Monthly Archives: April 2018

મુઝ મે ભેદ નહિ હૈ : મોરારીબાપુ : ડૉ.મહેબૂબ દેસાઈ

થોડા દિવસ પહેલા મારા એક વિદ્યાર્થી કોમેલ રાજાણીએ મને પૂ. મોરારીબાપુનો એક વિડીઓ વોટ્સઅપ પર મોકલ્યો. સાથે લખ્યું હતું, “બાપુએ વ્યાખ્યાનમા આપને યાદ કર્યા છે” એ વિડીઓ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામા આવેલ ફીફાદ ગામમાં સૂફીસંત હઝરત સૈયદ જંતરશાહ બાબાના ઉર્સના કાર્યક્રમનો હતો. આ વર્ષે સૂફીસંત હઝરત સૈયદ જંતરશાહ બાબાના ઉર્ષની ઉજવણીમા મુખ્ય મહેમાન તરીકે પૂ. મોરારીબાપુને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. એ કાર્યક્રમમા પૂ. મુરારીબાપુએ આપેલ વ્યાખ્યાનમાં લગભગ આઠેક વર્ષ પૂર્વે મારી અને તેમની સાથે તલગાજરડાના ચિત્રકૂટ આશ્રમમાં ઘટેલી ઘટનાને તેમણે યાદ કરી હતી.
૨૦૧૦મા હું અને મારી પત્ની સાબેરા બીજીવાર હજયાત્રાએ ગયા હતા. હજયાત્રા પછી યુનિવર્સીટીના એક કાર્યક્રમ અંગે મેં પૂ. મોરારીબાપુને એક પત્ર પાઠવ્યો. જેમાં લખ્યું હતું,
“હજયાત્રાએથી પરત આવ્યા પછી પ્રથમ પત્ર આપને પાઠવી રહ્યો છું. હજયાત્રાની પ્રસાદી ઝમઝમનું જળ,ખજુર અને અત્તર આપને રૂબરૂ આપવા આવવાની ઈચ્છા છે.”
પત્ર બાપુને મળ્યો કે તુરત બાપુનો ફોન આવ્યો,
“મહેબૂબ સાહબ, હજયાત્રાએથી આવી ગયા તે જાણ્યું. ઈશ્વર આપની હજ કબુલ ફરમાવે”
આ વાતને લગભગ દસેક દિવસ થઈ ગયા. ભાવનગર વિશ્વ વિદ્યાલયના ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્રના એક કાર્યક્રમ માટે મારે બાપુને રૂબરૂ મળવા જવાનું નક્કી થયું. અને બાપુને રૂબરૂમાં ઝમઝમનું જળ, આજવા ખજુર અને અત્તર આપવાની મારી ઈચ્છા વધુ પ્રબળ બની.
તા. ૩ જાન્યુઆરીના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે હું જયારે તલગાજરડા(મહુવા)મા આવેલ બાપુના ચિત્રકૂટ આશ્રમમાં પહોંચ્યો, ત્યારે બાપુ એક સૌ જેટલા ભક્તોથી ઘેરાયેલા હતા. આટલી મોટી બેઠકમાં બાપુને કેમ મળવું, તેની મીઠી મુંઝવણ હું અનુભવી રહ્યો હતો. અંતે હિંમત કરી મારી પાસે ઉભેલા એક સ્વયંમ સેવકને મેં મારી ઓળખાણ આપી અને મારા આગમનનો ઉદેશ કહ્યો. એ ભાઈએ મને કહ્યું,
“તમેં બાપુ ને મળી લો. બપોરે ૧૨ થી ૧ બાપુ બધાને મળે છે” પણ આટલા બધા ભક્તોની વચ્ચે બાપુને મળતા મારા પગો સંકોચ અનુભવી રહ્યા હતાં. છતાં હિમત કરી મેં કદમો માંડ્યા. બાપુ હિંચકા પર બેઠા હતા.જયારે ભક્તજનો નીચે બેઠા હતાં. મેં હિંચકા તરફ ચાલવા માંડ્યું. એ સમયે બાપુનું ધ્યાન ભક્તો સાથેના વાર્તાલાપમાં હતુ. એટલે હિંચકા પાસે જઈ મેં મારો પરિચય આપતા કહ્યું,
“મારું નામ મહેબૂબ દેસાઈ છે. આપને મળવા ભાવનગરથી આવ્યો છું.”
નામ સાંભળી બાપુએ મારા તરફ જોયું. અને તેમના ચેહરા પર સ્મિત ફરી વળ્યું. મારા પર એક નજર નાખી તેઓ બોલ્યા,
“આવો આવો, મહેબૂબ સાહબ, અરે કોઈ જરા ખુરસી લાવશો”
બાપુના આવા આદેશથી હું થોડો વધારે મૂંઝાયો. આટલા બધા ભક્તો ભોય પર બેઠા હોઈ અને હું બાપુ સામે ખુરશી પર બેસું તે કેવું લાગે ? પણ બાપુ સામે કઈ જ દલીલ કરવાની મારી માનસિક સ્થિતિ ન હતી. એટલે ખુરશી આવતા મેં તેમાં ચુપચાપ સ્થાન લીધું. અને મારા થેલામાંથી ઝમઝમના જળની બોટલ, ખજૂરનું બોક્સ અને અત્તરની શીશી કાઢી બાપુને આપતા કહ્યું,
“આપને મક્કાની આ પ્રસાદી રૂબરૂ આપવાની ઘણી ઈચ્છા હતી”
બાપુએ પ્રથમ આજવા ખજૂરનું બોક્સ મારા હાથમાંથી લીધું. અને હિચકા પર પોતાની બાજુમાં મુક્યું. પછી મેં ઝમઝમની બોટલ તેમના હાથમાં મુક્તા કહ્યું,
“ઝમઝમનું જળ ઇસ્લામમાં અત્યંત પવિત્ર ગણાય છે. સો તેનું આચમન કરે છે. આપ પણ તેનું આચમન કરી શકો છો”
મારી વાત સાંભળી ચહેરા પર સ્મિત પાથરી બાપુ બોલ્યા,
“તમે જ મને તેનું આચમન કરાવો ને” અને બાપુએ તેમના હાથની હથેળી મારી સામે ધરી.મેં બોટલ ખોલી બાપુના હાથમાં ઝમઝમનું પાણી રેડ્યું. અને ગંગા જળ જેટલા જ શ્રધ્ધા ભાવથી બાપુએ ઝમઝમનું આચમન કર્યું. ત્યારે સો ભક્તો બાપુની આ ચેષ્ઠાને જોઈ રહ્યા હતા. ઝમઝમના આચમન પછી ભક્તજનોને સંબોધતા બાપુ બોલ્યા,
“મહેબૂબ સાહબ સાથે આજે મારી પણ હજ થઈ ગઈ” અને ત્યારે ભક્તજનોએ બાપુના એ વિધાનને તાળીઓથી વધાવી લીધું. પણ બાપુ આટલેથી ન અટક્યા.તેમણે મારી સામે જોઈ પોતાની ઈચ્છાને વ્યક્ત કરતા કહ્યું,
“મહેબૂબ સાહબ, માત્ર ઝમઝમ પીશ નહિ. તમે એક કલાક રોકાય જાવ. હું આ ઝમઝમનો રોટલો બનાવડાવી આપની સામે આરોગીશ. અને તેમણે તલગાજરડાના આશ્રમ સામેથી એક ભરવાડ બહેનને બોલાવ્યા અને તેમને કહ્યું,
“આ પવિત્ર જળ છે. તે તમે લઇ જાવ અને તેમાંથી રોટલો બનાવીને લાવો.”
એ બહેન ઝમઝમનું પાણી લઇ ગયા. અને થોડીવારે તેમાંથી બાજરીનો રોટલો બનાવીને લાવ્યા. બાપુએ એ રોટલો મારી સામે આરોગ્યો.
અને પછી બોલ્યા,
“મહેબૂબ સાહબ, મુઝ મે ભેદ નહી હૈ”
ત્યારે હું એ સંત ફકીરની સર્વધર્મ સમભાવની આચરણમાં મુકાયેલ ક્રિયાને આંખોમાં ઊભરાયેલા પાણી સાથે તાકી રહ્યો. એ ઘટનાને બાપુએ આજે આઠ વર્ષ પછી જાહેરમાં યાદ કરી મને ફરી એકવાર ભીજવી નાખ્યો છે.

Leave a comment

Filed under Uncategorized

ટાઈમ મેનેજમેન્ટ અને રમઝાન : ડૉ.મહેબૂબ દેસાઈ

લગભગ ૧૬ મેં (ચાંદ પર આધારિત હોયને)થી ઇસ્લામના પવિત્ર માસ રમઝાનનો આરંભ થઈ રહ્યો છે. ઇસ્લામમાં રમઝાન માસનું મહત્વ અનેક ગણું છે. આજ માસમાં મોટાભાગની આસમાની કિતાબોનું અવતરણ થયું છે. હઝરત ઈસ્માઈલ (અ.સ.) પર આ જ માસની ૩જી તારીખે “સહીફા”નું અવતરણ થયું હતું. હઝરત દાઉદ (અ.સ.) પર આજ માસની ૧૮મી તારીખે “જબૂર”નું અવતરણ થયું હતું.હઝરત મુસા (અ.સ.)એ આજ માસની ૬ તારીખે “તૌરાત” આપી હતી. હઝરત ઈસા (અ.સ.)ને “ઈંજીલ” પણ આજ માસની ૧૩મી રમઝાને મળી હતી. અને ઇસ્લામની મોટામા મોટી દેન “કુરાને શરીફ”ના અવતરણનો આરંભ પણ આજ માસમા હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ને વહી દ્વારા થયો હતો. “રમઝ” શબ્દ અરબી ભાષાનો છે. તેનો અર્થ થાય છે બાળવું. એ અર્થમાં કહીએ તો ગુનાઓને બાળવાનો અને ઈબાદત દ્વારા નેકીઓનો ખજાનો લુંટવાનો માસ એટલે રમઝાન માસ.
આમ રમઝાન માસ ઈબાદત અને દાન-પુણ્યનો માસ છે. તેની એક એક મિનીટનો સદુયોગ દરેક મુસ્લિમ કરવા તત્પર રહે છે. પણ એ માટેનું આયોજન આજના ઝડપી યુગમાં કરવું સૌ માટે મુશ્કેલ બને છે. ઇસ્લામમાં ટાઇમ મેનેજમેન્ટનો વિચાર છેક મહંમદ સાહેબના સમયથી ચાલ્યો આવે છે. જો કે મહંમદ સાહેબે તેના સૈધાંતિક સ્વરૂપ કરતા તેના અમલને પોતાના જીવનમાં સાકાર કર્યો હતો. એ જ સંદર્ભમાં આજે રમઝાન માસ દરમિયાનના ટાઇમ મેનેજમેન્ટની થોડી વાત કરવી છે.
રમઝાન માસ પૂર્વે તેની એક એક પળનું આયોજન દરેક મુસ્લિમે કરવું જોઈએ. કારણ કે આ માસ અલ્લાહનો માસ છે. અલ્લાહને ઈબાદત (ભક્તિ) અને સદકાર્યોથી ખુશ કરવાની એક એક પળનો સદ ઉપયોગ કરવાનો માસ છે, તેથી તેનું આયોજન અનિવાર્ય છે. એ માટે નીચેની કેટલી બાબતો રમઝાન માસ પૂર્વે અને દરમિયાન અમલમાં મુકવી જરૂરી છે.
૧. આજના ઈલેક્ટ્રોનિક યુગમાં માનવીનો મોટાભાગનો સમય મોબાઇલ અને ટેલીફોનીક ચર્ચામાં જાય છે. રમઝાન માસમાં આપ ટેલીફોન અને મોબાઇલ ચેટને માર્યાદિત કરો. મિત્રો સ્વજનો અને વ્યવસાયિક કાર્યકરો સાથેની તમારી વાતચીત માત્ર કામ પુરતી જ રાખો. નકામી વાતોને ટાળો. જેથી ઈબાદત તરફ તમારી રૂચી જળવાઈ રહે. વળી, મોબાઇલ જેવા માધ્યમ દ્વારા આપ મુલ્ય નિષ્ઠ ઇસ્લામિક વિચારોના પ્રચાર પ્રસારનું કાર્ય પણ કરી રમઝાનની સુવાસ પ્રસરાવી શકો છે.
૨. આજનો માનવી પોતાના દિવસનો મોટાભાગનો સમય કોમ્પુટર અને ઈન્ટરનેટ પાછળ પસાર કરે છે. અલબત કોમ્પુટર અને ઈન્ટરનેટ આજના યુગની જરૂરિયાત છે. વ્યવસાયનો એક ભાગ છે. પણ તેની સાથે તે સમયના વ્યયનું મુખ્ય સાધન પણ છે. આજે ઈમેઈલ, ફેસબુક, ટવીટર, યુટ્યુબ કે ઇનસ્ટાગ્રામ જેવા માધ્યમો મનોંરજન અને સમય પસાર કરવાના માધ્યમો બની ગયા છે. કમ સે કમ રમઝાન માસમા તેની પાછળ વધુ સમય વ્યય ન કરો. તેના બદલે તે સમય ઇબાદત અને સદકાર્યો માટે ફાળવો. જેથી આપની ઇબાદતમાં એકગ્રતા અને સદકાર્યોમાં સક્રિયતા આવશે.
૩. રમઝાન માસ એ ખાવાપીવાનો માસ નથી. એ તો ઈબાદત અને કુરાને શરીફના અધ્યન અને પઠનનો માસ છે. પણ મોટે ભાગે રમઝાન માસમા શેહરી અને ઇફ્તીયારીની તૈયારીમા જ આપણું રસોડું સક્રિય રહે છે. પરિણામે મા-બહેનો, દીકરીઓ અને પત્નીને ઈબાદતનો સમય બહુ જૂજ સાંપડે છે. વળી, આપણે પણ સહેરી અને ઇફ્તીયારીમા વિવિધ વ્યંજનો વાળા ભોજન પર વિશેષ ધ્યાન આપતા હોય છીએ.પરિણામે આપણી નમાઝ અને તિલાવતમા સુસ્તી પ્રવેશે છે. રમઝાન માસમાં ભોજન સાદું અને પોષ્ટિક લેવાનો આગ્રહ રાખો. જેથી વધુ સમય ઈબાદતમા ફાળવી શકાય.
૪. રમઝાન માસ પૂર્વે તમારી અને ઘરની જરૂરિયાત મુજબની તમામ વસ્તુઓની પાકી યાદી બનાવી રમઝાન માસ પહેલા તેની ખરીદી કરીલો. જેથી રમઝાન માસ દરમિયાન ખરીદી પાછળ સમય ફાળવવો ન પડે. અને તેટલો વધુ સમય આપ ઈબાદતમા ફાળવી શકો. રમઝાન માસના છેલ્લા દસ દિવસ ઈબાદત માટે અત્યંત મહત્વના હોય છે. એવા સમયે ખરીદીમા આપનો કિમતી સમય ન પસાર કરો.
૫. રમઝાન માસમા ઇફ્તીયારી પાર્ટીઓ હવે સામાન્ય બની ગઈ છે. રાજકીય નેતાઓ અને સામાજિક સંસ્થાઓ તેનું રમઝાન માસ દરમિયાન આયોજન કરતા હોય છે. રમઝાનમા ઇફ્તીયારી અર્થાત રોઝો ઉપવાસ છોડાવવાનું કાર્ય પુણ્ય સવાબ છે. પણ એ સવાબ માટે માત્ર ઇફ્તીયારી પાર્ટીઓ જરૂરી નથી. મહંમદ સાહેબ ફરમાવ્યું છે, “ગરીબ, અસહાય અને જરૂરત મંદ લોકો માટે ઇફ્તીયારીનું આયોજન કરો. એ પણ ઇબદાતનું એક સ્વરૂપ છે.” ઇફ્તીયારી પાર્ટી કરતા ગરીબ, અસહાય અને જરૂરત મંદ લોકો માટે ઇફ્તીયારીનું આયોજન કરો. તેમાં આપનો સમય ફાળવો.
૬. રમઝાન માસમાં આપના સૂવાના સમયમાં કાપ મૂકો. આ માસ ઈબાદતનો માસ છે. સદકાર્યો કરવાનો માસ છે. કોને ખબર છે કે આ રમઝાન માસ કોના જીવનનો છેલ્લો માસ છે ? માટે આપનો સુવાનો સમય માર્યાદિત કરી, વધુમાં વધુ સમય નમાઝ, કુરાને શરીફની તિલાવત અને સદાકાર્યોમાં પસાર કરો.
૭. સેહરી માટે સવારે વહેલા જાગી, સૌ પ્રથમ તહજ્જુજની નમાઝ અદા કરો. કુરાને શરીફ પઢો. સહેરી બાદ ફઝર અર્થાત સવારની નમાઝ અવશ્ય પઢો. નમાઝ સમયે સતત અહેસાસ કરો કે આપ ખુદા સન્મુખ ઉભા છો. અને ખુદા પાસે દુવા પણ એમ જ માંગો જાણે તમે ખુદા સન્મુખ બેસી આજીજી કરી રહ્યા છે.
ઉપરોક્ત બાબતો આપના રમઝાન માસના ટાઇમ મેનેજમેન્ટમા આવરી લો. આપણે સૌ ખુદા ગુનેગાર બંદાઓ છીએ. ઉપરોક્ત તમામ બાબતોનો અમલ આપણા સૌ માટે શક્ય ન પણ બને. છતાં તેનો આંશિક અમલ પણ, જો આપણે સૌ કરવાનો પ્રયાસ કરીશું તો, ખુદા નજીક પહોંચવાની આપણી કોશીશ પર ખુદાની અવશ્ય નજર પડશે, એવી દુવા- આમીન.

Leave a comment

Filed under Uncategorized

દુવા (પ્રાર્થના) : ડૉ.મહેબૂબ દેસાઈ

રમઝાન માસ આપણા આંગળે આવી આપને ઈબાદત માટે પ્રેરી રહ્યો છે. એવા સમયે ઈબાદત અર્થાત પ્રાર્થનાની સત્વશીલતા અંગે જાણવું જરુરી છે. આજથી લગભગ ૯૩ વર્ષ પૂર્વે જાન્યુઆરી ૧૯૨૫ના રોજ ભાવનગર મુકામે ભરાયેલ કાઠીયાવાડ રાજકીય પરિષદ, જેના પ્રમુખ ગાંધીજી હતા, તેના આરંભમાં એક પ્રાર્થના ગવાઈ હતી. ગાંધીજીના અંતેવાસી રિહાના તૈયબજીના સ્વરે ગવાયેલ એ સુંદર ભજન આજે પણ પ્રાર્થનાની સાચી મીમાંસા વ્યક્ત કરે છે. રિહાના તૈયબજી એક એવા મુસ્લિમ સંત હતા જેમણે ૧૯૨૪મા ધી હાર્ટ ઓફ અ ગોપી (The Heart of a Gopi) નામક ગ્રંથ લખ્યો હતો. જેઓ કુરાને શરીફ અને કૃષ્ણના ઊંડા અભ્યાસુ હતા. સૌ પ્રથમ તેમણે ગાયેલ પ્રાર્થનાને માણીએ.

“તુઝ સે યહ ફરિયાદ હૈ, એ પાક રબ્બુલ આલમીન
સબ રહે મિલ જુલ કે, તું માલિક હૈ, યહ તેરી ઝમી
જિસ મેં હો તેરી રઝા, હમ ચાહતે હૈ બસ વહી,
હમ રહે મહકૂમ, યા હાફિમ હો, કુછ પરવા નહિ.
હમને સોચી જીતની તદબિરે, વો સબ ઉલટી પડી
વહ તરીકા અબ બતા હમ કો, જો હૈ હબ્બુલમતી
હિંદ બન જાય નમૂના, જુમ્લા કોમો કે લિયે
જિસ્મ મેં આલમ કે હોવે, મીરલે ચશ્મે સુર્મગી
લબ પે તેરા નામ હો, ઔર દિલ મેં તેરી યાદ હો
કામ જો કુછ હો, તેરી ખાતિર હો, રબ્બુલ આલમ
હિંદુ ઔર મુસ્લિમ કે દિલ સે દૂર હો બૂ ગમો કી”

આજે ૯૩ વર્ષ પછી પણ આ પ્રાર્થના કે ઈબાદત આપણા દેશ માટે અક્ષર સહ સાચી અને જરૂરી છે. સામાન્ય રીતે આપણી પ્રાર્થનાઓમા સૌ પ્રથમ સ્વ હોય છે અને પછી સર્વ હોય છે. ઇસ્લામમાં પ્રાર્થનાને દુવા કહે છે. દુવા કે પ્રાર્થના એટલે ખુદા-ઈશ્વર સાથે ભાવનાત્મક સંવાદ. મોટે ભાગે એ સંવાદમા દુઃખ દર્દ દૂર કરવાની આજીજી હોય છે. મનની મુરાદોને પામવાની તમન્ના હોય છે. ખુદાને રાજી કરવાની કોશિશ હોય છે. આસ્થા, શ્રધ્ધા કે ઈમાન વગરની પ્રાર્થના પણ શ્વાસ વગરના શરીર જેવી છે. કુરાને શરીફમાં ફરમાવ્યું છે,
‘મને(ખુદાને) પોકારો (દુવા કરો) હું તમને જવાબ આપીશ.’
હજરત મુહંમદ બિન અન્સારીની વફાત (અવસાન) પછી તેમની તલવારના મ્યાનમાંથી એક ચિઠ્ઠી નીકળી
હતી . તેમાં લખ્યું હતું,
“તમે ખુદાની રહેમત (દયા)ની પળ શોઘ્યા કરો. એ પળે તમે જે દુવા કરશો તે કબૂલ થશે?”
હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ)એ ફરમાવ્યું છે,
“દુવા (પ્રાર્થના) જ ઇબાદત (ભકિત) છે.”
હજરત ઇમામ સૂફિયાન ફરમાવે છે,
“અલ્લાહને તે જ બંદો (ભકત) વધુ ગમે છે. જે તેની પાસે સતત દુવા કર્યા કરે.”
જો કે ઈશ્વર કે ખુદા પાસે દુવા માગવાની કે સંવાદ કરવાની પણ તહઝીબ છે. કુરાને શરીફમાં ફરમાવ્યું છે,
“તમે તમારા પરવરદિગાર પાસે કરગરીને, આજીજીપૂર્વક, નમ્રતાથી, ધીમેથી દુવા માગો.”

ઇસ્લામી ગ્રંથોમાં દુવા માગવા માટેનો ઉત્તમ સમય પણ આપવામાં આવ્યો છે. એ મુજબ નમાજ માટે અઝાન થાય એ પછી દુવા માગો. અઝાન અને તકબીર દરમિયાન દુવા માગો. ફર્ઝ, નમાજ પછી દુવા માગો. કુરાને શરીફની તિલાવત (વાંચન) પછી દુવા માગો. આબેઝમઝમના આચમન પછી દુવા માગો.
કાબા શરીફના દીદાર (દર્શન) પછી દુવા માગો. આ ઉપરાંત હજયાત્રાએ જતા હાજી સાહેબોએ પવિત્ર સ્થાનો જેવાં કે કાબા શરીફની પરિક્રમા (તવાફ) સમયે, ખુદાના ઘર (બયતુલ્લાહ)ની અંદર, આબેઝમઝમના કૂવા પાસે, મકામે ઇબ્રાહીમ પાછળ, અરફાતના મેદાનમાં, ૯ ઝિલહજના દિવસે મીનામાં, હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ)ના રોઝા મુબારક પાસે ખાસ દુવા માંગવી જોઈએ. આ સ્થાનોમાં દુવા માંગવાથી તે અવશ્ય કબૂલ થાય છે.
દુવાના સ્થળ જેટલી જ મહત્તા દુવાની પદ્ધતિની છે. દુવા કેવી રીતે માગવી, એ પણ ઇસ્લામ ગ્રંથોમાં
સવિસ્તાર આપવામાં આવ્યું છે. જેમાં નોંધપાત્ર બાબતો નીચે મુજબ આપી શકાય. દુવા હંમેશાં કિબલા તરફ મોં રાખીને જ કરો. દુવા કરતા સમયે અવાજ ધીમો અને નમ્ર રાખો. હેસિયતથી વધુ દુવા ન માગો. દુવા શકય તેટલી ટૂંકમાં, સંક્ષિપ્તમાં માગો. દુવા યકીન, વિશ્વાસ સાથે કરો. દુવા કરતા પહેલાં ભૂલોની માફી માગો. ખુદાને તે ગમે છે. સિજદામાં દુવા કરવી વધારે યોગ્ય છે.
દુવા સદ્કાર્યો, આમાલો અને પોતાની નાની મોટી નૈતિક જરૂરિયાતો માટે કરો.
કોઈનું બૂરું કરવા કે અનૈતિક બાબતો માટે કયારેય દુવા ન માગો. દુવામાં ભાષા મહત્ત્વની નથી. એકાગ્રતા, આજીજી અને વિશ્વાસ (ઇમાન) મહત્ત્વનાં છે. ગમે તે ભાષામાં દુવા કરો. ખુદા બંદાની દરેક ભાષા સમજે છે. આલીમોએ દુવા કબૂલ થવાના ચાર પ્રકારો આપ્યા છે. કેટલીક દુવાઓ તે જ સમયે કબૂલ થઈ જાય છે. કેટલીક દુવાઓ સમય પાકયે જ કબૂલ થાય છે. કેટલીક દુવાઓનો બદલો અન્યને મળે છે. જયારે દુવા કરનારને આખિરતના દિવસે તેનો બદલો મળે છે.
કેટલીક દુવાઓ આજીવનમાં કબૂલ થતી નથી પણ તે આખિરતમાં કબૂલ થાય છે.
ટૂંકમાં દુવા કે પ્રાર્થના એ ખુદા-ઈશ્વર સાથેનો જીવંત સંવાદ છે. તેને જેટલો સરળ, નમ્ર, આત્મીય અને વિશ્વસનીય બનાવી શકાય તેટલો
બનાવો. સૌ પ્રથમ દુવા સર્વ માટે માંગો અને પછી સ્વ અર્થાત પોતાના માટે માંગો. ખુદા ઈશ્વર પોતાના બંદાની દુવા કબૂલ કરતા આનંદ અનુભવે છે. એટલે ખુદા પાસે દિલ ખોલીને માંગો અને માંગતા રહો

Leave a comment

Filed under Uncategorized

શબે-બરાત : ડૉ.મહેબૂબ દેસાઈ

વર્ષો પૂર્વે બયતુલમાલ, કપડવંજ તરફથી શબે-બરાત અંગે એક સુંદર પત્રિકા પસિદ્ધ થઈ હતી. મારી અંગત લાઈબ્રેરીમા મેં તે સાચવી રાખી હતી. આ વખતે ૩૦ એપ્રિલ સોમવારની રાતથી શબે બરાતનો આરંભ થશે અને ૧ મેંની સાંજે તે પૂર્ણ થશે. આજે શબે-બરાતની એ પત્રિકાની કેટલીક સુંદર વિગતોની વાત કરવી છે. આ રાત્રી ઇસ્લામના દરેક અનુયાયી માટે સંપૂણ ઈબાદતનો સમય છે. અને એટલે જ ઇસ્લામમાં શબે બરાતને ભરપૂર ઈબાદતની રાત્ર કહેવામાં આવે છે. ઇસ્લામિક માસ “શાબાન” ઇસ્લામિક વર્ષનો આઠમો મહિનો છે. જે ઘણી જ બરકતોથી ભરપૂર માસ છે. આ એ મહિનો છે જેના અંગે અલ્લાહના પ્યારા પયગંબર હઝરત મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
“શઅબાનો શહરી-વ- રમઝાનો શહરુલ્લાહ”
અર્થાત
“શાબાન મારો મહિનો છે અને રમઝાન અલ્લાહનો માસ છે.”
ખુદાના માસ રમઝાન પછી સૌથી વધુ ફઝીલત અને બરકતવાળો માસ શાબાન છે. જેમાં ખુદાની ઈબાદતને વિશેષ પ્રાધાન્ય છે. શાબાન માસના ઉત્તમ અને ઈબાદતના દિવસો અને રાત્રીઓમા સૌથી મહત્વની રાત્રી “શબે બરાત” છે. “શબ” એટલે રાત્રી અને “બરાત” એટલે આદેશ-હુકમનામું. ઇસ્લામિક માસ શાબાનના ચૌદમા દિવસ પછી આવતી પંદરમી રાતને “શબે બરાત” કહે છે. આ રાત્રે મુસ્લિમ બિરાદરો પર અલ્લાહની અનેક રહેમતો (કૃપા)ઉતારવામા આવે છે. ઈબાદત કરનાર હરેક બંદા પર ખુદા દ્વારા અનેક નેમતોની વર્ષા થાય છે. એટલે કે આ મુબારક રાતની દરેક ક્ષણની ઈબાદત પર ખુદાની રહેમત વર્ષે છે.
શબે બરાતને દિવસે મુસ્લિમો આખો દિવસ રોઝા અથવા ઉપવાસ રાખે છે. અને ૧૫મીની આખી રાત્રે જાગીને ખુદાની બંદગી કરે છે. તથા કબ્રસ્તાનમા જઈ પોતાના મૃત સ્વજનો માટે પ્રાથના પણ કરે છે. આમ શબે બરાત સાચા અર્થમાં આત્મ નિરીક્ષણની રાત છે. એક શાયરે શબે બરાત અંગે કહ્યું છે,
“મુબારક રાત લેકર સાથ પયગામે નજાત આઈ
ઈબાદત કે લીયે સબ સે બહેતર વો રાત આઈ
ઇસી શબ મેં ખુદા તકસીમેં રિઝક ઉમ્ર કરતા હય
મશીયત આજ લેકર દફતરે મૌતો હયાત આઈ”
શબે બરાતને ઇસ્લામિક ગ્રંથોમાં જુદા જુદા નામોથી દર્શાવવામાં આવેલ છે. જેમ કે “લયલતુલ મુબારક” (બરકતવાળી રાત), “લયલતુલ રહમત”(ખાસ રહમતો ઉતરવાની રાત), “લયલતુલ સુક” (દસ્તાવેજવાળી રાત) અને “લયલતુલ બારઅત” (દોઝાકથી છુટકારાની રાત) કહેવામાં આવે છે.
કુરાને શરીફમા પણ આ રાતનો ઉલ્લેખ છે. તેમાં કહેવામાં આવ્યું છે,
“અમારા હુકમથી આ રાતમા દરેક હિકમતવાળું કામ વહેચી દેવામાં આવેલ છે.”
એટલે કે શબે બરાતના તમામ હુકમો જેવા કે માનવીની, જન્મ મૌત, રોઝી અને આગામી વર્ષ દરમિયાન માનવીને જે જે કાર્યો કરવાના હોય, તે આ રાત્રીએ ખુદા નક્કી કરે છે. અને દરેક કાર્યો કરવા કે માનવી પાસે કરાવવાના હેતુથી ફરિશ્તાઓની પણ નિયુક્તિ કરવામાં આવે છે.
હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.)એ શબે બરાત અંગે ફરમાવ્યું છે,
“શાબાનની ૧૫મી રાત્રે હઝરત ઝીબ્રઈલ મારી પાસે આવ્યા અને કહ્યું ‘યા રસુલ્લીલાહ ! શબે બરાત એવી રાત છે જેમાં આકાશ અને રહમતના દરવાજા ખોલી નાખવામાં આવે છે. માટે આપ ઉઠો અને નમાઝ પઢો અને પોતાના માથા તથા હાથોને આકાશ તરફ ઉઠાવો. મેં પૂછ્યું ‘હે ઝીબ્રઈલ ! આ રાત કેવી છે ? તેમણે કહ્યું ‘ આ એવી રાત છે જેમાં રહેમતના ૩૦૦ દરવાજા ખોલી નાખવામાં આવે છે. અલ્લાહ એવા દરેક મુસ્લિમને નેમતો બક્ષે છે જે અલ્લાહની ઇબાદતમાં બીજા કોઈને શરીક કરતો નથી. પરંતુ જાદુગર, નજૂમી, શરાબી, વ્યભિચારી, માબાપની નાફરમાની કરનાર, વ્યાજખોર, મુસ્લિમોમાં ફૂટ પાડનાર અને રિશ્તેદારી તોડનાર લોકોને માફ કરવામા નથી આવતા, જ્યાં સુધી તેઓ આ તમામ બાબતોનો ત્યાગ ન કરી દે.”
હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.) આગળ ફરમાવ્યું છે,
“શાબાનની ૧૫મી રાત ઇબાદતમાં પસાર કરો. તે દિવસે રોઝો (ઉપવાસ) રાખો અને અલ્લાહની યાદમા આખી રાત પસાર કરો કારણ કે એ રાત માટે આલ્લાહનું એલાન છે કે “છે કોઈ માફી માંગનાર જેને હું માફી આપવા હું બેઠો છું ? છે કોઈ રોઝી માંગનાર જેને હું રોઝી આપવા બેઠું છું ? છે કોઈ મુસીબતોનો માર્યો જેને હું રસ્તો બતાવવા બેઠો છું ? આ રીતે ફજર અર્થાત સવાર સુધી ઈબાદત કરી ખુદા પાસે માંગનાર દરેકની મનગમતી મુરાદ (ઈચ્છા) પૂરી કરે છે. કારણ કે આ રાત દિલ ખોલીને ખુદા તેમના બંદાઓને નવાઝે છે. ખુદા આપે છે.”

એટલે કે શબે બારાતની રાત દરેક મુસ્લિમ માટે અનેરો અવસર છે. દુન્વયી આફતો, મુસીબતોથી બચવાનો, રોઝી રોજગારમાં બરકત મેળવવાનો અને ગુનાહોથી મુક્તિ મેળવવાનો આ સુવર્ણ અવસર છે. અલ્લાહની બારગાહમાં રડી રડીને ક્ષમા માંગવાનો આ અવસર અને રોઝીમાં બરકત મેળવવાની આવી રાત વર્ષમાં એકવાર જ આવે છે. અને એટલે જ દરેક મુસ્લિમ શબે બારાતની રાતનો પૂરો સદઉપયોગ કરે અને ખુદાની ઈબાદત કરી ખુદા પાસે પોતાના વર્તમાન અને ભવિષ્યને સજાવાનો સવારવાનો અવસર ઝડપી લે એજ દુવા-આમીન.

Leave a comment

Filed under Uncategorized

ચિસ્તીયા સિલસિલાના સાચા સંવાહક : ડૉ. મહેબૂબ દેસાઈ

૩૧ માર્ચના રોજ પાલેજ મુકામે હઝરત ખ્વાજા મલાઉદ્દીન ચિસ્તી સાહેબનો ઉર્સ મુબારક ઉજવાયો. આમ તો ઉર્સની ઉજવણી સૂફી પરંપરા મુજબ સૂફીસંતના અવસાનની હિજરી ઇસ્લામિક તિથી મુજબ ઉજવાય છે. પણ હઝરત ખ્વાજા મલાઉદ્દીન ચિસ્તી સાહેબનો ઉર્સ હંમેશા હિંદુ તિથી મુજબ જ ઉજવાય છે. અજમેરના ખ્વાજા ગરીબ નવાઝના ઉર્સમા જે રીતે હિંદુ મુસ્લિમ એકતા અને શ્રદ્ધાના દર્શન થાય છે, તેમ જ હઝરત ખ્વાજા મલાઉદ્દીન ચિસ્તી સાહેબના ઉર્સમા પણ હિંદુ મુસ્લિમ સમુદાય સરખા ઉત્સાહથી ઉમટે છે. વળી, મોટે ભાગે ઉર્સની ઉજવણીમા કવ્વાલીનો દૌર લગભગ આખી રાત ચાલતો હોય છે. અને શ્રધ્ધાળુઓ તે આખી રાત માણતા હોય છે. પણ અત્રે ઉર્સની ઉજવણીમા દર વર્ષે કવ્વાલી પૂર્વે વિશિષ્ટ વિષયો પર વ્યાખ્યાનો યોજાય છે. દરગાહના હાલના ગાદીપતિના પુત્ર ડૉ.મતાઉદ્દીન ચિસ્તી દર વર્ષે ઉર્સની ઉજવણીમાં સામાજિક અને શૈક્ષણિક સંદર્ભ જોડી વિવિધ મુદ્દાઓ પર સામાજિક સભાનતા કેળવવા પ્રયાસ કરે છે. આ વર્ષે ઉર્સની ઉજવણીનું મુખ્ય સૂત્ર હતું “ચાલો માનવતા મહેકાવીએ…”. આ વિષય પર બોલવા મારી સાથે જાણીતા શાયર ડૉ. રઈશ મનીયાર અને દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના શિક્ષણ વિભાગના વડા ડૉ.રાયસંગ ચૌધરી હતા. જેમણે માનવતાને ઉજાગર કરતા પોતાના વિચારો વિશાળ જનમેદની સમક્ષ રાત્રીના બાર વાગ્યા સુધી રજુ કર્યા હતા. અને હજારો હિંદુ મુસ્લિમ શ્રધ્ધાળુઓએ તે માણ્યા હતા. જો કે ઉજવણીનું આ સ્વરૂપ મોટે ભાગે સૂફીસંતોની દરગાહ ઉપર જોવા મળતું નથી. પણ સાચા અર્થમાં જોઈએ તો માનવતાએ સૂફીસંતોના જીવન કાર્યોના પાયામાં રહેલ છે. સૂફી સંતો ઈશ્વર કે ખુદાને મંદિર,મસ્જિત કે ગુરુદ્વારામા નથી શોધતા, તેઓ માને છે કે ખુદા કે ઈશ્વર માનવીના હદયમાં વસે છે. અને એટલે જ માનવતાના દરેક કાર્યમાં ખુદા છે. એક શાયરે એ વિચારને સાકાર કરતા લખ્યું છે,
“વો મંદિર મસ્જિત ગુરુદ્વારા મેં નહિ રહતા
વો સુરદાસ કી લાઠી મેં આવાઝ બન કે રહેતા”
અર્થાત સુરદાસ પોતાની લાકડીના સહારે પોતાનો માર્ગ શોધી લે છે તેમજ માનવી પણ ખુદાને મંદિર,મસ્જિત કે ગુરુદ્વારામા શોધવાને બદલે માનવીના હદયમાં શોધવા પોતાના મનની લાકડી ખખડાવે.
મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના વારસદારો સૂફીવાદની ચિસ્તીયા સીલસીલાના અનુયાયી છે. આઈને અકબરીમાં અબુલ ફજલે સૂફીવાદના ૧૪ સિલસિલોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં સૌ પ્રથમ ચિસ્તીયા સિલસિલાનો છે. કારણ કે મધ્યકાલીન ભારતમાં સૂફીવાદની ચિસ્તીયા પરંપરાના સંતોની બોલબાલા રહી છે. જેમાં ખ્વાજા ગરીબ નવાઝ, નિઝામુદ્દીન ઓલિયા, બાબા ફરીદ અને ખ્વાજા મોયુદ્દીન ચિસ્તીનો સમાવેશ થાય છે. અમદાવાદના અનેક સુલતાનો અને સંતો પણ આ જ ચિસ્તીયા પરંપરાના સમર્થકો હતા. તેનું મુખ્ય કારણ તેના માનવીય સિદ્ધાંતો અને તેનું આચરણ હતા. જેમ કે સૂફી સૂફીવાદની ચિશ્તી પરંપરાનો મહત્વના સિદ્ધાંત હતો કે સૌ પ્રથમ માનવીને માનવી સુધી પહોંચાડો. અને પછી માનવીને ખુદા કે ઈશ્વર સુધી લઇ જાવ. સારો માનવી જ ખુદા સુધી પહોંચવામાં સફળ થઈ શકે. એટલે જ જે માનવી માનવીને સમજી શકે છે, તેને સહાયભૂત થાય છે, તે જ સારો માનવી છે. એવો સારો માનવી જ ખુદા કે ઈશ્વરની નજીક જઈ શકે છે.

ચિસ્તીયા પરંપરાનો બીજો મહત્વનો સિધ્ધાંત એ છે કે કુરાને શરીફના માનવીય સિદ્ધાંતોનું રટણ માત્ર ન કરતા, તેને આચરણમાં મુકો. ચિસ્તીયા પરંપરાના સંતો અને ઓલિયાઓ તેના માટે ખાસ કહે છે,
“લિસાલે કાલ સે જ્યાદા જરૂરી હૈ લિસાલે હાલ”
અર્થાત શાબ્દિક ઉપદેશ કરતા જરૂરી છે ઉપદેશનું આચરણ. ચિસ્તીયા સિલસિલાના સંતો એ કુરાને શરીફના માનવીય અભિગમને પોતાના જીવનમાં ઉતાર્યા હતા. જેનું ઉત્તમ દ્રષ્ટાંત અજમેરના જાણીતા સંત ખ્વાજા ગરીબ નવાઝ છે કે જેમણે પોતાનું સમગ્ર જીવન લોક સેવા અને લોક કલ્યાણમાં વિતાવ્યું હતું. આ જ ઉદેશને સાકાર કરવા મોટા મિયા માંગરોલની ગાદીના હાલના ગાદીપતિ હઝરત પીર સલીમુદ્દીન ચિસ્તી અને તેમના સુપુત્ર મતાઉદ્દીન ચિસ્તીએ “ગ્લોબલ સૂફી પીસ એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન” નામક સંસ્થાની સ્થાપના કરી છે. જેમાં જાતીય ભેદભાવોથી પર રહી લોકસેવાનું વિનામૂલ્યે કાર્ય કરવામા આવે છે. ગરીબ અસહાય લોકોને શિક્ષણ, સ્વાસ્થ અને જીવનનિર્વાહ માટે શક્ય તેટલી સહાય કોઈ પણ પ્રકારના પ્રચાર પ્રસાર વગર કરવામાં આવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી કોમી એકતા, વ્યસન મુક્તિ, ગાયોનું જતન અને તેને કતલ ખાને જતા અટકાવવાનું અભિયાન ચિસ્તીએ “ગ્લોબલ સૂફી પીસ એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન” ચલાવી રહ્યું છે. ૩૧ મેં ૨૦૧૬ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે માંગરોળ મુકામે એક લાખ લોકોને વ્યસનમુક્તિ અભિયાનમાં જોડ્યા હતા. જેમાંથી નેવું ટકા લોકો વ્યસન મુક્ત થયાનું કહેવાય છે. એ જ રીતે સંસ્થા દ્વારા ગામે ગામ ગાયોને પાળવા, તેનું જતન કરવા લોકોને આહવાન કરવામા આવે છે અને તે માટે જરૂરી સહાય પણ કરવામા આવે છે. આ ઉપરાંત “ગ્લોબલ સૂફી પીસ એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન” દ્વારા માનવતા પ્રેરિત સૂફી સિદ્ધાંતોને લોકો સમક્ષ પહોંચાડવાના હેતુથી મુલ્ય નિષ્ઠ પુસ્તકોના પ્રકાશનો પણ હાથ ધરવામાં આવ્યા છે. ડૉ.મતાઉદ્દીન ચિસ્તીનું પુસ્તક “સૂફી સંદેશ” એ દ્રષ્ટિએ વાંચવા જેવું છે.

આમ એક ધાર્મિક મરકજે (સ્થાન) વિના મુલ્યે, નિસ્વાર્થ ભાવે સમાજ સેવાનું કાર્ય કરી ધર્મની સાચી પરિભાષા આપણી સમક્ષ મૂકી છે, તે માટે તેમને આકાશ ભરીને અભિનન્દન.

Leave a comment

Filed under Uncategorized