Monthly Archives: August 2010

પ્રમુખ સ્વામીના દીદારનો દિવસ : ડો.મહેબૂબ દેસાઈ

રમઝાન માસનો ૧૯મો રોઝો હતો. વહેલી પરોઢે મેં તહેજ્જુદની નમાઝ અદા કરી.પછી મેં અને મારી પત્ની સાબેરાએ સહેરી( રોઝા પૂર્વેનું ભોજન) કરી. એ પછી ફજરની નમાઝ પઢી હું કુરાને શરીફનું પઠન કરવા બેઠો. ત્યાં સાબેરા બોલી ઉઠી,
“આજે સવારે આઠેક વાગ્યે હિતેશભાઈએ અક્ષરધામમાં આવવા નિમત્રણ આપેલ છે. થોડીવાર માટે આપણે જઈ આવીશું ?”
કુરાને શરીફમાં કહ્યું છે,
“મેં(ખુદાએ) દરેક કોમ માટે એક માર્ગદર્શક ગ્રંથ અને રાહબર મોકલ્યો છે”
અને એટલે જ દરેક ધર્મ અને તેના સંતોને સન્માન આપવામો ચીલો મારા ઘરમાં વર્ષોથી છે. પરિણામે આવા નિમંત્રણો અમને મળતા રહે છે. કુરાને શરીફનું પઠન ચાલુ હોઈ એ ક્ષણે તો મેં કઈ જવાબ ન આપ્યો. પણ કુરાને શરીફનું પઠન પૂર્ણ કરી વાતનો તંતુ સાંધતા મેં કહ્યું, “સારું જઈશું” ત્યારે ભાવનગરના આંગણે પધારેલા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામીજીના ફરી એકવાર દીદારનો મોહ મારા મનમાં ઊંડે ઊંડે પડ્યો હતો. આ પુર્વે પ્રમુખ સ્વામીજી ભાવનગર પધાર્યા ત્યારે મારા મિત્ર ડો. જગદીપ કાકડિયા મને તેમના દીદાર માટે લઈ ગયા હતા. અને ત્યારે મારા તાજા પુસ્તક “ગુજરાતમાં પ્રવાસન”ને તેમણે આશીર્વાદ આપ્યા હતા. એટલે આ વખતે પણ તેમના દીદારની ઈચ્છા તો હતી જ. પણ તેની સંભાવના નહીવત હતી.

અમે લગભગ આઠેક વાગ્યે અક્ષરધામ પહોચ્યા. મંદિર પરિસરની ભવ્યતા અને શિસ્ત મનમોહક હતા. કારપાર્કિંગ માટે સ્વયં સેવકની નમ્રતા અને સહાય કરવાની તત્પરતા મને સ્પર્શી ગઈ. મંદિરના પરિસરના મેદાનમાં જ હિતેશભાઈ અમારી રાહ જોઈને ઉભા હતા. અમને જોઈ તેમના ચહેરાપર આનંદ છવાઈ ગયો. જાણે અમે તેમના મહેમાન હોઈએ તેટલા મીઠા ભાવથી તેમણે અમને આવકાર્ય. અને પછી તે અમને એક મોટા હોલ તરફ દોરી ગયા. લગભગ પાંચેક હજાર ભક્તોથી હોલ ભરાયેલો હતો. બહેનોના વિભાગમાં સાબેરાએ સ્થાન લીધું. જયારે ભાઈઓના વિભાગમાં હું અને હિતેશભાઈ બેઠા. હોલનું વાતાવરણ અત્યંત ભક્તિમય હતુ. મોટા ભવ્ય સ્ટેજ પર પ્રમુખ સ્વામીજી બિરાજમાન હતા. સુંદર ભજનો માઈકમાથી પ્રસરી વાતાવરણને ભક્તિમય બનાવી રહ્યા હતા. થોડીવાર તો હું એ ભક્તિના માહોલમાં ઓગળી ગયો. પણ કમરની તકલીફને કારણે હું ઝાઝું બેસી ન શક્યો. દસેક મીનીટ પછી મેં ધીમેથી હિતેશભાઈને કહ્યું,
“વધારે સમય પલાઠીવાળી મારાથી બેસતું નથી. એટલે હું હોલના પગથીયા પર બેઠો છું”
તેમણે મને સસ્મિત સંમતિ આપી. અને હું હોલ બહાર આવ્યો. હોલ બહારના મેદાનની સ્વછતા અને શિસ્ત ગઝબના હતાં. સ્વયમ સેવકો ખડેપગે તેની તકેદારી રાખતા હતા. આવી જ સ્વછતા અને શિસ્ત મેં મક્કાના કાબા શરીફ અને મદિનાની મસ્જીદએ નબવીમા જોયા હતા. હોલના પગથીયા પર બેઠો હતો ને મારી નજર મારા મિત્ર શ્રી બહ્મભટ્ટ પર પડી. “જય સ્વામિનારાયણ” સાથે અમે એક બીજાનું અભિવાદન કર્યું.
“મહેબૂબભાઈ, તમે અહીંયા કયાંથી ?” એવા આશ્ચર્ય ભાવ સાથે તેઓ મને તાકી રહ્યા. મેં તેમની નવાઈને પામી જતાં કહ્યું,
“રમઝાન માસમાં કોઈ પવિત્ર સ્થાનની મુલાકાત તો લેવી જોઈએ ને”
અને તેમણે સસ્મિત મારા જવાબને વધાવી લીધો. વાતમાંને વાતમાં મેં કહ્યું,
“પ્રમુખ સ્વામીના દીદાર (દર્શન)ની ઈચ્છા છે”
“એમ”
પછી થોડું વિચારીને તેઓ બોલ્યા,”સામે પેલા પડદા દેખાય છે ને ત્યાં ભજન કાર્યક્રમ પછી આવી જજો”

ભજન કાર્યક્રમ પૂર્ણ થતા મેં એ દિશામાં કદમો માંડ્યા. ત્યાં શ્રી.બ્રહ્મભટ્ટ મારા માટે એક પાસ લઈને ઉભા હતાં. મને પાસ આપતા કહ્યું, “ આ પાસ સ્વામીજીના ખંડમાં જવાનો છે. અંદર સ્વયમ સેવકો આપને દોરશે” અને હું તેમને અહોભાવની નજર તાકી રહ્યો. અને એ પછી મેં ખંડ તરફ પગ માંડ્યા. અંદર પ્રવેશતા જ પ્રથમ મારું મેડીકલ ચેકિંગ થયું. એ પછી મને એક ફોર્મ ભરવા આપવામાં આવ્યું. ફોર્મ ભરીને મેં આપ્યું એટલે મારા હાથને જંતુ નાશક પ્રવાહીથી સ્વચ્છ કરવામાં આવ્યા. આટલી તેક્દારી પછી ધબકતા હદયે મેં ખંડમા પ્રવેશ કર્યો. ૯૦ વર્ષના પ્રમુખ સ્વામીજી સંપૂણ આધુનિક વ્હીલચેર પર બેઠા હતા. વ્હીલચેર પર સરકતા સરકતા જ સૌને આશીર્વાદ આપતા હતા. મારો વારો આવ્યો એટલે મેં તેમને પ્રણામ કરી કહ્યું ,
“મારું નામ પ્રોફેસર મહેબૂબ દેસાઈ છે. પવિત્ર રમઝાન માસમાં આપના જેવા મહાઆત્માના દર્શન અને આશીર્વાદ માટે આવ્યો છું”
મારા પરિચયથી પ્રમુખ સ્વામીના ચહેરા પર સ્મિથ પથરાય ગયું. મારા ખભાને સ્પર્શ કરતા અત્યંત ધીમા સ્વરે તેઓ કંઇક બોલ્યા. તેમના એ શબ્દો મને બરાબર સંભળાય નહિ. આશીર્વાદની ક્રિયા પૂર્ણ થઈ છે એમ માની હું ચાલવા માંડ્યો. એટલે તેમણે તેમનો હાથ ઉંચો કરી મને પાછો બોલ્યો. અને સંભળાય તેવા સ્વરે બોલ્યા,
“ખુબ સુખી થાવ. સમૃદ્ધ થાવ. અને સમાજ માટે ખુબ કાર્ય કરો”

આસપાસના ભક્તો આ આશીર્વાદનો વરસાદ આશ્ચર્ય ચકિત નજરે જોઈ રહ્યા. આવી ઘટનાથી મોટે ભાગે તેઓ ટેવાયા ન હતા. કારણ કે પ્રમુખ સ્વામી દર્શનાર્થીને પુનઃ બોલાવી ક્યારેય કઈ કહેતા નથી. વળી, અત્યારે તેમની તબિયત પણ નાદુરસ્ત હતી. આમ છતાં એક મુસ્લિમ પર સસ્મિત આશીર્વાદનો વરસાદ વરસાવી પ્રમુખ સ્વામીએ એક મહાઆત્માની સરળતાને સાકાર કરી હતી. હું તેમની આ પ્રસાદી સાથે પ્રસન્ન ચિત્તે બહાર આવ્યો. પણ ત્યારે મારું હદય મહાઆત્માના અનાયાસે પ્રાપ્ત થયેલ ભરપુર આશીર્વાદથી છલકાઈ ગયું હતુ.

Leave a comment

Filed under Uncategorized

રમઝાનની પાબંદીની પ્રતિજ્ઞાનો દિન : ઈદ : ડો. મહેબૂબ દેસાઈ

ઈદ એટલે પુનઃ પાછી ફરતી ખુશી. અને ઈદ મુબારક એટલે પુનઃ પ્રાપ્ત થયેલ ખુશીની શુભેચ્છા.ઇદના પ્રસંગે દરેક મુસ્લિમને ત્યાં સવારે ખીર બને છે. ખીરએ પવિત્ર ભોજન છે. દૂધ, ખાંડ,સેવ અને સુકો મેવો નાંખી બનાવવામાં આવતી આ વાનગી જીવનમાં પુનઃ મીઠાસ પ્રસરાવવાનો સંદેશ આપે છે.ઈદની નમાઝ સમાનતાનો સંદેશ આપે છે. નમાઝ બાદ મુસાફો (હસ્તધૂનન) કે એકબીજાને ભેટીને વીતેલા વર્ષમાં વ્યાપેલ કડવાશને ભૂલી જઈ મન સ્વચ્છ કરી પુનઃ પ્રેમ,મહોબ્બત અને લાગણીના સંબંધોનો આરંભ કરવામાં આવે છે. પણ આ ઇદનો બહુ જાણીતો ઉદેશ છે. ઇદનો એક ગર્ભિત ઉદેશ પણ સમજવા જેવો છે.

અમદાવાદના મારા મિત્રો અહેમદ, મુનાફ,પરવેઝ અબ્દુલ રહેમાન, રહીમ સાથે અંતિમ રોઝાના તરાબીયાહ(રમઝાન માસમાં પઢવાની રાત્રીની નમાઝ)પછી જયારે થોડીવાર માટે મસ્જિત બહાર અમે બધા ઉભા હોઈએ છીએ ત્યારે અહેમદ અચૂક બોલી ઉઠે છે,
“બસ દો દિન બાદ શૈતાન છૂટ જાયેંગે”
તેના આ વિધાનની ગંભીરતા સમજ્યા વગર અમે બધા હસી પડીએ છીએ. પણ તેના આ વિધાન પાછળનો ભાવ સમજવા જેવો છે. શૈતાન એટલે એવું પ્રેરક બળ જે માનવીને ઈબાદત અને મુલ્યનિષ્ઠ જીવનથી દૂર રાખવા પ્રયાસ કરે છે. અને મોટે ભાગે તે સફળ પણ થાય છે. પણ રમઝાન માસમાં અલ્લાહ એવા શૈતાનોને બાંધી દે છે. જેથી દરેક મુસ્લિમ રમઝાન માસમાં સમ્યક આહાર, સમ્યક વાણી, સમ્યક વ્યવહાર અને સમ્યક દ્રષ્ટિને ફરજિયાત અનુસરે છે. એક માસની આવી સંયમિત જિંદગીને કારણે દરેક મુસ્લિમના જીવનમાં પ્રવેશેલ ઈબાદત અને મુલ્યનિષ્ઠ જીવનને ક્ષીણ કરવા રમઝાન માસ પછી શૈતાન પુનઃ સક્રિય બને છે.શૈતાનની એ સક્રિયતાને સમગ્ર વર્ષ દરમિયાન નાથવાની પ્રતિજ્ઞા ઈદની ખુશીના મૂળમા છે. ખુદાએ સમગ્ર રમઝાન માસમાં બક્ષેલ ઇબાદતની રસ્સીને મજબુતીથી સમગ્ર વર્ષ દરમિયાન પકડી રાખનાર જ ઈદની ખુશીનો સાચો હક્કદાર છે. અન્યથા આખું વર્ષ ગુનાહો કર્યે જાવ અને રમઝાન માસમાં તેની માફી માંગી ઇદના દિવસથી ગુનાહોનું નવું ખાતું ખોલાવો, રમઝાન માસ કે ઇદનો એ સાચો ઉદેશ નથી. અને એટલે જ ઈદની ખુશી સાથે દરેક મુસ્લિમે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે એ સમગ્ર વર્ષ દરમિયાન ઈબાદત અને મુલ્ય નિષ્ઠ જીવનને મજબુતીથી વળગી રહેશે. માનવી પામર છે. મનથી નિર્બળ છે. માન-મરતબો, ધન-સંપતિ, સામજિક-આર્થિક વ્યવહારમાં કયારેક તે પોતાના ઈમાનને ભૂલી જાય છે. એવા સમયે ઇદના દિવસે ખુદાની સાક્ષીમાં લીધેલી પ્રતિજ્ઞા તેને સત્યના માર્ગે ચાલવા પ્રેરશે. અને એવી એકાદી પળે પણ એ પોતાના ઈમાનને જાળવી લેશે તો ઇદના દિવસે લીધેલ એ પ્રતિજ્ઞા સાર્થક ગણાશે.

દરેક મુસ્લિમ રમઝાન માસ દરમિયાન ઈબાદત (ભક્તિ) પછી ખુદા પાસે દુઆ માંગે છે. દુવા એટલે ખુદાની રહેમત (કૃપા) માટે વિનંતી. રમઝાન માસની આપણી દુઓં ઇબાદતની એકાગ્રતા પછી માંગવામાં આવે છે. જેથી તેની અસરકારતા વધુ હોઈ છે. અને એટલેજ માનવામાં આવે છે કે રમઝાન માસમાં કરેલી દુવાઓં કબુલ થાય છે. જો આવી જ અસરકારક ઈબાદત આખું વર્ષ કરવામાં આવે. અને એ પછી સમગ્ર વર્ષ દરમિયાન દુવાઓં માંગવામાં આવે, તો ખુદાનો એક પણ બંદો જીવનના સંઘર્ષમા કયારેય પાછો નહિ પડે. પણ એ માટે જરુરુ છે રમઝાન માસ જેવી જ એકાગ્રચિત્ત ઈબાદત અને દુઆ. ઈદની ખુશી સાથે નિયમિત ખુદાની એકાગ્ર ચિત્તે ઇબાદત અને દુવાની પ્રતિજ્ઞા પણ અત્યંત જરૂરી છે.

રમઝાન માસની ઈબાદત મન હદયને શુદ્ધ કરે છે. જયારે રોઝા (ઉપવાસ) શરીરની શુદ્ધિનો માર્ગ છે. સમ્યક આહાર શરીરને નવજીવન અર્પે છે. નવી તાજગી બક્ષે છે. પણ રોઝાની સમાપ્તિ પછી પુનઃ આપણે આપણા શરીરને ખાદ્ય પ્રદાર્થોનું ગોદમ બનાવી દઈએ છીએ. પરિણામે શરીર વ્યાધિઓનું કેન્દ્ર બને છે. એ દ્રષ્ટિએ રમઝાન માસ અધ્યાત્મિક અને ભૌતિક જીવનની પાઠશાળા છે. એ મુજબ આખું વર્ષ જીવવાથી શારીરક કે માનસિક વ્યાધિઓ શરીરને સ્પર્શતી નથી. ઇદના દિવસે આનંદથી ભરપેટ જમો. પણ તેમાં અતિરેક ન કરો. સમગ્ર વર્ષ આહારમાં નિયમિતતા અને સંયમ રાખવાનું શિક્ષણ રમઝાન ની આગવી દેન છે. અને એટલે જ તે આખું વર્ષ પાળવાની પ્રતિજ્ઞા એટલે ઈદ.

આવું સંયમિત જીવન ઇસ્લામના બંદાની સાચી ઓળખ છે. માત્ર દાઢી રાખવી અને પરમાટી (બીન શાકાહારી ભોજન) સેવનએ મુસ્લિમની સાચી ઓળખ નથી. પણ રમઝાન માસ જેવું જ શુદ્ધ મુલ્યનિષ્ટ અને ઇબાદતથી ભરપુર જીવન જ સાચા મુસ્લિમની સામાજિક પહેચાન છે. એ જયારે આખી કોમમાં પ્રસરશે ત્યારે મુસ્લિમ અને ઇસ્લામ પ્રત્યેની અનેક ગેરસમજો આપો આપ દૂર થઈ જશે. અને ત્યારે દરેક મુસ્લિમ સમાજ માટે એક આદર્શ બની જશે. એ દિવસ દૂર નથી .પણ એ માટે રમઝાન માસ જેવી અને જેટલી જ ઈબાદતમા એકાગ્રતા અનિવાર્ય છે. ખુદા એ તરફ દરેક મોમીનને સક્રિય બનાવે એ જ ઇદના ખુત્બના અંતે મારી દિલી દુઆ છે. : આમીન. અને….એ સાથે દરેક હિંદુ મુસ્લિમ વાચકોને હદયના ઊંડાણથી ઈદ મુબારક.

Leave a comment

Filed under Uncategorized

મહાત્મા ગાંધીજીને મળેલા માનપત્રો : ડૉ.મહેબૂબ દેસાઈ

મહાત્મા ગાંધીજી વિશ્વનું એક એવું અદભૂત વ્યક્તિત્વ છે કે જેના વિચાર,આચાર અને વ્યવહાર આજે વિચારધારા બની ગયા છે. તેમના વિચારોને આજે દુનિયાના દેશો પોતાના વિકાસ માટેના શ્રોત બનાવી રહ્યા છે. એ જ વ્યક્તિત્વને તેમના જીવનકાળમાં દરમિયાન ત્રણવાર શાંતિ માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવાની ચર્ચા થઈ હતી. ૧ ઓકટોબર ૧૯૩૮નાં રોજ લંડનની “ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી”એ પ્રથમવાર શાંતિ માટેનું નોબેલ પારિતોષિક ગાંધીજીને આપવા નોર્વે સરકારને ભલામણ કરી હતી.એ પછી ૧૪ માર્ચ ૧૯૪૭નાં રોજ ઓસ્લોથી સમાચાર આવ્યા કે શાંતિ માટેના નોબેલ ઇનામ માટે ગાંધીજીનાં નામની ભલામણ થઈ છે.૨૫ સ્પ્ટેમ્બર ૧૯૪૭નાં રોજ પુનઃ એ જ સમાચાર આવ્યા.સૌ ને વિશ્વાસ હતો કે ગાંધીજીને જરૂર નોબલ પારિતોષિક મળશે.પણ એ આશા ઠગારી નીવડી. ગાંધીજીને શાંતિ માટેનું નોબેલ ઇનામ ન આપવા પાછળનું મૂળ કારણ સમિતિના સભ્યોએ એ સમયે એક જ આપ્યું હતું. અને તે એ કે “ગાંધીની અહિંસાની લડત વિશ્વ શાંતિ માટે ન હતી,પણ માત્ર પોતાના દેશને આઝાદ કરાવવા પુરતી સીમિત હતી”
નોબેલ પારિતોષિક સમિતિની આ સંકુચિતા તેમને મુબારક. પણ જે મહામાનવને શાંતિ માટેનું નોબેલ ઇનામ આપવાનું નોબેલ સમિતિના સભ્યો ચુકી ગયા, તે જ યુગપુરુષને વિશ્વ અને ભારતમાંથી મળેલ અઢળક માન-સન્માનપત્રો એ નોબેલ પુરસ્કાર કરતા અનેક ગણા મહત્વના છે. કારણ કે તે ભારત અને વિશ્વની આમ પ્રજા દ્વારા આપવામાં આવ્યા છે. ભારતમાં અંગ્રેજ શાસનકાળનો સુર્ય તપતો હતો ત્યારે જ ૭ સપ્ટેમ્બર ૧૯૩૮ના રોજ મધ્ય પ્રાંતની સરકારે ખાસ હુકમ બહાર પાડી જાહેર કર્યું હતું કે “જ્યારે ગાંધીજીનું નામ લખવાનું આવે ત્યારે ફરજીયાત તેમના નામ આગળ “મહાત્મા” લખવું”. ૩ જાન્યુઆરી ૧૯૪૫ના રોજ મદ્રાસ સરકારે ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો”ને મેટ્રીકના અભ્યાસક્રમ માટે પાઠ્યપુસ્તક તરીકે સામેલ કરી હતી. આનાથી પણ વિશેષ ગાંધીજીને તેમના સમગ્ર જીવન દરમિયાન વિશ્વની પ્રજાના પ્રેમના પ્રતિક રૂપે અનેક માનપત્રો મળ્યા હતાં. જે નોબેલ પારિતોષિક કરતા પણ વધુ મહત્વના હતાં. એમાના માત્ર ૧૫૫ માનપત્રો આજે પણ અમદવાદના સાબરમતી ગાંધી આશ્રમમાં સંગ્રહેલા પડ્યા છે. એ માનપત્રોમાંથી થોડાકનો પરિચય જ આપણને સાબિત કારી દેશે કે તે નોબેલ પારિતોષિક કરતા અનેક ગણા મુલ્યવાન છે.
ગાંધીજી બેરિસ્ટર બન્યા પછી ૨૪ અપ્રિલ ૧૮૯૩ના રોજ દાદા અબ્દુલ્લાની પેઢીના વકીલ તરીકે એક વર્ષના કરાર પર દક્ષિણ આફ્રિકા ગયા હતા. એ કરાર મુજબ જવા આવવાનું પ્રથમ વર્ગનું ખર્ચ અને રહેવા જમવાનો ખર્ચ અસીલના માથે હતો. ફી પેટે ૧૦૫ પાઉંડ નક્કી થયા હતા. દક્ષિણ આફ્રિકામાં ૧૮૯૩ થી ૧૮૯૬ સુધીના ગાંધીજીના રોકાણ પછી તેઓ ૫ જુન ૧૮૯૬ના રોજ ડર્બનથી આગબોટ “પોન્ગોલા” માં ભારત આવવા નીકળ્યા. આ એ સમય હતો જયારે તેમને “મહાત્મા”નું બિરુદ મળ્યું ન હતું. સૌ તેમને “ભાઈ”ના સંબોધનથી બોલાવતા હતા.એ સમયે સેવાકીય કાર્યોની તેમની સુવાસ દક્ષિણ આફ્રિકામાં ચોમેર પ્રસરી ગઈ હતી. એટલે હિંદીઓ તરફથી તેમના માનમાં ઠેરઠેર વિદાય સમારંભો યોજાયા હતા. આવોજ એક વિદાય સમારંભ ૪ જુન ૧૮૯૬ના રોજ દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં આવેલ હિન્દી કોંગ્રસ ભવનમાં દાદા અબ્દુલ્લાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સમારંભમાં ગાંધીજીને આપવામાં આવેલ માનપત્ર દક્ષિણ આફ્રિકાની ભારતીય પ્રજાનો ગાંધીજી પ્રત્યેનો અનહદ પ્રેમ વ્યક્ત કરે છે. તેમાં ગાંધીજીના સેવાકીય કાર્યની પ્રશંશા અને દક્ષિણ આફ્રિકા તુરત પાછા ફરવાની વિનંતી કાવ્યત્મક શૈલીમાં કરવામાં આવી હતી. ૨ જુન ૧૮૯૬ના રોજ લખાયેલ આ માનપત્ર મસ્નવી શૈલી (ઉર્દુ-ફારસી ગદ્ય શૈલીનો એક પ્રકાર)મા લખાયું છે. માનપત્રની ભાષા હિન્દી-ઉર્દુ મિશ્રિત છે. ૧૧૩ વર્ષ પૂર્વે ગાંધીજીને અપાયેલ આ માનપત્ર આજે પણ માણવા જેવું છે.

“કરું પહેલે તારીફ ખુદાવિંદ કરીમ
કે હે દો જહાંકા ગફ્ફૂર રહીમ

કિયા જિસને પૈદા જમી આન પર
મેં કુરબા હું ઉસકે નામ પર

જો ચાહે કરે પલ મેં મુખ્તાર હેં
સભી કારોબાર ઉસકે અખત્યાર હે
સુની હિંદીઓ કી ખુદાને દુઆ
દુઆ સે ગાંધી કા આના હુઆ

ઉજાલા ખુદાને ફિર ઐસા કિયા
યે બહાદુર અસર હિંદીઓકુ હુઆ

ખુદાને કિયા હમ પર લુંફ્તો કરમ
મોહનદાસ ગાંધીકા દિલ હે નરમ
નિહ્ગેબાન તેરા ખુદાવિંદ કરીમ
કે હે પાદ્શ દો જહાકા અકીમ

નસારુકા યે મુલક નાતાલ હેં
અવલ કાયદા યાકા બે તાલ હેં

વો હિદીકી કરતે ન દરકાર હે
અકલમંદ એસી યે સરકાર હે

મોહનદાસ દિલસે નસાર યે કિયા
ફ્રેન્ચયાસકા કામ અવલ કિયા

ફતેહ સારે કામોમેં તુમકો મિલે
તેરે નામકા ફૂલ જગમે ખીલે

ન દુશ્મન સે બિલકુલ વો દિલ મેં ડરે
લગા કાયદા વો બરાબર લડે

ઓંરોસે ઉસકો હુઆ ફાયદા
નસારુકા તોડા હે જુલ્મો જહાં

આયા હે તાર ભાઇકા જાના હે ધર
પડી હિંદીઓ કે દિલ મેં ફિકર

મગર જાના તો જલ્દી આના યહાં
નહી તો હિન્દીઓ કા ઠીકાના કહાં ?

હિન્દીઓકી ખાતિર જો મહેનત કરે
તરક્કી ઉમર ઉસકી માલિક કરે
યે કોંગ્રેસ દુઆ તેરે હક મેં કરે
તેરે ભાઈઓ ભી ઇસમેં સામીલ રહે

કુટુંબ ઔર કબીલે મેં ન તુમ રહો
ખુશી સાથ જલ્દી યહાં પર ફિરો
ખતમ યહાસે કરતા હુ મેં મસ્નવી
યે મીમ્બેર દુઆ ચાહતે હે મિલ સભી
આવું જ એક અન્ય માનપત્ર ગાંધીમાંજીને ભારતમાં આગમન પછી મળ્યું હતું. દક્ષિણ આફ્રિકાને કાયમી અલવિદા કહી, ગાંધીજી ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ મુંબઈ બંદરે ઉતર્યા. ભારતના રાજકારણમાં સક્રિય થતા પૂર્વે તેમણે ભારતનું પરિભ્રમણ કરવાનું નક્કી કર્યું. તેના ભાગ રૂપે ૨૮ થી ૩૧ માર્ચ ૧૯૧૫ દરમિયાન તેઓ કલકત્તામાં રહ્યા. એ સમયે તેમનો ઉતારો રાષ્ટ્રીય નેતા સી.આર.દાસને ત્યાં હતો. આ મુલાકાત દરમિયાન ૨૯ માર્ચના રોજ ગાંધીજીને કલકત્તાની હિન્દુસભા દ્વારા માનપત્ર આપી તેમનું સન્માન કરવામા આવ્યું. આ માનપત્રની કેટલીક વિશિષ્ટતાઓ નોંધવા જેવી છે. સૌ પ્રથમ તો આ માનપત્ર શુદ્ધ હિન્દી ભાષામાં લખાયું છે. આમ છતાં તેમાં સંસ્કૃત શબ્દોનો સુંદર પ્રયોગ થયો છે.વળી,માનપત્રમા ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના વિજયને વિશિષ્ટ શૈલીમાં બિરદાવવામાં આવ્યો છે. ગાંધીજી સાથે કસ્તુરબાનો પણ માનપત્રમા “સતી સાધ્વી ધર્મપત્ની શ્રીમતી કસ્તુરબાઈ” તરીકે ઉલ્લેખ જોવા મળે છે. માનપત્ર પર ૨૬ માર્ચની તારીખ છે. જયારે તેની અર્પણ વિધિ ૨૯ માર્ચના રોજ થઈ છે. માનપત્રનું પ્રિન્ટીંગ ગોવિંદ પ્રેસ કલકત્તામાં થયું છે. જેનો ઉલ્લેખ માનપત્રના અંતે કરવામાં આવ્યો છે. આ માનપત્રની ભાષા અને રજૂઆત આજે પણ માણવા જેવા છે.

માનપત્રનો આરંભ “ભારત માતા કે કર્મવીર શ્રીયુક્ત ગાન્ધી મહોદય કી સેવામે અભિનંદન પત્ર” જેવા વિશિષ્ટ મથાળાથી થયો છે. એ પછી માનપત્રનો આરંભ કરતા લખવામાં આવ્યું છે,

“શ્રીમાન,
હિન્દુસભા કે લીયે આજકા દિન બડે હી સૌભાગ્ય કા હૈ ઇસે આપકા ઔર આપકી સતી સાધ્વી ધર્મપત્ની શ્રીમતી કસ્તુરબાઈ કા સ્વાગત કરનેકા ગૌરવ પ્રાપ્ત હુઆ. હિન્દુસભા આજ અપને કો નિશ્ચિત હી પરમ ધન્ય સમઝતી હૈ. ઔર બડે આદર કે સાથ આપકા અભિનંદન કરતી હૈ.આપને ઉસ દૂરદેશ દક્ષિણ આફ્રિકા મેં જાતીય સમ્માન ઔર દેશકા ગૌરવ ચિરકાલ તક સ્થાપિત કરને કે લીયે, સત્યા આગ્રહી લડાઈ મેં પ્રવૃત્ત હોકર જો વિજય પાઈ હૈ, ઉસસે ન કેવલ હિંદુ જાતિકા,પ્રત્યુત સમસ્ત ભારત વર્ષકા મુખ ઉજ્જવલ હુઆ હૈ. આપને સબકો દિખા દિયા હૈ કી અનેક વિઘ્ન બાધાઓ કે ઉપસ્થિત હોને પર ભી મનુષ્ય કો ઘબડાકર અપને કર્તવ્ય પાલન સે વિમુખ નહિ હોના ચાહિયે, યદી સંકલ્પ સચ્ચા હો તો ઉસમેં અવશ્ય હી સફળતા પ્રાપ્ત હોગી. આપકી દ્રઢ પ્રતિજ્ઞા, પરોપકારપરાયણ ઔર સદાચાર સમ્પન સાત્વિક સંતોષી મૂર્તિ કો દેખકર ભારત કે પ્રાચીન મહાપુરષો કા ચિત્ર અંકિત હો જતા હૈ.

શ્રીમાન, ઇસ ઘોર સમય મેં જબકી યહાં પ્રાશ્ચાત્ય વાયુ કે પ્રચંડ ઝકોરોસે પ્રાચીનતા કી મુલ ભક્તિ ડગમગા રહી હૈ, તબ એસે અવસર પર પતિ ભક્તિ કા સર્વોચ્ચ આદર્શ આપકી ધર્મપત્નીને દીખલાને કે લીયે આપકા છાયા કી ભાતી અનુગમન કર સંસાર કો યહ ભલીભાતી દિખલા દિયા હૈ કી ભારતીય લલનાઓ કા પતિ સર્વસ્વ હૈ ઔર પતિ કા સુખ દુઃખ હી ઉનકા સુખદુખ હૈ. આપકા અભિનંદન કરને મેં સભાકો અતુલનીય આનંદ હોતા હૈ.

મહોદય, યહ દિન હિંદુ જાતિ કે લીયે હી નહિ સમસ્ત ભારત વર્ષ કે લીયે બડે ગૌરવ કા હોગા જિસ દિન કી સ્વધર્મ્ય ,સ્વદેશી ઔર જાતીય સમ્માન કી રક્ષા કે લીયે આપકા ઉજ્જવલ આદર્શ સમક્ષ રખ કર લોગ અપને કર્તવ્ય પાલન મેં તત્પર હોંગે. કરુણામય ભગવાન હમે આપસે આપકે દેશ-વિદેશાર્જિત પ્રભુત જ્ઞાન ઔર સદાચાર કો ગ્રહણ કરને યોગ્ય બનાયે.દેશ કે યુવાકો કો આપકી ભાંતિ રાજનિષ્ઠ હોકર અપના ધર્મમય જીવન વ્યતીત કરનેકી સુમતિ ઔર સામર્થ્ય પ્રદાન કરે. ઔર આપકો એસી અતુલનીય ઔર મહાશક્તિ પ્રદાન કરે કી જિસસે આપકે દ્વારા જનની જન્મ ભૂમિ સદેવ અભૂતપૂર્વ સેવા હોતી રહે.
હિંદુ સભા કે સદસ્ય”
પંચાણું વર્ષ પૂર્વે મહાત્મા ગાંધીજીના સત્કારમાં લખાયેલ આ માનપત્રમા ઉલ્લેખ થયેલ વિચારો આજે પણ એટલા જ સાચા અને માર્ગદર્શક ભાસે છે. આજે ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિ અને સભ્યતાના આક્રમણે આપણી

સંસ્કૃતિ પર ધૂળના જાડા પડ પાથરી દીધા છે. ભક્તિ-ઈબાદતની ઔપચારિકતા આપણા જીવન વ્યવહારનો ભાગ બની ગયા છે. આપણા કુટુંબ જીવનમાં પ્રસરેલ પશ્ચિમી લક્ષણોએ આપણા સંબંધોમાં આત્મીયતાના સ્થાને માત્ર ઔપચારિકતા જ આણી છે. એવા સમયે ગાંધીજી પ્રત્યેની કસ્તુરબાની પતી ભક્તિનું ચિત્ર માનપત્રમા ઉપસેલું જોવા મળે છે.વળી, આ માનપત્રમા આપણા યુવાનો માટે પણ એક ઉમદા સંદેશ વ્યક્ત થયો છે. યુવાનોનું સદાચારી , રાજનિષ્ઠા અને ધર્મમય જીવન દેશના વિકાસમાં માટે અત્યંત જરૂરી છે. ગાંધીજીને મળેલા આ માનપત્ર માત્ર તેમના સન્માન અને ગુણગાનને જ અભિવ્યક્ત નથી કરતુ,પણ પ્રવર્તમાન સ્થિતિમાં યુવાનો અને સમાજને માર્ગદર્શન પણ પૂરું પડે છે.
ગાંધીજીને મળેલ આવા માનપત્રોમા વિવિધતાના અનેક રંગો જોવા મળે છે.એ સાથે ભારતના વિવિધ પ્રદેશોની પ્રજા દ્વારા ગાંધીજીને મળેલા માનપત્રોમા ગાંધીજી પ્રત્યેની ભક્તિ અને તેમના માર્ગે ચાલવાની પ્રજાની તત્પરતા વ્યક્ત થાય છે. રાષ્ટ્રીય જાગૃતિનું તે ઉમદા પ્રતિક છે. જેમ કે ૨૫ ઓકટોબર ૧૯૨૯ના રોજ સહરાનપુરની મૈઢ રાજપૂત સભા દ્વારા ગાંધીજીને હિન્દીમાં આપવામાં આવેલ માનપત્રમા(માનપત્ર-૨૩) ગાંધીજીના ચરખા અભિયાનમાં જોડવાની આખા રાજપૂત સમાજે કરેલી પ્રતિજ્ઞા સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે. આ માનપત્રના મથાળે લખવામાં આવ્યું છે “અભિનંદન પત્ર”. અને તેની નીચે લખ્યું છે, “પૂજ્યપાદ જગત શ્રેષ્ટ મહાત્મા મોહનદાસ કર્મ ચંદ ગાંધીજી કે શ્રી ચરણોમેં સમર્પિત મૈઢ રાજપૂત સભા સહારનપુર કી ઔર સે”
આ મથાળા પછી માનપત્રનો આરંભ થાય છે. જેમા લખ્યું છે,
“શ્રી મહાત્માજી,
મૈઢ રાજપૂત બિરાદરી કો આજ સૌભાગ્ય પ્રાપ્ત હૈ કી વહ આપકે દર્શન સે અપને કો પુનર્જિવિત કરે. હમારી બિરાદરી ગફલત કી નીંદ સો હી થી. આજ આપકે દર્શન સે હમારા જીવન સફલ હોતા હૈ. હમ હદય સે આપકા સ્વાગત કરતે હૈ. હમારી બિરાદરી મેં ત્રુટીયા હૈ. વે હમ અચ્છી તરહ જાનતે હૈ ઔર હમ આપકો વિશ્વાસ દીલાતે હૈ કી ભવિષ્યમેં હમારા એક માત્ર કર્તવ્ય યહી હોગા કી હમ અપના સુધાર કરકે જાતિ ઉદ્ધાર મેં પરિશ્રમ કરે. હમ જાનતે હૈ કી એસા કરને સે હી આપકી આત્મા પ્રસન્ન હોગી. ઔર હમારા જીવન ભી વ્યર્થ ન હોગા.

આપકી પ્રેરણા સે હમ ચરખે અપને ઘરોમેં ફિર સે સ્થાપિત કર રહે હૈ. ઔર આશા હૈ કી યથા શીઘ્ર હમારી બિરાદરીકા કોઈ ઘર બીના ચરખે ન રહેગા. હમ યહ તુચ્છ રકમ બતોર પરસ કે આપકે ચરણોમેં પેશ કરતે
હૈ. આશા હૈ આપ સ્વીકાર કર કે કૃતાર્થ કરેંગે. અંતમે હમ ઈશ્વેર સે પ્રાર્થના કરતે હૈ કી આપને જો ભારત વર્ષ ઔર મનુષ્ય માત્ર કે ઉદ્ધાર કા બેડા ઉઠયા હૈ વહ શીઘ્ર હી પાર લગેગા.
આપકી સેવામે
મૈઢ રાજપૂત સભા”
કેટલાક માનપત્રો હસ્ત લિખિત છે જેમાં તારીખ કે સ્થળ સ્પષ્ટ થતા નથી પણ ભારતની પ્રજાની ગાંધીજી અને તેમના કાર્યો પ્રત્યેની ભાવનાધારદાર રીતે વ્યક્ત થાય છે. એવા જ એક હસ્ત લિખિત માનપત્રનો આરંભ શ્રી ગણેશજીના ગોળાકારમાં હાથે દોરેલા ચિત્રથી થાય છે. ચિત્રની ડાબી બાજુ “શ્રી ગણેશાય નમઃ” લખ્યું છે. જયારે જમણી બાજુ “સ્વરાજ જન્મનો હક્ક હૈ” લખ્યું છે. હિન્દી ભાષામાં લખાયેલ આ માનપત્રનો આરંભ કરતા હસ્ત લિખિત અક્ષરોમાં લખ્યું છે,
“પૂજયનીય મહાત્માજી

ધન્ય ધન્ય વહ દિન જિસ દિન આપકે મુખ કમલ કા અવલોકન હો. ધન્ય ધન્ય વહ ધરી જિસમેં આપકે ચરણકમલ પધારે. ધન્ય ધન્ય વહ હાથી દરવાજા જહાં આપકે વિમાન રૂપી રથ ચલે… પરમાત્મા કા કોટી કોટી વંદન કરતે હૈ કી આજ હંમે આપકે મુખ કમલ કા દર્શન પ્રાપ્ત હુઆ હૈ. આપ કે સમાગમ કી ઇતની અભિલાષાથી જેસે અયુંધ્યાવાસીઓ કો રાજયશિરોમણી શ્રી રામચંદ્ર કી અભિલાષા થી. ઈશ્વર આપકો સહસ્ત્રાઆયુ પ્રદાન કરે, જો આપ સદેવ ધર્મનીતિક, રાજનીતિક કાર્યો મેં પ્રવર્ત કરે. ઔર આપ જેસે કે કારન
પંચાયતે બની રહે. યથા આપસ કે ઝગડે અપની પંચાયતો મેં નિબટાયા કરે ઔર કોરટ મેં ન જાય. ઇસ લીયે યહ હાથી દરવાજાવાલી પંચયાત પરમાત્મા કે દરબાર મેં બિનતી કરતી હૈ કી આપકો ઇસ કાર્ય મેં સૌભાગ્ય પ્રાપ્ત હો. આપ કે પ્રચાર સે શહર શહર ગાવ ગાવ મેં હર જગહ સેવા મંડલીયે હો રહી હૈ જીનકા કાર્યફલ અપને ભાઈઓ કી સેવા કરના હૈ. ઇસી કારન, ઇસી તરહ હાથી દરવાજે વાલી દેશ હિતકારક મંડલી આપશે આશીર્વાદ માંગતી હૈ જો આપ કૃપયા ઇસ મંડલી પર પવિત્ર હસત કમલ ધારણ કરે ,જો યહ મંડલી અપને ઉદેશો પર કાયમ રહે “

આ માનપત્રમા વ્યક્ત થેયેલી ભાષા અને વિચારો નોંધપાત્ર છે.પ્રથમ તો તેની ભાષા અને શબ્દોના
ગઠનમાં એ યુગની ઝાંખી થાય છે. જયારે તેના વિચારોમાં ગાંધીજીની સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ પ્રત્યેની વિભાવના વ્યક્ત થાય છે. અંગ્રેજી કોર્ટો કરતા આપણી પંચાયતો સામજિક સમન્વય અને ન્યાયનું

ઉમદા માધ્યમ હતી. અંગ્રજોના શાસનકાળ દરમિયાન પંચાયતોનું અસ્તિત્વ ભુંસાઈ ગયું હતું. અને તેનું સ્થાન અંગ્રજી કોર્ટોએ લીધું હતું. ગાંધીજીએ દરેક ક્ષેત્રમાં સ્વદેશી વિચારને અમલમાં મુકવાના ભાગ રૂપે પંચાયતોને પુનઃ જીવંત કરવા પ્રજાને હાકલ કરી હતી.તેનું પ્રતિબિંબ આ માનપત્રમા જોઈ શકાય છે.
ગાંધીજીને મળેલા માનપત્રોના ભિન્ન સ્વરૂપને વ્યક્ત કરતુ એ અન્ય માનપત્ર માણવા જેવું છે. ઉર્દૂ ગઝલના સ્વરૂપમાં લખાયેલ આ માનપત્ર ૧૩ નવેમ્બર ૧૯૨૯ના રોજ ગાંધીજીને આપવામાં આવ્યું હતુ. માનપત્રમા રાયબરેલી જીલ્લાના લાખા ગામની મીડલ સ્કુલના હેડ માસ્તર અને જાણીતા શાયર જાનકી પ્રસાદ “મૈકશ” એ ગાંધીજીના આગમન સમયે પોતાની ગઝલ દ્વારા તેમના કાર્યોને બિરદાવ્યા હતા. ઉર્દુમાં લખાયેલ અને ૧૩ નવેમ્બરના રોજ રાયબરેલી મુકામે ગાંધીજીના માનમાં યોજાયેલ સમાંરભમાં વાંચી સંભળાવી,તેમને અર્પણ કરવામાં આવેલા માનપત્રની ગઝલના એક એક શબ્દ અને વિચારોમાં ગાંધીજી દ્રશ્યમાન થાય છે. ગઝલના મથાળે લખ્યું છે,

“જાનકી પ્રસાદ “મૈકશ” હેડ માસ્તર મીડલ સ્કુલ લાખા જિલ્લા રાયબરેલી” એ પછી આરંભેલ ગઝલમાં લખ્યું છે,

“આજ કા દિન તુમકો મુબારક હો,
તુમ્હારે ઘરમે વતનકા મદદગાર આયા હૈ
ચરખે સે આવાઝ આતી હૈ કે તુમ ઇસકો ચલાઓ,
અગર તુમ્હેં ખુશીકા ચહેરા દેખના હૈ,
કોશિશ કરકે તુમ સુત કાંતો ઔર કપાસ ઉગાઓ
તુમ નંગે રહેને કે બજાય બુન્નેકા પેશા ઇખ્ત્યાર કરો,
અગર તુમ હાથ પેર કો હરકત દોગે તો ખુદા બરકત દેગા,
ઔર ઇસકી વજહ સે તુમ તંદુરસ્ત રહોગે
ઔર તુમ્હે દાક્તર કી જરૂરત નહિ પડેગી
સખ્તી કો ઔર કડવાહટ કો તુમ બરદાસ્ત કરો, ઉફ મત કરો
યહી ગાંધીકા ઔર ઉસકે જીનેકા તરીકા હૈ
તુમ જાન ઔર માલ કી પરવા ન કરો
મેં વતન કી શમ્મા કા પરવાના હું
અગર હમારા ઇત્ફાક બલંદી પર હૈ
તો આઝાદીકા સુરજ કરીબી હૈ
ઉસકો ઝાહિર ઔર બાતીની કી સબ ખબર હૈ

ઉપરોક્ત માનપત્રમા ગાંધીજીનો ચરખો અને તેની પાછળની રાષ્ટ્રને સ્વાવલંબી કરવાની ગાંધીજીની ભાવના શાયરે વ્યક્ત કરી છે. ૧૯૨૯ના ૧૩ નવેમ્બરનો યુગ રાષ્ટ્રીય જાગૃતિની પરાકાષ્ઠાનો યુગ હતો.એક બાજુ અહિંસક ગાંધી વિચારો પ્રસરેલા હતા , તો બીજી બાજુ ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ અને ચદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓથી ભારતનો યુવા વર્ગ પ્રભાવિત હતો. એ યુગમા ગાંધીજીની લોકપ્રિયતા કરતા ભગતસિંગની લોકપ્રિયતા બમણી હતી. અને આમ છતાં ગાંધીનો જાદુ ઓસર્યો ન હતો. ચરખા અને અહિંસાની હજુ ખેવના લોકોના માનસમાં સંગ્રાહેલી હતી. જે આ ગઝલના સ્વરૂપમાં લખાયેલા માનપત્રમા જોઈ શકાય છે.

ગુજરાત અને કાઠીયાવાડના કેટલાક કુટુંબો વર્ષો પૂર્વે મહારાષ્ટ્રના કોલાબા જીલ્લાના અલીબાગમાં જઈને વસ્યા હતા. ૩ માર્ચ ૧૯૨૭ના રોજ ગાંધીજીએ અલીબાગની મુલાકાત લીધી, ત્યારે અલીબાગના ગુજરાતી બંધુઓએ ભેળા થઈ “ગુજરાતી વાંચનાલય સંસ્થા” તરફથી ગાંધીજીને માનપત્ર આપવા સન્માન સમારંભ યોજયો હતો.અલીબાગના ગુજરાતીઓએ ગાંધીજીને આપેલ માનપત્ર અત્યંત કલાત્મક હતું. માનપત્રના ડાબા ખૂણે ગાંધીજીઓ ફોટો હતો.જયારે જમણી બાજુ ગાંધીજીનો રેંટિયો શોભતો હતો.રેંટિયા નીચે લખવામાં આવ્યું હતું “વીસમી સદીનું સુદર્શન ચક્ર” તેની બરાબર વચ્ચે ઓમના અક્ષરોમાં કૃષ્ણ ભગવાનનું ચિત્ર મુક્યું હતું. માનપત્ર ફરતે સુંદર બોર્ડર હસ્તકલાના નમુના રૂપ શોભતી હતી.માનપત્રનું મથાળું પણ પ્રભાવશાળી હતું.
“અખિલ ભારતભૂષણ ‘હિદ માતાના પ્રભાવશાળી પુત્ર’ પરમ પૂજ્ય મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીની પવિત્ર સેવામાં”
ઉપરોક્ત મથાળા સાથે આરંભાયેલ માનપત્રમા કુલ દસ મુદ્દોમાં રાજકારણ અને ધર્મ, અહિંસા,ખાદી, અસ્પૃશ્યતા જેવા ગાંધીજીના આગવા સશ્ત્રોને બિરદાવવામાં આવ્યા હતા. પણ રાજકારણ અને ધર્મ અર્થાત સત્ય અંગેનો પ્રથમ મુદ્દો આજના રાજકારણીઓ માટે પણ સમજવાનો અને આચરણમાં મુકવા જેવો છે. એ મુદ્દામાં અલીબાગના ગુજરાતીઓ લખે છે,

“વંદનીય મહાત્માજી,

આજ દિન સુધી રાજકારણ એ કપટનીતિનો ગૂંચવણ ભરેલો મામલો સમજવામાં આવતો હતો. પરતું આપે રાજકારણ સાથે ધાર્મિક પ્રવૃત્તિનું જોડાણ કરીને આત્મ શુદ્ધિનો પહેલો પાયો રાજકારણમાં સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે. અને તેની જરૂરિયાત છે એમ આખી દુનિયાને માન્ય કરવું પડ્યું છે.રાજકારણમાં સત્યની આવશ્યકતા છે અને સત્યનો અંતે જય છે, તે વગર રાજકારણ પણ નિરર્થક છે એમ પ્રસ્થાપિત કરવાને જે આપની લડત ચાલે છે તે તરફ આખી દુનિયા એકાગ્ર નજરે જોતી રહી છે”

રાજય બહાર વસતા ગુજરાતીઓની ગાંધીજી પત્યેની સન્માન દ્રષ્ટિ સાથે ગુજરાતમાં વસતા ગુજરાતીઓની ગાંધીજી પત્યેની લાગણી પણ જાણવા જેવી છે. ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૫ માહાવદ ૪ ગુરુવારના રોજ વીરસદ મુકામે ગાંધીજીને આપવામાં આવેલ માનપત્ર તેની ભાષા, વિચાર અને અભિવ્યક્તિની દ્રષ્ટિએ વિશિષ્ટ છે. વીરસદ નિવાસીઓએ ગાંધીજીને આપેલ માનપત્રના મથાળે ગાંધીજી માટે કરેલ સંબોધન અત્યાર સુધી જોયેલા માનપત્રો કરતા જુદું છે.

“શ્રી જગત વંદનીય પૂજ્ય મહાત્માશ્રી”

અને એ પછી વીરસદ નિવાસીઓ ગાંધીજીની સ્તુતિમાં લખે છે,

“આપશ્રીના પરમ પુનીત ચરણકમલ સમક્ષ આ સહદય પુષ્પાંજલિ અર્પણ કરતા અમે વારંવાર વંદન કરીએ છીએ. દીર્ઘ કાળથી ઘોર નિંદ્રામાં પડેલી આ મહાન ભારત દેશની જનતાને અહિંસા અને આત્મબળની ધર્મ ભાવનાથી જાગૃત કરી, નવજીવન સીંચી મુક્તિ સ્વાતંત્રને સુપંથે પ્રેરનાર અદ્વિતીય મહાપુરુષ, ભગીરથ પ્રયત્ન ભર્યા દેશ કાર્યના અવિશ્રાંત શ્રમથી શ્રમિત છતા, અમારા જેવા ગ્રામજનો ઉપર આશીર્વચનો વરસાવવા આજે અત્રે પધાર્યા છો, એ અમારા અહોભાગ્ય છે !

આજના પુણ્યમય દિવસે આપ કર્મવીર મહાત્માશ્રીના પ્રેમ પૂર્વક સ્વાગત સાથે,અમને વિદિત કરતા આનંદ થાય છે કે અમોએ રેંટિયો અને ખાદી પ્રચાર,હિંદુ-મુસ્લિમ એક્યતા તેમજ અસ્પૃશ્યતા નિવારણના મહામંત્રને યથાશક્તિ પોષી રહ્યા છીએ, અને આશા છે કે આજના આપશ્રીના પધારવાથી તેમાં દિનપ્રતિદિન અભિવૃદ્ધિ થશે.

ભારત શ્રેષ્ટ ! આપશ્રીની દરેક રચનાત્મક કાર્યક્રમવાળી ધર્મભાવનાને અનુસરવા અમો નિશ્ચિત છીએ.
મહાનુભાવ ! સમુદ્રમાં બિંદુવત અમારી આ માનપત્ર રૂપી શ્રદ્ધાંજલિ આપશ્રી સ્વીકારી અમોને ઉપકૃત કરશો જી . ઇતિ .

લી. અમો છીએ આપશ્રીના સેવકો વીરસદ નિવાસીઓ”

ગાંધીજીને સન્માનિત કરતા માનપત્રોની આ પરંપરા છેક ૧૯૪૭ સુધી અવિરત પણે ચાલુ રહી છે.પણ એ તમામ આજે ઉપલબ્ધ નથી. માત્ર ૧૫૫ જેટલાજ માનપત્રો જ સાબરમતી આશ્રમ,અમદાવાદમાં સચવાએલા છે.જો કે એ માનપત્રોમા ગાંધીજીના આદર્શો, કાર્યો અને તેમના પ્રત્યેની પ્રજાની અપેક્ષો અહોભાવ પૂર્ણ રીતે નોંધાયેલી છે. પણ આ તમામ માનપત્રોમા ઉડીને આંખે વળગે તેવી બાબત ગાંધીજી માટે થયેલ વિવિધ સંબોધનો છે. જે તેમની પ્રજા માનસમાં અંકિત થયેલી છબી વ્યક્ત કરે છે

“પૂજ્ય પાદ મહાત્મા મોહનદાસ કર્મચંદ ગાંધી”
“શ્રીમાન સત્ય સંધ ત્યાગમૂર્તિ મહાત્મા ગાંધીજી”
“અમન અને શાંતિના ફરિશ્તા મહાત્મા ગાંધીજી”
“પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય મહાત્મા ગાંધીજી”
“ભારત હદય સમ્રાટ મહાત્મા ગાંધીજી”
“દેશ કે મુકટ ઔર હદય સમ્રાટ મહાત્મા ગાંધીજી”
“પુણ્યશ્લોક મહાત્મા ગાંધીજી”
“પૂજ્યપાદ જગ વિખ્યાત મહાત્મા મોહનદાસ ગાંધી”
“ત્યાગ મૂર્તિ મહાત્મા ગાંધીજી”
“હમારે હદય સમ્રાટ પૂજનીય મહાત્માજી”
“નર શ્રેષ્ટ મહાત્માજી”
“ભારત ગૌરવ પૂજ્યપાદ શ્રી મહાત્મા ગાંધી”
“દરિદ્ર દેવ – અછૂત હદય સમ્રાટ મહાત્મા ગાંધીજી”
“શ્રી જગત વંદનીય પૂજ્ય મહાત્માશ્રી”

જેવા અનેક તખલ્લુસોથી સમગ્ર વિશ્વમાં સન્માનિત થયેલા ગાંધીજીને કોઈ એક નાનકડો દેશ નોબેલ પારિતોષિકથી સન્માનિત ન કરે તેથી ગાંધીજીની પ્રતિભા જરાયે ઝાંખી થતી નથી, બલકે ગાંધીજીના અવસાનના ૬૩ વર્ષ પછી પણ એનો વસવસો નોબેલ પારિતોષિક સમિતિ આજે પણ કરી રહી છે. એ જ ગાંધીજીના વ્યક્તિત્વનું સાચું સન્માન છે.

Leave a comment

Filed under Uncategorized

તુમ એક પૈસા દોગે વો દસ લાખ દેગા : ઝકાત : ડૉ.મહેબૂબ દેસાઈ

રમઝાન માસમાં મુસ્લિમો દાન-પુણ્ય ખુલ્લા હાથે અને દિલ ખોલીને કરે છે. ઇસ્લામમાં પણ દાનને ફરજિયાત ગણવામાં આવેલ છે. ઇસ્લામમાં બે પ્રકારના દાનનો ઉલ્લેખ છે. ઝકાત અને ખેરાત. ઝકાતએ ફરજિયાત દાન છે. આપણે વેપાર,નોકરી કે વ્યવસાયમા જે આવક મેળવીએ છીએ તેના બદલામાં સરકારને ફરજિયાત કર ચૂકવીએ છીએ. એ જ રીતે ઇસ્લામે પણ ફરજિયાત ઝકાત આપવાનો આદેશ આપ્યો છે.સરકાર દ્વારા વસુલ થતો કર રાષ્ટ્રના વિકાસમાં ઉપયોગી બને છે. જયારે મુસ્લિમ બિરાદરો દ્વારા આપવામાં આવતી ફરજિયાત ઝકાત પણ સમાજના વિકાસમાં ઉપયોગી બને છે. દરેક મુસ્લિમ પોતાની જંગમ કે સ્થાવર મિલકત અને પોતાની કુલ આવકના અઢી ટકા રકમ ખુદાના નામે ઝકાત તરીકે ફરજિયાત આપે છે. ઝકાતની રકમ ગરીબ,અનાથ સગા સબંધીઓ કે પડોશીઓની આર્થિક અવદશાને દૂર કરવામાં ઉપયોગી બને છે. બીજું દાન છે ખેરાત. ખેરાતએ સ્વેચ્છિક દાન છે.
આ બને પ્રકારના દાનો માટે કુરાને શરીફમાં ઠેરઠેર જે વિધાનો આપ્યા છે તે જાણવા અને માણવા જેવા છે. કુરાને શરીફમાં કહ્યું છે,
“એ પૂછે છે અમે અલ્લાહની રાહમાં શું ખર્ચીએ ?”
“કહો, જે કઈ તમારી જરૂરિયાતથી વધારે છે તે અલ્લાહના માર્ગમાં ખર્ચો”
“અને એમના માલમા માંગનાર અને વંચિત રહેનારાઓનો હક્ક છે”
“જે લોકો અલ્લાહએ આપેલા ધનમાં કંજુસાઈ કરે છે, તેઓ એ સમજી લે કે આ કામ તેમના માટે સારું નથી”
“જે લોકો પોતાનું ધન ખુદાના માર્ગમાં વાપરે છે. તેમનું ઉદાહરણ એક દાણા જેવું છે. જેમાથી સાત ડુંડી ઉગે છે. અને એ દરેક ડુંડીમાં સો સો દાણા હોય છે”
“અલ્લાહના નામે પોતાનું ધન સગાઓ, અનાથો, મોહતાજો, મુસાફરો,મદદ માટે હાથ લંબાવનાર સૌ માટે ખર્ચ કરો”
લોકો પૂછે છે,
“અમે અલ્લાહના માર્ગે શું ખરચીએ ?”
એમને કહી દો,
“જે તમારી જરૂરિયાતથી વધારે છે તે અલ્લાહના માર્ગે જરૂરતમંદોને આપો”
દાન આપવાની ક્રિયા પણ ઇસ્લામમાં મહત્વની છે. હિંદુ શાસ્ત્રોમા કહ્યું છે “દાન એવી રીતે કરો કે તમારા જમણાં હાથે કરેલા દાનની જાણ ડાબા હાથને પણ ન થાય”
ઇસ્લામ પણ છુપા દાનને વિશેષ મહત્વ આપેલ છે. કારણ કે આવું દાન ગરીબ છતાં ખુદ્દાર માનવીના સન્માનની હિફાઝત કરે છે. અને એટલે જ કુરાને શરીફમાં કહ્યું છે,
“જો તમે દાન જાહેરમાં આપો તો તે સારું છે. પરંતુ જો તમે દાન છુપાવીને આપો તો એ તમારા માટે વધુ સારું છે. તમારા ઘણાં ગુનાહ આ વર્તન વડે ધોવાઈ જાય છે”

“વિશેષ રૂપે મદદના હક્કદાર એ જરૂરતમંદો છે જેઓ અલ્લાહના માર્ગમાં એવા ધેરાઈ ગયા છે કે પોતાના રોજગાર માટે ધરતીપર કોઈ દોડધામ કારી સકતા નથી. એમનું સ્વમાન જોઈ અજાણી વ્યક્તિ કલ્પના કરે છે કે તેઓ સુખી છે. તમે તેમના ચહેરા પરથી તેમની આંતરિક સ્થિતિ ઓળખી શકો છો. પરંતુ તેઓ એવા લોકો નથી છે જે લોકોની પાછળ પડી જઈ કઈ માંગે છે. આવા લોકો માટે જે કઈ માલ ખર્ચ કરશો તે અલ્લાહથી છુપું રહેશે નહિ”

ઇસ્લામનો બીજો મહત્વનો દાનનો સિધ્ધાંત પણ સમગ્ર માનવજાતે અપનાવવા જેવો છે. મોટે ભાગે આપણા ઘરે કે ધંધાના સ્થળે આવનાર ભિખારી, ફકીર કે કોઈ પણ જરૂરતમંદ વ્યક્તિ સાથેનો આપણો વ્યવહાર મોટે ભાગે તુચ્છ હોય છે. ઇસ્લામમાં ઘર આંગણે આવનાર કોઈ પણ જરૂરતમંદ સાથેનો વ્યવહાર સંપૂર્ણ માનવીય રાખવાનો આદેશ છે. કુરાને શરીફમાં કહ્યું છે,

“કોઈ યતીમ (અનાથ)ને અન્યાય ન કરશો. અને કોઈ માંગનાર જરૂરતમંદને ધુતકારશો નહિ. અને જે નેમતો તમને તમારા પાલનહારે આપી છે તેનો શુક્ર(આભાર)અદા કરતા રહો”
કુરાને શરીફના આ આદેશનું પાલન મહંમદ સાહેબે જીવનભર કર્યું હતું. જયારે કોઈ જરૂરતમંદ મહંમદ સાહેબ પાસે આવતો ત્યારે આપ જે કઈ હાથવગું હોઈ તે તેને આપી દેતા. કોઈ જરૂરતમંદ મહંમદ સાહેબ પાસેથી કયારેય ખાલી હાથે પાછો ફર્યો ન હતો. આ અંગે હઝરત જાબીર ફરમાવે છે,
“મહંમદ સાહેબ પાસે આવતા જરૂરતમંદને કયારેય મહંમદ સાહેબ ઇન્કાર કરતા નહિ. કયારેક એવું બનતું કે જરૂરતમંદને આપવા તેમની પાસે કઈ ન હોઈ, એવા સંજોગોમાં જરૂરતમંદને બીજે દિવસે આવવા કહેતા. અને તેના માટે દુઆ માંગતા”

ટૂંકમાં આપના આંગણે આવનાર જરૂરતમંદને તેની મજબુરી જ આપને ત્યાં દોરી લાવે છે. આજે એ મજબુર છે, કાલે આપ પણ એ સ્થિતિમાં હોઈ શકો. માટે મજબૂર માનવીની મજબુરીને કયારેય ધીકારશો નહિ. ઇસ્લામના આવા માનવીય સિધ્ધાંતોએ જ ઇસ્લામને માનવધર્મનો દરજ્જો આપ્યો છે. રમઝાન માસમાં આવા માનવીય વ્યવહારો જ પુણ્યની બારીશ કરવા પૂરતા બની રહે છે.

Leave a comment

Filed under Uncategorized

અસ્વસ્થ ઇન્સાનોની સ્વસ્થ કૃતિ : ડૉ.મહેબૂબ દેસાઈ

એક સવારે મોબાઈલની રિંગ વાગી મેં મોબાઈલ ઉપાડ્યો.
“હેલ્લો’
સામે છેડેથી એક યુવતીનો મધુર અવાજ રણક્યો,
“આપ દેસાઈ સાહેબ બોલો છો?”
“જી”
“અસ્લ્લામુઅલ્યકુમ”
“વાલેકુમ અસ્સલામ”
“મારું નામ જેના છે. આપની સાથે પાંચેક મીનીટ વાત કરી શકું ?”
“ચોક્કસ”
અને તે દિવસે જેનાએ લગભગ પાંચેક મીનીટ સુધી મારી દિવ્ય ભાસ્કરની “રાહે રોશન” કોલમના ભરપેટ વખાણ કર્યા. પછી તો એ ઘટનાને હું ભૂલી ગયો. એકાદ બે માસ પછી મને એક પુસ્તક મળ્યું. બ્લેક મુખપુષ્ઠ પર કોઈ પણ પ્રકારની ડીઝાઈન વગર સફેદ અક્ષરોમાં અંગ્રજીમા લખ્યું હતું,
“૯૯ પેન્ટીન્ગસ ઓફ ૯૯ મોસ્ટ બ્યુટીફુલ નેમ ઓફ અલ્લાહ” અર્થાત “અલ્લાહના અત્યંત સુંદર નવ્વાણું નામોના ૯૯ ચિત્રો”
પુસ્તકના પૃષ્ઠો ઉથલાવતો ગયો તેમ તેમ મારા આશ્ચર્યની સીમા વિસ્તરતી ગઈ. સૌ પ્રથમ તો હું જેનાને મુસ્લિમ યુવતી માનતો હતો. પણ જયારે પુસ્તકના મુખપૃષ્ઠ પર તેનું સંપૂર્ણ નામ “ડૉ. જેના આનંદ એલ.” વાંચ્યું ત્યારે પુસ્તકમાં મને વધુ રસ પડ્યો. ડૉ. જેનાના નામ નીચે જ એરેબીક શબ્દોનું આલેખન કરનાર વ્યક્તિનું નામ લખ્યું હતું રાહુલ દિલીપસિંહજી ઝાલા. મારું આશ્ચર્ય બેવડાયુ. બંને હિંદુધર્મીઓએ અલ્લાહના નવ્વાણું નામોને ચિત્રો અને તેના અર્થો દ્વારા શણગારવામાં પોતાની જિંદગીનો અમુલ્ય સમય ખર્ચ્યો હતો.એ પામીને મેં પુનઃ સુખદ આઘાત અનુભવ્યો. પુસ્તકના મુખ્યપૃષ્ઠ પર “ઈશ્વર અલ્લાહ તેરે નામ” વિષયક સાબરમતીના ગાંધી આશ્રમમાં થયેલ ચિત્ર પ્રદર્શનનો સંગ્રહ વાંચીને મારી આંખો વધુ પહોળી થઈ. અલ્લાહના ૯૯ નામોના સુંદર ચિત્રો સાથે હિન્દી, અરેબિક, અંગ્રેજી અને ગુજરાતીમાં અલ્લાહના નામો અને તેના સરળ અર્થો વાળા ૯૯ ચિત્રોનું પ્રદર્શન સૌ પ્રથમ ગાંધી આશ્રમમાં આ બંને હિંદુ ધર્મીઓએ ગાંધી નિર્વાણ દિને કર્યું . અને એ પછી તેનું પુસ્તક રૂપે પ્રકાશન કર્યું. એ જાણી મારા સુખદ આઘાતની પરંપરા વિસ્તરી. પ્રદર્શન માટેના અલ્લાહના ૯૯ નામોનું ચિત્રણ કરતા પૂર્વે ડૉ. જેના અને રાહુલ ઝાલાએ ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો હતો. એ ચિત્રોનું નિરીક્ષણ કરતા પ્રથમ દ્રષ્ટિ એ જ હું પામી ગયો. અલ્લાહના નામો અને તેના અર્થને વ્યક્ત કરતા ચિત્રોમાં કયાંય માનવ,પશુ-પક્ષીની કૃતિ જોવા મળતી નથી. માત્ર કુદરતી સોંદર્ય અને સ્થૂળ પ્રતીકો દ્વારા અલ્લાહના ૯૯ નામોને અદભૂત રીતે ચિત્રો દ્વારા સાકાર કરવાના આવ્યા છે. જેમ કે અલ્લાહના ૯૯ નામોમાંનું ૧૩મુ નામ છે “ અલ બારી”. જેનો અર્થ થાય છે “ચૈતન્ય તત્વ”. ડૉ. જેનાએ અલ્લાહના ચૈતન્ય સ્વરૂપને વ્યક્ત કરવા હદયના કાર્ડિયોગ્રામ (ઈ.સી.જી)નું ચિત્ર મૂકી પોતાની અધ્યાત્મિક કલ્પના શક્તિનો શ્રેષ્ઠ પરિચય આપ્યો છે. માનવ હદયની ધડકનો અને તેની ગતિ ખુદાના ચૈતન્ય સ્વરૂપનું ઉત્તમ ઉદાહરણ છે. એજ રીતે અલ્લાહના ૯૦માં નામ “અલ માનીઅ:” અર્થાત નુકસાન કે હાનીથી દૂર રાખનાર, રોકનારને ચિત્રાત્મક શૈલીમાં રજૂ કરવા ડૉ.જેનાએ હેલ્મેટનું રંગીન ચિત્ર મૂકયુ છે. હેલ્મેટ આધુનિક યુગમા સુરક્ષાનું ઉમદા પ્રતિક છે. તેના ઉપર એરેબીકમાં સુંદર અક્ષરોમાં “અલ માનીઅ:” લખ્યું છે. અલ્લાહનું ૪૮મુ નામ છે “અલ વદૂદ:” જેનો અર્થ થાય છે પ્રેમ કરનાર,પ્રેમ કરવા લાયક. એરેબીકમાં લખાયેલા “અલ વદૂદ:” શબ્દ નીચે ડૉ.જેનાએ ધબકતું માનવ હદય લાલ રંગમાં મૂકયું છે. જે પ્રેમ કરનાર અને કરવા લાયક દરેક માનવી અને ખુદાનું પ્રતિક છે. અલ્લાહના નામોના આવા ૯૯ ચિત્રાત્મક પ્રતીકો સમગ્ર પુસ્તકની અમુલ્ય જણસ છે.

સાબરમતી ગાંધી આશ્રમમા અલ્લાહના ૯૯ નામોના આવા અર્થસભર ચિત્રોના પ્રદર્શનને અમદાવાદના સુજ્ઞ શહેરીજનોએ હાથો હાથ વધવી લીધું હતું. પત્રકાર વૃશિકા ભાવસાર લખે છે,
“પંચતત્વ,નવરસ ઉપરાંત માનવ સહજ અપેક્ષા ભાવોને પ્રાકૃતિક નિર્જીવ પાત્રો અને બીજી પરિકલ્પનામાંથી અંકિત કર્યા છે, એમા અદભૂત કલા સુઝ અને કોઠા સુઝ પ્રગટ થાય છે.”
સદવિચાર પરિવારના વડીલ શ્રી હરીભાઈ પંચાલ લખે છે,
“ગાંધી નિર્વાણના દિને સાબરમતી આશ્રમમાં કોમી એકતાની પ્રેરણા આપનારું ૯૯ ચિત્રોનું પ્રદર્શન એક અઠવાડિયું સુધી ગોઠવાયું હતુ, જેનો બહોળો લાભ શહેરીજનોએ લીધો હતો.”
નયા માર્ગના તંત્રી અને વિચારક શ્રી ઇન્દુકુમાર જાની લખે છે,
“ ચિત્ર પ્રદર્શન: ઈશ્વર અલ્લાહ તેરે નામ
બહેન જેનાને લાખ લાખ સલામ”

ડૉ. જેના મેનેજમેન્ટ શાખાના ડોક્ટર છે. શિક્ષણ અને ટેક્ષટાઈલનો ડીપ્લોમાં ધરાવે છે. પણ શુદ્ધ ગાંધી વિચારોથી તરબતર છે.ગાંધીજી પર તેમણે “ગાંધીઝ લીડરશીપ” નામક પુસ્તક લખ્યું છે. એક હિંદુ હોવા છતાં અલ્લાહના ૯૯ નામો અંગે પ્રદર્શન અને પુસ્તક કરવાનો વિચાર તેમને કેવી રીતે આવ્યો ? એવા પ્રશ્નના ઉત્તરમાં ડૉ. જેના કહે છે,
“સૌ પ્રથમ હું મહાત્મા ગાંધીજીના જીવનથી અત્યંત પ્રભાવિત છું. અને બીજું, મને ગર્વ છે કે મારો ઉછેર મારા માતા –પિતાએ ધર્મનિરપેક્ષ વાતાવરણમાં કર્યો છે. મારી માતા નીલા આનંદ રાવે મારી સશક્ત અને કમજોર બન્ને જીવન સ્થિતમાં સકારાત્મક અને નવસર્જિત કાર્યો પ્રત્યે મને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. આજ જીવન શૈલીને કારણે મેં સૌ પ્રથમ ગાંધી વિચાર અને એ પછી સર્વ ધર્મોનો અભ્યાસ કર્યો છે. સર્વધર્મના અભ્યાસે મને અહેસાસ કરાવ્યો છે કે દરેક ધર્મ આદરને પાત્ર છે. દરેક ધર્મનું મૂળ બીજ શાંતિ અને પ્રેમ છે. અને એટલે જ આ ચિત્રો દ્વારા મેં ઇસ્લામના શાંતિ અને પ્રેમના સંદેશને સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે.”
પ્રદર્શન અને પુસ્તકમા એરેબીક લેખનનું કાર્ય સુંદર રીતે અદા કરનાર રાહુલ ઝાલા સારા ચિત્રકાર છે. મેં તેમને ફોન પર પૂછ્યું,
“આવું રચનાત્મક કાર્ય કરવાની પ્રેરણા તમને કયાંથી મળી?”
એક પળ ફોનમાં મૌન છવાઈ ગયું. મેં ફોન ચાલુ છે કે નહિ તે તપાસવા “હેલ્લો” કહ્યું.
ત્યારે રાહુલ ઝાલાનો અવાજ સંભળાયો ,
“સર, મેં તો આમાં કશું કર્યું જ નથી. મને તો જેના બહેને જે કહ્યું તે મેં કરી આપ્યું”
મને રાહુલની નમ્રતા ગમી ગઈ. પણ પ્રશ્નના અર્કને વળગી રહેતા મેં કહ્યું,
“છતાં એક હિંદુ તરીકે અલ્લાહના ૯૯ નામો એરેબીકમાં લખવા તમે કેમ પ્રેરાયા?”
“સર, ઈશ્વર કે અલ્લાહ સૌ નામો પાછળ એક જ શક્તિ છે. અને એટલે મારા માટે ઈશ્વરના દરેક નામ સરખા છે.” હું રાહુલની વાત સંભાળી રહ્યો. પણ ત્યારે મારા હદયના ધબકારા કહી રહ્યા હતા કે આ બંને મહાનુભાવોએ પોતાની તંદુરસ્ત મનોદશા દ્વારા સમાજને આપેલ આટલો મોટો સંદેશ કેટલી સરળતાથી આત્મસાત કર્યો છે.
પણ આ સમગ્ર ઘટનાનો અંતિમ આઘાત સાચ્ચે જ રુંવાડા ઉભા કરી દે તેવો છે. આ ચિત્રોનું સર્જન કરનાર ૩૫ -૪૦ વર્ષની વયના ડૉ.જેના બ્રેન અને સ્પાઈનલ કોર્ડના ગંભીર રોગથી પીડાય છે. છતાં તેમના ચહેરા પર હમેશ હાસ્ય પથરાયેલું હોઈ છે. ગોરો વાન,ગોળ ચહેરો અને ઘાટીલી કાયાના માલિક જેનાબહેન એ દિવસોમાં ઝાઝું ચાલી સકતા ન હતા. ઉભા રહી શકતા ન હતા, તેમના હાથના આંગળાઓ બ્રશ પકડી શકવા અસમર્થ હતા. એવા સમયે જેનાબહેને અલ્લાહના ૯૯ નામોના ચિત્રોનું સર્જન કર્યું, એ ઘટના જ કોઈ પણ ધબકતા માનવીને સ્તબ્ધ કરી મુકે તેવી છે. અલ્લાહના ૯૯ નામોને એરેબીક ભાષામાં ચિતરનાર રાહુલ ઝાલા એક ગભરુ જવાન છે. ઊંચા-લાંબા, શ્યામવર્ણા અને વેધક આંખોવાળા રાહુલ ઝાલા માનસિક રોગી છે. ચિતભ્રમ અને સ્મૃતિ દોષથી પીડાય છે. ચિત્રોના સર્જન ટાણે પરોઢીએ ત્રણ વાગ્યે બ્રહ્મમુહરતમાં ડૉ. જેનાબહેનના ઘરે આવી જવું અને એરેબીક અક્ષરોના સર્જનનું કાર્ય આરંભવું એ કોઈ સામાન્ય માનવીના લક્ષણો નથી. અને આમ છતાં આ બન્ને ક્ષતિગ્રસ્થ માનવીઓએ સર્જેલ ચિત્રો આજના અસંતુલિત યુગમાં સીમાચિહ્ન રૂપ છે. અને એટલેજ મનના ઊંડાણમાંથી વારંવાર ઉદગારો સરી પડે છે, આવા અસ્વસ્થ માનવીઓ જ સ્વસ્થ સમાજરચનાના સાચા ઘડવૈયાઓ છે.

Leave a comment

Filed under Uncategorized