Monthly Archives: April 2024

સ્વામીવિવેકાનંદની ગુજરાતની મુલાકાત : ડૉ. મહેબૂબદેસાઈ

વર્ષો પૂર્વે અર્થાત ૩૦ વર્ષ પહેલા મે કલક્તાના બેલુર મઠની મુલાકાત લીધી હતી. અને ત્યારે વિવેકાનંદ જી છેલ્લી રાત્રી જે રૂમમાં રહ્યા હતા તેની મુલાકાત લેતા મારા  રૂવાડા ઊભા થઈ ગયા હતા. આજે એ પળ અને એ દ્રશ્યો સાથે સ્વામી વિવેકાનંદ જીએ ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ શીકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં આપેલ વ્યાખ્યાનના શબ્દો મારા હદય ગુંજી રહ્યા છે.

“મને એવા ધર્મનો પ્રતિનિધિ હોવાનો ગર્વ છે જેણે વિશ્વને સહિષ્ણુતા અને સાર્વત્રિક સ્વીકૃતિ બંને શીખવ્યા છે. અમે માત્ર સાર્વત્રિક સહિષ્ણુતામાં જ માનતા નથી, પરંતુ અમે તમામ ધર્મોની સત્યતાનો સ્વીકાર કરીએ છીએ. મને ગર્વ છે કે હું એવા રાષ્ટ્રનો વતની છું જેણે તમામ ધર્મો અને વિશ્વના તમામ રાષ્ટ્રોના દલિત અને શરણાર્થીઓને આશ્રય આપ્યો છે.”

હિન્દુ ધર્મના આવા પ્રખર ચિંતક સ્વામી વિવેકાનંદજીના જીવનમાં ગુજરાતનું  સ્થાન અને પ્રદાન ખૂબ જ મહત્વના રહ્યા છે, એ બહુ ઓછી જાણીતી ઐતિહાસિક ઘટના છે.

ઈ.સ. ૧૮૯૩ની શિકાગોની વિશ્વ પ્રસિદ્ધ ધર્મ પરિષદમા જતા પૂર્વે વિવેકાનંદજીએ લગભગ છ માસ ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું. ગુજરાતના અમદાવાદ, વઢવાણ, લીમડી, ભાવનગર,  શિહોર,  જુનાગઢ,  ભુજ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, પાલીતાણા અને નડિયાદ જેવા સ્થાનોએ વિવેકાનંદજીના પાવન પગલાઓ પડ્યા હતા. અમદાવાદમાં તેઓ નાયબ ન્યાયાધીશ શ્રી લાલશંકર ઉમિયાશંકરને ત્યાં રહ્યા હતા. શહેરની અંદર આવેલ કિર્તીમંદિરો અને ભવ્ય મસ્જિતોને નિહાળી તેઓ પ્રભાવિત થયા હતા. અમદાવાદના જૈન સાક્ષરો અને ધર્માચાર્યો સાથે તેમણે ગહન આધ્યાત્મિક ચર્ચાઓ કરી હતી. લીમડીમાં તેઓ લીમડીના રાજા ઠાકોર સાહેબ બેહેમીયાચાંદના મહેમાન બન્યા હતા. લીમડીના રોકાણ દરમિયાન તેમણે ઘણાં પંડિતો સાથે સંસ્કૃતમાં ચર્ચા કરી હતી. જુનાગઢ જતા તેમણે ભાવનગર અને શિહોરની મુલાકાત પણ લીધી હતી. જુનાગઢમા તેમણે રાજ્યના દીવાન શ્રી હરિદાસ વિહરીદાસ દેસાઈની મહેમાનગતિ માણી હતી. સ્વામી વિવેકાનંદજીથી તેઓ એટલા પ્રભાવિત થયા કે રોજ બપોર બાદ રાજ્યના ઉચ્ચ અધિકારીઓને એકત્રિત કરી સ્વામીજી સાથે ધર્મચર્ચા કરતા. આ ધર્મચર્ચા માત્ર હિદુ ધર્મને જ ન સ્પર્શતી પણ ખ્રિસ્તી અને ઇસ્લામને પણ આવરી લેતી. ભુજમાં પણ સ્વામીજી રાજ્યના દીવાનના મહેમાન બન્યા હતા. કચ્છના મહારાજા ખેંગારજી ત્રીજાને પણ તેઓ મળ્યા હતા. વેરાવળ અને સોમનાથ પાટણની તેમની મુલાકાત પણ અદભૂત હતી. શ્રી કૃષ્ણ ભગવાના દેહોત્સર્ગના સ્થાનની તેમને ખાસ મુલાકાત લીધી હતી. પોરબંદરમાં સુદામા મંદિરના દર્શન કર્યા હતા. એ સમયે પોરબંદરના મહારાજા સગીર હતા. એટલે બધો કારભાર રાજ્યના દીવાન શ્રી શંકર પાંડુરંગજી ચલાવતા હતા. સ્વામીજી દીવાન શંકર પાંડુરંગજીના નિવાસ્થાન ભોજેશ્વર બંગલામાં ઉતર્યા હતા. સ્વામીજી સાથે દીવાન સાહેબ નિયમિત સત્સંગ કરતા. એ સમયે દીવાન શ્રી શંકર પાંડુરંગજીએ સ્વામીજીને કહેલ એક વાત સ્વામીજીના અંતરમાં ઉતરી ગઈ હતી. તેને યાદ કરતા સ્વામીજી લખે છે,

“મને લાગે છે કે આપ આ દેશમાં ખાસ કઈ કરી શકશો નહિ. એના કરતા આપે પશ્ચિમના દેશમાં જવું જોઈએ. ત્યાં લોકો આપના વિચારો અને આપના વ્યક્તિત્વનો વાસ્તવિક સાર પામી શકશે. સનાતન ધર્મનો પ્રચાર કરીને આપ નક્કી પ્રાશ્ચાત્ય સભ્યતાના પ્રવાસ પંથ પર પુષ્કળ પ્રકાશ રેલાવી શકશો”

દીવાન શ્રી શંકર પાંડુરંગજીએ સ્વામીજીને કહેલા આ શબ્દો ભાવીમા ભંડારાયેલી વિવેકાનાદની શીકાગો યાત્રાના સંકેત પડ્યા છે. ગુજરાતની ધરતીમાં તેના મંડાણ થયાની તે સાક્ષી પૂરે છે. વિવિકાનંદજીનું વિશદ ચરિત્ર આલેખનાર સ્વામી ગંભીરાનંદ પણ લખે છે,

“આ દિવસોમાં સ્વામીજી અંતરમાં એક અદભુદ પ્રકારનો ખળભળાટ અનુભવી રહ્યા હતા. તેમને એમ થયા કરતુ કે શ્રી રામ કૃષ્ણએ એકવાર જે વાત કહેલી કે નરેનની અંદર એવી શક્તિ ભરેલી છે કે જેના જોરે તે જગતને ઉંધુચતુ કરી શકે છે. તે સત્ય થવાના એંધાણ તેમને વર્તાઈ રહ્યા હતા”

આમ ગુજરાતની સ્વામીજીની મુલાકાત દરમિયાન જ શિકાગોની ધર્મસભામાં ભાગ લેવાના બીજ તેમના અંતકરણમા રોપાયા હતા. એ બીજ જુનાગઢ અને પોરબંદરની મુલાકાત પછી અંકુર બની ફૂટ્યા.પોરબંદરની મુલાકાત દરમિયાન જ સ્વામીજીએ બીજા વર્ષે (૧૮૯૩)ભરાનાર વિશ્વ ધર્મ પરિષદમાં જવાના પોતાના વિચારને વ્યક્ત કરતા હરિદાસબાપુને કહ્યું હતું,

“જો કોઈ મારા આવવા જવાનો ખર્ચ આપે તો બધું બરાબર ગોઠવાય જાય અને હું ધર્મ પરિષદમાં જઈ શકું”

આમ ગુજરાતમાં જન્મેલ વિવેકાનંદજીના વિચારને પછી કોઈ માનવ સર્જિત અડચણો સાકાર થતા ન રોકી શકી.

વિશ્વ ધર્મ પરિષદમાં જતાં પૂર્વે વિવેકાનંદજી શારદામાના આશીર્વાદ લેવા તેમના નિવાસ સ્થાને ગયા હતા. એ સમયે રામ કૃષ્ણ પરમહંસ અવસાન પામ્યા હતા. શારદા મા રસોડામાં કામ કરી રહ્યા હતા. વિવેકાનંદજી એ આવીને કહ્યું,

” મા, મને આશીર્વાદ આપો હું અમેરિકા જઉં છું”

શારદા મા એ પૂછ્યું,

“અમેરિકા જઈને શું કરશો ?”

“હું હિંદુ ધર્મનો સંદેશ પ્રસરાવીશ”

શારદા માએ કોઈ પ્રતિભાવ ન આપ્યો. ચુપ રહ્યા. થોડી પળ પછી પોતાનું કામ કરતા કરતા બોલ્યા,

“પેલી શાક સુધારવી છરી મને આપશો ?”

વિવેકાનંદજી એ છરી ઉપાડીને શારદા માને આપી. શારદા માએ છરી આપતા વિવેકાનંદ જીના હાથ પર એક નજર કરી. પછી વિવેકાનંદ જીના હાથમાંથી છરી લેતા બોલ્યા,

“જાઓ મારા આશીર્વાદ છે તમને”

હવે વિવેકાનંદજીથી ન રહેવાયું.

“મા છરી ઉપાડવાને અને આશીર્વાદ આપવાને શો સંબધ છે ?”

શારદા મા એ કહ્યું,

“હું જોતી હતી કે તમે છરી કેવી રીતે ઉપાડીને મને આપો છો. સામાન્ય રીતે કોઈ છરી ઉપાડીને આપે ત્યારે હાથો તેના હાથમાં રાખે છે. પણ તમે છરી ઉપાડીને આપી ત્યારે હાથો મારી તરફ અને ધાર તમારા તરફ રાખીને છરી મને આપી. મને ખાતરી છે કે તમે ધર્મનો સંદેશ સફળતા પૂર્વક લોકો સુધી પહોંચાડશો. કારણ કે ધર્મ કે પરમાત્મા નજીક કેવળ તેઓ જ રહી શકે છે જે દુઃખ પોતાના માટે રાખે છે અને સુખ અને સુરક્ષા અન્યને આપે છે. જેમ તમે ધાર તમારી તરફ રાખી અને હાથો મને આપ્યો.”

હિન્દુ ધર્મના આવા સાચા ઉપાસક અને રક્ષક વિવેકાનંદ અને શારદા માને કોટિ કોટિ વંદન

Leave a comment

Filed under Uncategorized