Monthly Archives: August 2014

વિવેકાનંદજી અને ગુજરાત : ડૉ. મહેબૂબ દેસાઈ

હાલમાં જ ગુજરાતની એક યુનિવર્સિટીની અનુસ્નાતક અભ્યાસક્રમ સમિતિના સભ્ય તરીકે નવા અભ્યાસક્રમોની ચર્ચા સમયે મારે કહેવું પડ્યું,
“સ્નાતક અનુસ્નાતક કક્ષાએ ભણાવતા ઇતિહાસ, સમાજ વિજ્ઞાન, સાહિત્ય, ધર્મ, અધ્યાત્મ, વિજ્ઞાન અને સમાજકાર્ય જેવા વિષયોમાં આપણે કયારેય વિવેકાનંદજી, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, રાજા રામ મોહન રાય, સર સૈયદ અહેમદ જેવા આધ્યાત્મિક સમાજ સુધારકોના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કે અધ્યાત્મિક વિચારો અને આચારોને અભ્યાસક્રમનો ભાગ કયારેય બનાવ્યા નથી. પરિણામે આપણા અભ્યાસક્રમો માહિતીપ્રદ ભલે લાગે પણ જીવંત અને રસમય નથી હોતા. કારણકે તેમાં સસ્કારોની સુગંધ અને પ્રેરણાનું બળ નથી હોતુ”
આ સત્યનો સૌ એ સ્વીકાર કર્યો. કારણે આપણે માત્ર ઉપરોક્ત મહાનુભાવોની જન્મ કે પુણ્ય તીથી નિમિતે તેમને યાદ કરીએ છીએ અને તેમના આચાર વિચારોની ઔપચારિક વાતો કરી, બીજા દિવસે આપણે આપણા જીવન કાર્યોમાં ગૂંથાઈ જઈએ છીએ. પરિણામે આપણા યુવાનોના ચારિત્ર ઘડતરમાં આપણે એ મહાનુભાવોના જીવનના સાચા અર્કને કયારેય વણી શકતા નથી.
જેમ કે સ્વામી વિવેકાનંદજી(૧૮૬૩-૧૯૦૨)નું જીવન આપણા યુવાનો માટે આજે પણ આદર્શ રૂપ છે. ૩૯ વર્ષ ૫ માસ અને ૨૪ દિવસનું ટૂંકું આયુષ્ય ભોગવનાર વિવેકાનંદજીના ઉપદેશો અને સામાજિક આધ્યાત્મિક વિચારો આપણા અભ્યાસક્રમોનો ભાગ કયારેય બન્યા નથી. આજે ધર્મના વિચારોની આપણી સંકુચિતતા વિસ્તરતી જાય છે. ત્યારે સ્વામીજીના ધર્મ વિચારો સહેજે યાદ આવી જાય છે. તેઓ કહેતા,
“જુના ધર્મોએ કહ્યું છે, જેને પ્રભુમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે. નવો ધર્મ કહે છે, જેને પોતાની જાતમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે”
“જગતના ધર્મો નિષ્પ્રાણ મશ્કરી જેવા થઇ પડ્યા છે. જગતને જરુર છે ચારિત્રની, જેમનું જીવન ઉત્કટ પ્રેમ અને નિસ્વાર્થથી પરિપૂર્ણ હોય એવા મનુષ્યની. એવો પરમ પ્રત્યેક શબ્દ વજ્ર જેમ પ્રભાવ પાથરતો કરી મુકશે”
“નિસ્વાર્થતા વધુ લાભાદાયક છે. પરંતુ તેનું આચરણ કરવા જેટલું ધૈર્ય લોકોમાં હોતું નથી”
સ્વામી વિવેકાનંદજીના આવા બેધડક વિચારો તેમના વ્યક્તિત્વની સાચી ઓળખ છે. એ જ સ્વામીજીની ગુજરાતની દીર્ઘકાલીન મુલાકાત પણ અત્યંત મહત્વની છે. કારણ કે ગુજરાતની ધરા પર જ શિકાગોની વિશ્વ પરિષદમાં જવાનો વિચાર વિવેકાનંદજીને જન્મ્યો હતો, વિકસ્યો હતો.
ઈ.સ. ૧૮૯૩ની શિકાગોની વિશ્વ પ્રસિદ્ધ ધર્મ પરિષદમા જતા પૂર્વે વિવેકાનંદજીએ લગભગ છ માસ ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું. ગુજરાતના અમદાવાદ, વઢવાણ, લીમડી, ભાવનગર, શિહોર, જુનાગઢ, ભુજ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, પાલીતાણા અને નડિયાદ જેવા સ્થાનોએ વિવેકાનંદજીના પાવન પગલાઓ પડ્યા હતા. અમદાવાદમાં તેઓ નાયબ ન્યાયાધીશ શ્રી લાલશંકર ઉમિયાશંકરને ત્યાં રહ્યા હતા. શહેરની અંદર આવેલ કિર્તીમંદિરો અને ભવ્ય મસ્જિતોને નિહાળી તેઓ પ્રભાવિત થયા હતા. અમદાવાદના જૈન સાક્ષરો અને ધર્માચાર્યો સાથે તેમણે ગહન આધ્યાત્મિક ચર્ચાઓ કરી હતી.લીમડીમાં તેઓ લીમડીના રાજા ઠાકોર સાહેબ બેહેમીયાચાંદના મહેમાન બન્યા હતા. લીમડીના રોકાણ દરમિયાન તેમણે ઘણાં પંડિતો સાથે સંસ્કૃતમાં ચર્ચા કરી હતી. જુનાગઢ જતા તેમણે ભાવનગર અને શિહોરની મુલાકાત પણ લીધી હતી. જુનાગઢમા તેમણે રાજ્યના દીવાન શ્રી હરિદાસ વિહરીદાસ દેસાઈની મહેમાનગતિ માણી હતી. સ્વામી વિવેકાનંદજીથી તેઓ એટલા પ્રભાવિત થયા કે રોજ બપોર બાદ રાજ્યના ઉચ્ચ અધિકારીઓને એકત્રિત કરી સ્વામીજી સાથે ધર્મચર્ચા કરતા. આ ધર્મચર્ચા માત્ર હિદુ ધર્મને જ ન સ્પર્શતી પણ ખ્રિસ્તી અને ઇસ્લામને પણ આવરી લેતી. ભુજમાં પણ સ્વામીજી રાજ્યના દીવાનના મહેમાન બન્યા હતા. કચ્છના મહારાજા ખેંગારજી ત્રીજાને પણ તેઓ મળ્યા હતા.વેરાવળ અને સોમનાથ પાટણની તેમની મુલાકાત પણ અદભૂત હતી. શ્રી કૃષ્ણ ભગવાના દેહોત્સર્ગના સ્થાનની તેમને ખાસ મુલાકાત લીધી હતી. પોરબંદરમાં સુદામા મંદિરના દર્શન કર્યા હતા. એ સમયે પોરબંદરના મહારાજા સગીર હતા. એટલે બધો કારભાર રાજ્યના દીવાન શ્રી શંકર પાંડુરંગજી ચાલવતા હતા. સ્વામીજી દીવાન શંકર પાંડુરંગજીના નિવાસ્થાન ભોજેશ્વર બંગલામાં ઉતર્યા હતા. સ્વામીજી સાથે દીવાન સાહેબ નિયમિત સત્સંગ કરતા. એ સમયે દીવાન શ્રી શંકર પાંડુરંગજીએ સ્વામીજીને કહેલ એક વાત સ્વામીજીના અંતરમાં ઉતરી ગઈ હતી. તેને યાદ કરતા સ્વામીજી લખે છે,

“મને લાગે છે કે આપ આ દેશમાં ખાસ કઈ કરી શકશો નહિ. એના કરતા આપે પશ્ચિમના દેશમાં જવું જોઈએ.ત્યાં લોકો આપના વિચારો અને આપના વ્યક્તિત્વનો વાસ્તવિક પાર પામી શકશે. સનાતન ધર્મનો પ્રચાર કરીને આપ નક્કી પ્રાશ્ચાત્ય સભ્યતાના પ્રવાસ પંથ પર પુષ્કળ પ્રકાશ રેલાવી શકશો”

દીવાન શ્રી શંકર પાંડુરંગજીએ સ્વામીજીને કહેલા આ શબ્દો ભાવીમા ભંડારાયેલી વિવેકાનાદની શીકાગો યાત્રાના સંકેત પડ્યા છે. ગુજરાતની ધરતીમાં તેના મંડાણ થયાની તે સાક્ષી પૂરે છે. વિવિકાનંદજીનું વિશદ ચરિત્ર આલેખનાર સ્વામી ગંભીરાનંદ પણ લખે છે,

“આ દિવસોમાં સ્વામીજી અંતરમાં એક અદભુદ પ્રકારનો ખળભળાટ અનુભવી રહ્યા હતા.તેમને એમ થયા કરતુ કે શ્રી રામ કૃષ્ણએ એકવાર જે વાત કહેલી કે નરેનની અંદર એવી શકતી ભરેલી છે કે જેના જોરે તે જગતને ઉંધુચતુ કરી શકે છે. તે સત્ય થવાના એંધાણ તેમને વર્તાઈ રહ્યા હતા”

આમ ગુજરાતની સ્વામીજીની મુલાકાત દરમિયાન જ શિકાગોની ધર્મસભામાં ભાગ લેવાના બીજ તેમના અંતકરણમા રોપાયા હતા. એ બીજ જુનાગઢ અને પોરબંદરની મુલાકાત પછી અંકુર બની ફૂટ્યા.પોરબંદરની મુલાકાત દરમિયાન જ સ્વામીજીએ બીજા વર્ષે (૧૮૯૩)ભરાનાર વિશ્વ ધર્મ પરિષદમાં જવાના પોતાના વિચારને વ્યક્ત કરતા હરિદાસબાપુને કહ્યું હતું,

“જો કોઈ મારા આવવા જવાનો ખર્ચ આપે તો બધું બરાબર ગોઠવાય જાય અને હું ધર્મ પરિષદમાં જઈ શકું”
આમ ગુજરાતમાં જન્મેલ વિવેકાનંદજીના વિચારને પછી કોઈ માનવ સર્જિત અડચણો સાકાર થતા ન રોકી શકી. ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ વિવેકાનંદજી એ વિશ્વધર્મ પરિષદમા કરેલ સંબોધન “અમેરિકાના ભાઈઓ અને બહેનો” વિશ્વના ઇતિહાસમાં અમર બની ગયું. એ પછી પોતાના વ્યાખ્યાનમાં વિવેકાનંદજીએ હિંદુ ધર્મની સર્વધર્મ સમભાવની નીતિને વ્યક્ત કરતા કહ્યું હતું,

“મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુ અને વિશ્વબંધુત્વના પાઠ શીખવ્યા છે. અમે સર્વ ધર્મો પ્રત્યે સહિષ્ણુતા બતાવવામાં માનીએ છીએ. એટલું જ નહિ સર્વ ધર્મો સત્ય છે, એનો પણ અમે સ્વીકાર કરીએ છીએ”

વિશ્વને આવા વિચારો આપી ભારત અને હિંદુ ધર્મનો વિશ્વમાં જય જયકાર કરનાર સ્વામી વિવેકાનંદને સો સો સલામ.

1 Comment

Filed under Uncategorized

અમદાવાદની જુમ્મા મસ્જિત

ગુજરાતના સલ્તનત યુગની અનેક ઐતિહાસિક ઈમારતો અમદાવાદના ભવ્ય ભૂતકાળને જીવંત રાખતી આજે પણ હયાત છે. તેમાની મુખ્ય અને કલાત્મક ઈમારત અમદાવાદાની જુમ્મ મસ્જિત છે. ગુજરાતની એ સમયની જૂનામાં જૂની મસ્જીતોમાની એક છે. આ મસ્જિતનું નિર્માણ ઈ.સ ૧૪૧૨મા અમદાવાદ શહેરના સ્થાપક સુલતાન અહેમદ શાહએ કરાવ્યું હતું. અમદાવાદ શહેરની સ્થાપનાના બીજા વર્ષે ઈ.સ. ૧૪૧૨મા આ મસ્જીતનું બાંધકામ શરુ થયું હતું. અને ઇ.સ. ૧૪૨૪મા તે પૂર્ણ થયું હતું. તેના બાંધકામને ૧૨ વર્ષનો સમય લાગ્યો હતો. એ સમયે તે ભારતની સૌથી મોટી મસ્જિત હતી. મસ્જિતની પૂર્વ દિશમાં અહમદ શાહ, અહમદ શાહ ૧, તેનો પુત્ર મહંમદ શાહ અને અને તેના પૌત્ર કુતુબ-ઉદ્-દિન અહમદ શાહ ૨જાની કબરો આવેલી છે. જે અહમદ શાહના રોજા તરીકે ઓળખાય છે. તેની નજીકમાં જ તેમની પત્નીઓની કબર પણ આવેલી છે. જેને રાણીના હજીરા તરીકે ઓખવામાં આવે છે. પ્રારંભમા આ મસ્જિત આમ પ્રજા માટે ખુલ્લી મુકવામાં આવી ન હતી. સુલતાન અને તેના કુટુંબીજનોની ઈબાદત માટે તેનો ઉપયોગ થતો હતો. કારણ કે લિવાલના વાયવ્ય ખૂણામાં સ્ત્રીઓ માટે નાના થાંભલા ઉપર માળ જેવું કરી જાળીવાળું મુલુકખાનું, અહમદશાહની મસ્જિત જેમ જ આ મસ્જિતમા પણ બનાવવામાં આવે છે. જે મસ્જીતો રાજકુટુંબ માટે બંધાયેલ હોય તેમાં મુલુકખાનું કરવાનો રીવાજ એ સમયે પ્રચલિત હતો. ગુજરાતની મસ્જીતોની એ વિશિષ્ટ અન્ય મસ્જીતોથી તેને અલગ પાડે છે. મસ્જીતના વચલા મહેરાબ પર અરબીમા નીચે પ્રમાણે લખ્યું છે,

“કુરાને શરીફ પ્રમાણે મસ્જિત અલ્લાહની છે અને એની સાથે બીજા કોઈને ભજશો નહિ, એ અલ્લાહની મદદમા વિશ્વાસ રાખનાર નોકરે આ મોટી મસ્જિત ખુદામા અને એની મદદમા વિશ્વાસ રાખનાર સેવક, નસીરઉદ્દીનીય વઉદ્દીન અહમદશાહ બિન મુમ્મદશાહ, મુજ્ફ્ફરશાહ સુલતાને બંધાવી, બંધાવ્યાની તારીખ પયગમ્બર સાહેબની(સ.અ.વ્.)ની હિજરી સંવત ૮૨૭ના સફર માસ (એ મહિનો વિજયી અને સફળતાનો નીવડો)નો પહેલો દિવસ છે, (તા જાન્યુઆરી ઈ.સ. ૧૪૨૪)”

હિન્દોસ્તનના પ્રથમ પંક્તિના મુસ્લિમ સ્થાપત્યોમાં સ્થાન પામી શકે એવી આ મસ્જિત આજે તો આસપાસના મકાનો અને બજારોથી ઢંકાઈ ગઈ છે. મસ્જીતનું મુખ્ય દ્વાર દક્ષિણ તરફ શાકબજારમાં હોય એમ લાગે છે. આ દક્ષિણના પ્રવેશ દ્વારમાં પ્રવેશવા માટે એક સુંદર મંડપ છે. આજે તો તેની હાલત પણ ખરાબ છે. બજારની ભીડ અને માલસમાનના ઢગલો વચ્ચે તેની સુંદરતા અને કલાત્મકતા ઢંકાઈ ગયા છે. જુમ્મા મસ્જિતની ઉત્તર તરફનું દ્વાર આજના અમદાવાદના મુખ્ય માર્ગ પર હોવાને કારણે તે મસ્જિતનું મુખ્ય દ્વાર બની ગયું છે. પણ સાચા અર્થમાં તે મસ્જિતનું મુખ્ય દ્વાર નથી. બીજું પ્રવેશ દ્વારા મસ્જિતના વિશાલ ચોકની પૂર્વે અહમદશાહના રોજાના આંગણામાં આવેલ છે. એ જ જુમ્મા મસ્જિતનું મુખ્ય પ્રવેશ દ્વાર છે. મસ્જિતના કોઈ પણ દરવાજમાંથી પ્રવેશતા મસ્જિતના મુખ્ય ચોકમાં આવી જવાય છે. એની પશ્ચિમે લિવાલનો ભવ્ય અને સુંદર મહોરો આવેલો છે. દિલ્હીની જુમ્મા મસ્જિતનો બહારનો દેખાવ સુંદર અને ભવ્ય છે. પણ એ મસ્જિત અમદાવાદની જુમ્મા મસ્જિત કરતા બસ્સો વર્ષ પછી બંધાયેલી છે, એટલે એની સાથે અમદાવાદાની જુમ્મા મસ્જિતની સરખામણી કરવી યોગ્ય નથી. ગુજરાતના સલ્તનત કાળનો આધારભૂત ઇતિહાસ આલેખનાર ઇતિહાસકાર રત્નમણીરાવ જોટે બંને મસ્જીતોની તુલના કરતા લખે છે,

“દિલ્હીની જુમ્મા મસ્જિત આપણને સારા કપડા ધારણ કરેલ પરદેશી સ્ત્રી જેવી લાગે છે. જયારે અમદાવાદની જુમ્મા મસ્જિત એની આજની સ્થિતિમાં પણ સાદા વસ્ત્રોમાં અલંકારથી સજ્જ લાવણ્યમય સુંદર હિંદી સ્ત્રી જેવી લાગે છે”

સમગ્ર ભારતની જુમ્મા મસ્જીતોમાં આટલું વૈવિધ્ય જોવા મળતું નથી.સ્થાપત્યના જાણકારો આવત સ્વીકારે છે. જેમ કે સ્થાપત્ય કલાના જાણકાર પ્રેસી બ્રાઉન લખે છે,
“અમદાવાદની જામા મસ્જિત ભારતની મસ્જીતોમાં “હાઈ વોટર માર્ક” સમી છે”
અર્થાત એક અદભૂત મિશાલ સમાન છે. એ અર્થમાં એ માત્ર પથ્થરોનો ઢગલો નથી. પણ એ પથ્થરોમાં,એની ગોઠવણીમાં,એની કોતરણીમાં બાંધનાર અને બંધાવનારની સ્વભાવગત રસિકતા વ્યક્ત કરે છે. અને તેમના જીવંત ધબકારા સમાન છે. સુંદર કાવ્ય સમાન છે.
મુસ્લિમ સ્થાપત્યની ઐતિહાસિક પ્રગતિની દ્રષ્ટિએ અમદાવાદની જુમ્મા મસ્જિતનું મુલ્ય વિશેષ છે. અલબત તેની સુંદરતા આજે બહારથી માણવી શકય નથી. કારણે મસ્જિત ચારે બાજુથી બજારોથી ઘેરાયેલી છે. શાક બજાર સિવાય બીજી કોઈ બાજુથી જોતા મુસ્લિમ શાશનના સમયનું એક ભવ્ય સ્થાપત્ય અહિયા છે, તેની કોઈને ખબર સુધ્ધાં પડતી નથી. વળી, માણેકચોકમાં આવેલ બાદશાહ અને રાણીના હજીરાના આકર્ષક સ્થાપત્ય આગળ પણ મસ્જિતની સુંદરતા ઢંકાય જાય છે. આમ છતાં આ મસ્જિતની બાંધણી એ અવશ્ય સિદ્ધ કરે છે કે સલ્તનત યુગમાં ગુજરાતના કારીગરો મસ્જિતની બાંધણીમા નિપૂર્ણ બની ગયા હતા. અલબત્ત તેમની કલા પર હજુ હિન્દુ સ્થાપત્યની અસર યથાવત હતી. સલ્તનત યુગના આરંભ સાથે ગુજરાતમાં ઇસ્લામી સંસ્કૃતિ અને સ્થાપત્યનો મહિમા વધ્યો હતો. પરિણામે ઇસ્લામી સ્થાપત્યોમા કયાંક કયાંક હિન્દુ સંસ્કૃતિની છાપ જોવા મળતી હતી. જેમ કે જુમ્મા મસ્જિતના દક્ષિણના પ્રવેશ દ્વાર પર એક સુંદર મંડપની રચના કરવામા આવેલ છે. તે મંડપ કોઈ હિન્દુ મદિરમાંથી પ્રેરણા લઈને બન્યો હોય તેમ લાગે છે. તેના સ્થાપત્યમા હિન્દુ સ્થાપત્યની છાપ જોવા મળે છે. ઇતિહાસમાં આ અંગે ક્યાંક એવા ઉલ્લેખો જોવા મળે છે કે તે કોઈ હિન્દુ મંદિરના અવશેષોનો ઉપયોગ કરી બનાવવમાં આવેલ છે. પણ તે શકાય નથી. અમદાવાદની સ્થાપના કરનાર સુલતાન નવી જ બનતી વિશાળ જુમ્મા મસ્જીતમાં આવા કોઈ અવશેષોનો ઉપયોગ કરે તે મોટાભાગના ઇતિહાસકારો માનવા તૈયાર નથી. પણ એ સ્વાભાવિક છે કે ઇસ્લામિક બાંધકામથી હજુ અવગત ન થયેલા કારીગરોની કલામા હિન્દુ સ્થાપત્ય ઉભરી આવ્યું હોય.
પીળા સન્ડસ્ટોન દ્વારા નિર્માણ પામેલ અમદાવાદની જુમ્મા મસ્જિતમા અંદર અને બહારની રચનામા ઇસ્લામિક અને હિંદુ સ્થાપત્ય કલાનો સુંદર સમન્વય થયેલો જોવા મળે છે. મંદિરોના મંડપોમા પણ હિન્દુ મુસ્લિમ સમન્વયનો આપણને ભાસ થાય છે. જયારે બહારની કમાનો અને મિનારા મુસ્લિમ સ્થાપત્યને અભિવ્યક્ત કરે છે. મસ્જીતના બે મિનારા મસ્જીતની સુંદરતામાં અભિવૃદ્ધિ કરતા હતા. પણ ઈ.સ. ૧૮૧૯મા આવેલા મોટા ભૂકંપમા તે પડી ગયા હતા.મુખ્ય પ્રાર્થનાગૃહની છત ૨૬૦ કોલમો પર ઊભી છે.જેમ કુલ ૧૫ ગુંબજો આવેલા છે.મસ્જીતના થાંભલા બેવડાવીને વચ્ચે કમાનની મધ્યમાં હિન્દુ મંદિરના તોરણો મૂકી આકર્ષક બનાવવામાં આવેલ છે. થાંભલાની રચના મદુરાના મંદિરના હજાર થાંભલા મંડપ કરતા વધારે રમ્ય અને જોવા ગમે તેવી છે. સર જોન માર્શલ પણ કહે છે,
“આ મસ્જિતનું બાંધકામ વિશ્વના બાંધકામોમાં શ્રેષ્ટ કહી શક્ય તેવી કક્ષાનું બનેલું છે”
કારણ કે અન્ય મધ્યકાલીન બાંધકામોની જેમ એક સરખી બાંધણી જોઈ ઉત્પન થતી નીરસ ભાવના આ જુમ્મા મસ્જીતને જોતા થતી નથી.
રત્નમણી રાવ જોટે આ મસ્જિત અંગે લખે છે,
“અમદાવાદની જુમ્મા મસ્જિત મેલા કોથળામાં બંધ કોહિનૂર રત્ન જેવી છે”
આ મસ્જિત ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે અનમોલ નજરાણું છે. તેને જોયા વગર અમદાવાદનો પ્રવાસ કોઈ પણ પ્રવાસી માટે અધુરો અને અધકચરો છે. એ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.

Leave a comment

Filed under Uncategorized