપૂર્વક પોતાનો જીવ લેવાની ક્રિયા અથવા સ્વયં અકુદરતી રીતે વહોરેલું મૃત્યુ.

આત્મહત્યા ખુદ એક નીંદનીય અને ધૃણાસ્પદ બાબત છે. પણ તેના સમાચાર અને દ્રશ્યો પણ બાળમાનસ પર કેવી ગંભીર અસર કરે છે તેની એક સત્ય ઘટના સાથે મારે વાત આરંભવી છે.

ત્રીસેક વર્ષો પહેલા મારા દૂરના સબંધીનો બાર વર્ષનો પુત્ર પોતાના મિત્રો સાથે રૂમનો દરવાજો બંધ કરી આત્મહત્યા આત્મહત્યાની રમત રમતો હતો. તે સમયે તેની માતા અન્ય રૂમમાં કામ કરતી હતી. છોકરાએ પોતાના ગાળામાં ફાસો નાખ્યો. અને મિત્રોને હસતાં હસતાં કહેવા લાગ્યો, “જુઓ હવે હું આત્મ હત્યા કરું છું અને તે હસતાં હસતાં લટકી ગયો. તેની સાથે રમતા બાળકો પણ દ્રશ્ય હસતાં હસતાં જોઈ રહ્યા. અચાનક બારી બહાર તેની મમ્મી આવી ચડી અને તે દ્રશ્ય જોઈ હેબતાઈ ગઈ અને બારણું પિટવા લાગી. પણ બાળકો દરવાજો ખોલે પહેલા તો બાર વર્ષનો અહસાન અલ્લાહને પ્યારો થઈ ગયો.

જો આત્મહત્યાના દ્રશ્યો કે સમાચાર બાળમાનસ પર આવી ધાટી અસર કરી શકતા હોય, તો આત્મહત્યા ખુદ માનવ સમાજ પર કેટલી માઠી અસર કરતી હશે.? મુદ્દો સાચ્ચે વિચાર માંગી લે તેવો છે. વળી, આત્મહત્યાના માર્ગો પણ યુગે યુગે  વિકસતા ગયા છે. ગળે ફાસો ખાવાની જૂની રીત સાથે બળી મરવું, ઝેર પીવું, ડૂબી મરવું, ઊંચાઈએથી પડતું મૂકવું, વાહન કે રેલવે નીચે છૂંદાઈ મરવું, બંદૂકની ગોળીથી મરવું. ઇલેક્ટ્રિક વાયર પકડી જીવન ટૂંકાવવું, સાઈનાઇડ જીભ મૂકી મરવું જેવા અનેક માર્ગો આજે તો અમલમાં મુકાય છે. તેના નિયંત્રણ માટે પણ કોઈ યોગ્ય પગલાઓ લેવાવા  જોઈએ.

ઇતિહાસમાં દરેક પ્રકારની આત્મહત્યાને ગુનો ગણવામાં આવેલ છે. આપઘાત કરાવવો અથવા આપઘાત કરવા માટે કોઈને પ્રેરવું તે પણ ભારતમાં IPCની કલમ ૩૦૨ મુજબ ફોજદારી ગુનો ગણવામાં આવે છે. જો કે આત્મહત્યા એક સંકુલ મનોવૈજ્ઞાનિક વર્તનઘટના અને સામાજિક સમસ્યા છે. ઇતિહાસમાં નોંધાયા મુજબ દરેક આત્મહત્યાના ૧૦થી ૧૫ પ્રયત્નોમાંથી એકમાં વ્યક્તિ સફળ રીતે આપઘાત કરે છે. પુરૂષો કરતાં સ્ત્રીઓ આત્મહત્યાના પ્રયાસો વધુ પ્રમાણમાં કરે છે; પરંતુ સ્ત્રીઓ કરતાં પુરુષો આત્મહત્યાના પ્રયાસોમાં વધુ સફળ નીવડે છે એવું અત્યાર સુધીના અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે. અપરિણીત કે છૂટાછેડા લીધેલ, એકલી રહેતી કે વિધવાવિધુર વ્યક્તિઓમાં થતી આત્મહત્યાનું પ્રમાણ પરિણીત અને સંતાનોવાળી વ્યક્તિઓ દ્વારા થતી આત્મહત્યાના પ્રમાણ કરતાં વધારે જોવા મળે છે.  

ઓશો રજનીશએ તેમની આત્મકથામાં લખ્યું છે,

બચપનમાં હું મૃત્યુ પામનાર સૌની અંતિમ યાત્રામાં દોડીને જતો. તેથી મારા માતાપિતા ઘણા ચિંતિત થઈ જતાં. અને કહેતા પણ ખરા કે શા માટે તું તેની પાછળ દોડે છે. આપણે તો તેને  ઓળખતા પણ નથી. ત્યારે હું કહે તો મને તે માનવી સાથે કોઈ સબંધ નથી, મને તો મૃત્ય સુંદર અને રહસ્યમય લાગે છે અને એટ્લે હું તેની પાછળ દોડું છું.

આવું રહસ્યમય મૃત્યુ જ્યારે સવિચ્છિક હોય ત્યારે તો તેનું રહસ્ય વધારે ઘેરું અને આઘાતજનક લાગે છે. સૌ કોઈ તેની પાછળનો ઐતિહાસિક સંદર્ભ જાણવા ઉત્સુક બને છે.

પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ઇતિહાસમાં સ્વેચ્છિક મૃત્યુને અલૌકિક, નિંદનીય અને દુ:ખદ ગણવામાં આવેલ છે. પ્રાચીન રોમન સામ્રાજ્યમાં અનેક મહાન હસ્તીઓ બ્રુટસ, કૈસીયસ, માર્ક એન્થોની અને મિસ્રની રાજકુમારી ક્લિયોપેટ્રા સ્વેચ્છિક મૃત્યુ માટે જાણીતા છે. પ્રાચીન મિસ્ત્રની પ્રસિદ્ધ રાણી ક્લિયોપેટ્રા તેની સુંદરતા માટે દુનિયાભરમાં જાણીતી હતી. તેની સુંદરતા પર દરેક રાજા અને રાજકુમાર મોહિત હતા. તેણે તેની સુંદરતા અને કૂટનીતિથી મિસ્ર પર શાસન કર્યું હતું. પરંતુ માત્ર 38 વર્ષની વયે તેણે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. મહાન અજાકસ જેણે ટ્રોજન યુધ્ધમાં પોતાની જાતની હત્યા કરી હતી. રીતે  લૂકરેટિયા જેની આત્મ હત્યાએ . . પૂર્વે 510 માં રોમન સામ્રાજ્યને રોમન ગણ રાજ્યથી મુકત કર્યું હતું. . પૂર્વે 434ની આસપાસ આત્મહત્યાથી મરનાર ઐતિહાસિક વ્યક્તિ એમ્પેડોલક્સ હતો. તેની માન્યતા હતી કે મૃત્યુ એક પરિવર્તન છે. અને તેના વિચારે તેને આત્માહત્યા કરવા પ્રેરિયો હતો. તેણે પોતાની જાતને સીસીલીના ધગધગતા જવાળામુખી માઉન્ટ એટનામાં હોમીને આત્મહત્યા કરી હતી. પ્રાચીન યુનાની વિચારક પાયથાગોરસ આત્મહત્યાની વિરુધ્ધ હતો. તેના ગણિતજ્ઞ વિચાર મુજબ દુનિયાના સંચાલન માટે નિશ્ચિત આત્માઓની જરૂર છે. અને કોઈની અચાનક આત્મહત્યાથી દુનિયાના સંચાલનમાં અસ્થિરતા પ્રવર્તે છે. રોમન વિચારક અરસ્તુએ પણ આત્મહત્યાનો વિરોધ કર્યો છે. રોમમાં આત્મહત્યા કાનૂની દ્રષ્ટિએ અપરાધ હતો. પણ આત્મહત્યાને રોમન વિચારકો ત્રણ બાબતોમાં પ્રતિબંધિત કરેલ છે. 1. આર્થિક અપરાધોના આરોપીઓ, 2 સૈનિકો અને 3 ગુલામોની આત્માહત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કારણ કે તેમની આત્મહત્યા સમાજ માટે નુકસાનકારક હતી.

19મી શતાબ્દી સુધી આત્મહત્યાના કૃત્યને પાપ કરતાં પાગલપણ તરીકે ઓળખવામાં આવતું હતું. 1879 સુધી અંગ્રેજ કાયદામાં આત્મહત્યા અને માનવહત્યા વચ્ચે ભેદ સ્પષ્ટ થવા લાગ્યો હતો. પરિણામે આત્મહત્યા કરનારની સંપતિ જપ્ત કરવામાં આવતી હતી. પુનઃજાગરણ દરમિયાન આત્મહત્યા અંગેના વિચારોમાં પરિવર્તન આવવા લાગ્યું હતું. અંગ્રેજ માનવતાવાદી થોમસ મોરે યુટીપીયમાં 1516માં લખ્યું છે,

વ્યક્તિ પોતાને યાતના ભર્યા જીવનથી મુક્ત કરી શકે છે, કારણ કે મુત્યુંથી તે યાતઓથી મુક્તિનો આનંદ મેળવે છે. તે એક અત્યંત પવિત્ર કાર્ય છે.

પરંતુ અન્ય કારણો સર યુગમાં પણ આત્માહત્યાને અપરાધ માનવામાં આવતી  હતી. આત્મહત્યા કરનાર વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવાનો વિરોધ કરવામાં આવતો. અને તેની સજા હતી.

ભારતના ઇતિહાસમાં સ્વેચ્છિક મૃત્યુના અનેક કિસ્સાઓ નોંધાયેલ છે. જેના કેન્દ્રમાં ધાર્મિક, સામાજિક, રાજકીય અને આર્થિક કારણો જોવા મળે છે. પ્રાચીન ભારતીય ગ્રંથોમાં અનેક વીરતાની કથાઓ છે જેમાં પ્રેમ કે વચનના પાલન માટે સ્વેચ્છિક મૃત્યને સહહર્ષ સ્વીકારવાની પરંપરાના જોવા મળે છે. ભારતના મહાન ગ્રંથ રામાયણમાં એક પ્રસંગ નોંધાયેલ છે. ભગવાન રામના અવસાનના સમાચાર સાંભળી અયોધ્યા વાસીઓએ સામૂહિક સ્વેચ્છિક મૃત્યુને સહહર્ષ સ્વીકારાયું હતું. ઘટનામાં ભગવાન રામ પ્રત્યેનો પ્રજાનો અદભૂદ પ્રેમ અભિવ્યક્ત થાય છે. એજ રીતે દધીચિ ઋષિ બ્રહ્માના પુત્ર અર્થવા ઋષિનું સંતાન હતા. તેમનો જન્મ એક મહાન ઉદ્દેશ માટે અને ધર્મના રક્ષણ માટે થયો હતો. દધીચિનું જીવન અને તેમની કર્મનિર્ભયતા વીરતાનો સંદેશ આપે છે. દધીચિએ રાષ્ટ્ર, સમાજ અને ધર્મના હિત માટે હાડકાંનું દાન કર્યું હતું. તેમણે અસુરતાના નાશ માટે અને ધર્મના રક્ષણ માટે સ્વેચ્છિક મૃત્યુ સ્વીકારી પોતાનાં હાડકાં પણ સમર્પિત કરી દીધાં હતાં. તેમનાં હાડકાંમાંથી ત્રણ ધનુષ્ય બન્યાં હતાં. ગાંડીવ, પિનાક અને સારંગ. જેમાંથી ગાંડીવ અર્જુનને મળ્યું હતું. જેના બળે અર્જુન મહાભારતનું યુદ્ધ જીત્યા હતા. ભગવત ગીતામાં સ્વાર્થ અને વ્યક્તિગત કારણોસર થતી આત્મહત્યાની સખત નિંદા કરવામાં આવી છે. ગીતામાં કહ્યું છે,

સ્વાર્થ અને અંગત કારણો સર આત્મહત્યા કરનાર વ્યક્તિનું શ્રાદ્ધ નથી થઈ સકતું

બ્રાહ્મણવાદી દ્રષ્ટિકોણ મુજબ જે લોકો આત્મહત્યાનો પ્રયાસ કરે છે, તેમણે નિર્ધારિત સમય માટે ઉપવાસ કરી પ્રાયશ્ચિત કરવું જોઈએ. ઉપનિષદ પણ આત્મહત્યાની નિંદા કરતાં કહે છે,

જે માનવી આત્મહત્યા કરે છે તેનો આત્મા મૃત્યુ પછી અભેદ અંધકારમાં ભટકતો રહે છે. જો કે વેદો સમાજ અને ધર્મ માટેના ઉમદા કાર્યો માટે સ્વચ્છિક મૃત્યુની અનુમતિ આપે છે. અને કહે છે

સૌથી ઉત્તમ બલિદાન સ્વયંનું બલિદાન છે.

ભારતના પ્રાચીન ઇતિહાસમાં સ્વમાન, શીલ અને ધર્મની રક્ષા માટે સ્વચ્છિક મૃત્યુની અનેક પ્રથાઓ અસ્તિત્વમાં હતી. જેમાં ભારતના ઇતિહાસમાં સતીપ્રથા વિશેષ પ્રચલિત હતી. એક વિધવા સ્ત્રી પોતાના પતિની ચિતા ઉપર ખુદને જીવતી સળગાવી દેતી હતી. રાજા રામમોહન રાય અને વિલિયમ બેન્ટીકના પ્રયાસોથી પ્રથા પર પ્રતિબદ્ધ મુકવામાં આવ્યો. એજ રીતે મધ્યકાલીન ભારતમાં રજપૂત સ્ત્રીઓ મુસ્લિમ આક્રમણ સમયે મુસ્લિમ સૈનિકોથી પોતાના શીલની રક્ષા કાજે સામૂહિક રીતે જોહર કરતી હતી. અર્થાત અગ્નિકુંડમાં પોતાને હોમી દેતી. જો કે પ્રથા પણ કાળની ગર્તતામાં ભુસાઈ ગઈ. એવી અન્ય એક પ્રથા કમળ પૂજા હતી. પણ આજે અસ્તિત્વમાં નથી.

ઈશ્વરખુદા પાસે પોતાના પ્રિયજનના પ્રાણ બચાવવા મૃત્યુને માંગનાર મોઘલ બાદશાહ બાબરે માંદગીને કારણે મૌતની ઘડીઓ ગણતાં પુત્ર હુમાયુંને બચાવવા ખુદાને પ્રાર્થના કરી હતી કે,

મારા પુત્રને બદલે મારી જાન લઈ લો. પણ તેને બચાવી લો.

અને કહેવાય છે કે ખુદા તેની વિનંતીનો સ્વીકાર કરી હુમાયુંને સાજો કરી દીધો અને થોડા સમયમાં બાબરનું અવસાન થયું.

ઇતિહાસમાં આત્મહત્યાના આવા અનેક હકારાત્મક કિસ્સાઓ નોંધાયેલા છે. જેમ કે પ્રાચીન સમયમાં યુધ્ધમાં પરાજયને કારણે સૈનિક આત્મહત્યા કરી લેતા. જેથી દુશ્મન દ્વારા પકડાઈ સંભવિત યાતનાઑ જેવી કે અંગ ભંગ, દાસતા કે યાતનાથી ભરપૂર મૃત્યથી બચી શકાય. સિજેરિયન હત્યારા બ્રુટસ અને કૈસીયસે ફિલિપીના યુધ્ધમાં પોતાના પરાજય બાદ ખુદને મારી નાખ્યા હતા. ભારતના ઇતિહાસમાં પણ પ્રકારની અનેક ઘટનાઓ જોવા મળે છે. જેમાં સ્વમાન, દેશભક્તિ અને યાતનોની મુક્તિનો ઉદેશ જોવા મળે છે. ભારતના સ્વાતંત્ર સંગ્રામના ક્રાંતિકારી સૈનિક ચંદ્રશેખર આઝાદ અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં સેંકડો પોલીસ સામે 20 મિનિટ સુધી લડતા રહ્યા હતા. અંતે, તેમનું સૂત્ર ”આઝાદ છું  આઝાદ રહીશ” ને યાદ કરી, પિસ્તોલની છેલ્લી ગોળી પોતાના મસ્તક પર મારી માતૃભૂમિ માટે શહિદ થઈ ગયા હતા.(27 ફેબ્રુઆરી 1931).

આધુનિક યુગમાં રાષ્ટ્ર અને આંતર રાષ્ટ્રીય જાસૂસી સંસ્થાઓમાં પણ પકડાઈ ગયેલ જાસૂસો આત્મહત્યા કરી પોતાના દેશ અને વતનની રક્ષા કરે છે.

આપણાં ધર્મોમાં પણ આવી સ્વચ્છિક હત્યામાં શ્રધ્ધા અને ઈશ્વર કે ખુદાને ખુશ કરવાની ભાવના કેન્દ્રમાં જોવા મળે છે. પણ મોટે ભાગે દરેક ધર્મે આત્મહત્યાની નિંદા કરી છે.

બૌધ્ધ ધર્મ  આત્મહત્યાને નકારાત્મક કાર્ય તરીકે જોવે છે. જો કે કેટલાક સંજોગોમાં તેને સ્વીકારે પણ છે. એક બૌધ્ધ કથામાં વકકીલ નામનો એક ભિક્ષુક બેહદ બીમાર હતો. અને અસહ્ય દર્દથી પીડાતો હતો. તેથી તેણે આત્મહત્યા કરી લીધી. અને તેને તેણે ઈચ્છા મૃત્ય તરીકે આલેખયું. આવો એક અન્ય કિસ્સો ગોંધિકા નામક ભિક્ષુકનો પણ છે. તે પણ અત્યંત બીમાર હતો. તેણે પણ શરીરની પીડાથી મુક્ત થવા અને પુનઃ જન્મ લેવાના ઉદેશથી આત્મહત્યા કરી હતી. ત્યારે ભગવાન બુધ્ધએ કહ્યું હતું,

વાસ્તવમાં તે એક કપરું કાર્ય છે. તેમને જીવનની તુષાણથી કોઈ લગાવ રહ્યો હતો. ગોંધિકાએ અંતિમ નિર્વાણ પ્રાપ્ત કરેલ છે.

એનસાયક્લોપીડિયા ઓફ રિલીજિયનમાં યુરોપિયન ચિંતક મરલીન જે હૈરન લખે છે,

બૌધ્ધ ધર્મ કેટલાક સંજોગોમાં આત્મહત્યાની પૃષ્ટી કરે છે. તેને આત્મ બલિદાન તરીકે જુવે છે. જેણે આત્મ જ્ઞાન પ્રાપ્ત કરેલ છે તેને સવેચ્છિક મૃત્યુ તરીકે બલિદાન કરવાની સંમતિ આપે છે.

હિન્દુ ધર્મમાં પણ આત્મહત્યા નિષેધ છે. પોતાનો પ્રાણ લેવો અહિંસાના સિધ્ધાંતનું ઉલંઘન કરવા સમાન છે. હિન્દુ માન્યતા મુજબ આત્મહત્યાને કારણે વ્યક્તિનો આત્મા અવગતિ પામે છે. અને મૃત્યુ પછી પણ તે ભટકતો રહે છે. મહાભારતમાં પણ કહ્યું છે, જે વ્યક્તિ આત્મહત્યા કરે છે તે ક્યારેય સ્વર્ગ પ્રાપ્ત કરતો નથી.

રીતે જૈન ધર્મમાં પણ આત્મહત્યાને હિંસાનું અત્યંત નીંદનીય સ્વરૂપ ગણવામાં આવેલ છે. ઇસ્લામમાં પણ આત્મહત્યાની સખ્ત મનાઈ કરવામાં આવેલ છે. કુરાન શરીફમાં કહ્યું છે,

અને તમે ક્યારેય તમારી જાતની હત્યા કરો. અલ્લાહ તમારા પર હંમેશા મહેરબાન છે. અને જે વ્યક્તિ જુલ્મ અને અત્યાચારને કારણે પોતાની હત્યા કરશે, તેને અમે દોજક (નર્ક)ની આગમાં નાખીશું.

એક અન્ય આયાતમાં કહ્યું છે,

અને પોતાની જાતની પોતાના હાથોથી હત્યા કરો.

ઇસ્લામમાં જેહાદના નામે આતંકવાદીઓ શહીદ થવામાં પુણ્ય માને છે. ઇસ્લામના જેહાદના સિધ્ધાંતનું ખોટું અર્થઘટન છે. જેહાદ એટ્લે અસત્ય સામે સત્યની લડાઈ, જેહાદ એટ્લે દુર્ગુણો સામે સદગુણોનું યુધ્ધ. તેમાં માનવ હિંસાને કોઈ સ્થાન નથી. જેહાદ એટ્લે યુધ્ધ પણ નહીં. યુધ્ધ માટે કુરાને શરીફમાં કીતાલ શબ્દ વપરાયો છે.

ખ્રિસ્તી ધર્મમાં પણ આત્મહત્યાનો વિરોધ કરવામાં આવ્યો છે. બાઈબલમાં લગભગ અગિયાર સ્થાનો પર આત્મ હત્યાનો ઉલ્લેખ છે. તેમા આત્મહત્યાથી મારનાર વ્યક્તિઓ માટે નકારાત્મક અભિગમ વ્યક્ત થયો છે. રોમન કેથોલિક ધર્મ અનુસાર આત્મહત્યા એક પાપ છે.  કેથોલિક ધર્મ આત્મહત્યા કરનાર વ્યક્તિને તેમના કબ્રસ્તાનમાં દફનાવવાની મનાઈ કરે છે. યહૂદી ધર્મમાં પણ આત્મહત્યાનો વિરોધ કરવામાં આવેલ છે. આત્મહત્યા કરનાર વ્યક્તિને કબ્રસ્તાનના એક અલગ ભાગમાં દફનાવવામાં આવે છે અને તેના પ્રત્યે કોઈ સહાનુભૂતિ રાખવાં આવતી નથી કે તેના માટે કોઈ ધાર્મિક ક્રિયા કરવા આવતી નથી.

આધુનિક ઇતિહાસમાં આત્મહત્યાની સૌથી કરૂણ અને ઐતિહાસિક ઘટના વિશ્વના જાણીતા સરમુખત્યાર અને માનવ સંહારક એડોલ્ફ હીટલરની છે. વોલ્ટર લેંગર હાવર્ડ યુનિવર્સિટીના સાયકોલોજિસ્ટ હતા, તેમણે 1943માં સાયકોલોજિકલ એનાલિસિસ ઓફ એડોલ્ફ હિટલર નામક પુસ્તક લખ્યું હતું. જેમાં તેમણે જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરના અંતિમ દિવસનું  વર્ણન કર્યું છે.

1945ની શરૂઆતમાં, બીજું વિશ્વયુદ્ધ ખતમ થવામાં હતું. જર્મની, ઇટાલી અને જાપાન સાથી દેશો, ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયેત યુનિયન સામે નબળા પડવા લાગ્યા હતા. માર્ચ મહિના સુધીમાં બ્રિટિશ અને અમેરિકન સેના બર્લિન શહેરમાં પહોંચી ગઈ હતી. એપ્રિલ સુધીમાં, સોવિયેત આર્મી બર્લિનની અંદર હતી.

હિટલર તેના છેલ્લા દિવસોમાં બર્લિનમાં બનેલા તેના 18 રૂમના બંકરમાં હતો. બંકર જમીનની અંદર લગભગ 50 ફૂટ નીચે બનાવવામાં આવ્યું હતું. બંકર આધુનિક સુવિધાઓથી સજ્જ હતું. અહીંથી તે પોતાની સેના અને અધિકારીઓને આદેશ આપતો. તે સ્થાન છે જ્યાં હિટલરે પોતાની છેલ્લી વસિયત લખી હતી.

29 એપ્રિલ 1945ની મધ્યરાત્રિએ હિટલરે તેની ગર્લફ્રેન્ડ ઈવા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ મુશ્કેલી હતી કે સમયે આવી હાલતમાં પાદરી ક્યાંથી મળે. હિટલરની નાઝી પાર્ટીના મંત્રી માર્ટિન બોરમેન ખૂબ મુશ્કેલીથી લગ્ન કરાવનાર નાઝી પાદરીને શોધી લાવ્યા. અને હિટલરે પોતાની વર્ષો જૂની પ્રેમિકા સાથે લગ્ન કર્યા. ત્યારે રાતના સાડા બાર વાગી ગયા હતા. અને તારીખ 30મી એપ્રિલ થઈ ચૂકી હતી. લગ્ન પછી બંને પોતાના બેડરૂમમાં સૂવા જતાં રહ્યાં.

30 એપ્રિલની સવારે જાગીને, હિટલરે સ્નાન કર્યું અને શેવ કર્યું. આર્મી જનરલોએ હિટલરને જાણ કરી કે સોવિયેત સૈનિકો બર્લિનમાં ઘૂસ્યા છે. સૈનિકો ગમે ત્યારે બંકર સુધી પહોંચી શકે છે. હીટલર કોઈ પણ સંજોગોમાં જીવંત હાલતમાં દુશમન સૈનિકોના હાથમાં પોતાને સોંપવા તૈયાર હતો. મુસોલીનીની ભયંકર હત્યાથી તે વાકેફ હતો. એટ્લે સૌ પ્રથમ હિટલરે તેની પ્રિય કૂતરી બ્લોન્ડીને ઝેરનું આપ્યું. પછી હિટલર અને તેની પત્નીએ ઝેર પીધું. ત્યારબાદ હિટલરે પોતાની પિસ્તોલથી પોતાના મસ્તક પર ગોળી મારી. થોડા કલાકો પહેલાં પોતાના આધુનિક બંકરમાં હિટલરે પોતાની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા. ત્યાં અત્યારે તેમના બંનેના મૃતદેહો પડ્યા હતા. હિટલર અને તેની પ્રેમિકા ઇવાના મૃત્યુ દેહને કેરોસીન થી ભસ્મીભૂત કરી નાખવામાં આવ્યા.

વીસમી સદીમાં આત્મ હત્યાના અન્ય જાણીતા કિસ્સાઓમાં નોબેલ પારિતોષિક વિજેતા અર્નેસ્ટ હેમીનગવે (2 જુલાઇ 1961), જાણીતા ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક, ગુરુદત્ત (10 ઓકટોબર 1964), અમેરિકન ભૂતપૂર્વ ગ્લેમર મોડલે સટેફની એડમ્સે તેના સાત વર્ષના પુત્ર વિન્સેન્ટને 25મા માળની બારીમાંથી ધક્કો માર્યો અને પછી  તેણે પણ બારીમાંથી કૂદ આત્મહત્યા કરી.(18 મે 192018), તાજેતરમાં ફિલ્મ અભિનેતા સુશાંત સિંગ રાજપૂત ( 14 જૂન 2020), ફિલિપ્સ એડમ અમેરિકન ફૂટબોલ ખેલાડીએ 6 લોકો પર  જીવલેણ ગોળીબાર કર્યાના એક દિવસ પછી પોલીસ સાથેના સંઘર્ષ દરમિયાન પોતાને ગોળી મારી દીધી હતી (8 એપ્રિલ 2021), હાલમા ફિલ્મ દુનિયાના જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઇએ આર્થિક કારણો સર આત્મહત્યા કરી (2 ઓગસ્ટ 2023), વગેરે જેવા અનેક નામાંકિત વ્યક્તિઓની યાદી આપી શકાય. જયારે આમ માનવી જેવા કે થોડા માસ પૂર્વે ગુજરાત યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગના નિવૃત અધ્યાપક પ્રો.યોગેન્દ્ર વ્યાસના આત્મહત્યાના સમાચારે આપણને સૌને ખેદ સાથે આત્મહત્યા અંગે ગંભીરતાથી વિચારતા કરી મૂક્યા છે.

ટૂંકમાં વિશ્વનો કોઈ સમાજ, કોઈ ધર્મ આત્મહત્યાને આવકારતો નથી. આમ છતાં વિશ્વમાં આત્મહત્યાઓ થાય છે, અને થતી રહેશે. જેના મૂળમાં માનવ મનની નબળાઈ, પરાજયનો ભય અને જીવવાની આશાનો સંપૂર્ણ અભાવ મૂળભૂત કારણો રહ્યા છે.

*નિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.  

Leave a comment

Filed under Uncategorized