Monthly Archives: February 2016

કોમની ખિદમતનો ઝરીઓ : સીરત કમીટી : ડૉ. મહેબૂબ દેસાઈ

ઇસ્લામમાં ખિદમત અર્થાત સેવાનું મુલ્ય ઈબાદત સમક્ષ છે. એકવાર હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ને એક સહાબીએ પૂછ્યું,

“ઇસ્લામ એટલે શું ?”

મહંમદ સાહેબ (સ.અ.વ.)ફરમાવ્યું,

“ભુખ્યાને ભોજન આપવું અને જાણીતા કે અજાણ્યા સૌનું ભલું ઇચ્છવું એટલે ઇસ્લામ”

ઇસ્લામનું આવું અર્થઘટન દરેક મોમીન માટે સનાતન સત્ય છે. એ સત્યને સાકાર કરવાનું કાર્ય આજથી ૩૦ વર્ષ પૂર્વે જુહાપુરા વિસ્તારના કેટલાક સેવાભાવી માનવીઓએ આરંભ્યું હતું. ઈ.સ. ૧૯૮૬મા જુહાપુરા વિસ્તારના મુઠ્ઠીભર સેવાભાવી માણસોએ “એક મુઠ્ઠી આટા”ની યોજના બનાવી હતી. એ યોજના મુજબ “સીરત કમીટી”નામક એક સંસ્થા શરુ કરવામાં આવી. આ સંસ્થાના સેવાભાવી સજ્જનો લોકોના ઘરે ઘરે જઈને લોટ ઉઘરાવતા. એ લોટ કાગળની નાની નાની થેલીઓમાં પેક કરી જુહાપુરા વિસ્તારમાં વસતા અત્યંત ગરીબ પરિવારોને પહોંચાડવામાં આવતો. રોજ સવારે જેને ખબર નથી કે મારા ઘરનો ચૂલો આજે પેટાશે કે નહિ ?, એવા ગરીબ કુટુંબો માટે “એક મુઠ્ઠી આટા”ની આ યોજના આશીર્વાદ રૂપ સિદ્ધ થઇ. અને ગરીબ લોકોમાં સીરત કમીટીના આ કાર્યથી નવી આશાનો સંચાર થયો. “સીરત” શબ્દ ઉર્દૂ ભાષાનો છે. જેનો અર્થ થાય છે ચરિત્ર, સ્વભાવ, સદગુણ, વિશેષતા કે વિશિષ્ટતા. માનવીના જીવનમાં હંમેશા ઉપયોગી બની રહેવાના નેમ સાથે અસ્તિત્વમાં આવેલા “સીરત કમીટી” એ પોતાના નામને સાકાર કરતા કાર્યો એક પછી એક હાથ પર લીધા છે.

ઇસ્લામમાં પતિના મૃત્યું પછી તેની વિધવાએ ઇદતમાં રહેવાનું હોય છે. ઇદતનો શાબ્દીક અર્થ ગણવું કે ગણતરી થાય છે. ઇસ્લામી શરીયત મુજબ ત્યકતા પત્ની માટે ઇદતની મુદત ત્રણ માસ, વિધવા માટે ચાર માસ, દસ દિવસ અને સગર્ભા વિધવા માટે પ્રસવ સુધી ઇદ્તમાં રહેવાનો આદેશ છે. ઇદતના સમય દરમિયાન સ્ત્રી સંપૂર્ણ પડદામાં રહે છે, ન તો તે ઘરની બહાર નીકળી શકે છે, ન કોઈ પરાયા પુરુષને જોઈ શકે છે. પરિણામે તેના ઘરનો સમગ્ર આર્થિક કે સામાજિક વયવહાર તેના પુત્ર કે ઘરના અન્ય વડીલે સંભાળવો પડે છે. પણ જો બાળકો નાના હોય અને સ્ત્રીની આર્થિક સ્થિતિ સધ્ધર ન હોય તો એવા સમયે ઇદતની મુદત દરમિયાન ઘરમાં આર્થિક સમસ્યાઓ સર્જાયા છે. અને ઘણીવાર તો નાના બાળકોને ભૂખ્યા રહેવાનો વારો આવે છે. સીરત કમીટીના સભ્યોએ આવી ઇદતની મુદતમાં જીવતી સ્ત્રીઓની યાદી બનાવી અને દર માસે તેમના ઘરે આખા મહિનાનું સીધું અર્થાત ખાવા પીવાની વસ્તુઓ પહોચાડવાનું કાર્ય હાથમાં લીધું છે. મુસ્લિમ સમાજમાં કોઈ પણ વ્યક્તિ માત્ર રૂ. ૧૦૦૦નું દાન સીરત કમિટીને આપે તો ઇદતમાં બેઠેલી એક ગરીબ મુસ્લિમ વિધવાના ઘરનો ચૂલો યથાવત રીતે ચાલ્યા કરે. આવું નેક કાર્ય સીરત કમીટીના સભ્યો સરખેજ-જુહાપુરા વિસ્તારમાં કરી રહ્યા છે. ૨૦૧૪ના વર્ષમાં જુહાપુરા વિસ્તારની ૭૫ ઇદત ગુજારતી મહિલાઓએ આ લાભ લીધો છે .

ઇસ્લામમાં બિમાર પુર્સી (બિમારના ખબર અંતર પૂછવા) સવાબ (પુણ્ય) નું કાર્ય છે. હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)દુશ્મનની માંદગીના સમાચાર સાંભળી અચૂક તેની ખબર કાઢવા જતા. તેને શક્ય સહાય કરતા. સીરત કમીટી એ જ સિધ્ધાંતને સાકાર કરવા મથી રહી છે. સરખેજ જુહાપુરા વિસ્તારમાં ગરીબ-અસહાય અને લાવારીસ માનવીઓની બીમારીમાં તેમને આર્થિક સહાય સીરત કમીટી દ્વારા થઇ રહી છે. ગરીબ-અસહાય અને લાવારીસ માનવીઓની દવાઓ, સારવાર કે હોસ્પિટલ, દવાખાનાનો ખર્ચ સીરત કમીટી દવારા આપવામાં આવે છે. ૨૦૧૨ના વર્ષમાં સીરત કમીટી દ્વારા ચાલતા દવાખાનામાં ૨૦૦૦ ગરીબ-અસહાય અને લાવારીસ માનવીઓને વિનામુલ્યે સારવાર લીધી હતી.

એ જ રીતે શિક્ષણનું મુલ્ય પણ હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)પર ઉતરેલ પ્રથમ વહીમાં વ્યક્ત થયું છે.વહીનો પ્રથમ શબ્દ હતો “ઇકરાહ”. જેનો અર્થ થાય છે પઢ, વાંચ. ખુદાએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર ઉતારેલી એ સૌ પ્રથમ વહી માત્ર મુસ્લિમો માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ઇલ્મ-જ્ઞાનનો ઉપદેશ આપે છે. એ આયાતમાં ખુદાએ કહ્યું હતું,

“પઢો પોતાના પરવરદિગારના નામથી, જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો તે બધી તેને શીખવી છે.”

અને એટલેજ સીરત કમીટી દ્વારા સમાજમાં શિક્ષણ પ્રચાર પ્રચાર માટે પ્રયાસો થઇ રહ્યા છે. સમાજના એવા વર્ગમાં શિક્ષાનો પ્રચાર કરવો જરૂરી છે જે વર્ગ ન તો મોટી મોટી શિક્ષણ ફીઓ ભરી શકે છે , ન પ્રવેશ માટે મોટી એડમિશન ફી આપી શકે છે. એવા ગરીબ સમાજના યુવાનો-યુવતીઓના શિક્ષણ માટે આર્થિક સહાય આપવાની યોજના સીરત કમીટીએ અમલમાં મૂકી છે. ગરીબ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સ્કુલ અને કોલેજની ફી, શૈક્ષણિક પુસ્તકો, નોટબુક્સનું વિના મુલ્યે વિતરણ અને મેડીકલ, એન્જીનીયરીંગ અને ટેકનીકલ શાખામાં ઉચ્ચ શિક્ષણ લેતા ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશીપની યોજના તળે વર્ષ ૨૦૧૨માં ૧૦૦૦ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવામા આવેલા છે. રમઝાન માસ દરમિયાન લગભગ ૧૩૦૦ ગરીબ કુટુંબોને આર્થિક સહાય કરી તેમના રોઝા અને ઇદને આર્થિક કટોકટીમાંથી મુક્ત કરી, ખુશહાલ બનાવવામાં સીરત કમીટીનો ફાળો નાનો સુનો નથી.

એકવાર એક ગરીબ માનવી મહંમદ સાહેબ (સ.અ.વ.) પાસે આવ્યો. અને મદદની માંગણી કરી. મહંમદ સાહબે પૂછ્યું.

“તારી પાસે શું છે ?” પેલાએ કહ્યું,

“એક પ્યાલો અને એક બિછાનું”

મહંમદ સાહેબે એક સહાબીને એ બંને વસ્તુ બે દીહરમમાં આપી દીધી અને પેલા ગરીબને ફરમાવ્યું,

“લે આ બે દીહરમ, એક દીહરમનું ખાવાનું લાવ અને એક દીહરમનું દોરડું લાવ અને જંગલમાંથી લાકડા લાવી વેચ. કોઈની પાસે માંગવા કરતા મહેનત કરીને ખાવું સારું છે”

એ જ વિચારને સાકાર કરતા સીરત કમીટી ગરીબ સ્ત્રીઓને સીવણ મશીન આપી તેમને પગભર થવા પણ પ્રેરે છે.

આ તમામ કાર્યોમાં નાણાની સમસ્યા સીરત કમીટીએ કયારેય અનુભવી નથી. નેક ઈરાદો અને ઈમાનદારી સિરત કમીટીના તમામ અનુભવી સભ્યોનો મુદ્રા લેખ રહ્યો છે. વળી, છેલ્લા ત્રીસ વર્ષથી કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ખેવના કર્યા વગર સીરત કમીટી સેવાનો આવો મહા યજ્ઞ ચલાવી રહેલ છે. પરિણામે બારેમાસ દાનનો પ્રભાવ ચાલુ રહે છે. અને તે જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવાનો ઝરિયો સીરિત કમીટી બને છે. ઇસ્લામમાં ગરીબ ગુરબા અને જરૂરતમંદોને સહાય કરવાના કાર્યને ઈબાદતનો દરજ્જો આપવામાં આવ્યો છે. એ નાતે સીરત કમિટીની આ ઈબાદત ખુદા કબૂલ ફરમાવે એજ દુવા : આમીન

Leave a comment

Filed under Uncategorized

યુધ્ધ : કુરાને શરીફ અને ભગવત ગીતાના સંદર્ભમાં :ડૉ. મહેબૂબ દેસાઈ

ઇસ્લામના ઇતિહાસમાં કરબલાના યુદ્ધ (ઈ.સ.૬૮૦)નું અત્યંત મહત્વ છે. પણ તેનો ઉલ્લેખ સુધ્ધા કુરાને શરીફમાં નથી. કારણ કે કરબલાનું યુદ્ધ મહંમદ સાહેબના અવસાન (ઈ.સ.૬૩૨) પછી ૪૮ વર્ષે લડાયું હતું. કુરાને શરીફમાં વિસ્તૃત રીતે માત્ર બે જ યુદ્ધોનો ઉલ્લેખ છે. જંગેબદ્ર અને જંગેઅહદ
કુરાને શરીફમાં જેનો સૌ પ્રથમ ઉલ્લેખ છે તે જંગેબદ્ર ૧૩ માર્ચ ઈ.સ. ૬૨૪ (૧૭ રમઝાન હિજરી ૨) બદ્ર (સાઉદી અરબિયા) નામની હરિયાળી ખીણમાં વસંત ઋતુમા લડાયેલ, કુરુક્ષેત્ર જેવું જ યુદ્ધ છે. જે રીતે કૌરવોએ પાંડવો ઉપર અત્યાચારો કર્યા, તેમની મિલકત પડાવી લીધી. તેમને ઝેર આપવાનો પ્રયાસ કર્યો. તેમના ઘરોને આગ લગાડી દીધી. અને ૧૨ વર્ષના વનવાસ અને એક વર્ષના ગુપ્તવાસ એમ ૧૩ વર્ષનો દેશ નિકાલ કર્યો. એ જ પ્રમાણે મક્કાના કુરેશીઓએ મહંમદ સાહેબ તથા તેમના અનુયાયીઓને ઉપરોક્ત તમામ યાતનાઓ ૧૩વર્ષ સુધી આપી હતી. મહંમદ સાહેબ અને તેમના અનુયાયીઓએ અત્યંત સબ્રથી તે સહન કરી. પણ જયારે અત્યાચારોની પરાકાષ્ટા આવી ગઈ ત્યારે મહંમદ સાહેબે પોતાના અનુયાયીઓ સાથે મક્કાથી મદીના હિજરત (પ્રયાણ) કરી. આમ છતાં મક્કાના કુરેશીઓએ મહંમદ સાહેબ પર અત્યાચાર કરવાનું ચાલુ રાખું. તેમણે મહંમદ સાહેબે જ્યાં આશ્રય લીધો હતો, તે મદીના પર વિશાળ લશ્કર સાથે ચડાઈ કરી. એ સમયે કુરેશીઓ પાસે ૭૦૦ ઉંટ,૧૦૦ ઘોડા અને ૧૦૦૦ સૈનિકો હતા. જયારે મહંમદ સાહેબના પક્ષે માત્ર ૩૧૫ અનુયાયીઓ હતા.

ગીતામાં કૌરવોને “આતતાયી” કહેવામાં આવ્યા છે. મનુસ્મૃતિમાં અને અન્ય ગ્રંથોમાં આતતાયી શબ્દ એવા લોકો માટે વપરાયો છે, જેઓ આગ લગાડે છે. ઝેર આપે છે. લુંટ ચલાવે છે. અન્યની ભૂમિ કે સ્ત્રીનું હરણ કરે છે. મહંમદ સાહેબ અને તેમના અનુયાયીઓ પર કુરેશીઓએ આવા જ જુલમ કર્યા હતા, તેના માટે કુરાને શરીફમાં “કાફિર” શબ્દ વાપરવામાં આવ્યો છે. કાફિર એટલે નાસ્તિક, નગુણો. ખુદા (ઈશ્વર)ની રહેમતો (કૃપાઓ)નો ઇન્કાર કરનાર. આવા કાફિરો સામે સૌ પ્રથમવાર યુદ્ધ કરવાની પરવાનગી આપતા કુરાને શરીફમાં કહ્યું છે,

“લડાઈ કાજે જેમના પર આક્રમણ કરવામાં આવે છે તેમને લડાઈ કરવાની પરવાનગી આપવામાં આવે છે. કારણ કે તેમના પર આ જુલમ છે. અને નિસંદેહ છે કે અલ્લાહ તેમની મદદ માટે પુરતો છે.”

બંને લશ્કરો એક બીજા સામે યુદ્ધ કરવા ઉભા હતા. એ સ્થિતિ પણ ગીતા અને કુરાને શરીફમાં થયેલ યુધ્ધોની સમાનતાનું ઉત્તમ ઉદાહરણ છે. કૌરવો અને પાંડવો જેમ જ બદ્રના યુધ્ધમાં પણ બંને પક્ષે એક બીજાના સગાઓ ઉભા હતા. કોઈના કાકા, મામા, ભાઈ, સસરા દ્રષ્ટિ ગોચર થતા હતા.ગીતામાં પોતાના
સગા સબંધીઓને જોઈ અર્જુનનું હદય દ્રવી ઉઠ્યું હતું. તેણે લડવાની ના પડી દીધી હતી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું,

“હે અર્જુન, આવું નપુંસક વર્તન તારા જેવા વીર પુરુષને શોભતું નથી. તારા જેવા વીરને માટે આ શબ્દો કોઈ પણ સમયે યોગ્ય નથી. આ શુદ્રપણું, આ હદયની દુર્બળતા ત્યજી દે અને યુદ્ધ કરવા માટે ઉભો થા”
બરાબર એ જ રીતે કુરાને શરીફમાં યુધ્ધની સંમતિ મળવા છતાં અનેક મુસ્લિમોએ પોતાના સગા સબંધીઓ સામે લડવાની મહંમદ સાહેબને ના પાડી દીધી હતી. એ અંગે કુરાને શરીફમાં કહ્યું છે,
“આપના પરવરદિગારે આપને મદીનાથી હિકમત સાથે બદ્ર તરફ મોકલ્યા હતા.પણ મુસલમાનોનું એક જૂથ તેને ના પસંદ કરતુ હતું”
યુદ્ધ માટે ઇન્કાર કરતા અનુયાયીઓને સમજાવવા મહંમદ સાહેબે ઉપવાસ કર્યા, ખુદાને પ્રાર્થના કરી. ત્યારે મહંમદ સાહેબ પર કુરાને શરીફની નીચેની આયાત ઉતરી હતી. જેમાં કહ્યું હતું,

“તમારા પર જિહાદ(ધર્મયુદ્ધ) ફરજ કરવામાં આવેલ છે. તેથી તેનો ઇન્કાર કરવો તે યોગ્ય નથી. સંભવ છે કે જે વાત તમને યોગ્ય ન લાગતી હોય, તે જ વાત તમારા હિતમાં નિવડે અને જે વાત તમને યોગ્ય લાગતી હોઈ તે તમારા માટે અહિતની સાબિત થાય. અલ્લાહ દરેક બાબત સારી રીતે જાણે છે. પણ તમે જાણતા નથી”

“તમે એવા લોકો સાથે કેમ લડતા નથી, જેઓએ પોતાના સૌગંદ તોડી નાખ્યા અને રસુલ (મહંમદ સાહેબ)ને મક્કાથી હાંકી કાઢવાની તજવીજ કરી. અને તેઓ એ જ પ્રથમ લડવાની તમને ફરજ પાડી છે.”

અને આમ બદ્રની હરીયાળી ખીણમાં બંને ફોજો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. કુરુક્ષેત્રના યુદ્ધ જેમ જ મહંમદ સાહેબની ફોજમાં ધર્મ અને ન્યાય માટે લડવાનો અદભૂત જુસ્સો હતો. તેનું એક ઉત્તમ ઉદાહરણ ઇસ્લામી હદીસમાં નોંધાયેલું છે. યુધ્ધમાં મહંમદ સાહેબના પક્ષે મુસ્લિમોની સંખ્યા અત્યંત ઓછી હતી. જયારે કુરેશીઓ પાસે સંખ્યા બળ અને લશ્કરી સરંજામ વધુ હતો. એવા સમયે મહંમદ સાહેબના લશ્કરમાં એક વ્યક્તિ પણ વધે તો તેનું ઘણું મહત્વ હતું. એવા કપરા સમયે બે મુસ્લિમો હિજૈફ બિન યમન અને અબુ હુસૈન મહંમદ સાહેબ (સ.અ.વ.)પાસે આવ્યા. અને કહ્યું,
“હે રસુલ, અમે મક્કાથી આવતા હતા ત્યારે રસ્તામાં અમને કુરેશીઓ એ પકડી લીધા હતા. અમને એ શરતે છોડ્યા છે કે અમે લડાઈમાં આપને સહકાર ન આપીએ. અમે મજબુરીમાં તેમની એ શરત સ્વીકારી હતી. પણ અમે તમારા પક્ષે લડવા તૈયાર છીએ.”
મહંમદ સાહેબ તેમની વાત એક ધ્યાને સાંભળી રહ્યા. પછી ફરમાવ્યું,
“હરગીઝ નહિ.તમે તમારો વાયદો પાળો. અને યુદ્ધથી દૂર રહો. અમે કાફરો સામે અવશ્ય લડીશું. અમને ખુદા જરૂર મદદ કરશે.”
આમ મુલ્યોના આધારે લડાયેલ આ યુધ્ધમાં કુરેશીઓ પાસે વિશાળ લશ્કર હોવા છતાં તેમને રણક્ષેત્ર છોડી ભાગવું પડ્યું. મહંમદ સાહેબના ૧૪ અને કુરેશીના ૪૯ માણસો યુદ્ધમા હણાયા. અને તેટલા જ કેદ પકડાયા.

Leave a comment

Filed under Uncategorized

ગાંધીજીનો બાઈબલ ખંડ : ડૉ. મહેબૂબ દેસાઈ

ગુજરાતને ઉત્તમ પ્રવાસ સ્થાન તરીકે વિકસાવવાના ગુજરાત સરકારના પ્રયાસો પ્રશંસનીય છે. પરિણામે ગુજરાતના પ્રવાસ સ્થાનોના પ્રચાર પ્રસારનું કાર્ય વિવિધ માધ્યમો દ્વારા સતત ચાલ્યા કરે છે. ગુજરાતના અર્વાચીન પ્રવાસ સ્થાનોમાં ગુજરાત વિદ્યાપીઠ અને ગાંધી આશ્રમ મોખરે છે. પણ તેનો યોગ્ય પ્રચાર પ્રસાર અનિવાર્ય છે. એવું જ એક પ્રવાસ સ્થાન ગુજરાત વિદ્યાપીઠમાં આવેલું છે જેનું નામ છે “ગાંધીજીનો બાઈબલ ખંડ”. ૧૯૨૬માં નાદુરસ્ત તબિયતને કારણે ગાંધીજીએ અમદાવાદમાં રહેવાનું નક્કી કર્યું હતું. એજ અરસામાં ગાંધીજી નિયમિત ગુજરાત વિદ્યાપીઠના એક ખંડમાં આધ્યાત્મિક વ્યાખ્યાનો આપતા. એ ખંડ આજે પણ યથાવત રીતે જાળવી રાખવામાં આવ્યો છે. એ ખંડની બહારની તકતીમાં લખવામાં આવ્યું છે,
“મહાત્મા ગાંધી સન ૧૯૨૬ની સાલમાં આ ખંડમાં દર શનિવારે બાઈબલનું વાંચન કરતા હતા. અને તેની સમજુતી આપતા હતા. આ પ્રવચનોનો લાભ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને સેવકો ઉપરાત લોકો પણ લેતા હતા”
ગાંધીજી દર શનિવારે આ ખંડમાં બાઈબલનું વાંચન કરતા. એ સાથે દરેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોની તુલના પણ બાઈબલના સિદ્ધાંતો સાથે કરતા હતા. વળી, ગુજરાત વિદ્યાપીઠમાં આજે પણ દરેક કાર્યકરને સેવક જ ગણવામાં આવે છે. અહિયા પટાવાળાથી માંડીને કુલનાયક સુધી સર્વ સેવક છે. અને સૌની સાથે સમાન માનપૂર્ણ વ્યવહાર કરવાનો હોય છે. એ પ્રથા ગાંધીજીએ પાડી હતી. જેનો ઉલ્લેખ પણ આ તકતીમાં જોવા મળે છે. આજે પણ
બાઈબલ ખંડની ગરીમા અને પવિત્રતા અંદર દાખલ થનાર સૌ કોઈ અનુભવે છે. તેની દીવાલો પર દરેક ધર્મના સુંદર આધ્યાત્મિક સંદેશો આપવામાં આવ્યા છે. હિંદુ ધર્મ અંગેનું ગાંધીજીનું અવતરણ માણવા જેવું છે. “મારો હિંદુ ધર્મ”ના મથાળા નીચે લખ્યું છે,
“મારો હિંદુ ધર્મ એકદેશીય નથી. તેમાં તો ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મ, બૌદ્ધ ધર્મ અને જરથોસ્તી ધર્મ- આ સૌમાં જે સરસ વસ્તુ હું જાણું છું-એ વસ્તુનો સમાવેશ થાય છે”
એ સાથે મનુસ્મૃતિ અને ભગવત ગીતાના બે સુંદર શ્લોકો, જેમાં ધર્મની ટૂંકી વિભાવના આપવામાં આવી છે તે એક તકતીમાં મુકવામાં આવ્યાછે. જેમાં નોધ્યું છે,
“સજ્જન તથા રાગદ્વેષ રહિત એવા વિદ્વાનોએ નિત્ય જેનું સેવન કર્યું હોય અને જેનો હદય સ્વીકાર કરે તેને ધર્મ
જાણવો” (મનુસ્મૃતિ ૨.૧)
“કર્મને વિષે જ તારો અધિકાર છે, તેમાંથી નીપજતા ફળ વિષે કદાપી નહિ. કર્મનું ફળ તારો હેતુ ન હજો. કર્મ કરવા વિષે પણ તેનો આગ્રહ ન હજો” (ભાગવત ગીતા ૨.૪૭)
ગીતાના બહુ જાણીતા આ શ્લોકનું આવું સરળ ભાષાંતર અવશ્ય નાનામાં નાના માનવીને સમજાય તેવું છે.ઈશ્વરના ભિન્ન ભિન્ન ભવનો અર્થાત ભક્તિ-ઈબાદત સ્થાનો અંગે પણ આ બાઈબલ ખંડમાં ગાંધીજીનું એક સુંદર અવતરણ તકતીમાં મુકવામાં આવેલા છે. જેમ લખ્યું છે,
“મંદિરો, મસ્જીતો અથવા દેવળો….આ બધા ઈશ્વરના ભવનો વચ્ચે હું કશો ભેદ કરતો નથી. એ બધા શ્રધ્ધાએ નિર્માણ કર્યા છે. કોઈને કોઈ રીતે અદ્રષ્ટને પહોંચવાની માનવીની ઝંખનાને એ સંતોષે છે”
તેની સાથે જ સર્વધર્મ નિષ્ઠાના મથાળા નીચે ગાંધીજીના સર્વધર્મ વિચારને વ્યક્ત કરતા એક તકતીમાં લખ્યું છે,
“મારું ઘર બધી બાજુએ ઊભી દીવાલોથી ઢંકાયેલું રહે અને એની બારીઓ બંધ કરી દેવામાં આવે એ હું નથી ઈચ્છતો. મારા ઘરની આસપાસ દેશદેશાન્તરની સંસ્કૃતિઓના પવન સૂસવતા રહે એમ જ હું પણ ઈચ્છું છું. પણ તે પવનથી મારી ધરતી ઉપરથી મારા પગ ફગી જાય અને હું ઉથલી પડું એ હું નથી ઈચ્છતો”
ભારતીય સંસ્કૃતિમાં સમન્વય જરૂરી છે. પણ એ સમન્વય આપણી સંસ્કૃતિના હાર્દને ખંડિત કરે તે ખુદ ગાંધીજી ઇચ્છતા ન હતા. એ આ અવતરણ ઉપરથી સ્પષ્ટ જાણી શકાય છે. અને એ સમન્વયના ભાગ રૂપે બાઈબલ ખંડમાં દરેક ધર્મના સુંદર અવતરણો આપવામાં આવ્યા છે. ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુરાને શરીફની આયાતોને એક તકતી ઉપર ટાંકતાં લખવામાં આવ્યું છે,
“તું ગમે તે બાજુ ફરે, ત્યાં અલ્લાહ અભિમુખ છે” (કુરાન : ૨.૧૦૯)
“અલ્લાહનો આદેશ ન્યાય માટે, સત્કાર્યો કરવા માટે અને આશ્રિતોને જરૂર હોય તે પૂરું પાડવા માટે છે. તે દુષ્ટતા અસમાનતા, અને જુલ્મનો નિષેધ કરે છે” (કુરાન : ૧૬.૯૨)
ખ્રિસ્તી ધર્મના ઉદેશને સાકાર કરતુ અવતરણ એક અન્ય તકતી પર જોવા મળે છે.
“ઈસુ કહે છે ‘તું તારા પ્રભુ ઉપર પુરા હૃદયથી, પુરા જીવથી અને પુરા મનથી પ્રેમ રાખજે : એ સૌથી મોટી અને પહેલી આજ્ઞા છે. અને એના જેવી જ બીજી છે : તારા માનવ બધું ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખજે. સમગ્ર શાસ્ત્રનો અને પયગમ્બરની વાણીનો આધાર આ બે આજ્ઞાઓ છે”
જરથોસ્ત ધર્મનું પણ એક સુંદર અવતરણ બાઈબલ ખંડની દીવાર પરની એક તકતી પર પણ જોવા મળે છે.જેમાં લખ્યું છે,
“સર્વ માનવી પોતા સમા અને પોતાના બાળકો સમા છે. આથી માનવીએ જાણીબુઝીને બીજાઓને પીડા ન કરવી જોઈએ.તે જ રીતે તેમને થતી પીડામાં આનંદ ન માનવો જોઈએ” (ડીન્કર્ડ-૯)
“સુખી એ, જેનાથી બીજા સુખી” (યસ્ન : ૪૩.૧)
એ જ રીતે જૈન ધર્મના પણ બે અવતરણો આપવામાં આવ્યા છે. જેમાં લખ્યું છે.
“પોતાના માટે કે પારકા માટે ક્રોધના આવેશમાં આવીને કે ડરીને કોઈની હિંસા થાય એવું અસત્ય વચન બોલવું નહી અને બીજા પાસે બોલાવવું નહિ” (દશવૈતાલિક સુત્ર : ૬.૧૧)
“પોતાના આત્માનું હિત ઇચ્છતા મનુષ્યે પાપને વધારનાર ક્રોધ, માન માયા અને લોભ આ ચારે દોષને તજી દેવા જોઈએ” (દશવૈતાલિક સુત્ર : ૮.૩૭)
બૌદ્ધ ધર્મના આદર્શ સૂત્રને વ્યક્ત કરતા એક તકતી પર લખ્યું છે,
“આ જગતમાં વેરથી વેર કદી પણ શાંત થતા નથી. પ્રેમથી વેર શાંત થાય છે એ સનાતન ધર્મ છે”
(ધમ્મપદ ૧.૫.)
“અક્રોધ વડે ક્રોધને જીતવો, સાધુતા વડે અસધુતાને જીતવી, દાન વડે કંજુસાઈને જીતવી અને સત્ય વડે અસત્યવાદીને જીતવો” (ધમ્મપદ ૧૭.૩.)

આવા સુંદર આધ્યાત્મિક અવતરણોથી સજાવેલ ગાંધીજીના “બાઈબલ ખંડ”ની ગુજરાતના પ્રવાસે આવતા સૌ પ્રવાસીઓએ એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ. તેમાં વ્યાપેલ ગાંધી મહેકને માણવી જોઈએ. તેમાં અનુભવાતી શાંતિ અને પવિત્રતાને આત્મસાત કરવી જોઈએ. તો જ ગુજરાતના અર્વાચીન પ્રવાસ સ્થાનોની મુલાકાતે આવતા પ્રવાસીઓ પ્રવાસનો સાચો હાર્દ પામી શકશે.

Leave a comment

Filed under Uncategorized

ઐતિહાસિક ફિલ્મો : ઇતિહાસ અને કલ્પનાનું મિશ્રણ

હાલમાં જ “બાજીરાવ મસ્તાની” ફિલ્મ જોઈ. ઇતિહાસના અધ્યાપક તરીકે ઐતિહાસિક ફિલ્મ જોવાનો મને શોખ છે. તેનો મુખ્ય ઉદેશ ફિલ્મ સર્જકે ઇતિહાસ સાથે કેવી અને કેટલી છુટછાટ લીધી છે, તેનો અભ્યાસ કરવાનું મને ગમે છે. વળી, ઇતિહાસ મારો રસ અને વ્યવસાયનો વિષય હોય એ પ્રત્યેની સજાગતા અને જ્ઞાન અભિવૃદ્ધિ માટે પણ ઐતિહાસિક ફિલ્મો જોવાનું ચૂકતો નથી.
મને બરાબર યાદ છે કોલેજ કાળમાં મેં સોહરાબ મોદીની ઐતિહાસિક ફિલ્મ “સિકંદર” સૌ પ્રથમ મેં જોઈ હતી એ પછી તો અનારકલી, મિર્ઝા ગાલીબ, ઝાસી કી રાની, મોગલે આઝમ, બૈજુબાવરા,પુકાર, શહીદ, રઝીયા સુલતાન, મંગલ પાંડે, અશોકા, ગાંધી, સરદાર, સુભાષ ચંદ્ર બોઝ, ભગતસિંહ જેવી અનેક ફિલ્મો જોઈ. આજે પણ એ સીલસીલો ચાલુ છે. જો કે આજે ઐતિહાસિક ફિલ્મો અર્થાત કોસ્ચુમ ફિલ્મો જુજ બને છે. કારણ કે તેમાં અઢળક સંશોધન અને ઐતિહાસિક તથ્યોની આધારભૂત રજૂઆત અનિવાર્ય હોય છે. એવી ગુણવત્તા આપણા આજના ફિલ્મ સર્જકોમાં બહુ જુજ જોવા મળે છે. પણ એક યુગ હતો જયારે ઐતિહાસિક ફિલ્મો બનતી અને લોકો ભરપેટ તે માણતા હતા. એ યુગમાં ઐતિહાસિક ફિલ્મોના સર્જનમાં સોહરાબ મોદી, કમાલ અમરોહી, મહેબૂબ ખાન અને કે. આસીફ, વિજય ભટ્ટ જેવા નિર્દેશકોનું નામ સૌ ઈજ્જતથી લેતા હતા. આજે આપણી પાસે એવા નિર્દેશકો નથી. પરિણામે ઐતિહાસિક ફિલ્મોનો યુગ પુરો થઇ ગયાનું આપણે સૌ અનુભવીએ છીએ.
૨૦૦૨મા ભગતસિંહ પર એક સાથે ત્રણ ફિલ્મો બની હતી. શહીદે આઝમ, ૩૧ માર્ચ ૧૯૩૧ : શહીદ, ધી લેજન્ડ ઓફ ભગતસિંહ. પ્રથમ ફિલ્મમાં સોનું સૂદ, બીજીમાં બોબી દેઓલ અને ત્રીજીમાં અજય દેવગને ભગતસિંહની ભૂમિકા અદા કરી હતી. અજય દેવગણની ફિલમનું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું હતું. પ્રમાણમાં એ ફિલમ કઇંક સારી હતી. પણ તારને ફીલોમાં સદંતર નિષ્ફળ રહી હતી. એ ત્રણે ફિલ્મોમાં ભગતસિંહની પ્રેમકથાને કલ્પનાના સહારે બહેલાવવામાં આવી હતી. વળી, તેમાની એક ફિલ્મ જેમાં બોબી દેઓલ હતો તેમાં તો ભગતસિંગને બગીચામાં પ્રેમિકા સાથે ગીત ગાતા પણ દર્શાવવામાં આવ્યા હતો. અને ત્યારે એક ઇતિહાસના અધ્યાપક તરીકે એ ફિલ્મ સર્જકને ગોળીએ દેવાનો ક્રૂર વિચાર મારા મનમાં ક્ષણવાર માટે જન્મ્યો હતો. પણ અહિંસા પણ કોઈ ચીજ છે. એમ માનીએ એ વિચારને દાટી દઈ હું અડધી ફિલ્મે ઘર ભેગો થઇ ગયો હતો.
પણ રસ્તામાં મને મનોંજકુમારની ભગતસિંહ પર આધારિત ફિલ્મ “શહીદ” યાદ આવી ગઈ. ઈતિહાસને તેના અસલ સ્વરૂપમાં રજુ કરતી એ ફિલ્મ આજે પણ ભગતસિંગ પર બનેલી આધારભૂત ફિલ્મ છે. મનોજકુમારે તેના સર્જન પૂર્વે ભગતસિંહ પર કરે ઝીણવટ ભર્યા સંશોધનનો તે ફિલ્મ જોતા અહેસાસ થઇ આવે છે. ફિલ્મના સર્જન પૂર્વે મનોંજ કુમારે ભગતસિંહની માતાની મુલાકાત પણ લીધી હતી. આવી સજ્જતા ઐતિહાસિક ફિલ્મોના સર્જનમાં અતિ આવશ્યક છે. ટૂંકમાં ઐતિહાસિક વિષય લેખન કે ફિલ્મ સર્જન ઝીણવટ ભર્યું સંશોધન માંગી લે છે. મને બરાબર યાદ છે જયારે મારા વડીલ અને જાણીતા લેખ ડો. રાહી માસુમ રઝા બી.આર. ચોપરાની “મહાભારત” ટી.વી સીરીયલ લખી રહ્યા હતા ત્યારે મહાભારતના દરેક પાત્ર પર તેમણે કરેલ સંશોધનનો હું સાક્ષી રહ્યો છું. તેમના લેખન ખંડમાં મહાભારત પર લખાયેલા અનેક ભાષી ગ્રન્થો મેં જોયા છે. એક મુસ્લિમ હોવા છતાં મહાભારત અને ગીતાનું તેમનું જ્ઞાન કોઈ હિંદુ પંડિતને પણ શરમાવે તેવું હતું.
અલબત ઐતિહાસિક વિષયો પરની ફિલ્મોના સર્જનમાં ગ્લેમર અને કલ્પનાનો તડકો વ્યવસાયિક દ્રષ્ટિએ જરૂરી હોય છે. પણ ઐતિહાસિક તથ્યો સાથે કોઈ પણ પ્રકારના ચેડા કર્યા વગર તેનો સમાવેશ થવો જરુરી છે. કથા કેટલાક કાલ્પનિક પાત્રો ભલે ઉમેરાય, પણ મુખ્ય પાત્રની ઐતિહાસિકતાને જાળવવી અંત્યંત જરૂરી છે. પણ આપણા મોટાભાગના ફિલ્મ સર્જકોમાં એવી સભાનતા નથી. કારણ કે તેઓ ફિલ્મ વ્યવસાયિક દ્રષ્ટિથી બનાવાત હોય છે. પરિણામે ઘણીવાર તો આખે આખી ઐતિહાસિક ફિલ્મ કોઈ કાલ્પનિક પાત્ર પર બન્યાના દાખલા પણ હિન્દી ફિલ્મમાં જાણીતા છે. એવું જ એક કાલ્પનિક પાત્ર ફિલ્મ સર્જકોમાં વર્ષોથી લોકપ્રિય રહ્યું છે. જેનું નામ છે “અનારકલી”. આ પાત્ર પર અનેક ફિલ્મો બનીએ છે. સૌ પ્રથમ બહુ ચાલેલી બીનારોય અને પ્રદીપકુમારની ફિલ્મ “અનારકલી”. બીનારોય એટલે એક જમનાના જાણીતા વિલન અને ચરિત્ર અભિનેતા પ્રેમનાથના પત્ની. એ પછી કે. આસિફે વર્ષોની જહેમત પછી બનાવેલી સલીમ અને અનારકલીની પ્રેમ કથા પર આધારિત ફિલ્મ “મોગલે આઝમ”. મોગલે આઝમ પણ અત્યંત સફળ નીવડી હતી. પણ તે કથા સંપૂર્ણ કાલ્પનિક છે, એ વાત બહુ ઓછા લોકો જાણે છે. ઇતિહાસના પાનાઓ પર અનારકલી જેવું કોઈ પાત્ર અઢળક સંશોધન પછી પણ મને જોવા મળ્યું નથી. છતાં પ્રેમકથાઓના સર્જનમાં ઐતિહાસિક પાત્રો ફિલ્મ સર્જકોમાં અત્યંત પ્રચલિત રહ્યા છે. લૈલા મજનું, હીર રાંઝા, સોહની મહિવાલ, જોધા અકબર અને બાજીરાવ મસ્તાની જેવી પ્રેમકથાઓ પર અનેક ફિલ્મો બની છે. કારણ કે દર્શકોને થીયેટર સુધી લાવવામા આવી પ્રેમ કથાઓ હંમેશા સફળ રહી છે.
હમણાં છેલ્લી બે પ્રેમ કથાઓ જોધા અકબર અને બાજીરાવ મસ્તાની પર સુંદર ફિલ્મો જોવા મળી છે. “જોધા અકબર” નું સર્જન આશુતોષ ગોવાલકરે કર્યું છે. જયારે બાજીરાવ મસ્તાનીનું સર્જન સંજય લીલા ભણસાલીએ કર્યું છે. બંને ફિલમો ઇતિહાસના મધ્યયુગની ઘટનાઓ પર આધારિત છે. એક ફિલ્મ મોઘલ શાસન કાળના રાજકીય ઈતિહાસને વાચા આપે છે. તો બીજી ફિલ્મ મરાઠા શાસનને વ્યક્ત કરે છે. “જોધા અકબર” ફિલ્મમાં અકબર જોધા વચ્ચેનો પ્રેમ અને લગ્નનું ચિત્રણ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. એ જ ઘટના ” મોગલે આઝમ” ફિલ્મમાં પણ દર્શાવવામાં આવેલ હતી. પણ એ મૂળ કથાના પ્રવાહમાં આવતી ઘટના તરીકે ચિત્રિત થઈ હતી. જયારે “જોધા અકબર” ફિલ્મ બંને પાત્રોને કેન્દ્રમાં રાખી બનાવવામાં આવી હતી. તેમાં બંનેના પ્રેમને કેન્દ્રમાં રાખવમા આવ્યો હતો. તેમાં દર્શાવવામાં આવેલ અકબર અને જોધાના પ્રસંગોમાં વ્યક્ત થતી ધાર્મિક સદભાવના આજે પણ ઇતિહાસ બોધ તરીકે જીવંત છે. ભારતની બિન સાંપ્રદાયિકતાના આદર્શો તેમાં બખૂબી પ્રતીત થાય છે.

મઘ્યકાલીન ભારતના ઇતિહાસમાં “અકબર જોધા” આધારભૂત પાત્રો છે. ઇતિહાસમાં તેમનુ વજુદ છે. એ યુગમાં રાજપૂત કન્યા સાથેના અકબરના લગ્નએ ઇસ્લામિક કટ્ટર પંથીઓમાં મોટો વિવાદ જગાડ્યો હતો. એ પણ કડવું સત્ય છે. પણ અકબરની દૂરંદેશી અને મક્કમતાને કોઈ મુસ્લિમ કટ્ટરપંથીઓ ડગાવી શકાય ન હતા.અકબરની ધર્મનિરપેક્ષ નીતિના મૂળમાં જોધા સાથેના નિકાહ પણ એક મહત્વનું પરિબળ હતા. એ દરેક ઇતિહાસકાર નિર્વિવાદ સ્વીકારે છે. અકબર અભણ હતો. પણ અંત્યત દૂરંદેશી હતો. ભારતમાં વિદેશી શાસક તરીકે શાશન કરવાની નીતિનો તે સખત વિરોધી હતો. ભારતની હિંદુ પ્રજા તેને વિદેશી શાશક તરીકે જોવે તેને તે પોતાનું અપમાન ગણતો હતો. જોધાની ધાર્મિક વિચારધારાને રાજ્યમાં યોગ્ય માન અને સ્થાન આપી તેણે પોતાની ધર્મ નિરપેક્ષ નીતિ જાહેર કરી દીધી હતી. પ્રજા સાથે પણ એજ સમાન વ્યવહાર કરવાનો રાજ્યના તમામ સુબોને તેણે આદેશ આપ્યો હતો. અકબરની આવી નીતિ કારણે જ મુસ્લિમ કટ્ટરપંથીઓએ અંતે જોધાને મોઘલ સામ્રાજ્યની મહારાણી તરીકે સ્વીકારી લીધી હતી.

બાજીરાવ મસ્તાનીની કથા એ દ્રષ્ટિએ થોડી જુદી છે. બાજીરાવ મસ્તાનીની પણ ભારતના મધ્ય યુગની પ્રેમ કથા છે. મરાઠા સામ્રાજયનો એ મધ્યાન યુગ હતો. બાજીરાવની સત્તા અને શક્તિનો સુર્ય તપતો હતો. એવા સમયે એક પ્રેમ કથા આકાર લે છે. નૃત્ય અને સંગીતને પોતાનો વ્યવસાય બનાવી જીવતા એક મુસ્લિમ કુટુંબમાંથી આવતી સુંદર કન્યા મસ્તાનીના પ્રેમમાં બાજીરાવ પડે છે. આ પ્રેમ કથાના હિંદુ અને મુસ્લિમ બંને પાત્રો ઐતિહાસિક છે. બાજીરાવનો મસ્તાની સાથેનો અણી શુદ્ધ પ્રેમ ઇતિહાસના પાનાઓ પર આજે પણ અંકિત છે. એ ઘટના પ્રેમની અદભુદ પરિભાષા વ્યકત કરે છે. પણ છતાં ધર્મના ઠેકેદારો બાજીરાવના લગ્નને માન્ય કરતા નથી. અલબત્ત બાજીરાવ તે માટે અઢળક પ્રયાસો કરે છે. છતાં તે મસ્તાનીને પોતાના રાજ્યમાં એક પટરાણી જેવું માન અને સ્થાન અપાવવામાં નિષ્ફળ જાય છે. એ ફિલ્મની હાઈ લાઈટને નિર્દેશકે સુંદર રીતે ચિત્રિત કરેલ છે.

1 Comment

Filed under Uncategorized