Monthly Archives: June 2015

પ્રમુખ સ્વામીના આશીર્વાદનું સ્મરણ : ડો. મહેબૂબ દેસાઈ

હોબાર્ટ (ઓસ્ટ્રેલિયા)માં ભારત અને ખાસ તો ગુજરાત સાથે જોડાઈ રહેવાનું ઉત્તમ માધ્યમ મારા માટે  “દિવ્ય ભાસ્કર” દૈનિકનું ઈમેઈલ પેપર બની રહ્યું છે. અત્રે રોજ બપોરે ૩.૩૦ (ભારતીય સમય મુજબ સવારે ૧૧ વાગ્યે) કલાકે મારા લેપટોપ પર ગુજરાતને મળી લઉં છું. ૨૯ જુનના અંકમાં પૃષ્ઠ નંબર ૩ પર ડો. કલામે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામીના પુસ્તકનું વિમોચન કર્યાના સમાચાર વાંચી, આજથી પાંચેક વર્ષ પૂર્વે પ્રમુખ સ્વામી સાથેની મારી ભાવનગરમાં થયેલ મુલાકાત મને યાદ આવી ગઈ. આમ તો પ્રમુખ સ્વામી સાથેનો મારો નાતો સૂફી સંતોની પરંપરા મુજબ મુરીદ અને મુરશીદ જેવો રહ્યો છે. પ્રથમ મુલાકતમાં તેમણે મારા પુસ્તક “ગુજરાતમાં પ્રવાસન”ને આશીર્વાદ આપ્યા હતા. જયારે બીજી મુલાકાતમાં તેમણે મને રમઝાન માસમાં આપેલ દુઆ આજે પણ મારી સાથે છે. એ પ્રસંગ મારા જીવનમાં અમુલ્ય અને વિસ્મરણીય બની રહ્યો છે.

એ ઈ.સ. ૨૦૧૦ની સાલ હતી. એ સમયે મારું નિવાસ ભાવનગરમાં હતું. રમઝાન માસ ચાલી રહ્યો હતો. એ દિવસે રમઝાન માસનો ૧૯મો રોઝો હતો. વહેલી પરોઢે મેં તહેજ્જુદની નમાઝ અદા કરી. પછી મેં અને મારી પત્ની સાબેરાએ સહેરી( રોઝા પૂર્વેનું ભોજન) કરી .એ પછી ફજરની નમાઝ પઢી હું કુરાને શરીફનું પઠન કરવા બેઠો. ત્યાં સાબેરા બોલી ઉઠી,

“આજે સવારે આઠેક વાગ્યે હિતેશભાઈએ અક્ષરધામમાં આવવા નિમત્રણ આપેલ છે. થોડીવાર માટે આપણે જઈ આવીશું ?”

કુરાને શરીફમાં કહ્યું છે,

“મેં (ખુદાએ) દરેક કોમ માટે એક માર્ગદર્શક ગ્રંથ અને રાહબર મોકલ્યો છે”

અને એટલે જ દરેક ધર્મ અને તેના સંતોને સન્માન આપવાનો ચીલો મારા ઘરમાં વર્ષોથી છે. પરિણામે આવા નિમંત્રણો અમને મળતા રહે છે. કુરાને શરીફનું પઠન ચાલુ હોઈ એ ક્ષણે તો મેં કઈ જવાબ ન આપ્યો. પણ કુરાને શરીફનું પઠન પૂર્ણ કરી વાતનો તંતુ સાંધતા મેં કહ્યું, “સારું જઈશું” . ત્યારે ભાવનગરના આંગણે પધારેલા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામીજીના ફરી એકવાર દીદારનો મોહ મારા મનમાં ઊંડે ઊંડે પડ્યો હતો. આ પુર્વે પ્રમુખ સ્વામીજી ભાવનગર પધાર્યા ત્યારે મારા મિત્ર ડો. જગદીપ કાકડિયા મને તેમના દીદાર માટે લઈ ગયા હતા. અને ત્યારે મારા તાજા પુસ્તક

“ગુજરાતમાં પ્રવાસન”ને તેમણે આશીર્વાદ આપ્યા હતા. એટલે આ વખતે પણ તેમના દીદારની ઈચ્છા તો હતી જ. પણ તેની સંભાવના નહીવત હતી.

અમે લગભગ આઠેક વાગ્યે અક્ષરધામ પહોચ્યા. મંદિર પરિસરની ભવ્યતા અને શિસ્ત મનમોહક હતા. કાર પાર્કિંગ માટે સ્વયં સેવકની નમ્રતા અને સહાય કરવાની તત્પરતા મને સ્પર્શી ગઈ. મંદિરના પરિસરના મેદાનમાં જ હિતેશભાઈ અમારી રાહ જોઈને ઉભા હતા. અમને જોઈ તેમના ચહેરાપર આનંદ છવાઈ ગયો. જાણે અમે તેમના મહેમાન હોઈએ તેટલા મીઠા ભાવથી તેમણે અમને આવકાર્ય. અને પછી તે અમને એક મોટા હોલ તરફ દોરી ગયા. લગભગ પાંચેક હજાર ભક્તોથી હોલ ભરાયેલો હતો. બહેનોના વિભાગમાં સાબેરાએ સ્થાન લીધું. જયારે ભાઈઓના વિભાગમાં હું અને હિતેશભાઈ બેઠા. હોલનું વાતાવરણ અત્યંત ભક્તિમય હતુ. મોટા ભવ્ય સ્ટેજ પર પ્રમુખ સ્વામીજી બિરાજમાન હતા. સુંદર ભજનો માઈકમાથી પ્રસરી વાતાવરણને ભક્તિમય બનાવી રહ્યા હતા. થોડીવાર તો હું એ ભક્તિના માહોલમાં ઓગળી ગયો. પણ કમરની તકલીફને કારણે હું ઝાઝું બેસી ન શક્યો. દસેક મીનીટ પછી મેં ધીમેથી હિતેશભાઈને કહ્યું,

“વધારે સમય પલાઠીવાળી મારાથી બેસાતું નથી. એટલે હું હોલના પગથીયા પર બેઠો છું”

તેમણે મને સસ્મિત સંમતિ આપી. અને હું હોલ બહાર આવ્યો. હોલ બહારના મેદાનની સ્વછતા અને શિસ્ત ગઝબના હતાં. સ્વયમ સેવકો ખડેપગે તેની તકેદારી રાખતા હતા. આવી જ સ્વછતા અને શિસ્ત મેં મક્કાના કાબા શરીફ અને મદિનાની મસ્જીદએ નબવીમા જોયા હતા. હોલના પગથીયા પર બેઠો હતો ને મારી નજર મારા મિત્ર શ્રી બહ્મભટ્ટ પર પડી. “જય સ્વામિનારાયણ” સાથે અમે એક બીજાનું અભિવાદન કર્યું.

“મહેબૂબભાઈ, તમે અહીંયા કયાંથી ?” એવા આશ્ચર્ય ભાવ સાથે તેઓ મને તાકી રહ્યા. મેં તેમની નવાઈને પામી જતાં કહ્યું,

“રમઝાન માસમાં કોઈ પવિત્ર સ્થાનની મુલાકાત તો લેવી જોઈએ ને”

અને તેમણે સસ્મિત મારા જવાબને વધાવી લીધો. વાતમાંને વાતમાં મેં કહ્યું,

“પ્રમુખ સ્વામીના દીદાર (દર્શન)ની ઈચ્છા છે”

“એમ”

પછી થોડું વિચારીને તેઓ બોલ્યા,

”સામે પેલા પડદા દેખાય છે ને ત્યાં ભજન કાર્યક્રમ પછી આવી જજો”

ભજન કાર્યક્રમ પૂર્ણ થતા મેં એ દિશામાં કદમો માંડ્યા. ત્યાં શ્રી.બ્રહ્મભટ્ટ મારા માટે એક પાસ લઈને ઉભા હતાં. મને પાસ આપતા કહ્યું,

“ આ પાસ સ્વામીજીના ખંડમાં જવાનો છે. અંદર સ્વયમ સેવકો આપને દોરશે”

અને હું તેમને અહોભાવની નજરે તાકી રહ્યો. એ પછી મેં ખંડ તરફ કદમો માંડ્યા. અંદર પ્રવેશતા જ પ્રથમ મારું મેડીકલ ચેકિંગ થયું. એ પછી મને એક ફોર્મ ભરવા આપવામાં આવ્યું. ફોર્મ ભરીને મેં આપ્યું એટલે મારા હાથને જંતુ નાશક પ્રવાહીથી સ્વચ્છ કરવામાં આવ્યા. આટલી તેક્દારી પછી ધબકતા હદયે મેં ખંડમા પ્રવેશ કર્યો. ૯૦ વર્ષના પ્રમુખ સ્વામીજી સંપૂણ આધુનિક વ્હીલચેર પર બેઠા હતા. વ્હીલચેર પર સરકતા સરકતા જ સૌને આશીર્વાદ આપતા હતા. મારો વારો આવ્યો એટલે મેં તેમને પ્રણામ કરી કહ્યું ,

“મારું નામ પ્રોફેસર મહેબૂબ દેસાઈ છે. પવિત્ર રમઝાન માસમાં આપના જેવા મહાઆત્માના દર્શન અને આશીર્વાદ માટે આવ્યો છું”

મારા પરિચયથી પ્રમુખ સ્વામીના ચહેરા પર સ્મિથ પથરાય ગયું. મારા ખભાને સ્પર્શ કરતા અત્યંત ધીમા સ્વરે તેઓ કંઇક બોલ્યા. તેમના એ શબ્દો મને બરાબર સંભળાય નહિ. આશીર્વાદની ક્રિયા પૂર્ણ થઈ છે એમ માની હું ચાલવા માંડ્યો. એટલે તેમણે તેમનો હાથ ઉંચો કરી મને પાછો બોલ્યો. અને સંભળાય તેવા સ્વરે બોલ્યા,

“ખુબ સુખી થાવ. સમૃદ્ધ થાવ. અને સમાજ માટે ખુબ કાર્ય કરો”

આસપાસના ભક્તો આ આશીર્વાદનો વરસાદ આશ્ચર્ય ચકિત નજરે જોઈ રહ્યા. આવી ઘટનાથી મોટે ભાગે તેઓ ટેવાયા ન હતા. કારણ કે પ્રમુખ સ્વામી દર્શનાર્થીને પુનઃ બોલાવી ક્યારેય કઈ કહેતા નથી. વળી, અત્યારે તેમની તબિયત પણ નાદુરસ્ત હતી. આમ છતાં એક મુસ્લિમ પર સસ્મિત આશીર્વાદનો વરસાદ વરસાવી પ્રમુખ સ્વામીએ એક મહાઆત્માની સરળતાને સાકાર કરી હતી. હું તેમની આ પ્રસાદી સાથે પ્રસન્ન ચિત્તે બહાર આવ્યો. પણ ત્યારે મારું હદય મહાઆત્માના અનાયાસે પ્રાપ્ત થયેલ ભરપુર આશીર્વાદથી છલકાઈ ગયું હતુ.

આજે એ ઘટનાને પાંચેક વર્ષો પસાર થઇ ગયા છે. છતાં પ્રમુખ સ્વામીના એ આશીર્વાદ આજે પણ મને ભીજવતા રહે છે, મારા જીવનમાં શીત છાય બની બંને રક્ષતા રહે છે. આવી ખુશનસીબી માટે હું ખુદા-ઈશ્વરનો હંમેશા આભાર માનતો રહ્યો છું. અને માનતો રહીશ.

1 Comment

Filed under Uncategorized

આંતરરાષ્ટ્રીય ઇફ્તેયારી : એખલાસનું આદર્શ દ્રષ્ટાંત ; ડો. મહેબૂબ દેસાઈ

વિદેશમાં વસતા વિવિધ દેશોના બાશીન્દાઓ પોતાના દેશમાં ભલે કોમ,જાતી કે ધર્મના નામ પર ઝગડ્યા કરતા હોય. પણ જયારે તેઓ વિદેશમાં ભેગા થાય છે, ત્યારે એકતા અને ભાઈચારનું વિશ્વને આદર્શ દ્રષ્ટાંત પૂરું પાડે છે. પાકિસ્તાનમાં શિયા અને સુન્નીના ઝગડા જાણીતા છે. ભારત પણ તેથી અલિપ્ત નથી. પણ આ જ શિયા સુન્ની વિદેશમાં મળે છે ત્યારે એકતા અને ભાઈચારનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે. આપને જાણીને નવાઈ લાગશે કે આજે અમે હોબાર્ટ મસ્જિતમાં પાકિસ્તાનના મુસ્લિમો દ્વારા આયોજિત ઇફ્તેયારી કાયક્રમમાં ગયા હતા.જ્યાં શિયા સુન્ની કે ભારત પાકિસ્તાન જેવા કોઈ ભેદભાવ વગર વિશ્વનો મુસ્લિમ સમાજ મળે છે અને દર રમઝાન માસમાં એક બીજાને  ઇફ્તેયારી કરાવે છે. ઇફ્તીયારી એટલે રોઝો છોડાવવો. ઇસ્લામમાં ઉપવાસી કે રોઝદારને રોઝો છોડાવવાના કાર્ય માટે અલ્લાહે  અઢળક પુણ્ય આપેલ છે.

હોબાર્ટ મસ્જિતમાં આ રમઝાન માસનો સૌ પ્રથમ ઇફ્તીયારીનો કાયક્રમ ૨૦ જુનના રોજ યોજાયો હતો. હોબાર્ટ મસ્જિતનો પાયો મલેશિયાના એગ્રીકલ્ચર મિનીસ્ટર દાટો એફ્ફેન્ડી નોર્વવાવીએ ૧૯ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ નાખ્યો હતો. મસ્જિત નાની છે. પણ સગવડતાઓથી ભરેલી છે. તેના આરંભકાળથી તેના મૌલાના તરીકે મલેશિયાના મૌલવી કાર્ય  કરે છે. મસ્જિતનો વહીવટ એક કમીટી દવારા કરવામાં આવે છે. આ મસ્જિતમાં તબલીગ કે સુન્ની જેવા કોઈ ઝગડા નથી. અહિયા બંનેની જમતોને આવકારવામાં આવે છે. તેમાં દર રમઝાન માસમાં શની અને રવિવારે જુદા જુદા દેશોના  મુસ્લિમો દ્વારા ઇફ્તીયારીનો કાર્યક્રમ રમઝાનમાં યોજાય છે. આ વખતે પાકિસ્તાન, મલેશિયા, બાંગ્લાદેશ , ફીજી, ભારત અને સાઉદી અરેબિયા દ્વારા રમઝાન માસના દર શની- રવિ ઇફ્તીયારીનું આયોજન થયેલ છે. એ કાર્યક્રમમાં જુદા જુદા દેશોના ૨૦૦ થી ૨૫૦ મુસ્લિમ સ્ત્રી-પુરુષો ભાગ લે છે. એક સમયની ઇફ્તીયારીનો ખર્ચ લગભગ ૨૫૦૦ ડોલર આવે છે. જે તે દેશના મુસ્લિમો તે વહેંચી લે છે. આજે  રમઝાન માસનો પ્રથમ શનિવાર હોઈ, પાકિસ્તાની મુસ્લિમો તરફથી ઇફ્તીયારીની દાવત આપવામાં આવી છે. સવારથી પાકિસ્તાની યુવાનો તેની તડામાર તૈયારીમાં લાગી ગયા છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા દરેક પાકિસ્તાનીએ તન,મન અને ધનથી આ ઇફ્તીયારી  કાર્યક્રમમાં પોતાનું પ્રદાન નોંધાવ્યું છે. સાંજે ૪.૩૦ કલાકે અમે મસ્જિત પર પહોંચ્યા ત્યારે ત્યાની વ્યવસ્થા જોઈ આનંદ થયો. નમાઝ પઢવાના ખંડમાં લાંબા સફેદ દસ્તખાન પર, ભારતીય બેઠકમાં દરેક માટે એક એક પ્લેટ મુકાવના આવેલી હતી. જેમાં પાકિસ્તાની વાનગીઓ મહેકતી હતી. વિશ્વના મુસ્લિમોના પ્રતિનિધિના સમા ઓસ્ટ્રેલિયામાં વસતા જુદા જુદા દેશોના મુસ્લીમો તેના પર રોઝો છૂટવાના ઇન્ત્ઝારમાં વ્યવસ્થિત બેઠા હતા. આ દ્રશ્ય કોઈ પણ શિસ્ત પ્રિય માનવીને ગમી જાય તેવું હતું. ઇફ્તેયારીના કાર્યક્રમનું આયોજન પાકિસ્તાના હોબાર્ટમાં વસતા મુસ્લિમોએ  કર્યું હોય, ખિદમત અર્થાત સેવાનું કાર્ય જેમ કે પીરસવું અને ઇફ્તીયારી પછી મસ્જિતની સપૂર્ણ સફાઈનું કાર્ય હોબાર્ટમાં અભ્યાસ કરતા પાકિસ્તાની મુસ્લિમ વિદ્યાર્થીઓ સંભાળી લીધું હતું. તેમનો શિષ્ટાચાર અને નમ્રતા તારીફે કાબિલ હતા. અત્યંત સ્વાદિષ્ટ વાનગીઓ તેમણે ઇફ્તીયારી માટે તૈયાર કરાવી હતી. દરેક ઠંડા પીણાઓ તેમણે રોઝ્દારો માટે હાજર કરી દીધા હતા. ટૂંકમાં એક ભારતીય મુસ્લિમ તરીકે મને પાકિસ્તાનની મહેમાન નવાઝી ગમી.

હોબાર્ટ મસ્જિતમાં ઇફ્તેયારીનો આ સીલસીલો આખા રમઝાન માસ દરમિયાન ચાલુ રહે છે. દર વર્ષે રમઝાન માસના આગમન પૂર્વે જ ઇફ્તીયારી કરાવનાર દેશોની યાદી અને તારીખ નક્કી થઇ જાય છે. આ વખતે ૨૦મીએ પાકિસ્તાન, ૨૭મીએ મલેશિયા, ૨૮મીએ સાઉદી એરેબીયા, ૪ જુલાઈએ ભારત, ૫એ સાઉદી એરેબીયા, ૧૧મી એ ફીજી અને ૧૨મીએ બાંગ્લાદેશ દ્વારા ઇફ્તીયારી ઇન્શાહઅલ્લાહ યોજાવાનું આયોજન થઇ ગયેલ છે. કયારેક કોઈ સ્પોન્સર ન મળે તો સાઉદી અરેબોયા એ દિવસની ઇફ્તીયારી કરાવે છે. અત્રે ઇફ્તીયારીના કાર્યક્રમમાં ખાસ્સી ભીડ હોય છે. હોબાર્ટ મસ્જિત એ સમયે નાની લાગે છે. કારણ કે હોબાર્ટમાં આ એક માત્ર મસ્જિત છે. વળી, દર વીક એન્ડમાં જુદા જુદા દેશોની ઉત્તમ વાનગીઓ અહીં સૌને જમવા મળે છે. પરિણામે અત્રે રહેતા મુસ્લિમો પણ રોજો છોડવા અહિયા આવવાનું પસંદ કરે છે. દરેક દેશના આયોજકો તેમને પણ સપ્રેમ આવકારે છે. અને બધાને ઇફ્તીયારી કરાવી સવાબ કમાય છે.

ભારત તરફથી તા ૪ જુલાઈના રોજ ઇન્શાહ અલ્લાહ યોજાનાર ઇફ્તીયારીનો ખર્ચ આ વખતે ઓસ્ટ્રેલિયામાં વસતા ૧૦ ભારતી મુસ્લિમોએ ઉપાડી લીધેલ છે. ઇફ્તીયારીનું તમામ આયોજન  શફીકભાઈએ સંભાળેલ છે. શફીકભાઈ ગ્લેનઓરકીની કાઉન્સિલ અર્થાત મ્યુનીસીપલ કોર્પોરેશનમાં કાર્ય કરે છે. ભારત તરફથી યોજાનાર ઇફ્તીયારીનું મેનુ પણ શફીકભાઈએ તૈયાર કરી સૌને તેની જાણ પણ કરી દીધેલ છે. એ મુજબ ખજુર, એગન ભાજી, રૂહે અફઝા સાથે જુદા જુદા ફળો રાખવમાં આવેલ છે. મગરીબની નમાઝ બાદ ડીનરમાં લેમ કરી, રાઈસ, તંદુરી ચિકન અને ડેઝર્ટમાં હૈદ્રાબાદી ડબલ કા મીઠા અને અગર અગર નામક સ્વીટ ડીશ રાખવામાં આવેલ છે.

દર રમઝાન માસમાં આ જ રીતે નિયમિત શનિ અને રવિવારે હોબાર્ટ મસ્જીતમાં ઇફ્તેયારીનો કાર્યક્રમ યોજાય છે. જેમાં ઓસ્ટ્રેલિયામાં વસતા વિશ્વના દેશોના મુસ્લિમો જોડાય છે. અને મહોબ્બત અને એખલાસનું ઉમદા દ્રષ્ટાંત વિશ્વને પૂરું પાડે છે.

Leave a comment

Filed under Uncategorized

ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ઇંગ્લેન્ડમાં રમઝાન : ડૉ. મહેબૂબ દેસાઈ

ઇસ્લામમાં રમઝાન માસ દરેક મુસ્લિમ માટે ઈબાદત અને નેકીનો માસ છે. વિશ્વભરના મુસ્લિમો આ માસ દરમિયાન રોઝા રાખે છે. દાન કરે છે. અને મોટાભાગનો સમય ઈબાદતમાં વ્યતીત  કરે છે. પણ વિશ્વની ભૌગોલિક સ્થિતિ મુજબ વિશ્વના દેશોમાં રમઝાનના આગમન અને રોઝાના સમયમાં ભિન્નતા જોવા મળે છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ રમઝાન માસ નવમો માસ છે. તેનો આરંભ ચાંદ દેખાવા પર થાય છે. ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, તુર્કી, દુબઈ, પાકિસ્તાન વગેરે દેશોમાં આ વખતે રમઝાનનો આરંભ ૧૮ જુનના રોજ થયો છે. એ જ રીતે દરેક દેશની ભૌગોલિક સ્થિતિ મુજબ રોઝો રાખવાનો અર્થાત શહેરી અને રોઝો છોડવાનો અર્થાત ઇફ્તીયારીનો સમય ભિન્ન ભિન્ન જોવા મળે છે.

આ વખતે દુનિયાના બે દેશોમાં રમઝાન કરવાની મને તક સાંપડી છે. શૈક્ષણિક પ્રવાસને કારણે મારા એકથી પચ્ચીસ રોઝા હોબાર્ટ (ઓસ્ટ્રેલિયા)માં થશે. અને અંતિમ પાંચ રોઝા અમેરિકાના બોસ્ટન શહેરમાં થશે. એટલે મને બંને દેશોના રમઝાનના સમય પત્રકનો અભ્યાસ કરવાની તક મળી છે. હાલ  હું ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ શહેરમાં રમઝાન કરી રહ્યો છુ. ઓસ્ટ્રેલિયામાં રમઝાન માસનો આરંભ શિયાળમાં થયો છે. અહિયા ઠંડીનું પ્રમાણ વિશેષ છે. જેમ જેમ રમઝાન માસ આગળ વધતો જાય છે, તેમ તેમ ઠંડી પણ વધતી જાય છે. આ લખાય છે ત્યારે અહિયા પાંચ  ડીગ્રી ઠંડી છે. સવારે થોડો તડકો હોય છે. પણ બપોર પછી અહિયા વરસાદ અને ઠંડી વધે છે. અને રાત પડતા સુધીમાં તો ઠંડી ૩ ડીગ્રી સુધી પહોંચી જાય છે. વળી, શિયાળની ઋતુ હોયને દિવસ નાનો છે. પરિણામે શહેરી અને ઇફ્તીયારીનો સમય પણ દુનિયાના અન્ય દેશો કરતા વહેલો છે. એ તેની પાંચ વકતની નમાઝના સમયપત્રક પરથી જોઈ શકાય છે.

ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ શહેરમાં એક મસ્જિત અને એક કબ્રસ્તાન છે. મુસ્લિમોની સંખ્યા વસ્તીના પ્રમાણમાં બે ટકા છે. એ મસ્જિતનું નામ હોબાર્ટ મસ્જિત છે. તેનો પાયો મલેશિયાના એગ્રીકલ્ચર મિનીસ્ટર દાટો એફ્ફેન્ડી નોર્વવાવીએ ૧૯ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ નાખ્યો હતો. મસ્જિત નાની છે. પણ સગવડતાઓથી ભરેલી છે. જુમ્માની નમાઝ સમયે મસ્જિત બે વિભાગમાં વહેચાય જાય છે. આગળના ભાગમાં પુરુષો નમાઝ પઢે છે. અને પાછળના ભાગમાં પડદો નાખી સ્ત્રીઓ માટે નમાઝ પઢવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. છેલ્લી ત્રણ જુમ્મા (શુક્રવાર)ની નમાઝ મેં આ જ મસ્જિતમાં પઢી છે. અને ચોથી જુમ્માની નમાઝ મેલબોર્નના ડીર પાર્કમાં આવેલ ઓસ્ટ્રેલિયન બોસ્નિયન ઇસ્લામિક સેન્ટરની મસ્જિતમાં પઢી હતી. એ મસ્જિત ઘણી વિશાલ છે. જેનું સંચાલન અત્રે રહેતા બોસમિયાના લોકો કરે છે અહિયા નમાઝ માટે ટોપી અનિવાર્ય નથી. જુમ્માની નમાઝમાં વિશ્વના મુસ્લિમોનો અહિયા મેળાવડો ભરાય છે. દરેક દેશના મુસ્લિમો જુમ્માની નમાઝમાં જોવા મળે છે. દરેક પોતાની રીતે નમાઝ પઢે છે. જેમાં કોઈ રોક ટોક કરતુ નથી. મૌલવી સાહેબ જુમ્માનો ખુત્બો (ધાર્મિક પ્રવચન) કાગળ પર લખીને લાવે છે. અને પછી તે વાંચી જાય છે. જુમ્માની નમાઝ એક વાગ્યે અઝાન અને દોઢ વાગ્યે જમાત થાય છે. પણ રોજનું નમાઝનું સમય પત્રક અલગ છે. જેના પરથી જાણી શકાય છે કે અહિયા દુનિયાના અન્ય દેશો કરતા રોઝાના કલાકો સૌથી ઓછા છે. હોબાર્ટમાં સુર્ય ૭.૩૮ ઉગે છે. એટલે ફઝર (સવાર)ની નમાઝ ૫.૫૬ થાય છે. ઝોહર (બપોર)ની નમાઝ ૧૨.૧૧ મીનીટે થાય છે. અસર (સાંજ)ની નમાઝ ૨.૨૫ કલાકે થાય છે. જયારે મગરીબ (સંધ્યા)ની નમાઝ ૪.૪૩ થાય છે. અને ઈશા (રાત્રી)ની નમાઝ ૬.૧૯ કલાકે થાય છે. રમઝાન માસ દરમિયાન પણ આ જ સમય પત્રક મોટે ભાગે જળવાઈ રહ્યું છે. પરિણામે રોઝો લગભગ બાર કલાકનો થાય છે. લગભગ સાંજના પાંચ કલાકે તો ઇફ્તીયારી થઈ જાય છે.

મારા છેલ્લા પાંચેક રોઝા ઇન્શાઅલ્લાહ અમેરિકના બોસ્ટન શહેરમાં થવાના છે. તે કદાચ મારા જીવનના લાંબામાં લાંબા રોઝા હશે. કારણ કે બોસ્ટનનું રમઝાન માસનું સમયપત્રક જોઈને  તેનો અહેસાસ થઈ જાય છે. બોસ્ટનમાં પ્રથમ રોઝા માટે ફજરની નમાઝનો સમય રાત્રીના ૨.૫૨નો છે. અર્થાત શહેરી માટે રોઝદારે લગભગ બે વાગ્યે ઉઠી જવું પડે. ૧૨.૪૫નો સમય ઝોહર(બપોર)ની નમાઝનો છે. જયારે ૪.૪૯ કલાકે  અસર(સાંજ)ની નમાઝ થાય છે. રોઝાની ઇફ્તીયારી અર્થાત મગરીબ(સૂર્યાસ્ત)ની અઝાન ૮.૨૪. થાય છે. અને ઇશાની અર્થાત રાત્રીની નમાઝ ૧૦.૨૯ છે. નમાઝ પછી તરાબીયાહ પઢી રોઝદાર લગભગ રાત્રે બાર વાગ્યે ફ્રી થાય અને એકાદ બે કલાકની માંડ ઊંઘ લે ત્યા તો બે વાગ્યે શહેરી માટે તેને ઉઠી જવું પડે. એ અર્થમાં અમેરિકાના રોઝા કોઈ પણ રોઝદાર માટે અવશ્ય કપરા બની રહે છે. મારા ભાગે આવા કપરા પાંચેક રોઝા આવવાના છે. પણ જે લોકો અમેરિકામાં બધા જ રોઝા નિયમિત કરતા હશે, તેમના માટે તો આખો રમઝાન કપરો બની રહેતો હશે. એ જ રીતે યુ.કે.ના શહેર લંડનમાં તો એથી પણ કપરી સ્થિતિ છે. ત્યાં ફજરની નમાઝનો સમય મોડી રાત્રે ૨.૩૦ કલાકનો છે. એટલે રોઝ્દારે મોડામાં મોડું રાત્રે ૧.૩૦ કલાકે તો શહેરી માટે ઉઠી જવું પડે. રોઝો છોડવાનો ઇફ્તીયારીનો સમય રાત્રે ૯.૨૦નો છે. જયારે ઇશાની નમાઝ ૧૧.૨૬ થાય છે. નમાઝ પછી તરાબીયાહ પઢી લંડનવાસી રોઝદાર કયારે ફ્રી થતા હશે અને કયારે સુવા માટેનો સમય મેળવતા હશે ? એ હવે આપ જ વિચારો.

ભારતમાં સમયની દ્રષ્ટિએ થોડી રાહત છે. ગુજરાતમાં મુખ્ય શહેર અમદાવાદની જ વાત લઈએ તો લાગે કે રોઝાનો સમય અમેરિકા અને ઇંગ્લેન્ડ કરતા ઘણો અનુકુળ છે. ફજરની નમાઝનો સમય મોટે ભાગે ૪.૪૭નો છે. એટલે રોઝદાર વહેલામાં વહેલા ચાર વાગ્યે શહેરી માટે ઉઠે તો પણ નિરાતે શહેરી કરી શકે. એ જ રીતે મગરીબની અઝાન અથવા ઇફ્તીયારીનો સમય ૭.૨૭નો છે. અને ઇશાની નમાઝ ૮.૪૯ મોટે ભાગે થાય છે. જેથી સાડા દસ કે અગિયાર સુધીમાં તો રોઝદાર  પરવારીને સુવા માટે જઈ શકે.

આ તો રમઝાનના રોઝા અને ઈબાદતના સમયની ઔપચારિક વાત થઇ. પણ સાચા અર્થમાં તો રમઝાન માસમાં દરેક મુસ્લિમ એક પણ પળ ગુમાવ્યા વગર ઈબાદત કર્યા કરે તો તે પણ ઓછી છે. કારણ કે આ માસમાં ખુદાના ફરિશ્તાઓ ખુલ્લા દિલે તમારી ઈબાદત અને નેકીઓને કબુલ કરવા તત્પર હોય છે. એવા સમયે કલાકોની ગણતરી વ્યર્થ છે. આપણે સૌ રમઝાન માસની એક પણ પળ ગુમાવ્યા વગર ઈબાદતમાં સતત રત રહીએ એ જ દુવા-આમીન

Leave a comment

Filed under Uncategorized